વલસાડ : કપરાડાના પહાડી વિસ્તારમાં ટેમ્પો પલટી જતાં અકસ્માત, 8 લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 7 મિનિટ

વલસાડના કપરાડાના વિરક્ષેત ગામે લગ્ન બાદની વિધિમાં જઈ રહેલા એક પરિવારને અકસ્માત નડ્યો છે.

મુસાફરો ભરેલી એક પીકઅપ વાન પલટી ગઈ હતી.

આ બનાવ સંદર્ભે ધરમપુર એએસપી ડૉ. સંદીપ ટીએ બીબીસી સહયોગી અપૂર્વ પારેખને જણાવ્યું કે, અકસ્માતમાં મૃત્યુનો આંક આઠ પર પહોંચ્યો છે, ઘાયલોની સારવાર ચાલી રહી છે.

આ અકસ્માતમાં છ લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં છે, જ્યારે અન્ય બે લોકોનાં હૉસ્પિટલમાં મોત થયાં છે.

ગિરનારથી કુકુનિયા જઈ રહેલા પરિવાર સાથે બનેલી આ દુર્ઘટનામાં કન્યાના પિતા રાજારામભાઈ શિવરામભાઈ રાઉતનું પણ મોત થયું છે.

તો સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, આ અકસ્માતમાં થયેલા મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ છે. ટેમ્પોમાં 30 લોકો સવાર હતા.

આ બનાવ સંદર્ભે ધરમપુર એએસપી ડૉ. સંદીપ ટીએ બીબીસી સહયોગી અપૂર્વ પારેખને જણાવ્યું કે, અકસ્માતમાં મૃત્યુનો આંક સાત પર પહોંચ્યો છે, ઘાયલોની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ તત્કાલ 108 ઍમ્બ્યુલન્સને જાણ કરી હતી.

આ અકસ્માતમાં અન્ય 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. તમામને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે કપરાડા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર કરાઈ રહી છે.

સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ટેમ્પોમાં પાછળ રહેલા ઉમેશભાઈએ મીડિયાને જણાવ્યું હતું, લગ્નમાંથી આવતા હતા ત્યાં ટેકરા પર પિકઅપ વાન ઝાડ સાથે અથડાઈ અને અકસ્માત થયો.

ઉમેશભાઈનું કહેવું છે કે, ટેમ્પોમાં સવાર લોકો વલસાડના જ વિરક્ષેત ગામના છે.

ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે શુક્રવાર સુધીમાં વાતચીત શરૂ થઈ શકે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે શાંતિ માટેની મંત્રણાનો બીજો રાઉન્ડ શુક્રવાર સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે.

આ માહિતી ન્યૂ યૉર્ક પોસ્ટ દ્વારા મળી છે.

પાકિસ્તાની અધિકારીઓએ ન્યૂ યોર્ક પોસ્ટને જણાવ્યું હતું કે આગામી "36થી 72 કલાક"માં વાતચીત થઈ શકે છે.

જ્યારે પોસ્ટે ટ્રમ્પને આ વિશે પૂછ્યું, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ એક ટેક્સ્ટ સંદેશમાં જવાબ આપ્યો કે "આ શક્ય છે! રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ."

મંગળવારે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી કે તેઓ ઈરાન સાથે યુદ્ધવિરામ લંબાવશે, જેથી ઈરાનને યુદ્ધ સમાપ્ત કરવાનો પ્રસ્તાવ તૈયાર કરવા માટે વધુ સમય મળી શકે.

જહાજો પર હુમલાઓ પછી અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ જોખમમાં છે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ લંબાવવાની ઘોષણા કર્યાના થોડા જ કલાકોમાં ઈરાને હોર્મુઝની સામુદ્રધુની પર પોતાનું નિયંત્રણ વધારવાનું પગલું ભર્યું છે.

આ શાંતિ સમજૂતીને આગળ વધારવામાં આ એક મોટો અવરોધ છે.

ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી)ની ગનબોટ્સે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાનો પ્રયાસ કરતાં જહાજોને અટકાવ્યાં હોવાના અહેવાલ છે.

બુધવારે ત્રણ માલવાહક જહાજો પર હુમલો કરવામાં આવ્યો હતો અને આઇઆરજીસીએ તેમાંથી બે જહાજને કબજે કરી લીધાં હતાં.

જોકે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી, પરંતુ આ પગલાથી નવેસરથી થયેલા યુદ્ધવિરામ પર વધુ દબાણ સર્જાશે અને એવું લાગે છે કે વર્તમાન પરિસ્થિતિઓ સંઘર્ષને ફરી ભડકવાનું જોખમ ઉત્પન્ન થઈ શકે છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના તાજેતરના નિવેદનમાં હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાને ઈરાન માટે આર્થિક રીતે આત્મઘાતી પગલું ગણાવ્યું હતું, પરંતુ એવું લાગે છે કે તહેરાન અમેરિકા પર રાજકીય દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પહલગામ હુમલાની પહેલી વરસી પર ઇઝરાયલે શું કહ્યું?

