ગુજરાત વિધાનસભામાં યુનિફૉર્મ સિવિલ કોડનું બિલ પસાર, કોને લાગુ નહીં પડે અને લિવ-ઇન રિલેશનશિપ માટે શું નિયમો છે?

ઇમેજ સ્રોત, GUJARAT VIDHANSABHA/YT
ગુજરાત વિધાનસભામાં મંગળવારે યુનિફૉર્મ સિવિલ કોડ (UCC)નું બિલ બહુમતિથી પસાર કરવામાં આવ્યું છે. આ સાથે જ ઉત્તરાખંડ પછી ગુજરાત બીજું રાજ્ય બન્યું છે જેમાં યુનિફૉર્મ સિવિલ કોડનું બિલ લાવવામાં આવ્યું હોય.
ગુજરાતની ભાજપ સરકાર તેને સમાનતા અને ન્યાયની દિશામાં ઐતિહાસિક પગલું ગણાવે છે જ્યારે કે વિપક્ષ તેને ચૂંટણીની રણનીતિ ગણાવે છે.
છેલ્લા ઘણા મહિનાઓથી એ ચર્ચા થઈ રહી હતી કે ગુજરાત સરકાર યુનિફૉર્મ સિવિલ કોડ (સમાન નાગરિક સંહિતા - UCC) બિલ લાવવાની તૈયારી કરી રહી છે. આ બિલ વિધાનસભામાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે રજૂ કર્યું હતું. આ બિલના ડ્રાફ્ટ માટે નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની કમિટી બનાવવામાં આવી હતી.
બિલ રજૂ થાય એ પહેલાં નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ બિલને ઐતિહાસિક ગણાવ્યું હતું.
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, "1947માં આપણને આઝાદી તો મળી, પરંતુ દેશભરમાં નિયમો સમાજ આધારિત, જ્ઞાતિ આધારિત અને ધર્મ આધારિત રહ્યા હતા. તેનાથી સૌથી મોટું નુકસાન માતાઓ, બહેનો અને દીકરીઓને થયું છે. લગ્નની બાબત હોય કે દીવાની બાબતો હોય, તેના માટે યુસીસી હેઠળ એકસમાન નિયમો અમે લાવવા જઈ રહ્યા છીએ. તેનાથી બધા સમાજની દીકરીઓને આ યુસીસી બિલથી ફાયદો થશે."
લગભગ, સાડા સાત કલાક સુધી આ બિલ પર ચાલેલી ચર્ચા બાદ જ્યારે તેના પર વોટિંગ થયું ત્યારે તે બહુમતથી પસાર થઈ ગયું હતું. વોટિંગ દરમિયાન મુખ્ય વિપક્ષ કૉંગ્રેસે ગૃહમાંથી વૉક-આઉટ કર્યું હતું.
પરંતુ આ બિલના ડ્રાફ્ટમાં શું છે અને લગ્ન તથા છૂટાછેડા વિશે શું નિયમો લાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે? વારસાગત હક કે ઉત્તરાધિકાર માટે શું નિયમો લાવવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે? લિવ-ઇન રિલેશનશિપ વિશે શું નિયમો લવાશે?
યુનિફૉર્મ સિવિલ કોડ કોને લાગુ નહીં પડે?

ઇમેજ સ્રોત, GUJARAT VIDHANSABHA/YT
આ બિલના ડ્રાફ્ટમાં એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બિલ ઘણા સમુદાયોને લાગુ પડવાનું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં એ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ બિલ કાયદામાં રૂપાંતરિત થશે તો ભારતના બંધારણ પ્રમાણે કલમ 342 હેઠળ, તથા કલમ 366ના ખંડ 25 હેઠળ આવતી અનુસૂચિત આદિજાતિના સભ્યોને લાગુ નહીં પડે.
આ કલમો હેઠળ દેશમાં અંદાજે આદિવાસીઓના 700થી વધુ અલગ-અલગ સમુદાયોનો સમાવેશ થાય છે.
આ સિવાય ભારતના બંધારણના ભાગ 21 હેઠળ જેમના પરંપરાગત અધિકારોને સુરક્ષિત રાખવામાં આવ્યા છે એવી વ્યક્તિઓ કે તેમનાં જૂથને પણ યુનિફૉર્મ સિવિલ કોડ લાગુ નહીં પડે.
રજૂ કરાયેલા બિલમાં મુખ્ય મુદ્દાઓ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ બિલ ઉપરના તમામ સમુદાયો સિવાયના તમામ જાતિ અને ધર્મના લોકોને લાગુ પડશે.
આ બિલમાં લગ્ન અને છૂટાછેડા, વારસાગત મિલકત અને લિવ-ઇન રિલેશનશિપ જેવા મુદ્દાઓ પર નિયમો બનાવવામાં આવ્યા છે.
કેટલીક મહત્ત્વની જોગવાઈઓ:
- લગ્નનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
- લિવ-ઇન સંબંધોનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
- છૂટાછેડા માટે સૌ માટે સમાન નિયમો બનાવાયા છે.
- દીકરી હોય કે દીકરો સૌને સમાન વારસાગત હક મળશે.
- આ જોગવાઈના પાલન માટે દંડ અને સજા સહિત કડક અમલ થશે.
- દરેક ધર્મ અને પરંપરા મુજબ થયેલ લગ્નની નોંધણી ફરજિયાત રહેશે, અને નોંધણી ન કરાવવાથી સજાની જોગવાઈ થશે.
- ફરજિયાત લગ્ન નોંધણી ન કરાવવામાં આવે તો 10 હજાર સુધીનો દંડ, બળજબરી કે ધાકધમકીથી લગ્ન કરાવવામાં આવ્યા હોય તો સાત વર્ષ સુધીની સજા, અને એકથી વધુ લગ્ન કરવાના કિસ્સામાં સાત વર્ષથી વધુની સજાની જોગવાઈ.
- છૂટાછેડા બાદ નોંધણી ફરજિયાત, કોર્ટ બહારના છૂટાછેડા અમાન્ય રહેશે. કોર્ટ બહારના છૂટાછેડા કરવાના કિસ્સામાં ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ.
- લિવ-ઇન સંબંધોની નોંધણી ન થાય તો ત્રણ મહિના સુધીની સજા અને દંડની જોગવાઈ.
- સગીરા સાથે લિવ-ઇન સંબંધના કિસ્સામાં પોક્સો ઍક્ટ હેઠળ સજાની જોગવાઈ.
- છૂટાછેડા માટે તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન નિયમોની જોગવાઈ, નિભાવખર્ચ સહિત તમામ મુદ્દે સમાન નિયમો
- લઘુમતી સમુદાયોમાં પિતરાઈ સાથેના લગ્ન એ તે સમુદાયની પરંપરામાં હોય તો, તેને આ બિલ કાયદો બન્યે પણ માન્ય ગણવામાં આવશે
- મુસ્લિમ દીકરીઓને મિલકતના વારસામાં પણ પુત્ર જેટલો હક્ક મળશે
- નિકાહ-હલાલા જેવી પ્રથાનો કાયમી અંત લાવવામાં આવશે
લિવ-ઇન રિલેશનશિપ માટે શું નિયમો લવાશે?

ઇમેજ સ્રોત, Getty Images
આ બિલમાં લિવ-ઇન રિલેશનશિપ માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે.
આ બિલ પ્રમાણે...
- રાજ્યની અંદર લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા સાથીદારોએ ગુજરાતના રહેવાસીઓ હોય કે પછી ન હોય, તેમણે લિવ-ઇન રિલેશનશિપનું નિવેદન રજિસ્ટ્રારને સુપરત કરવાનું રહેશે.
- ગુજરાતની બહારના પ્રદેશમાં રહેતા હોય, પરંતુ ગુજરાતમાં જન્મેલા હોય તેવા લોકોએ પણ જ્યાંના તે રહેવાસીઓ હોય ત્યાં લિવ-ઇન રિલેશનશિપનું નિવેદન રજિસ્ટ્રારને સુપરત કરવાનું રહેશે.
- લિવ-ઇન રિલેશનશિપનું કોઈ પણ બાળક તે દંપતીનું કાયદેસર બાળક ગણાશે.
- લિવ-ઇન રિલેશનશિપનું આવેદન આપ્યા પછી રજિસ્ટ્રાર તેની વિગતોની તપાસ કરશે અને તે સમયે સાથીદારો સિવાય જરૂર પડ્યે અન્ય કોઈ પણ વ્યક્તિને બોલાવી શકશે.
- કોઈ સ્ત્રીને તેના લિવ-ઇન પાર્ટનર દ્વારા ત્યજી દેવામાં આવે તો તેઓ છેલ્લે જ્યાં સહનિવાસ કરતાં હતાં તેના લિવ-ઇન પાર્ટનર પાસેથી ભરણપોષણનો દાવો કરવા માટે હકદાર થશે અને તેના માટે કોર્ટમાં જઈ શકશે.
સજાની જોગવાઈ:
જે વ્યક્તિ નિવેદન રજૂ કર્યા વિના લિવ-ઇન રિલેશનશિપમાં એક મહિનાથી વધુ રહેશે, અને દોષિત ઠરશે તો તેને ત્રણ મહિના સુધીની સજા તથા વધુમાં વધુ 10 હજારના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
જે વ્યક્તિ લિવ-ઇન રિલેશનશિપ સ્થાપિત કરવા માટે બળજબરી, સખ્તાઈ કે છેતરપિંડીથી કોઈ વ્યક્તિની સંમતિ મેળવે તેને પાંચ વર્ષ સુધીની સજા અને દંડ થશે.
છૂટાછેડાની અરજી માટે માત્ર આટલા આધાર સ્વીકાર્ય રહેશે

ઇમેજ સ્રોત, Getty Images
બિલમાં કહેવામાં આવ્યું છે કે સમાન નાગરિક સંહિતા લાગુ થયા પછી કે પહેલાં થયેલાં કોઈ પણ લગ્ન માટે લગ્નવિચ્છેદ તો જ કરી શકાશે જો...
1.લગ્નવિધિ થયા પછી અરજદાર સિવાયની કોઈ વ્યક્તિ સાથે સ્વૈચ્છિક જાતીય સંભોગ કર્યો હોય
2. લગ્નવિધિ થયા પછી અરજદાર સાથે ક્રૂરતાથી વર્તન કર્યું હોય
3. અરજી રજૂ થયાના તરત અગાઉનાં બે વર્ષ કરતાં ઓછા ન હોય તેવા સળંગ સમયગાળા માટે અરજદારને ત્યજી દીધો હોય
4. અરજદારે કોઈ અન્ય ધર્મમાં રૂપાંતરણ કર્યું હોય
5. અરજદારને અસાધ્ય માનસિક બીમારી હોય
ભાજપ અને વિપક્ષનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, FACEBOOK
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ વિશે જણાવ્યું, "સમાન નાગરિક સંહિતાના અમલના લીધે રાજ્યમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું અમલમાં આવશે."
"તમામ ધર્મ અને જ્ઞાતિની મહિલાઓને સમાન અધિકારો મળે તે સુનિશ્ચિત થશે, જેથી તેમના સન્માન અને સુરક્ષાની સ્થિતિ વધુ સુદૃઢ બનશે," તેમણે જણાવ્યું.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ આ બિલનો વિરોધ કરતાં જણાવ્યું, "આ બિલ ઉતાવળે લાવવામાં આવ્યું છે. પહેલા તેને સમિતિ પાસે મોકલવાની જરૂર હતી."
તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બિલ લાવી છે. તેમણે કહ્યું, "યુસીસી સમિતિનો રિપોર્ટ ગૃહમાં પેશ નહોતો કરવામાં આવ્યો અને ધારાસભ્યો દ્વારા તેના પર કોઈ ચર્ચા નહોતી થઈ. આ બિલને રાજનીતિના લાભ માટે લાવવામાં આવ્યું છે. જેમાં કેટલાક સમુદાયને તેનાથી બહાર રાખવાને કારણે સમાનતાના સિદ્ધાંત પર સવાલ ઉઠે છે."
કૉંગ્રેસે એમ પણ કહ્યું કે આખા દેશમાં આ પ્રકારના કાયદા બનાવવા માટેનો અધિકાર સંસદનો છે ત્યારે આ બિલ ગુજરાત વિધાનસભામાં કેમ લાવવામાં આવ્યું.
આમ આદમી પાર્ટીએ પણ આ બિલનો વિરોધ કર્યો હતો. તેનો આરોપ હતો કે ભાજપ દંડાને સહારે દેશ ચલાવવા માગે છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું કે "ભાજપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દબાણને કારણે યુસીસી મુદ્દે ઉતાવળ કરે છે. ચૂંટણીને કારણે આદિવાસી સમાજને તેનાથી બહાર રાખવામાં આવ્યો છે. પરંતુ ભવિષ્યમાં તેનો પણ સમાવેશ થઈ શકે છે. લઘુમતિ સમુદાયને ઠેસ પહોંચાડીને પોતાની રાષ્ટ્રવિદિતા સાબિત કરવાનો આ પ્રયાસ છે."
ચૈતર વસાવાએ સવાલ કર્યો, "શું યુસીસી લાવવાથી વાસ્તવમાં સામાજિક સમરસતા આવશે અને રાષ્ટ્રીય ભાવના મજબૂત થશે?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























