બંગાળમાં 91.68 ટકા, તામિલનાડુમાં 84.60 ટકા અને ગુજરાતના ઉમરેઠમાં 59.04 ટકા મતદાન

ઇમેજ સ્રોત, ANI
પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.
આજે એટલે કે ગુરુવારે પશ્ચિમ બંગાળની પ્રથમ તબક્કાની 152 બેઠક પર અને તામિલનાડુમાં તમામ 234 બેઠકો પર મતદાન થયું.
ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, બંગાળમાં 91.68 ટકા અને તામિલનાડુમાં 84.60 ટકા મતદાન થયું છે.
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે. તો પરિણામ ચાર મેના રોજ આવશે.
ગુજરાતના ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પણ મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણીપંચ અનુસાર ઉમરેઠમાં 59.04 ટકા મતદાન નોંધાયું છે.
પશ્ચિમ બંગાળમાં મતદાન શરૂ થયા બાદ અલગ-અલગ જગ્યાએથી છૂટીછવાઈ ઘટનાઓની ખબર મળી રહી છે.
મુર્શિદાબાદ જિલ્લાની ડોમકલ બેઠક પર સીપીઆઈ(એમ) અને તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના કાર્યકર્તાઓ વચ્ચે ઝગડામાં ચાર લોકો ઘાયલ થયા. તેનું કારણ સ્થાનિક લોકો બૂથ નંબર 217 પર વોટ નાખવા ન આવ્યા તે હતું.
બીબીસી બાંગ્લાના જણાવ્યા પ્રમાણે, મુક્શિદાબાદ પોલીસે જણાવ્યું કે ફરિયાદ મળ્યા બાદ તેમણે લોકોને માઇક મારફતે વોટિંગ કરવાની અપીલ કરી અને લોકોને સુરક્ષાનો ભરોસો આપ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીજી તરફ, મુર્શિદાબાદ જિલ્લાની નૌદા વિધાનસભા બેઠકના શિવનગરમાં એક મતદાન કેન્દ્ર પાસે બૉમ્બ વિસ્ફોટની ખબર છે.
તૃણમૂલ કૉંગ્રેસે આ માટે હુમાયૂં કબીરની પાર્ટીને જવાબદાર ગણાવી.
માલદા જિલ્લાના મોથાબાડીમાં ઈવીએમ ખરાબ થવાને કારણે સવારે સાડા આઠ સુધી વોટિંગ રોકાયેલું રહ્યું. જ્યારે સેક્ટર અધિકારી મતદાન કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે સ્થાનીક લોકોએ તેના પર મોડા આવવાનો આરોપ લગાવ્યો અને તેની સામે પણ વિરોધ કર્યો.
ચૂંટણી પંચ અનુસાર, સમસ્યા હલ થયા બાદ ત્યાં વોટિંગ શરૂ થઈ ગયું છે.
મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ઉપરાંત, જે લોકો સાંજે 6 વાગ્યા પહેલા મતદાન મથકમાં પ્રવેશ કરશે તેમને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં મુખ્ય મુકાબલો ભાજપ અને ટીએમસી વચ્ચે છે.
ગત 15 માર્ચના રોજ ભારતના ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ સહિત કુલ પાંચ પ્રદેશોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી.
જે કાર્યક્રમ પ્રમાણે 23 એપ્રિલના રોજ તામિલનાડુની તમામ બેઠકો પર એક જ તબક્કામાં અને પશ્ચિમ બંગાળમાં 152 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે.
તામિલનાડુમાં કુલ 4,023 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાંથી 3,579 પુરુષો અને 443 મહિલાઓ તથા એક ટ્રાન્સજેન્ડર છે.
આ માટે તામિલનાડુમાં 75,064 મતદાન મથકો સ્થાપવામાં આવ્યાં છે. આજે તામિલનાડુમાં ટીવીકે નેતા વિજયે નીકંકરઈમાં પોતાનો વોટ નાખ્યો. અભિનેતા રજનીકાંતે ચેન્નાઈમાં સ્ટેલા મેરિસ કૉલેજમાં મતદાન કર્યું. અભિનેતા અજિતે ચેન્નાઈના તિરુવન્મિયૂર વિધાનસભા ક્ષેત્રમાં વોટ નાખ્યો. નેતા અને અભિનેતા કમલ હસને પણ ચેન્નાઈમાં તેય્નામ્પેટમાં મતદાન કર્યું.
રાજ્યમાં ડીએમકેના નેતૃત્વ હેઠળનું ગઠબંધન તથા એઆઈડીએમકેના નેતૃત્વ હેઠળનું ગઠબંધન ચૂંટણી લડી રહ્યું છે. આ સિવાય અન્ય પક્ષો પણ મેદાનમાં છે. પરંતુ મુખ્ય મુકાબલો આ બે કટ્ટર પ્રતિસ્પર્ધીઓ વચ્ચે છે.
નોંધનીય છે કે આસામ, કેરળ, પુડુચેરી, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામ એક સાથે 4 મેના રોજ જાહેર કરાશે.
પશ્ચિમ બંગાળ

ઇમેજ સ્રોત, ANI
ગત વિધાનસભા ચૂંટણીથી માંડીને અત્યાર સુધી આ રાજ્યમાં ભાજપ અને શાસક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસનો ગજબ ગજગ્રાહ જોવા મળ્યો છે.
આ વખતે આ સ્પર્ધા તેની ચરમસીમાએ પહોંચવાનું મનાઈ રહ્યું છે.
આ ચૂંટણીમાં રાજ્યના મુદ્દાઓ અંગે વાત કરીએ તો મતદારયાદીમાં ફેરફાર વર્ષ 2026ની ચૂંટણીનું સૌથી વિવાદાસ્પદ પાસું બની ગયું છે.
સ્વતંત્રતા બાદ આ પ્રથમ વખત બની રહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં કુલ મતદારોની સંખ્યા ગત ચૂંટણીની સરખામણીએ ઘટી છે.
રાજ્યમાં એસઆઇઆરની પ્રક્રિયા બાદ પશ્ચિમ બંગાળની મતદારયાદીમાંથી લગભગ 91 લાખ મતદારોનાં નામ હઠાવી દેવાયાં છે. આ સંખ્યા રાજ્યના કુલ મતદારોના લગભગ 12 ટકા જેટલી છે.
એક તરફ રાજ્યની પ્રમુખ વિપક્ષની પાર્ટી ભાજપનું કહેવું છે એસઆઇઆરની પ્રક્રિયા જરૂરી હતી, જેથી બાંગ્લાદેશ અને મ્યાનમાર જેવા દેશોથી આવેલા "ઘૂષણખોરો"નાં નામ હઠાવી શકાય.
જોકે, બીજી તરફ સત્તાધારી ટીએમસીનો આરોપ છે કે આ પ્રક્રિયા થકી મુસ્લિમ મતદારોને નિશાન બનાવાયા, જે મમતા બેનરજીના નેતૃત્વવાળી પાર્ટી મોટો સમર્થન આધાર છે.
ભાજપે સત્તાધારી તૃણમૂલ સરકાર પર ભ્રષ્ટાચારના કથિત મામલા ટાંકીને વારંવાર નિશાન સાધ્યાં છે, જેમાં 'શિક્ષક ભરતી કૌભાંડ' અને કથિત કોલસા તસ્કરીનો મામલો સામેલ છે.
જોકે, એસઆઇઆરે આ તમામ મુદ્દાને પાછળ છોડી દીધા હતા. એટલે સુધી કે આ મામલો ઠેક સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી ચૂક્યો છે.
આ ઉપરાંત, થોડા દિવસ પહેલાં લોકસભામાં મહિલા અનામત અને ડિલિમિટેશન સંબંધી બંધારણીય સુધારો લોકસભામાં પસાર ન થઈ શક્યા બાદ ચૂંટણીપ્રચાર અને પાર્ટીઓના આરોપ-પ્રત્યારોપમાં આ મુદ્દા છવાયેલા રહ્યા હતા.
તામિલનાડુ

ઇમેજ સ્રોત, ANI
2021ની વિધાનસભાની ચૂંટણીમાં ડીએમકેની આગેવાનીવાળા સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સની જીત થઈ હતી. જેમાં કૉંગ્રેસ, કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા, કૉમ્યુનિસ્ટ પાર્ટી ઇન્ડિયા (માર્ક્સવાદી), એમડીએમકે, લિબરેશન ટાઇગર્સ ઑફ તામિલનાડુ, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ અને કોંગુનાડુ પીપલ્સ નૅશનલ પાર્ટી સામેલ હતી. એ ચૂંટણીમાં ડીએમકે ગઠબંધનને કુલ 234 બેઠકો પૈકી 159 બેઠક મળી હતી, જ્યારે વિપક્ષ એઆઇએડીએમકે ગઠબંધનને 75 બેઠકો જ મળી હતી.
આ ચૂંટણીમાં પણ ગઠબંધનોમાં કોઈ મોટો ફેરફાર નથી કરાયો. જોકે, ડીએમકે ગઠબંધનમાં ડીએમડીકે અને મક્કલ નિધિ મૈયમ પાર્ટી સામેલ જરૂર થઈ છે.
આ ચૂંટણીમાં કૉંગ્રેસને ચૂંટણી લડવા માટે 28 બેઠકો ફાળવવામાં આવી છે, એમડીએમકને ચાર (જે પૈકી ત્રણ પર ડીએમકેના ચિહ્ન પર ચૂંટણી લડાશે.) અને કોંગુનાડુ પીપલ્સ નૅશનલ પાર્ટી અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગને બબ્બે બેઠકો ફાળવાઈ છે.
જોકે, આ વખત એઆઇએડીએમકેમાં મોટા ફેરફાર થયા છે. 2021ની ચૂંટણીમાં એઆઇએડીએમકેએ ભાજપ, પીએમકે, તામિલ મનાયા કૉંગ્રેસ સહિતના પક્ષો સાથે ચૂંટણી લડી હતી. જોકે, 2024ની ચૂંટણીમાં ભાજપ અને એઆઇએડીએમકેએ અલગ અલગ ચૂંટણી લડી હતી. પરંતુ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વાર આ બંને પાર્ટીઓ સાથે આવી છે.
આ ઉપરાંત ઍક્ટર વિજયની નવી બનેલી પાર્ટી, તામિલનાડુ વિકટરી પાર્ટી પણ આ ચૂંટણીમાં ઊતરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