પહલગામ હુમલાના એક વર્ષ થવા પર ઇઝરાયલના વિદેશ મંત્રી ગિદોન સારે નિવેદન જારી કર્યું છે.

તેમણે કહ્યું કે 'ઇઝરાયલ આતંકવાદનાં તમામ રૂપોની સામે પોતાની લડાઈમાં મજબૂત અને અડગ' છે.

ઇઝરાયલના વિદેશ મંત્રી ગિદોન સારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "પહલગામ આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ થવા પર ઇઝરાયલ તરફથી અમે જીવ ગુમાવનારાઓને યાદ કરીએ છીએ અને દુ:ખમાં પરિવારજનો સાથે ઊભા છે."

તેમણે આગળ લખ્યું, "ઇઝરાયલ આતંકવાદનાં તમામ સ્વરૂપોની સામે પોતાની લડાઈમાં મજબૂત અને અડગ છે. ભારત સાથે મળીને અમે આ ખતરાનો અડગ રીતે સામનો કરવા અને શાંતિ, સુરક્ષા તથા સ્થિરતાને આગળ વધારવા પોતાનો સહયોગ વધારે મજબૂત કરીશું."

આ પહેલાં ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અજારે પણ પોતાની સંવેદના વ્યક્ત કરી છે.

તેમણે હુમલામાં માર્યા ગયેલા લોકોને યાદ કર્યા અને કહ્યું કે ઇઝરાયલ આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે છે.

આઈટી કંપનીના શૅરોના ભાવમાં કેમ ઘટાડો થયો, આ રહ્યું કારણ?

ભારતીય શૅરબજારોમાં બુધવારે એચસીએલ ટૅક સહિતના ઘણી આઈટી કંપનીના શૅરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો.

બુધવારે શરૂઆતી કારોબારમાં એચસીએલ ટૅકના શૅરના ભાવ લગભગ 10 ટકા પડી ગયા. કારણ હતું કે કંપનીએ જાહેર કરેલું જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક પરિણામ. કંપનીએ આવતા વર્ષમાં આવકનું આઉટલુક એકથી ચાર ટકા આપ્યું છે. ઘણા વિશ્લેષકોએ આ ગ્રોથને ચાર ટકા રહેવાની આશા વ્યક્ત કરી હતી.

આ કારણ રોકાણકારો માટે નૅગેટિવ સંકેત આપનારું બન્યું. શૅરમાં મોટો ઘટાડો નોંધાયો.

સવારે કારોબારમાં એચસીએલ ટૅકનો શૅર 9.64 ટકા ઘટીને 1,302 સુધી પહોંચી ગયો હતો. તેની અસર અન્ય આઈટી કંપનીના શૅરો પર પણ પડી હતી અને તેમના શૅરો પણ પડ્યા હતા.

શરૂઆતી કારોબારમાં ઇન્ફોસિસના શૅર 2.8 ટકા, ટીસીએસના શૅર 1.9 ટકા અને ટૅક મહિન્દ્રાના શૅર 4.2 ટકા પડ્યા.

પહલગામ હુમલાનું એક વર્ષ : પીએમ મોદીએ શું કહ્યું?

પહલગામ હુમલાનું આજે એક વર્ષ પૂર્ણ થયું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે "આતંકવાદીઓના નાપાક ઇરાદાઓ ક્યારેય સફળ નહીં થાય."

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ગત વર્ષે આ જ દિવસે પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને યાદ કરી રહ્યો છું. તેમને ક્યારેય ન ભુલાવી શકાય. એક રાષ્ટ્ર તરીકે, અમે દુ:ખ અને સંકલ્પમાં એકજુટ છીએ."

તેમણે કહ્યું, "ભારત આતંકવાદના કેઈ પણ રૂપ આગળ નહીં ઝૂકે. આતંકવાદીઓના નાપાક ઇરાદાઓ ક્યારેય સફળ નહીં થાય."

અમિત શાહે લખ્યું, "આજે જ અમે ગત સાલ થયેલા આતંકવાદી હુમલામાં ખોવાઈ ગયેલી માસૂમ જિંદગીને ગંભીરતાથી યાદ કરી રહ્યા છે. પોતાના લોકોને ખોવાનું દુ:ખ અને પીડા દરેક ભારતીયોના દિલમાં આજે પણ છે."

તેમણે લખ્યું, "આતંકવાદ માણસાઈનો સૌથી મોટો દુશ્મન છે. જેની સામે આપણે એક થઈને લડવાનું અને તેને હરાવવાનું છે. ભારત આતંકવાદ તથા તેને પનાહ આપનારાની સાથે કડકાઈની નીતિ યથાવત્ રાખશે."

