સંજય ગાંધીથી વિજય રૂપાણી અને અજિત પવાર સુધી: પ્લેન ક્રૅશમાં જીવ ગુમાવનારા આઠ રાજનેતા

ઇમેજ સ્રોત, Getty Images
બુધવારે સવારે મહારાષ્ટ્રના બારામતીમાં ઍરપૉર્ટ ઉપર ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવાર સહિત પાંચ લોકો મૃત્યુ પામ્યા છે.
મૃતકોમાં પવારની સાથે તેમના અંગત સુરક્ષા અધિકારી, અંગત સહાયક, ફ્લાઇટ ઑફિસર તથા પાઇલટ પણ સામેલ હતા.
ઑપરેટર વીએસઆર દ્વારા સંચાલિત VTSSK, LJ45 પ્રકારનું વિમાન રનવે ઉપર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જે બાદ તેમાં આગ લાગી ગઈ હતી.
નોંધનીય છે કે આ પહેલાં પણ કેટલાક રાજકારણીઓ હવાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. કેટલાક હેલિકૉપ્ટર તો કેટલાક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે.
ભારતીય રાજકારણમાં હવાઈ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર રાજકારણીઓ અને તેમના જીવન પર એક નજર...

સંજય ગાંધી ભારતનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધીના પુત્ર હતા. સંજય ગાંધીને ઉડાનનો ખૂબ શોખ હતો.
23 જૂન, 1980ના રોજ, તેઓ દિલ્હીના સફદરજંગ ઍરપૉર્ટ પર એક ખાનગી વિમાન ચલાવી રહ્યા હતા ત્યારે તેમનું વિમાન ક્રૅશ થયું.
આ વિમાનમાં તેમની સાથે તેમના સહ-પાયલટ સુભાષ સક્સેના પણ હતા. વિમાન ક્રૅશ થતાં બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
સંજય ગાંધીને 1976માં હળવા વિમાન ઉડાડવાનું લાઇસન્સ મળ્યું.
ઇંદિરા ગાંધી સરકાર ગઈ અને જનતા પાર્ટીની સરકાર આવી પછી તેમનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. ઇંદિરા ગાંધી સત્તામાં પાછા ફર્યા પછી તેમને ફરીથી નોકરી પર રાખવામાં આવ્યા હતા.
તેમણે 23 જૂન, 1980ના રોજ સવારે 7:58 વાગ્યે દિલ્હીના સફદરજંગ ઍરપૉર્ટથી ઉડાન ભરી.

ઇમેજ સ્રોત, Nehru Memorial Library

30 સપ્ટેમ્બર, 2001ના રોજ ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના ભોગાવ તાલુકા નજીક મોટામાં એક વિમાન દુર્ઘટનામાં કૉંગ્રેસના નેતા માધવરાવ સિંધિયાનું અવસાન થયું હતું. સિંધિયા એક સભાને સંબોધવા કાનપુર જઈ રહ્યા હતા.
તેમની સાથે વિમાનમાં છ અન્ય લોકો પણ હતા. જિંદાલ ગ્રૂપના 10-સીટર ચાર્ટર્ડ વિમાન 'સેસ્ના C90'એ નવી દિલ્હીના ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ઉડાન ભરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
આ વિમાન આગ્રાથી 85 કિમી દૂર ક્રૅશ થયું હતું, જેમાં સવાર તમામનાં મોત થયાં હતાં.
માધવરાવ સિંધિયાને કૉંગ્રેસના અગ્રણી નેતાઓમાંના એક ગણવામાં આવતા હતા. તેમને એક યુવાન અને લોકપ્રિય નેતા માનવામાં આવતા હતા. રાજકીય વર્તુળોમાં એવું માનવામાં આવતું હતું કે કૉંગ્રેસમાં તેમનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે.
છેલ્લા કેટલાક વર્ષોથી તેમના દીકરા જ્યોતિરાદિત્ય સિંધિયા કેન્દ્ર સરકારમાં મંત્રી છે.

વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને રાષ્ટ્રપતિ કે. આર. નારાયણન દિલ્હીમાં સિંધિયાના પરિવારના ઘરે ગયા અને તેમને સાંત્વના આપી.
રાષ્ટ્રપતિ નારાયણન, તેમનું વર્ણન કરતા કહે છે કે, 'તેઓ ભારતના રાજકીય આકાશના સૌથી તેજસ્વી તારાઓમાંના એક હતા.'
"શું ભાગ્ય આટલું ક્રૂર હોઈ શકે છે?" વડા પ્રધાન વાજપેયીએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું.

તારીખ 2 સપ્ટેમ્બર, 2009 ના રોજ, આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી, વાયએસ રાજશેખર રેડ્ડી, સવારે 8:38 વાગ્યે હેલિકૉપ્ટર દ્વારા બેગમપેટથી નીકળ્યા.
તેઓ ચિત્તૂર જિલ્લામાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
સમયપત્રક મુજબ, તેઓ સવારે 10:30 વાગ્યે ત્યાં પહોંચવાના હતા. પરંતુ તેઓ ક્યારેય ત્યાં પહોંચ્યા નહીં.
મુખ્ય મંત્રીના હેલિકૉપ્ટર ગાયબ થવાની ઘટના રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની હતી. કેન્દ્ર સરકારને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, DGCA
રાજશેખર રેડ્ડી જે હેલિકૉપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા તે બેલ-430 હતું અને તે ગુમ થઈ ગયું હતું.
સેનાની મદદથી નલ્લામાલા જંગલ વિસ્તારમાં હેલિકૉપ્ટરની શોધખોળ કરવામાં આવી હતી.
હેલિકૉપ્ટરનો કાટમાળ તારીખ 3 સપ્ટેમ્બરના રોજ મળી આવ્યો હતો, જેમાં તેમના ઉપરાંત અન્ય ત્રણ લોકોનાં પણ મૃત્યુ થયાં હતાં.

30 એપ્રિલ, 2011ના રોજ, ઇટાનગરથી તવાંગ જતું એક હેલિકૉપ્ટર ગુમ થઈ ગયું હતું, જેમાં અરુણાચલ પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી દોરજી ખાંડુ અને અન્ય ચાર લોકો સવાર હતા.
પાંચ દિવસની ભારે શોધખોળ બાદ, શોધ ટીમોને તેમના હેલિકૉપ્ટરના અવશેષો મળ્યા.

ઇમેજ સ્રોત, Getty Images
ખાંડુ ચાર સીટર સિંગલ એન્જિન પવન હંસ હેલિકૉપ્ટર AS-B350-B3 માં મુસાફરી કરી રહ્યા હતા.
દોરજી ખાંડુને લઈ જઈ રહેલા હેલિકૉપ્ટરનો કાટમાળ અરુણાચલ પ્રદેશના લુગુથાંગ વિસ્તારમાં સમુદ્ર સપાટીથી 4900 મીટરની ઊંચાઈ પર મળી આવ્યો હતો.
પર્વતીય, બરફથી ઢંકાયેલા પ્રદેશમાં પાંચ દિવસ સુધી ચાલેલી શોધમાં ભારત અને પડોશી ભૂટાનનાં 3,000 સુરક્ષા દળો સહિત 10,000 થી વધુ લોકો સામેલ થયા હતા.
ફાઇટર જૅટ અને લશ્કરી હેલિકૉપ્ટરની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી.
તવાંગથી ઉડાન ભર્યાના 20 મિનિટ પછી તેમનું હેલિકૉપ્ટર ગુમ થઈ ગયું. શોધ ટીમને પાંચમા દિવસે ક્રૅશ થયેલા હેલિકૉપ્ટરનો કાટમાળ અને તેમાં સવાર તમામ પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા.

31 માર્ચ, 2005ના રોજ, પ્રખ્યાત સ્ટીલ ઉદ્યોગપતિ અને રાજકારણી ઓપી જિંદાલનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
તેમની સાથે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી બંસીલાલના પુત્ર સુરેન્દ્રસિંહ પણ હતા. તેમની સાથે પાઇલટનું પણ મૃત્યુ થયું.
તે સમયે, ઓપી જિંદાલ હરિયાણામાં ચૂંટાયેલી કૉંગ્રેસ સરકારમાં ઊર્જા મંત્રી હતા, જ્યારે સુરેન્દ્રસિંહ કૃષિ મંત્રી હતા.

આ અકસ્માત ઉત્તર પ્રદેશના સહારનપુરના ગંગોહ શહેર નજીક બપોરે 12.30 વાગ્યાની આસપાસ થયો હતો.
ચંદીગઢથી દિલ્હી પરત ફરતી વખતે હેલિકૉપ્ટર ક્રૅશ થયું.

