મન્સિયા વીપી : એ મુસ્લિમ નૃત્યાંગના જેમને કેરળના મંદિરમાં નૃત્ય કરવાની મનાઈ ફરમાવી

    • લેેખક, શરણ્યા હૃષિકેશ
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
  • વાંચવાનો સમય: 5 મિનિટ

મન્સિયા વીપી ત્રણ વર્ષનાં હતાં ત્યારે તેમનાં માતાએ તેમને ભરતનાટ્યમ નૃત્યની તાલીમ આપવાનું નક્કી કર્યું હતું. ભરતનાટ્યમ એક ભારતીય શાસ્ત્રીય નૃત્ય છે જે મંદિરોમાંથી ઉદભવ્યું છે.

કેરળના મલ્લપુરમ જિલ્લાની મુસ્લિમ કન્યા મન્સિયાએ જ્યારે શાસ્ત્રીય નૃત્યની તાલીમ લેવાનું નક્કી કર્યું તે સહજ નહોતું.

પરંતુ મન્સિયાનાં માતા અમીના આ માટે મક્કમ હતાં.

મન્સિયા વીપી

ઇમેજ સ્રોત, MANSIYA VP

ઇમેજ કૅપ્શન, મન્સિયાએ પોતાના પગમાં પ્રથમ વખત ભરતનાટ્યમનાં ઝાંઝર બાંધ્યાં, તેના 24 વર્ષ પછી ગયા અઠવાડિયે ફરી એક વાર તેમનું નામ સમાચારોમાં ચમક્યું.

તેમણે પોતાની બંને દીકરીઓને ભરતનાટ્યમ જ નહીં પરંતુ અન્ય શાસ્ત્રીય નૃત્યો કૂચિપુડી અને મોહિનીયત્તમની પણ તાલીમ અપાવી.

આ સહેલું નહોતું, કેમ કે રૂઢિચુસ્ત મુસ્લિમ સમાજમાં આ પ્રકારના "હિન્દુ નૃત્યપ્રકારો" શીખવા સામે નારાજગી વ્યક્ત થઈ હતી. આમ છતાં પરિવારે દીકરીઓને નૃત્યની તાલીમ આપવાનું ચાલુ રાખ્યું તે વાત અખબારોમાં પણ ચમકતી રહી હતી.

મન્સિયાએ પોતાના પગમાં પ્રથમ વખત ભરતનાટ્યમનાં ઝાંઝર બાંધ્યાં, તેના 24 વર્ષ પછી ગયા અઠવાડિયે ફરી એક વાર તેમનું નામ સમાચારોમાં ચમક્યું.

આ વખતે મામલો એવો હતો કે કેરળના એક મંદિરના વાર્ષિક મહોત્સવમાં તેમને નૃત્ય કરવાની મનાઈ કરી દેવાઈ. આ વિશે મન્સિયાએ ફેસબુક પોસ્ટ લખી તે વાઇરલ થઈ હતી.

line

નૃત્યની મનાઈ માટેનું કારણઃ મન્સિયા હિન્દુ નથી

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સમારોહના આયોજકોએ તેમની અરજી સ્વીકારી લીધી હતી, પરંતુ સ્થળ પર જ્યારે મન્સિયા પહોંચ્યાં ત્યારે મંદિરના સંચાલકોએ મનાઈ કરી દીધી. મંદિરના સંચાલકોનું કહેવું છે કે તેમણે મંદિરની પરંપરાને જાળવવા માટે આ નિર્ણય કર્યો હતો.

દેશમાં વિભાજનનો માહોલ ઊભો થઈ રહ્યો છે, તેમાં આ વધુ એક બનાવે બળતામાં ઘી હોમ્યું.

જોકે હામ ના હારેલાં મન્સિયાએ પોસ્ટ કર્યું છે કે: "મેં આનાથીય વધારે ભેદભાવનો સામનો કર્યો છે અને અહીં સુધી પહોંચી છું. આ મનાઈ તો કંઈ નથી."

line

પ્રથમ અવરોધ

મન્સિયા વીપી તેમના માતાપિતા સાથે

ઇમેજ સ્રોત, MANSIYA VP

ઇમેજ કૅપ્શન, મન્સિયા વીપી તેમના માતાપિતા સાથે

હાલમાં 27 વર્ષનાં થયેલાં મન્સિયા ભરતનાટ્યમ વિષયમાં જ પીએચ.ડી. કરી રહી છે. તે બાળપણની સ્થિતિ વિશે વાત કરતાં કહે છે, "અમારા પરિવારમાં આર્થિક સંકડામણ હતી, પણ અમે સુખી હતા."

તેમનાં માતાએ ટીવી પર ભરતનાટ્યમનો કાર્યક્રમ જોયો અને તેમાં રંગબેરંગી વેશભૂષામાં સજ્જ કન્યાઓને જોઈને તેમને બહુ જ ગમી ગયું. તેમણે પોતાની દીકરીઓને પણ આવી ડાન્સર બનાવવાનો નિર્ણય કર્યો.

તેમના પતિ વીપી અલવિકુટ્ટી તે વખતે સાઉદી અરેબિયામાં કામ કરતા હતા, તેમણે પણ ટેકો આપ્યો. અમીનાએ પોતાની બંને દીકરીઓ રુબિયા અને મન્સિયાને નૃત્યના વર્ગોમાં દાખલ કરાવી અને રોજ તેને લેવાં મૂકવાં માટે પણ જાતે જ જતાં હતાં.

બંને બહેનો શાળામાં અભ્યાસ, નૃત્યના વર્ગો અને ધાર્મિક શિક્ષણમાં વ્યસ્ત થઈ ગઈ હતી. અમીના મુસ્લિમ ધર્મમાં આસ્થા રાખનારાં હતાં. તેમના પતિ અલવિકુટ્ટી પણ બાદમાં કેરળ પરત ફર્યા અને તેમણે ક્યારે પત્ની કે દીકરીઓની ધાર્મિક શ્રદ્ધા સામે વાંધો નહોતો.

દર શનિ-રવિમાં તેઓ પોતાની દીકરીઓને લઈને બસમાં નીકળી પડતા. કેરળમાં જુદાં-જુદાં પ્રકારનાં નૃત્ય શીખવાં ગુરુઓ પાસે પહોંચી જતાં. મન્સિયા અને રુબિયા છ પ્રકારના નૃત્યોની તાલીમ એક સાથે લેવા લાગ્યાં હતાં.

ક્યારેક એક જ દિવસમાં જુદા-જુદા જિલ્લાના તાલીમ વર્ગો સુધી દોડભાગ કરીને પરિવાર પહોંચી જતું અને સેંકડો કિલોમિટરનો પ્રવાસ થઈ જતો હતો.

મન્સિયા વીપી

ઇમેજ સ્રોત, MANSIYA VP

ઇમેજ કૅપ્શન, મસ્જિદની સમિતિ અને સ્થાનિક મદરેસાના શિક્ષકોએ પણ દબાણ કરવાનું શરૂ કર્યું કે તમારે આવાં નૃત્યો કરવાં જોઈએ નહીં.

મન્સિયા કહે છે, "એટલી બધી દોડભાગ થતી હતી. પણ અમારા માટે તો એ કાયમી થઈ ગયું હતું અને અમને મજા આવતી હતી."

કેરળમાં મંદિરોમાં અને યુવા મહોત્સવોમાં નૃત્યના કાર્યક્રમો ચાલતા રહેતા હોય છે. બંને બહેનો હવે આવા સમારંભોમાં ભાગ લેવા લાગી હતી.

જોકે હવે તેમના વિસ્તારની મસ્જિદમાંથી વિરોધ થયો અને મુશ્કેલી શરૂ થઈ.

મસ્જિદની સમિતિ અને સ્થાનિક મદરેસાના શિક્ષકોએ પણ દબાણ કરવાનું શરૂ કર્યું કે તમારે આવાં નૃત્યો કરવાં જોઈએ નહીં.

મન્સિયા બહુ નાની વયવાં હતાં એટલે તેઓ વિરોધને સમજી શકતાં નહોતાં અને મોટા કહે તેમ કરવા તૈયાર થઈ જતાં હતાં, પરંતુ રુબિયા ઘણી વાર ઘરે આવીને રડી પડતાં હતાં.

