ગામલોકોએ વેર વાળવા માટે 300 જેટલા મગરોની હત્યા કરી નાખી

ઇમેજ સ્રોત, Reuters
ઇન્ડોનેશિયાના વેસ્ટ પપુઆ પ્રાંતના અભયારણ્યમાં ગ્રામજનોના ટોળાએ 300 જેટલા મગરની હત્યા કરી હતી.
મગરે એક સ્થાનિક માણસને મારી નાખ્યો હોવાની શંકાને પગલે વેરની વસૂલાત માટે ગ્રામજનોએ આટલા મોટા પ્રમાણમાં મગરોની હત્યા કરી હતી.
અધિકારીઓ અને પોલીસે જણાવ્યું હતું કે તેઓ હુમલો અટકાવી શક્યા ન હતા અને હવે સંબંધિત લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઇન્ડોનેશિયામાં સંરક્ષિત પશુની હત્યા ગુનો ગણાય છે અને એ માટે દંડ અથવા કારાવાસની સજાની જોગવાઈ છે.

શા માટે ઉશ્કેરાયા ગ્રામજનો?
એક શખ્સ શુક્રવારે સવારે મગર ઉછેર કેન્દ્રની પાસેથી શાકભાજી એકઠાં કરી રહ્યો હતો ત્યારે માર્યો ગયો હતો.
વેસ્ટ પાપુઆ ખાતેની ઇન્ડોનેશિયાની નેચરલ રિસોર્સીસ કન્ઝર્વેશન એજન્સીના વડાએ કહ્યું હતું, "એક કર્મચારીએ કોઈની ચીસ સાંભળી હતી.
"એ ઘટનાસ્થળે ધસી ગયો હતો અને તેણે મગરને કોઈના પર હુમલો કરતા નિહાળ્યો હતો."
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શનિવારે મૃતકની અંતિમવિધિ પછી ઉશ્કેરાયેલા હજ્જારો ગ્રામજનો છરા, પાવડા, હથોડા અને લાકડીઓ લઈને અભયારણ્યમાં ગયા હતા.
સ્થાનિક મીડિયાએ અધિકારીઓને એવું કહેતા ટાંક્યા હતા કે ટોળાએ પહેલાં મગર ઉછેર કેન્દ્રની ઑફિસ પર હુમલો કર્યો હતો અને પછી અભયારણ્યમાંના તમામ 292 મગરની હત્યા કરી હતી.
આ અધિકૃત મગર ઉછેર કેન્દ્રમાં સૉલ્ટવૉટર અને ન્યૂ ગીની જાતિની મગરોના સંરક્ષણ તથા ઉછેરનું કામકાજ કરવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