ગુરુવારે બપોરે (12 જૂન, 2025) અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું એક પેસેન્જર વિમાન ક્રૅશ થયું હતું. તેમાં 2 પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત કુલ 242 લોકો હતા.
દુર્ઘટનામાં ભારતીય મૂળના બ્રિટિશ મુસાફર વિશ્વાસકુમાર રમેશ આ અકસ્માતમાં બચી ગયા હતા. તેઓ આ દુર્ઘટનામાં જીવિત બચી જનાર એકમાત્ર મુસાફર હતા.

ઇમેજ સ્રોત, Getty Images
આ ભયાનક અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું અવસાન થયું હતું .
ઑગસ્ટ 2016 માં આનંદીબહેન પટેલે પદ પરથી રાજીનામું આપ્યા પછી વિજય રૂપાણી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા હતા.
ત્યારબાદ તેમણે 2021ના મધ્ય સુધી આ જવાબદારી સંભાળી.

ઇમેજ સ્રોત, Getty Images
વિજય રૂપાણી વિદ્યાર્થીકાળથી જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) માં સક્રિય હતા. ત્યાંથી, મુખ્ય મંત્રી બન્યા ત્યાં સુધી, તેમની રાજકીય સફર લાંબી અને સુસંગત રહી.

આંધ્ર પ્રદેશના રાજકારણમાં જીએમસી બાલયોગીનું નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે. ખૂબ જ ટૂંકી કારકિર્દીમાં, બાલયોગીએ રાજકારણ પર અમીટ છાપ છોડી દીધી.
1991માં, ખૂબ જ નાની ઉંમરે, તેઓ લોકસભામાં ચૂંટાયા. જોકે, તેઓ આગામી લોકસભામાં હારી ગયા. જોકે, પેટાચૂંટણી જીત્યા પછી, તેઓ આંધ્ર વિધાનસભામાં પ્રવેશ્યા અને મંત્રી પણ બન્યા. આ સમય દરમિયાન, કેન્દ્રમાં મોટી ઘટનાઓ બની રહી હતી.
1998ની લોકસભા ચૂંટણીમાં, બાલયોગી વિજયી થયા અને તે લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા.
તેલુગુ દેશમ પાર્ટીના મહત્ત્વપૂર્ણ નેતાઓ, ખાસ કરીને એન. ચંદ્રબાબુ નાયડુમાં તેમણે એક વિશ્વસનીય નેતા તરીકે ખ્યાતિ મેળવી હતી. ત્યારબાદ બીજા વર્ષે ફરીથી ચૂંટણીઓ યોજાઈ. તેમાં પણ તેઓ જીત્યા અને ફરીથી લોકસભાના અધ્યક્ષ બન્યા.

ઇમેજ સ્રોત, Getty Images
બહુપક્ષીય સરકાર ચલાવનારા અટલ બિહારી વાજપેયીને સંસદમાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. બાલયોગીએ તોફાની ચર્ચાઓ, તીવ્ર વિરોધ અને તમામ બેન્ચ પરના સભ્યોની ધાંધલ-ધમાલ વચ્ચે પણ ગૃહનું સંચાલન કર્યું. તેમણે અનેક વિદેશ પ્રવાસો પણ કર્યા.
જોકે, 3 માર્ચ, 2002ના રોજ, આંધ્ર પ્રદેશના ભીમાવરમથી પરત ફરતી વખતે, તેમનું હેલિકૉપ્ટર અકસ્માતનો ભોગ બન્યું. બાલયોગીનું હેલિકૉપ્ટર જરૂર કરતાં ઓછી ઊંચાઈએ નીચે ઉતરવાનું શરૂ કર્યું અને અંતે એક નારિયેળના ઝાડ સાથે અથડાયું. આ અકસ્માતમાં બાલયોગી પોતે, હેલિકૉપ્ટર પાઇલટ અને તેમના સુરક્ષા અધિકારીનું મૃત્યુ થયું.
બાલયોગીના મૃત્યુ પછી, તેમનાં પત્ની સાંસદ બન્યાં. 2024ની લોકસભા ચૂંટણીમાં, બાલયોગીના પુત્ર જીએચએમ બાલયોગી અમલાપુરમથી સાંસદ બન્યા.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












