You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભરૂચમાં એવું શું થયું કે ચૈતર વસાવાએ લાફો માર્યો, સમગ્ર મામલો શું છે?
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરીથી ચર્ચામાં આવ્યા છે.
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચ જિલ્લામાં એક ફૅક્ટરીમાં આગમાં મૃત્યુ પામનાર કામદારના સંબંધી એકબીજાને લાફો મારવાના વીડિયો વાઇરલ થઈ રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે મૃતકના પરિવારને વળતર મામલે ચાલતા વિવાદમાં ચૈતર વસાવા અને મૃતકના સંબંધી એક બીજાને લાફા મારી રહ્યા છે.
સમગ્ર મામલો શું છે અને વિવાદ શું છે?
ઝઘડિયા જીઆઈડીસીમાં 23 એપ્રિલના રોજ એક કેમિકલ ફૅક્ટરીમાં 16 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી બેનાં મૃત્યુ સારવાર દરમિયાન થયાં હતાં, તેમાં એક રાકેશ વસાવા હતા.
રાકેશના મૃત્યુ બાદ તેમના સંબંધી રોશન વસાવા ફૅક્ટરી પરિસરમાં મૃતકના પરિવાર માટે વળતર માગવા મામલે પહોંચ્યા હતા.
આ દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ફૅક્ટરી પરિસરમાં પહોંચ્યા હતા અને તેમની સાથે તેમના સમર્થકો હતા. તેઓ મૃતકના પરિવાર માટે વળતરની માગ કરી રહ્યા હતા.
વાઇરલ વીડિયોમાં ફૅક્ટરીના ગેટ પાસે ધારાસભ્ય ચૈતર વસાવાની રોશન વસાવા સાથે આ મામલે ગરમાગરમી થતી જોઈ શકાય છે અને પોલીસ અધિકારીની હાજરીમાં અચાનક તેમણે તેને લાફો માર્યો.
રોશને પણ વળતો હુમલો કર્યો અને ધારાસભ્ય ચૈતર વસાવાને લાફો માર્યો, પછી તેમને લોકોએ છોડાવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમને ચૈતરે લાફો માર્યો એમણે શું કહ્યું?
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર રોશન વસાવાએ ચૈતર વસાવા પર આક્ષેપો કર્યા.
તેમણે કહ્યું કે, "ચૈતર વસાવા અહીં આવ્યા અને તેમે લોકોને ઉશ્કેરવાનું શરૂ કર્યું. મને ખબર છે કે તેઓ પૈસા ઉઘરાવવા આવ્યા હતા, અને સમુદાયને ટેકો આપવા નહીં. હું કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો નથી. હું અહીં પરિવાર સાથે આવ્યો હતો."
રોશને કહ્યું કે તેમને કોઈ પોલીસકર્મીએ પરેશાન નથી કર્યા અથવા તેમને કોઈએ ખાસ પ્રકારે પ્રતિક્રિયા આપવા નહોતું કહ્યું.
તેમણે કહ્યું કે, "જો અહીં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે તો ચૈતર વસાવા એકલા જ જવાબદાર હશે."
ચૈતર વસાવાએ શું કહ્યું?
આ આરોપોનો જવાબ આપતા ચૈતર વસાવાએ દાવો કર્યો કે તેઓ મૃતકના પરિવાર દ્વારા ન્યાયની માગ સાથે તેમનો સંપર્ક કરાયો એટલે તેઓ ફૅક્ટરની મુલાકાતે આવ્યા હતા.
તેમણે કહ્યું કે, "કંપનીની બેદરકારીને કારણે આગ લાગી હતી. 16 ઈજાગ્રસ્ત કામદારોમાંથી બેનાં મૃત્યુ થયાં હતાં. બાકી કેટલાયને આગને કારણે ઈજાઓ થઈ હતી, તેમાંથી કેટલાક 80 ટકા જેટલા દાઝી ગયા હતા."
તેમણે કહ્યું કે કંપનીએ પીડિત પરિવારો સાથે વળતરની ચર્ચા અને સારવારના ખર્ચ અંગે ચર્ચા નહોતી કરી એટલે તેમણે દખલ કરવી પડી.
આગળ તેમણે ઉમેર્યું કે, "પીડિત પરિવારોએ મને જાણ કરી કે તેમના યુવાન દીકરાઓ આ આગમાં મૃત્યુ પામ્યા. અમે કંપનીના ગેટ પર ગયા અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરી જે ત્યાં હાજર હતા, કે તેઓ કંપનીના મૅનેજમેન્ટ સાથે વાત કરાવે જેથી ન્યાય મેળવી શકાય."
ચૈતરએ પોલીસ પર બહારના લોકોને સ્થળે રહેવા દેવાનો આરોપ લગાવ્યો, જેને કારણે ત્યાં આ વિવાદ થયો.
તેમણે દાવો કર્યો કે, "કેટલાક લોકો જેમનો પીડિત પરિવારો સાથે કોઈ સંબંધ નહોતો તેમને અહીં લવાયા. તેઓ અમારી સાથે માથાકૂટ કરવા લાગ્યા. પછી એક વ્યક્તિએ મારી સાથે પોલીસની હાજરીમાં ઝઘડો ચાલુ કર્યો."
ધારાસભ્ય અનુસાર, કંપનીએ મૃતકોના પરિવારોને 15 લાખ રૂપિયાનું વળતર આપવાની ઑફર કરી. પણ ઈજાગ્રસ્તોને કોઈ મદદ આપવાનો ઇનકાર કર્યો.
તેમણે ઉમેર્યું કે, "મૃતકોના પરિવારોએ મને જણાવ્યું કે તેઓ વળતરની રકમથી સંતુષ્ટ નથી. પહેલાં તો કંપનીએ અમારા માટે ગેટ પણ ન ખોલ્યા. અમે ચર્ચા કરવા અંદર ગયા તો એક વ્યક્તિએ મારી સાથે ઝઘડો કર્યો."
પોલીસ અધિકારીઓએ આ મામલે નિવેદન નથી આપ્યું. આ મામલે કઈ એફઆઈઆર પણ નહોતી થઈ.
ચૈતર વસાવા પર રાજનીતિ કરવાનો આક્ષેપ
વલસાડના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપાના સહપ્રવકતા ધવલ પટેલે ચૈતર વસાવા પર રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો છે.
તેમણે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, "ઝઘડિયા જીઆઈડીસીની એક ખાનગી કંપનીમાં આગ મામલે અમારી સરકાર અને પોલીસ કઠોર કાર્યવાહી કરી રહી છે."
તેમણે કહ્યું કે, "કંપની અને મૃતકોના પરિવારો વચ્ચે ન્યાય અપાય તે માટે વાટાઘાટો ચાલી રહી હતી ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય આદિવાસીઓના નામે રાજનીતિ કરી શકે અને યશ ખાટી શકે તે માટે આદિવાસી પીડિત પરિવારને ધમકાવવામાં આવ્યા અને કહ્યું કે મને વચ્ચે રાખીને જ મધ્યસ્થી કરવી પડશે, આદિવાસી પરિવારોએ તેનો ઇન્કાર કર્યો અને હતાશ થઈને ચૈતર વસાવાએ આદિવાસી સમાજના યુવક, આદિવાસી મૃતકના પરિવારના સભ્યને ઢોર માર માર્યો અને ધમકી આપી."
ચૈતર વસાવા પર આદિવાસના નામે રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન