You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ભારે વરસાદ બાદ ગામોમાં પાણી ભરાયાં, ખેડૂતોને નુકસાનનો ડર
ગુજરાતમાં છેલ્લાં બે અઠવાડિયાથી ભારે વરસાદ વરસી રહ્યો હતો. મંગળવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં જ્યાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ વરસતો હતો ત્યાં હવે વરસાદે વિરામ લીધો છે.
ઉપરાંત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હજી પણ હળવો વરસાદ પડી રહ્યો છે. સતત બે અઠવાડિયાંથી પડી રહેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે.
ખેડૂતો માટે ચોમાસાની ઋતુનો પાક એટલે કે ખરીફ પાકની આ સૌથી મુખ્ય સિઝન છે. જેમાં અતિભારે વરસાદ પડતાં હવે પાક નિષ્ફળ જવાની ભીતિ છે.
સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાનની ચિંતા સતાવી રહી છે.
આ જિલ્લાઓમાં ચોમાસામાં મુખ્યત્વે મગફળી અને કપાસનો પાક લેવામાં આવે છે. જેમાં પાણી ભરાઈ જતાં ઉત્પાદન ઘટવાની શક્યતા છે.
મગફળી અને કપાસના પાકને ભારે અસર
ગીર સોમનાથ જિલ્લાના સિંધાજ ગામના ખેડૂત હરિભાઈ જાદવનું કહેવું છે કે સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. જેના કારણે 80થી 90 ટકા પાક નિષ્ફળ ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનું કહેવું છે કે ખેડૂતોએ ખેતરમાં વાવેતર પાછળ કરેલો ખર્ચ પણ ઊપડી શકે એમ નથી. ચોમાસાની સિઝનનો પાક નિષ્ફળ ગયો છે.
તેઓ કહે છે, "રવિ પાકની મોસમમાં પાણીનો લાભ થશે પરંતુ ચોમાસાની સિઝન નિષ્ફળ ગયો તેનું શું? સરકાર સહાય કરે તો ખેડૂત પરિવાર ફરી ઊભા થઈ શકશે."
દેવભૂમિ દ્વારકાના દાત્રાણા ગામના ખેડૂત ગોવાભાઈનું કહેવું છે કે છેલ્લા બે મહિનાથી વરસાદ વરસી રહ્યો છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે.
તેઓ કહે છે કે ખેતરોમાં શેવાળ જામી ગયો છે, તો મગફળીનો પાક ક્યાંથી થશે. ચોમાસાનો પાક નિષ્ફળ જશે.
તેમનું કહેવું છે કે આ મામલે સરકાર મદદ કરો તો ખેડૂતો આ સ્થિતિમાંથી ઊગરી શકે એમ છે.
પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એવા જિલ્લાઓ છે જ્યાં રાજ્યમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. અહીં અનેક ગામોમાં પાણી ભરાઈ ગયાં છે.
દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના ખેડૂત પરેશભાઈનું કહે છે, "સતત વરસાદને કારણે અહીં કોઈ મગફળી કે કપાસનો પાક થઈ શકે એમ નથી. તો અમારી વિનંતી છે કે સરકાર અમને મદદ કરે."
ગુજરાતમાં હજી કેટલાક વિસ્તારોમાં પડી શકે વરસાદ
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે.
હવામાન વિભાગે આગાહી કરતાં રાજ્યના કેટલાક જિલ્લાઓને એલર્ટ પર મૂક્યા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે મંગળવારે એટલે કે 25 ઑગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, કચ્છના કેટલાંક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.
આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, જામનગર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકામાં કેટલાંક સ્થળોએ વરસાદ થઈ શકે છે.
બાકીના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 મહિનાથી સતત વરસાદ પડી રહ્યો છે.
બીજી તરફ રાજ્યના 70થી વધારે ડેમ પૂરેપૂરા ભરાઈ ચૂક્યા છે. જ્યારે 100થી વધુ ડેમોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીચાણવાળા ગામોને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે.
આ પહેલાં અનેક વિસ્તારોમાં પડેલા અતિભારે વરસાદે ગુજરાતમાં જનજીવનને માઠી અસર પહોંચાડી હતી. જોકે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 26 ઑગસ્ટ એટલે કે બુધવારથી વરસાદનું જોર ઘટવાની શરૂઆત થાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ધરાવતાં 10 સ્થળો
સમગ્ર ગુજરાતમાં ગઈ કાલે એટલે કે 24 ફેબ્રુઆરીએ ધોધમાર વરસાદ પડ્યો હતો.
રાજ્યના મહેસાણા, જામનગર, પાટણ, મોરબી, કચ્છ વગેરે જિલ્લાના તાલુકાઓમાં 5થી 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ સિવાય મહેસાણા, પાટણ, હારીજ, રાધનપુર, સિદ્ધપુર, વાંકાનેર, સુરેન્દ્રનગર, મૂળી, થાનગઢ, ભચાઉ વગેરે તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે.
ભારતના સરકારના મોસમ વિજ્ઞાન વિભાગ અને હવામાન વિભાગના આંકડા અનુસાર વરસાદના આંકડા તરફ નજર કરીએ તો-
મહેસાણાના કડીમાં 13 ઇંચ
જામનગર જિલ્લાના જોડિયામાં 13 ઇંચ
સુરતના ઉમરપાડામાં 10 ઇંચ
મોરબીના ટંકારામાં 10 ઇંચ
મોરબી તાલુકામાં 10 ઇંચ
મહેસાણાના બહુચરાજીમાં સાડા આઠ ઇંચ
પાટણના સરસ્વતીમાં આઠ ઇંચ
મહેસાણાના જોટાણામાં સાડા સાત ઇંચ
કચ્છ જિલ્લાના અંજારમાં સાડા સાત ઇંચ
કચ્છના કંડલા પૉર્ટમાં સાડા સાત ઇંચ
ગુજરાતમાં 1900 લોકોને સલામત સ્થળે ખસેડાયા
ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક ગામો અને વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદની સ્થિતિને કારણે આશરે 1900 લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. રાજ્યમાં વરસાદને કારણે કુલ 9 લોકોનાં મોત પણ થયાં છે.
નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં અનેક લોકો ફસાયા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.
મોરબી જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી ધોધમાર વરસાદ બાદ કેટલાક લોકો ફસાયા હતા.
મીડિયા અહેવાલ અનુસાર, મોરબી જિલ્લાના ચીખલી ગામે કેટલાક શ્રમિકો ફસાયા હતા.
સંપર્કવિહોણા ગામમાં અંદાજે 30 લોકો ફસાયા હોવાની જાણ થતાં ગામમાં એનડીઆરએફની ટીમ પહોંચી હતી. અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.