જોકે અમીના અને અલવિકુટ્ટી બંનેને હૈયાધારણ આપતાં અને કહેતાં કે તમે નૃત્ય કરવાનું ચાલુ રાખજો.

વીડિયો કૅપ્શન, ગુજરાતીઓના કાન આ સંગીત ભૂલી ન જાય એ માટે મથી રહ્યો છે વીસનગરનો આ પરિવાર

મન્સિયા કહે છે, "મને ખબર નથી કે તેઓ કઈ રીતે દબાણનો સામનો કરતાં હશે, કેમ કે ક્યારેય તેમણે ચિંતા દેખાડી નહોતી."

અલવિકુટ્ટી પોતે કિશોરાવસ્થામાં શેરીનાટકોમાં ભાગ લેતા હતા. તેઓ કહે છે કે તેમની દીકરીઓ કશું ખોટું કરી રહી નહોતી એટલે તેમણે મક્કમતાથી તેમને મંજૂરી આપી હતી.

જોકે 2006માં અમીનાને કૅન્સર થયાનું નિદાન થયું અને પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ ગયો.

અલવિકુટ્ટીએ પોતાની રીતે સારવાર માટેના નાણાં એકઠાં કરવાની કોશિશ કરી, પરંતુ મન્સિયા કહે છે કે સ્થાનિક મસ્જિદ સમિતિએ વિરોધ કર્યો હતો એટલે વિદેશથી સહાય મળી શકે તેમ હતી તે મળી નહીં. ના પાડવા છતાં બંને બહેનો નૃત્યોના કાર્યક્રમો કરતી હતી તેનાથી મસ્જિદ સમિતિના સભ્યો રોષે ભરાયેલા હતા. તેમણે મદદ માટેની અરજી ફગાવી દીધી હતી.

મન્સિયા યાદ કરતાં કહે છે, "હું રોજ મારાં માતાને લઈને સભ્યો પાસે મદદ માગવા જતી હતી."

આવી કફોડી સ્થિતિને કારણે ધર્મપાલન કરવાનો શો અર્થ એવો સવાલ તેના મનમાં જાગ્યો હતો.

2007માં અમીનાનું મૃત્યુ થયું ત્યારે સ્થાનિક કબ્રસ્તાનમાં તેમના દફન માટે પણ મનાઈ કરી દેવાઈ.

તે પછીના વર્ષે વધુ અભ્યાસ માટે રુબિયા તામિલનાડુ જતાં રહ્યાં ત્યાર પછી મન્સિયા એકલાં પડી ગયાં. પિતા તરફથી પ્રોત્સાહન મળતું રહ્યું એટલે મન્સિયાએ નૃત્યને છોડ્યું નહીં.

line

ધાર્મિક ભેદભાવ

મન્સિયા વીપી

ઇમેજ સ્રોત, MANSIYA VP

ઇમેજ કૅપ્શન, 2007માં અમીનાનું મૃત્યુ થયું ત્યારે સ્થાનિક કબ્રસ્તાનમાં તેમના દફન માટે પણ મનાઈ કરી દેવાઈ.

ભારતમાં ધર્મના નામે ભેદભાવ થાય ત્યારે બહુ વિચિત્ર વિરોધાભાસ ઊભા થતા હોય છે. 2021ના પ્યૂ સંસ્થાના અભ્યાસ અનુસાર બધા જ ધર્મના મોટા ભાગના લોકો અન્ય ધર્મો માટે સદભાવ રાખવાની સાથે જ ધર્મના લોકો અલગ-અલગ રહે તેવી વાત પણ કરતાં હોય છે.

રોજબરોજના જીવનમાં અને સંસ્કૃતિમાં પણ સહઅસ્તિત્વની ભાવના વણાઈ ગયેલી હોય છે - પણ તેમાં એક હદ બંધાયેલી હોય છે, જેને વળોટવામાં આવે ત્યારે મુશ્કેલીઓ સર્જાતી હોય છે. ભારતના ઘણા સુપ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતકારો મુસ્લિમો છે. તેમની ગાયકી ઘણા અંશે ભક્તિમય હોય છે અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં અને અલાઉદ્દીન ખાં વગેરે સરસ્વતી માતાના ઉપાસક પણ હોય છે.

મન્સિયા યાદ કરતાં કહે છે કે તેમને 'વીપી બહેનો' કહેવામાં આવતી હતી અને બંને બહેનોએ મલ્લપુરમના લગભગ દરેક મંદિરમાં જઈને નૃત્યના કાર્યક્રમમાં ભાગ લીધેલો છે. તેમને દરેક જગ્યાએ બહુ પ્રેમથી આવકાર મળતો રહ્યો છે.

વીડિયો કૅપ્શન, ફેસબુક પર નાના વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું અને લોકો તેને પસંદ કરવા લાગ્યા.

અગાઉ આવી રીતે તેઓ મુસ્લિમ બહેનો છે તે વાત સામે મંદિર સમિતિના એક સભ્યે થોડો વાંધો લીધો હતો તેવું તેને યાદ આવે છે.

મન્સિયા કહે છે, "પરંતુ અમારું નૃત્ય જોયા પછી તેઓ ખૂબ ભાવવિભોર થઈ ગયા હતા અને અમને ભેટી પડ્યા હતા."

થિસ્સુર જિલ્લાના કૂડલમનિક્યમ મંદિરે વાર્ષિક સમારોહ માટે નૃત્યકારોને આમંત્રણ આપ્યું ત્યારે મન્સિયાએ આયોજકોનો સંપર્ક કર્યો હતો. આયોજકોએ વિગતો મોકલી આપવાનું જણાવ્યું હતું. વિગતો પૂછવામાં આવી ત્યારે પરિચય, કલાકાર તરીકેના કાર્યક્રમો વગેરેની વાત થઈ હતી, પણ તેમાં કયા ધર્મના છો તે લખવાનું રહેશે એવી કોઈ વાત થઈ નહોતી એમ મન્સિયા કહે છે.

આ કાર્યક્રમ માટે તૈયારીઓ તેમણે શરૂ કરી દીધી, પણ ત્યાર બાદ આયોજકોનો ફોન આવ્યો કે મંદિરમાં નૃત્યની તેમને મંજૂરી નહીં મળે, કેમ કે મંદિરમાં "બિન-હિન્દુઓ"ને પ્રવેશ મળતો નથી.

ભારતમાં મોટા ભાગના મંદિરોમાં સૌ કોઈને આવવાની છૂટ હોય છે અને દરેક ધર્મના લોકો પૂજાપાઠ પણ કરી શકે છે. જોકે ઘણા બધા પ્રસિદ્ધ મંદિરો સહિતના મંદિરોમાં માત્ર હિન્દુઓને પ્રવેશનો નિયમ પણ હોય છે. તેમ જ પૂજાવિધિ થતી હોય તે ગર્ભગૃહ સુધી માત્ર હિન્દુઓને જ પ્રવેશ અપાતો હોય છે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

મન્સિયાની પોસ્ટ વાઇરલ થઈ તે પછી મંદિરના સંચાલકોએ જણાવ્યું હતું કે તેમની અરજી નકારી કાઢવાનું કારણ માત્ર એટલું જ હતું કે "મંદિરની પરંપરાનું પાલન તેમણે કરવાનું હોય છે".

જોકે મન્સિયાને ઘણા નેતાઓ અને કલાકારોનો ટેકો મળ્યો. તેમના સમર્થનમાં ત્રણ હિન્દુ નૃત્યકારોએ આ 10 દિવસના સમારોહમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો.

મન્સિયાને પરિવારનો અને સગાનો પણ ટેકો મળ્યો છે. તેમના સાસરિયા હિન્દુ છે અને તેઓ નિયમિત મંદિરના દર્શને જાય છે.

અલવિકુટ્ટી આ વિવાદથી વિચલિત થયા નથી. તેઓ કહે છે કે "આ તો સામાન્ય બાબત છે, કેમ કે આનાથી વધારે વિરોધ અને દબાણનો સામનો તેઓ કરતા આવ્યા છે".

મન્સિયા કહે છે કે તેમણે એકમાત્ર કારણસર ફેસબૂક પર પોસ્ટ લખવાનું વિચાર્યું હતું.

"કમસે કમ એક માણસ પણ આ વાંચે અને સમજી શકે કે કલાને કોઈ ધર્મ હોતો નથી તો તેનાથી મને ખુશી મળશે."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો