મોરબીમાં તૂટેલા પુલને 'ફિટનેસ સર્ટિફિકેટ' નહોતું અપાયું

મોરબી દુર્ઘટનાની તસવીર

ઇમેજ સ્રોત, Bipin Tankaria

વાંચવાનો સમય: 4 મિનિટ
લાઇન
  • મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતાં 132 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાંના સમાચાર
  • મૃતકોનો આંકડો વધવાની પૂરી સંભાવના છે
  • મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસરે ઓરેવા ગ્રૂપ પાસે સમારકામની જવાબદારી હોવાની વાત કરી હતી
  • પરંતુ સમારકામ દરમિયાન શું -શું થયું? શું બધાં સર્ટિફિકેટો લેવાયાં હતાં? અધિકારીએ આ વિશે શું કહ્યું?
લાઇન

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી જતાં 132 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાંના અહેવાલ છે. સ્થાનિક સમાચાર સંસ્થાઓ પ્રમાણે ઘટનામાં કેટલાંક બાળકોનાં પણ મૃત્યુ થયાં છે.

આ ઘટનાને પગલે સમગ્ર વહીવટી તંત્ર મોરબીમાં બચાવ અને સહાય કામગીરીમાં લાગી ગયું હતું.

સમાચાર સંસ્થા એએનઆઈએ ગુજરાતના માહિતી વિભાગને ટાંકીને દુર્ઘટનામાં 100 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હોવાનું જણાવ્યું છે.

નોંધપાત્ર બાબત એ છે કે, આ પુલને સાત મહિના અગાઉ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને માત્ર ચાર દિવસ પહેલાં 26 ઑક્ટોબરના જાહેર જનતા માટે રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ અનુસાર આ બ્રિજના ઉપયોગ માટે જરૂરી એવું ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા સિવાય જ તેને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.

સમારકામ બાદ ખુલ્લા મુકાયેલ પુલ પર દિવાળીની રજાઓના કારણે ભારે સંખ્યામાં લોકો આવ્યા હોવાની વાત સામે આવી હતી.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં અમિત પટેલ અને સુકરામ નામના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, "દિવાળીની રજાઓ અને સપ્તાહાંતને કારણે અહીં ઘણા લોકો આવ્યા હતા. આ પર્યટન સ્થળ છે. કદાચ આટલી મોટી સંખ્યામાં પુલ પર લોકો એકઠા થયા તેના કારણે જ આ ઘટના સર્જાઈ હતી. જ્યારે પુલ પડ્યો, લોકો એકબીજા પર પડવા લાગ્યા."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

line

સમારકામ બાદ ખુલ્લા મુકાયેલ પુલ પર કેવી રીતે બની ઘટના?

મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસર સંદીપ ઝાલા

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya

ઇમેજ કૅપ્શન, મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસર સંદીપ ઝાલા

મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસર સંદીપ ઝાલા આ દુર્ઘટના વિશે વાત કરતાં જણાવે છે કે, "આ પુલ અત્યંત જીર્ણ હાલતમાં હતો, તેથી લોકો માટે તેનો વપરાશ બંધ કરાવ્યો હતો. આ પુલના સમારકામ અને મેન્ટેનન્સના કામ માટે અજંતા ઓરેવા ગ્રૂપે તૈયારી દર્શાવી હતી."

તેમણે આગળ જણાવ્યું હતું કે, "આ મામલે કલેક્ટર સાહેબે મિટિંગ પણ યોજી હતી. તેમાં સમારકામના દર નક્કી કરી તે અંગે કરાર કરી તેનું સમારકામ કર્યા બાદ ફરીથી ખુલ્લો મૂકવાનું નક્કી કરાયું હતું. આ અંગે સાત માર્ચે ઓરેવા કંપની સાથે જરૂરી કરાર પણ કરવામાં આવ્યા હતા. આ કરાર અંતર્ગત 15 વર્ષ સુધી મેન્ટેનન્સની જવાબદારી હતી."

ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં મોરબી મ્યુનિસિપાલિટીના ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, "માર્ચ મહિનામાં આ પુલ રિનોવેશન માટે બંધ કરાયો હતો. 26 ઑક્ટોબરે નવ વર્ષની ઉજવણી નિમિત્તે તે ખુલ્લું મુકાયું. પરંતુ સ્થાનિક મ્યુનિસિપાલિટીએ રિનોવેશન માટે કોઈ ફિટનેસ સર્ટિફિકેટ જાહેર કર્યાં નહોતાં."

મોરબી દુર્ઘટનાની તસવીર

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ચીફ ઑફિસર સંદીપ ઝાલાએ આ સમગ્ર પ્રક્રિયા અંગે આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, "ગ્રૂપે કરાર અનુસાર રિનોવેશનની પ્રક્રિયા શરૂ કરી હતી. અને એ બાબતે જુદા જુદા મીડિયા અહેવાલો પણ જાહેર કર્યા હતા. તેનાથી અમને જાણ હતી કે આ જીર્ણોદ્ધારની પ્રક્રિયા ચાલુ છે. મીડિયા અહેવાલો પ્રમાણે અમને ખ્યાલ હતો કે આ બ્રિજના સમારકામમાં સારામાં સારા ગ્રેડના માલસામાન વપરાયા છે."

તેઓ આગળ વાત કરતાં કહે છે કે, "પરંતુ આ બ્રિજ કઈ રીતે તૂટી ગયો, તેની ક્ષમતા કેટલી હતી, તે અંગેના તેમણે કોઈ ફિટનેસ સર્ટિફિકેટ લીધાં હતાં કે નહીં, તેમાં કયા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરાયો હતો તે અંગે પણ હાલ અમારી પાસે જાણકારી નથી."

ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલમાં ઓરેવા કંપનીના પ્રવક્તાને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે, 'અમે હજી વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છીએ. પ્રાથમિક તબક્કે એમ જણાય છે કે લોકોએ મોટી સંખ્યામાં પુલની વચ્ચે એકઠાં થઈને પુલને એક તરફથી બીજી તરફ હલાવવાનો પ્રયાસ કર્યો હતો.'

મોરબી દુર્ઘટનાની તસવીર

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઝાલા પુલ પર વધુ સંખ્યામાં માણસો જવા દેવાયા હોવાના અહેવાલો અંગે વાત કરતાં કહે છે કે, "આ પુલ પર જેટલા લોકો જઈ શકતા હતા તેના કરતા વધુ લોકોને એમના દ્વારા મોકલવામાં આવ્યા. અમે આ બાબતે તપાસ કરી રહ્યા છીએ."

તેઓ પુલના સમારકામ અંગે વાત કરતાં જણાવે છે કે, "ગ્રૂપે અન્ય ખાનગી કંપનીને આના સમારકામની જવાબદારી આપી હતી. હવે તેમણે જરૂરી સર્ટિફિકેટ ખાનગીપણે મૅનેજ કર્યા છે કે કેમ તે જાણવા અમે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ અમે પ્રતિનિધિનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તેમાં હજુ સુધી સફળતા મળી નથી. હાલ અમે તેમની ઑફિસેથી રેકર્ડ પ્રાપ્તીની પ્રક્રિયા શરૂ કરીશું."

ઝાલાએ ઈજાગ્રસ્તોની બચાવ કામગીરી અંગે વાત કરતાં કહ્યું હતું કે, "નગરપાલિકાની ટીમ સતત બચાવ કામગીરીમાં લાગેલી છે. રાજકોટ મહાનગરપાલિકાની ટીમ પણ અમને મદદ કરી રહી છે. ધ્રાગંધા, હળવદ અને માળિયાથી ફાયર અને રેસ્ક્યૂની ટીમો આ પ્રક્રિયામાં સતત લાગેલી છે. ઈજાગ્રસ્તોને બચાવવા માટે ખાનગી ઍમ્બુલન્સોની પણ સેવા લેવામાં આવી છે."

મોરબી જિલ્લાના રાહત કમિશનર હર્ષદ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "હજુ સુધી ઘટનામાં મૃત્યુ પામનાર અને ઈજાગ્રસ્તોનો આંકડો સ્પષ્ટ નથી. પરંતુ રાજ્યના વહીવટી તંત્ર, NDRF અને SDRFની ટીમોને બચાવ અને રાહત કામગીરીમાં લગાવી દેવાઈ છે. અત્યારે અમારી પ્રાથમિકતા એ છે કે અમે ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર હેઠળ સત્વરે ખસેડી શકીએ. રાજ્ય સરકાર અને કેન્દ્રીય એજન્સીઓ આ ઘટના અંગેના રાહત અને બચાવકાર્યમાં પૂરો જોર લગાવી રહી છે."

line

ક્યારે બન્યો હતો પુલ?

મોરબીમાં દુર્ઘટના

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya/ UGC

દિવાળી બાદ ગુજરાતીઓના નવા વર્ષના દિવસે જ આ પુલને ખુલ્લો મુકાયો હતો.

યુરોપમાં ઉપલબ્ધ નવીનતમ ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને મોરબીને એક આગવી ઓળખ આપવા માટે આ ઝૂલતા પૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં મચ્છુ નદી ઉપરનો ઝૂલતો પૂલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનાને પગલે પુલ પર આવેલા પ્રવાસીઓ પૈકી અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા છે.

પુલ દુર્ઘટના

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya/UGC

ગુજરાતના પ્રવાસન વિભાગ અને મોરબી નગરની સરકારી વેબસાઇટ અનુસાર, સો વર્ષ પહેલાં બાંધવામાં આવેલો આ ઝૂલતો પુલ એન્જિનિયરિંગ અજાયબી, મોરબીના શાસકોના પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક સ્વભાવને પ્રતિબિંબિત કરે છે.

તે દિવસોમાં યુરોપમાં ઉપલબ્ધ નવીનતમ ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને મોરબીને એક આગવી ઓળખ આપવા માટે આ ઝૂલતા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

આ ઝૂલતો પુલ 1.25 મિટર પહોળો છે અને દરબારગઢ પૅલેસ અને લખધીરજી એન્જિનિયરિંગ કૉલેજને જોડતી મચ્છુ નદી પર 233 મીટરની લંબાઈમાં ફેલાયેલો હતો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન