ભારતના પાસપોર્ટનો રંગ કેમ બદલવાનો છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સંબંધિત નિયમોમાં ઘણાં ફેરફાર કર્યા છે જેમાં પાસપોર્ટનો રંગ બદલાઈ જવાનો પણ સમાવેશ થાય છે.
અત્યાર સુધી એક જ પ્રકારના પાસપોર્ટ આપવામાં આવતા હતા જેનો રંગ ઘટ્ટ બ્લૂ રંગ હતો. પરંતુ હવે કેટલાક લોકોના પાસપોર્ટનું કવર નારંગી રંગનું બની જશે.
તમને આ પણ વાંચવું ગમશે

કોને મળશે નારંગી પાસપોર્ટ?

ઇમેજ સ્રોત, Getty Images
પાસપોર્ટનો રંગ ECR સ્ટેટસ પર નિર્ભર કરશે. ECR સ્ટેટસ વાળા પાસપોર્ટનો રંગ નારંગી હશે, જ્યારે ECNR સ્ટેટસ વાળા લોકોને બ્લૂ રંગના કવર વાળું પાસપોર્ટ જ આપવામાં આવશે.

શું છે ECR સ્ટેટસ?
ઇમિગ્રેશન એક્ટ 1983 અંતર્ગત ઘણા લોકોએ બીજા દેશમાં જવા માટે ઇમિગ્રેશન ક્લીયરન્સ લેવું પડે છે.
તેનો મતલબ છે કે અત્યારે બે પ્રકારના પાસપોર્ટ જાહેર કરવામાં આવે છે- ECR એટલે કે જે પાસપોર્ટમાં ઇમિગ્રેશન ચેકની જરૂર હોય છે અને ECNR એટલે કે એ પાસપોર્ટ જેમાં ઇમિગ્રેશન ચેકની જરૂર હોતી નથી.

ઇમેજ સ્રોત, Getty Images
કાયદા પ્રમાણે ઇમિગ્રેશનનો મતલબ છે કે તમે ભારત છોડીને અન્ય કોઈ દેશમાં રોજગારીના ઉદ્દેશથી જઈ રહ્યા છો.
આ દેશોમાં અફઘાનિસ્તાન, બહરીન, બ્રુનઈ, કુવૈત, ઇન્ડોનેશિયા, જોર્ડન, લેબનન, લીબિયા, મલેશિયા, ઓમાન, કતર, સૂડાન, સાઉદી અરેબિયા, સીરિયા, થાઇલેન્ડ અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિયમ અનુસાર એવી 14 કેટેગરી છે જેના અંતર્ગત આવનારા લોકો ECNR પાસપોર્ટ માટે યોગ્ય હોય છે. ઉદાહરણ તરીકે એ લોકો જેમની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હોય અથવા તો 50 વર્ષ કરતા વધારે હોય.
એ લોકો જેમણે ધોરણ 10 અથવા તો તેના કરતા વધારે શિક્ષણ મેળવ્યું હોય, તેઓ પણ આ કેટેગરીમાં આવે છે.
ECR કેટેગરી લાવવા પાછળ સરકારનો ઉદ્દેશ ઓછું ભણેલા લોકો, અકુશળ અને આર્થિક સામાજિક રૂપે નબળા લોકોની મદદ કરવાનો છે.
જેથી તેમને બીજા દેશોમાં અથવા તો ત્યાંના કાયદાથી કોઈ પરેશાની ન થાય.

કેવી રીતે અંકિત થાય છે ECR?

ઇમેજ સ્રોત, Getty Images
જાન્યુઆરી 2007 બાદ જે પણ પાસપોર્ટ ઇશ્યુ કરવામાં આવે છે, તેમાં છેલ્લા પાનાં પર ECRનો ઉલ્લેખ કરવામાં આવે છે.
ECNR અંતર્ગત આવતા પાસપોર્ટ પર અલગથી કંઈ જ અંકિત કરવામાં આવતું નથી.
નવા નિયમ અંતર્ગત ECRના પાસપોર્ટનો રંગ બદલીને નારંગી કરી દેવામાં આવશે. તેનાંથી ઇમિગ્રેશન ચેકની પ્રક્રિયા સરળ બની જશે અને બીજા દેશોમાં એ લોકોને ઝડપથી મદદ મળી શકશે.

ઇમેજ સ્રોત, OFFICE OF RG/TWITTER
જોકે, વિવેચકો માને છે કે નવા પાસપોર્ટ ભેદભાવને પ્રોત્સાહન આપી શકે છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી આ નિર્ણયનો વિરોધ કર્યો છે.
રાહુલ ગાંધીએ લખ્યું, "ભારતીય પ્રવાસીઓની સાથે દ્વિતીય કક્ષાના લોકોની જેમ વર્તન કરવું અયોગ્ય છે. આ નિયમ ભાજપની ભેદભાવ કરવાની માનસિકતાને દર્શાવે છે."

શા માટે ફેરબદલ કરવામાં આવશે?

ઇમેજ સ્રોત, Getty Images
વિદેશ મંત્રાલયે જાહેર કર્યું છે કે પાસપોર્ટના અંતિમ પાનાં પર હવે માતા-પિતા કે પત્નીનું નામ તેમજ સરનામું પણ દર્શાવવામાં આવશે નહીં.
પરંતુ તેનાંથી એક સમસ્યા થઈ શકે છે તમે તમારા પાસપોર્ટને ઓળખપત્રની જેમ વાપરી શકશો નહીં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












