વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમની દેશ વાપસી પર આઇસીસીએ શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ટી20 વર્લ્ડકપ 2026 પછી ઘણી ટીમોને ઘરે પરત જવામાં થઈ રહેલા વિલંબ વિશે એક નિવેદન કર્યું છે.
આઇસીસીએ બુધવારે જણાવ્યું કે, "અમે સમજીએ છીએ કે ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ અને તેમના પરિવારજનો ઘરે પરત જવા અંગે ચિંતિત છે. તેઓ હજુ સુધી પરત ન જઈ શક્યા તે નિરાશાની વાત છે અને આઇસીસી પણ આ નિરાશાને સમજે છે."
આઇસીસી મુજબ મધ્યપૂર્વમાં ચાલતા સંકટના કારણે ઍર સ્પેસ બંધ હોવી, મિસાઇલ હુમલાની ચેતવણી, ફ્લાઇટના રૂટમાં ફેરફાર અને ટૂંકા ગાળામાં અનેક કૉમર્શિયલ અને ચાર્ટર્ડ ફ્લાઇટ બંધ થવાના કારણે આવી સ્થિતિ પેદા થઈ છે.
બોર્ડે જણાવ્યું કે પરિસ્થિતિ તેમના નિયંત્રણની બહાર છે અને તેના કારણે ખેલાડીઓના પ્રવાસ માટે વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડી રહી છે.
આઇસીસીએ જણાવ્યું કે તેઓ સતત ઍરલાઇન્સ, ચાર્ટર્ડ ઑપરેટર્સ, ઍરપૉર્ટ ઑથૉરિટી, ગ્રાઉન્ડ હેન્ડલર્સ અને અલગ-અલગ દેશોની સરકાર સાથે સંપર્કમાં છે, જેથી તમામ લોકોને સુરક્ષિત રીતે ઘેર મોકલી શકાય.
અમેરિકાનો દાવો, ઈરાનનાં બારુદી સુરંગો પાથરતાં 16 જહાજ નષ્ટ કર્યાં

ઇમેજ સ્રોત, CENTCOM/Handout via REUTERS
અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે હોર્મુઝની સામુદ્રધુની નજીક બારુદી સુરંગો પાથરતાં 16 જહાજોને નષ્ટ કરી દીધાં છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેંટકૉમ)એ પણ એક વીડિયો જારી કર્યો છે, જેમાં આ જહાજ પર હુમલો થતો જોવા મળે છે.
આ અગાઉ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન દળોએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ઊભેલાં 10 જહાજો પર હુમલો કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના કારણે સમુદ્રી રસ્તા પર જહાજોની આવ-જાને મોટી અસર પડી છે.
આ સમુદ્રી રસ્તો દુનિયામાં ઑઇલના પરિવહન માટે સૌથી મહત્ત્વના રસ્તા પૈકી એક છે.
કતારથી 1000 ભારતીયો સ્વદેશ પરત આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
મધ્યપૂર્વમાં સંઘર્ષનું વાતાવરણ છે ત્યારે ઘણા ભારતીયો જોખમથી બચવા માટે સ્વદેશ પરત આવી રહ્યા છે.
કતારસ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું કે લગભગ 1000થી વધારે ભારતીયો કતારથી દિલ્હી, મુંબઈ અને કોચી પરત આવ્યા છે. સાઉદી અરેબિયામાં સાલવા બૉર્ડર પર ભારતીયોને 96 કલાકના ટ્રાન્ઝિટ વિઝા આપવામાં આવી રહ્યા છે. ભારતીય દૂતાવાસે 24/7 કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે.
ભારતીય દૂતાવાસે જણાવ્યું કે 10મી માર્ચે કતાર ઍરવેઝની ફ્લાઇટોથી લગભગ 1000 ભારતીયોએ નવી દિલ્હી, મુંબઈ અને કોચીની ઉડાન ભરી હતી. તાજેતરમાં ભારતની બાસ્કેટ બૉલ ટીમ પણ કતારમાં ફસાઈ ગઈ હતી, જેને ફ્લાઇટથી સાઉદી અરેબિયા લઈ જવાઈ હતી અને ત્યાંથી ભારત પહોંચી ગઈ છે.
ઈરાનમાં નવા સુપ્રીમ લીડરની વરણી પછી ભારતે પહેલી વખત ઈરાન સાથે વાત કરી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે મંગળવારે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી સાથે ફોન પર વાતચીત કરી છે. મધ્યપૂર્વમાં શરૂ થયેલા સંઘર્ષ પછી બંને નેતા વચ્ચે આ ત્રીજી વાતચીત છે.
મોજતબા ખામેનેઈને ઈરાને નવા સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કર્યા છે. આ દરમિયાન હોર્મુઝની સામુદ્રધુનીમાં ઑઇલનો પુરવઠો લગભગ અટકી ગયો છે અને અનેક દેશોનો ચિંતા વધી ગઈ છે.
ઈરાન ઉપરાંત એસ જયશંકરે જર્મનીના વિદેશમંત્રી યોગન વાદેફૂએ અને દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી યોગ યન સાથે પણ વાતચીત કરી હતી અને મધ્યપૂર્વમાં ઝડપથી બદલાઈ રહેલી સ્થિતિ વિશે ચર્ચા કરી હતી.
ઈરાનમાં મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર જાહેર કરાયા પછી બંને દેશોના વિદેશમંત્રી વચ્ચે આ પહેલી વાતચીત હતી. યુદ્ધની શરૂઆતમાં જ અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં તેમના પિતા આયતુલ્લાહ અલી ખામેનેઈ માર્યા ગયા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન











