કોરોના વાઇરસ : '67 વર્ષની વયે કોરોના થયો, ઘરમાં એકલી, જમવાનું શું કરવું?'

ઇમેજ સ્રોત, Hemina bhavsar
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 5 મિનિટ
અમદાવાદના નવરંગપુરામાં રહેતાં હિનાબહેન ઠક્કર ગળાગળા સાદે બીબીસીને કહે છે કે, "ઘરે હું એકલી જ રહું છું. મારી ઉંમર 67 વર્ષની છે. મારી તબિયત નરમ જણાતાં ટેસ્ટ કરાવ્યો તો મને કોરોના હોવાનું રિપોર્ટમાં આવ્યું. મારું મગજ ચકરાવે ચઢી ગયું હતું."
તેઓ વધુમાં કહે છે, "કોરોના એવી ભેદી અને ચેપી બીમારી છે કે કોઈને મદદ માટે બોલાવી શકાય નહીં. મારી પાસે પૈસાની ખોટ નથી, પણ કરનારું કોઈ નથી. એમાંય આ કોરોનામાં કોણ કરે. શરીર તૂટતું હતું અને મન ભાંગી પડ્યું હતું કે ભોજનનું શું થશે? એવામાં મને સાવ અજાણ્યા લોકો દ્વારા સવારસાંજ ઘરે બેઠા ટિફિનની સગવડ મળી ગઈ. એ ટિફિન મારા માટે ભગવાન થઈને આવ્યાં હતાં. જેમની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ ભોજન પૂરું પાડે તેની ભલમનસાઈ મારે ક્યા શબ્દોમાં વર્ણવવી."
ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. એમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
અમદાવાદમાં કોરોનાના કેસ પચાસ હજારને વટી ગયા છે. કોરોનાએ ફરી ઊથલો મારતાં અત્યારે શહેરમાં સ્થિતિ એવી છે કે હૉસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેથી કેટલાક દરદી ઘરે રહીને જ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.
કોરોના ચેપી રોગ છે અને દરદીને કોઈને મળવા દેવામાં આવતા નથી. બહાર ન નીકળી શકતાં કોરોનાના દરદીઓને ઘરે બેઠા નિશુલ્ક ભોજન મળી રહે એ માટે મેહુલ પારેખ અને નીરવ શાહે ટિફિનસેવા શરૂ કરી છે.
ઉપર જે કિસ્સો વર્ણવ્યો એ હિનાબહેન ઠક્કરને મેહુલભાઈ અને નીરવભાઈ દ્વારા ક્વૉરેન્ટીન તબક્કામાં ટિફિન મળ્યું ત્યારે તેઓ ભાવવિભોર થઈ ગયાં હતાં.

મમ્મી-પપ્પા પાસે કોઈ જઈ શકે તેમ નહોતું, ભોજન કેવી રીતે પહોંચાડવું?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
આવો જ કિસ્સો કોકિલાબહેન અને ચંદ્રકાંતભાઈનો છે. પૂર્વ અમદાવાદમાં રહેતાં કોકિલાબહેન અને ચંદ્રકાંતની ઉંમર એંશી વર્ષ કરતાં વધારે છે. તેમને બંનેને કોરોના થયો હતો. અત્યારે તેઓ કોરોનામાંથી બહાર આવી ગયાં છે. ખરે ટાણે તેમને ઘરે બેઠા ભોજન પૂરું પાડનારા મેહુલભાઈ અને નીરવભાઈ પ્રત્યે તેઓ ખૂબ આભાર પ્રકટ કરે છે.
અમદાવાદમાં જ રહેતા તેમનાં દીકરી હેમિનાબહેન ભાવસાર બીબીસીને જણાવે છે કે, "મારાં માતાપિતાનું ઘર મારાથી ખૂબ દૂર છે. મને ડાયાબિટીસ છે. કોરોનાને લીધે ડૉક્ટરે મને બહાર નીકળવાની ના કહી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મમ્મી-પપ્પાને કોરોનાનું નિદાન થયું એટલે શરૂઆતમાં તો હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેમની તબિયત થોડી સારી થઈ એટલે ત્યાંથી રજા મળી ગઈ હતી. જોકે 14 દિવસ પૂરા થયા નહોતા. તેમણે ઘરમાં ક્વૉરેન્ટીન રહેવું પડે તેમ હતું. આ દરમ્યાન મમ્મી-પપ્પાના ઘરે કોઈ જઈ શકે તેમ નહોતું."
હેમિનાબહેન ભાવસાર વધુમાં કહે છે, "દરમ્યાન તેમની ભોજન વગેરે સગવડ કઈ રીતે સાચવવી? હું વિમાસણમાં હતી ત્યારે મને મારી એક દોસ્તે કહ્યું કે માત્ર કોરોનાના દરદી માટે એક ટિફિનસેવા ચાલે છે. મેં એ ટિફિનસેવા મમ્મી-પપ્પા માટે શરૂ કરાવી. જેમની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ કે પરિચય નહોતો તે લોકોએ મારાં ઉંમરવાન માતાપિતાને ભોજન પૂરું પાડ્યું.”

સવાર-સાંજ 200 લોકોને ટિફિન

ઇમેજ સ્રોત, Nirav shah
મેહુલ પારેખ અને નીરવ શાહ બંને મિત્રોએ મળીને અમદાવાદમાં કોરોનાના દરદી માટે ટિફિન શરૂ કર્યાં છે.
મેહુલ પારેખના પરિવારમાં પાંચ જણા છે. એ તમામ લોકોને કોરોના થયો હતો.
એ વખતે તેમના મોહલ્લાવાળાઓએ ભોજન સહિતની સેવા પૂરી પાડી હતી.
મેહુલભાઈને એ વખતે એવો વિચાર આવ્યો કે મને તો ભોજન વગેરેની સગવડ મળી ગઈ છે, પણ શહેરમાં એવા પણ કેટલાંય દરદી હશે જેઓ ઘરની બહાર નીકળી શકતા નથી અને તેમના ઘરે કોઈ જઈ શકતા નથી. આવા લોકો ભોજન માટે શું કરતા હશે?
એ વિચારમાંથી ટિફિનસેવા શરૂ કરવાનું તેમણે અને નીરવ શાહે નક્કી કર્યું.
એક વૉટ્સઍપ મૅસેજ તૈયાર કર્યો અને વિવિધ ગ્રૂપમાં એ મૅસેજ ફોરવર્ડ કર્યો. એ મૅસેજ વાઇરલ થયો અને એ રીતે નિશુલ્ક ટિફિનસર્વિસ શરૂ થઈ.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બીબીસી સાથે વાત કરતાં મેહુલભાઈ કહે છે કે, "બે મહિનાથી ટિફિનસર્વિસ ચલાવીએ છીએ. સવારે અંદાજે સોએક લોકો તેમજ સાંજે અંદાજેક સોએક કોરોના દરદીને ઘરે ટિફિન પહોંચે છે."
તમે જે કોરોના દરદીને ટિફિન મોકલો છો એ દરદી કોરોનાના જ છે એની ખાતરી કેવી રીતે કરો છો?
આ સવાલના જવાબમાં મેહુલભાઈ કહે છે કે, "અમારી પાસે ટિફિન મેળવવા માટે કોઈનો ફોન આવે તો અમે દરદીનો કોરોના પૉઝિટિવ રિપોર્ટ વૉટ્સઍપ દ્વારા મોબાઇલ પર મંગાવીએ છીએ. આધારકાર્ડ તેમજ તેમનું પાક્કું સરનામું, સંપર્ક નંબર સાથે મંગાવીએ છીએ."
"કોરોનાના દરદીએ ચૌદ દિવસ ક્વૉરેન્ટીનમાં રહેવાનું હોય છે. તેથી ચૌદ દિવસ અમે ટિફિન આપીએ છીએ. લોકો ખૂબ ભલા હોય છે. અમે ચૌદ દિવસ પછી બંધ કરીએ એ પહેલાં જ લોકોના ફોન આવે છે કે હવે સાજા થઈ ગયા છીએ. ટિફિન નહીં જોઈએ. અમારા બદલે અન્ય કોઈ જરૂરિયાતમંદને આપો."

ભોજન તૈયાર કરવા કેટરિંગનો સહારો

ઇમેજ સ્રોત, Getty Images
સવારસાંજ ભોજન તૈયાર કરવા માટે તેમણે એક કેટરિંગસર્વિસનો સહયોગ લીધો છે.
અમદાવાદના તમામ વિસ્તારોમાં તેઓ ટિફિન પહોંચાડતા નથી. વસ્ત્રાપુર, વાડજ, ગુરુકુળ, પાલડી, સેટેલાઇટ, ડ્રાઇવઇન, મેમનગર વિસ્તારોમાં તેઓ ટિફિન પહોંચાડે છે.
ટિફિન માટેના પૈસા અંગે સવાલ કરતાં મેહુલભાઈ કહે છે કે આ સર્વિસ હું મારા વેપારીમિત્રો તેમજ સગાંસંબંધીના સહયોગથી ચલાવું છું.
"કોઈ પૈસાની મદદ કરવા ઇચ્છે તો અમે તેમને કહીએ છીએ કે સાજા થયા પછી શક્ય હોય તો તમે કોરોનાના દરદી માટે તમે શક્ય તેટલાં ટિફિન બનાવો, એટલે જેમ તમને મદદ મળી તેમ અન્ય કોઈને ભોજનની મદદ મળે."
"જેમને અમે ટિફિન પહોંચાડીએ છીએ તેમાંના સિત્તેર ટકા લોકોએ અમને કહ્યું છે કે આર્થિક સહયોગ આપવા ઇચ્છીએ છીએ, પણ અમે પૈસા લેતા નથી.”

ટિફિનનો લાભ લેનારા પચાસ ટકા દરદી વરિષ્ઠ નાગરિકો

ઇમેજ સ્રોત, Mehul Parekh
અમદાવાદ એવું શહેર છે કે ત્યાં ઘણા વડીલો એકલવાયું જીવન જીવે છે.
એવામાં જો કોઈ વડીલ કોરોના જેવી બીમારીમાં સપડાય તો તેમની હાલત કફોડી થઈ જાય છે.
મેહુલભાઈ જણાવે છે કે ટિફિન મેળવવા માટે અમને દરેક વયના લોકોના ફોન આવે છે. એમાં અમારી પ્રાથમિકતા વડીલો હોય છે.
"અમે જેટલા લોકોને ટિફિન પહોંચાડીએ છીએ એમાંના પચાસ ટકા મોટી ઉંમરના વડીલો જ છે. ઉપરાંત જે પરિવારમાં તમામ લોકો કોરોનાના દરદી હોય તો તમામ સભ્યો માટે ટિફિન આપીએ છીએ."
"અમે એક ઘરમાં પાંચથી છ ટિફિન પણ પહોંચાડેલાં છે. જે દરદીના ઘરમાં અન્ય કોઈ જુવાન વ્યક્તિ હોય અને તેને કોરોના ન થયો હોય તો અમે એવા પરિવારને સામેથી કહીએ છીએ કે તમે બહારથી ભોજનની વ્યવસ્થા કરી લો."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

કોરોનાનો કાળો કેર

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP via Getty Images
ગુજરાતમાં કોરોના વાઇરસે કાળો કેર વર્તાવી દીધો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2,08,278ને પાર કરી ગઈ છે. જ્યારે કુલ મૃતકાંક 3970ને વટી ગયો છે.
છેલ્લા સપ્તાહથી રાજ્યમાં રોજના સરેરાશ પંદરસો કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.
કોરોનાને કાબૂમાં લેવા માટે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં રાત્રે સંચારબંધી એટલે કે કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












