'રાજુ કરપડા હવે ભાજપની સ્ક્રિપ્ટ બોલી રહ્યા છે', ગોપાલ ઇટાલિયાએ બીજું શું કહ્યું?
થોડા મહિના પહેલાં બોટાદ એપીએમસીના હડદડ કૉટન સબયાર્ડમાં કપાસની ખરીદી ચાલતી કથિત કડદા પ્રથા તથા ખેડૂતોએ ભોગવવી પડતી કથિત હાલાકીનો મુદ્દો ઉઠાવ્યા બાદ ચર્ચામાં આવેલા રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
'વ્યક્તિગત કારણો' આગળ ધરીને રાજીનામું આપનાર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ અધ્યક્ષપદે રહેલા રાજુ કરપડાએ બાદમાં ગુરુવારે એક પત્રકારપરિષદ યોજીને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
રાજુ કરપડાએ કહ્યું હતું, "જ્યારે હું જેલમાં હતો ત્યારે હું તેમાંથી બહાર નહીં આવું તે માટે આપના કેટલાક નેતાઓએ પ્રયાસ કર્યો હતો."
તેમણે કહ્યું કે તેમની જ પાર્ટીના નેતાઓએ તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે કહ્યું, "હું જ્યાં સુધી આપમાં હતો ત્યાં સુધી વફાદાર હતો અને પાર્ટીને મજબૂત કરવા પ્રયત્ન કર્યો હતો. મેં જેલની હવા ખાધી છે. જે ખેડૂતોએ ક્યારેય પોલીસ સ્ટેશન નહોતું જોયું તેમણે પણ જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હતો."
આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજુ કરપડાના પાર્ટી છોડી દેવા વિશે બીબીસી સાથે વાત કરી.
તેમણે કહ્યું કે રાજુભાઈએ જેલમાંથી બહાર નીકળ્યા પછી ભાજપ વિશે એક શબ્દ બોલ્યા હોય તો કહો. તેઓ ભાજપની લાજ કેમ કાઢે છે?
તેમણે કહ્યું કે "રાજુ કરપડાએ જેલમાંથી બહાર આવીને એવું કહ્યું નથી કે તેમની પર હડદડમાં ખોટો કેસ થયો છે. હર્ષ સંઘવીએ તેમની પર ખોટો કેસ કર્યો છે એવું તે બોલ્યા?"
ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવી અને રાજુ કરપડા વચ્ચે એક ડિલ થઈ હોવાની વાત કરી છે.
ગોપાલ ઇટાલિયાનો આખો ઇન્ટરવ્યૂ જુઓ...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