ટ્રમ્પના યુદ્ધવિરામ વધારવાના નિર્ણય પર ઈરાને શું કહ્યું?

ઈરાની સંસદના સ્પીકરના સલાહકારે ટ્રમ્પના યુદ્ધવિરામ સાથે જોડાયેલા નવા ઍલાન પર સંદેહ વ્યક્ત કર્યો છે.

મોહમ્મદ બગર ગાલિબાફના સલાહકાર મહદી મોહમ્મદીએ કહ્યું છે કે ટ્રમ્પનો યુદ્ધવિરામ વધારવાનો નિર્ણય "કોઈ કામનો નથી."

મહદી મોહમ્મદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "હારનારો પક્ષ શરત નક્કી નહીં કરી શકે. ઘેરાબંધી કરવી એ બૉમ્બમારાથી અલગ નથી. તથા તેનો જવાબ સૈન્ય કાર્યવાહીથી આપવામાં આવશે."

તેમણે લખ્યું, "ટ્રમ્પે યુદ્ધવિરામ એટલા માટે વધાર્યો છે કારણકે અચાનક હુમલો કરવાની તૈયારી કરી શકે. હવે સમય આવી ગયો છે કે ઈરાન તેની પહેલ કરે."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 22 એપ્રિલને યુદ્ધવિરામની સમયસીમાને અનિશ્ચિતકાળ સુધી વધારી દીધી છે. ટ્રમ્પનું કહેવું છે કે તેણે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ તથી ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે તેની માંગ કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધવિરામને આગળ વધાર્યો, પાકિસ્તાન વિશે શું કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામને આગળ વધાર્યો છે. જોકે, તેમણે કહ્યું છે કે નાકાબંધી ચાલુ રહેશે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "ઈરાનની સરકાર અંદરખાને વહેંચાયેલી છે. જેવી કે આશા હતી. પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને વડા પ્રધાન શહબાઝ શરીફે માંગ કરી છે કે ઈરાન પર હુમલો ત્યાં સુધી રોકવામાં આવે જ્યાં સુધી તેના નેતા અને પ્રતિનિધિ એક પ્રસ્તાવ લઈને નહીં આવે."

ટ્રમ્પે લખ્યું, "તેથી મેં મારી સેનાને આદેશ આપ્યો છે કે નાકાબંધી જારી રહેશે અને અન્ય મામલે તેઓ તૈયાર રહે. યુદ્ધવિરામને ત્યાં સુધી વધારાશે જ્યાં સુધી તેમનો પ્રસ્તાવ સામે નહીં આવે અને વાતચીત પૂર્ણ નહીં થાય. પછી પરિણામ જે પણ હોય."

વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે કે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની પાકિસ્તાન યાત્રા રદ કરી દેવામાં આવી છે.

વેન્સ આ મહિનામાં બીજી વખત ઇસ્લામાબાદ જવાના હતા. તેઓ બુધવારે ત્યાં પહોંચવાના હતા જેથી ઈરાની અધિકારીઓ સાથેની સમજૂતીને આખરી ઓપ આપવામાં આવે.

પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર વ્યક્ત કરતા શું કહ્યું?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ ખતમ થવાથી ઠીક પહેલાં તેને અનિશ્ચિત સમય સુધી વધારી દેવાનું ઍલાન કર્યું. આ અંગે પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો છે.

વડા પ્રધાન શહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "હું દિલથી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનું છું કે તેમણે અમારી વિનંતી માનીને યુદ્ધવિરામને આગળ વધાર્યો, જેથી કૂટનીતિક કોશિશો આગળ વધી શકે."

શરીફે કહ્યું, "પાકિસ્તાન વિશ્વાસ સાથે વાતચીત મારફતે ઉકેલ લાવવાના પ્રયાસ ચાલુ રાખશે. મને આશા છે કે બંને પક્ષ યુદ્ધવિરામનું પાલન કરશે અને ઇસ્લામાબાદમાં થનારી બીજા તબક્કાની વાતચીતમાં એક સ્થાયી 'શાંતિ સમાધાન' કરી શકશે, જેનાથી સંઘર્ષનો હંમેશાં માટે અંત આણી શકાય."

જોકે, પીએમ શહબાઝ શરીફે એ વાતના કોઈ સ્પષ્ટ સંકેત ન આપ્યા કે ઇસ્લામાબાદમાં બીજા તબક્કાની વાતચીત ક્યારે થશે.

આ પહેલાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પોતાનો પાકિસ્તાન પ્રવાસ રદ કરી દીધો હતો, કારણ કે ઈરાન વાતચીત માટે તૈયાર નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન