You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુકેના ઇમિગ્રેશન નિયમોમાં ફેરફારથી સ્થાયી થવા માગતા ભારતીયોને શું અસર થશે?
બ્રિટનના વડા પ્રધાન કીઅર સ્ટાર્મરે પદભાર સંભાળ્યા બાદ દેશની ઇમિગ્રેશન નીતિને દુરસ્ત કરવાની વાત કરી હતી.
મે મહિનામાં સ્ટાર્મરની સરકારે શ્વેતપત્ર બહાર પાડીને ઇમિગ્રેશન વ્યવસ્થાને દુરસ્ત કરવા માટે કેટલાક તત્કાળ અને કેટલાક લાંબા ગાળાના પગલાની જાહેરાત કરી હતી. જેના પર 22મી જુલાઈથી કામ શરૂ થઈ ગયું છે.
પહેલા તબક્કામાં કેર ગિવર વર્કર્સ, હૉસ્પિટાલિટી અને લૉજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોને અસર થશે.
યુકેની સામે વિદેશ જઈ રહેલાં નાગરિકોને દેશમાં જ જરૂરી તકો પૂરી પાડવાનો તથા વિદેશથી આવી રહેલા બુદ્ધિધનની વચ્ચે સંતુલન સાધવાનો પડકાર છે.
આગામી સમયમાં અંગ્રેજી ભાષાની જાણકારી, લઘુતમ પગારધોરણ, સેટલ થવાના સમયગાળામાં વધારો, અરજદાર આશ્રિતોને અસર થવાની શક્યતા છે.
વર્ષ 2024માં યુકેનું નક્કર માઇગ્રેશન ચાર લાખ 31 હજાર જેટલું રહ્યુ હતું, જે પચાસ ટકા જેટલો ઘટાડો સૂચવે છે.
સરકારે આ આંકડાને વધુ ઘટાડવા માટે કેટલાંક પગલાં લેવાની જાહેરાત કરી છે.
યુકેની ઑફિસ ફૉર નૅશનલ સ્ટેટસ્ટિક્સના વચગાળાના આંકડા પ્રમાણે, વર્ષ 2024 દરમિયાન નવ લાખ 48 હજાર કરતાં વધુ લોકો દેશમાં એક કે તેથી વધુ વર્ષ માટે રહી શકાય તેવા હેતુથી આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જ અરસામાં લગભગ પાંચ લાખ 17 હજાર નાગરિકોએ યુકે છોડ્યું હતું. આમ દેશમાં નવા આવનારા લોકોનો નક્કર આંકડો ચાર લાખ 31 હજારનો હતો.
ડિસેમ્બર-2023માં આ આંકડો આઠ લાખ 60 હજાર જેટલો હતો.
ડિસેમ્બર-2024 સુધીમાં યુકેમાં રહેવા આવવાની ઇચ્છાથી પહોંચેલા લોકોમાં 60 હજાર બ્રિટિશ નાગરિક હતા. એક લાખ 22 હજાર લોકો (13 ટકા) યુરોપિયન સંઘ કે ઈયુ+ દેશોના (નૉર્વે આઇલૅન્ડ, લિંચેનસ્ટાઇન અને સ્વિટ્ઝર્લૅન્ડ) હતા.
લગભગ સાત લાખ 66 હજાર લોકો (81 ટકા) અન્ય દેશોમાંથી હતા. નૉન-ઈયુ માઇગ્રન્ટ્સમાંથી 83% લોકોની ઉંમર 16થી 64 વર્ષની હતી.
જેમાં ભારતીયોની સંખ્યા ટોચ ઉપર હતી. જેઓ ભણવા કે કામ કરવાના ઇરાદાથી યુકે જતા હોય છે.
આ ગાળા દરમિયાન 96 હજારથી વધુ યુરોપિયન સંઘના દેશોના નાગરિક હતા. જેઓ યુકે છોડી ગયા અને પરત ફર્યા. આવી જ રીતે 17 હજાર જેટલા બ્રિટિશ નાગરિકો દેશ છોડીને પરત ફર્યા હતા.
ઇમિગ્રેશનમાં ઘટાડો કરવા માટે યુકેની સરકારે મે મહિનામાં કેટલાંક પગલાંની જાહેરાત કરી હતી. જેમ કે :
- દરેક વિઝા અરજદાર તથા પુખ્ત આશ્રિત માટે પણ અંગ્રેજીની પરીક્ષા ફરજિયાત કરવી
- કૌશલ્યવાન કામદાર વિઝા માટે ગ્રૅજ્યુએશનની ડિગ્રી જોઈશે. અગાઉ અ-વર્ગ કે સમકક્ષથી કામ ચાલી જતું. આ સિવાય ઉચ્ચ પગાર મર્યાદાનો પણ સમાવેશ થાય છે.
અગાઉ વિદેશી વિદ્યાર્થી ડિગ્રી મેળવ્યાનાં બે વર્ષ સુધી યુકેમાં રહી શકતા હતા, હવે આ સમયગાળો ઘટાડીને અઢાર મહિનાનો કરી દેવામાં આવ્યો છે.
અગાઉ પાંચ વર્ષ સુધી યુકેમાં રહેનારને 'અનિશ્ચિતકાળ સુધી રહેવાનો અધિકાર' મળતો. હવે આ ગાળો વધારીને 10 વર્ષ કરવામાં આવશે, એવી ચર્ચા છે.
નોકરીદાતાઓને સ્થાનિકોની જ ભરતી કરવા તથા જો કૌશલ્યવાન સ્થાનિક ન મળે તો તેમને તાલીમબદ્ધ કરવા માટે નોકરીદાતાઓને પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે.
બ્રિટનમાં મોટી સંખ્યામાં લોકો સ્થાયી થવા કે કમાણીના હેતુથી આવે છે.
જે લોકોએ આશ્રય માટે અરજી કરી છે અને ઇમિગ્રેશનના કે અન્ય કાયદાનો ભંગ કરશે તો તેમને દેશમાંથી બહાર મોકલવાનું કે પ્રવેશ નહીં આપવાનું સરળ બનશે.
યુકેમાં કામ કરવા માગતા મોટા ભાગના લોકોએ પૉઇન્ટ્સ-બૅઝ્ડ સિસ્ટમ (પીબીએસ) મારફત અરજી કરવાની રહેશે.
જે અરજદારોએ એપ્રિલ-2024 પછી ઓછામાં ઓછી 38 હજાર 700 પાઉન્ડની કમાણી કરી હોવી જોઈએ.
અગાઉ આ આંકડો 26 હજાર 200 પાઉન્ડનો હતો. આમ તે લગભગ 50 ટકાની વૃદ્ધિ સૂચવે છે.
જોકે, આરોગ્ય તથા કેર ગિવર જેવાં અમુક કામો માટે આ મર્યાદા લાગુ નહીં પડે.
કૌશલ્યવાન કામદાર તરીકના વિઝા મેળવવા માટે અરજદારના 70 પૉઇન્ટ હોય તે જરૂરી છે, જે પાંચ વર્ષ સુધી માન્ય રહેશે. એ પછી તેને ઍક્સ્ટેન્ડ કરાવી શકાશે.
લઘુતમ કૌશલ્ય સ્તર કરતાં વધુની ઑફર હોય તથા અંગ્રેજી બોલતા આવડતું હોય તે લાયકાતના 50 પૉઇન્ટ છે.
બાકીના 20 પૉઇન્ટ વધુ પગાર સાથેની જોબ ઑફર, જે ક્ષેત્રમાં શ્રમની ઉપલબ્ધતા ઓછી હોય કે સંબંધિત વિષયમાં પીએચ.ડી. દ્વારા મેળવી શકાય છે.
સ્કિલ્ડ વિઝા માટે સામાન્ય રીતે 719થી 1,639 પાઉન્ડની સ્ટાન્ડર્ડ ફી ચૂકવવાની રહે છે. આ સિવાય તેમણે હેલ્થકેર સરચાર્જ પણ ચૂકવવાનો રહે છે.
અગાઉ શૉર્ટેજ ઑક્યુપેશન લિસ્ટ તરીકે ઓળખાતી વ્યવસ્થાનું સ્થાન હવે ઇમિગ્રેશન સૅલરી લિસ્ટે લીધું છે.
તેની મદદથી નોકરીદાતા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં ભરતી કરી શકે છે. આ નોકરીઓમાં પગારનું સ્તર સામાન્ય રીતે નીચું હોય છે.
આ યાદીમાં હેલ્થ ઍન્ડ કેર ગિવર્સ, ફાર્માસિસ્ટ, ગ્રાફિક્સ ડિઝાઇનર્સ, ખેતી અને માછીમારીનાં કેટલાંક કામો અને બાંધકામ શ્રમિકોનો સમાવેશ થાય છે.
યુકેના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, માર્ચ-2025 સુધીના 12 મહિનાના ગાળા દરમિયાન આરોગ્ય અને સોશિયલ કેર ક્ષેત્રે 23 હજાર વિઝા આપવામાં આવ્યા હતા.
વર્ષ 2023માં આ ક્ષેત્રે જેટલા વિઝા આપવામાં આવ્યા હતા, તેના કરતાં ઉપરોક્ત આંકડો લગભગ 85 ટકા ઓછો છે.
ફેબ્રુઆરી-2022માં હેલ્થ તથા કેરના વિઝાના નિયમો હંગામી ધોરણે હળવા કરવામાં આવ્યા હતા, જેના કારણે વિઝા મેળવનારાઓની સંખ્યામાં અસામાન્ય ઉછાળો આવ્યો હતો. જૂન-2025માં આ છૂટ સમાપ્ત થઈ હતી.
જે લોકોના સંબંધી કે પરિવારજન બ્રિટિશ નાગરિક હોય અથવા તો યુકેમાં છ મહિના કે તેથી વધુ સમય માટે રહેવાનો અધિકાર ધરાવતા હોય, તેમણે ફેમિલી વિઝા લેવાના રહે છે.
લોકો તેમના સ્પાઉસ (પતિ કે પત્ની), પાર્ટનર, મંગેતર, પ્રપોઝ્ડ સિવિલ પાર્ટનર, બાળક, વાલી કે કાળજીના જરૂરિયાતમંદ સાથે રહેવા માટે અરજી કરી શકે છે.
આને માટે સંબંધીની આવક ઓછામાં ઓછી 29 હજાર પાઉન્ડની હોવી જોઈએ. કન્ઝર્વેટિવ સરકાર પ્રવર્તમાન 18 હજાર 600 પાઉન્ડની લઘુતમ આવકમર્યાદાને 38 હજાર 700 પાઉન્ડ સુધી લઈ જવા માગતી હતી.
પરંતુ તેના કારણે અનેક પરિવારો વિખૂટા પડી જશે તેવી ચિંતા વ્યક્ત કરાઈ હતી, જેના કારણે આ મર્યાદાને 29 હજાર પાઉન્ડ રાખવામાં આવી હતી.
જો કોઈ વ્યક્તિ ફેમિલી વિઝા પર યુકેમાં હોય તથા તેને ઍક્સ્ટેન્ડ કરાવવા માગતી હોય, તો પરિવારની આવક નવી મર્યાદા મુજબ હોય તે જરૂરી નથી.
યુકેના ગૃહ વિભાગના તાજેતરના આંકડા મુજબ, માર્ચ-2025માં પૂરાત થતાં વર્ષ દરમિયાન પરિવાર સંબંધિત 76 હજાર વિઝા આપવામાં આવ્યા હતા.
માર્ચ-2024ની સરખામણીમાં આ પ્રકારના વિઝાની સંખ્યામાં ત્રણ ટકા જેટલો ઘટાડો થયો છે. જોકે, માર્ચ-2021માં જેટલા ફેમિલી વિઝા આપવામાં આવ્યા હતા, તેના કરતાં આ આંકડો લગભગ બમણો છે.
ગૃહ વિભાગના આંકડા પ્રમાણે, માર્ચ-2025 સુધીના સમય દરમિયાન ચાર લાખ ત્રણ હજાર વિદેશી વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા.
આ આંકડો માર્ચ-2024ની સરખામણીમાં 10 ટકા ઓછો છે. જોકે, 2019ના સમાન ગાળાની સરખામણીમાં 50 ટકા જેટલો વધુ છે.
માર્ચ-2025ના સમાપ્ત થયેલા સમગાળા દરમિયાન વિદ્યાર્થીઓ પર આશ્રિત હોય તેવા 18 હજાર જેટલા વિઝા આપવામાં આવ્યા હતા. જે એક વર્ષ અગાઉની (માર્ચ-2024) સરખામણીએ 83 ટકા ઘટાડો સૂચવે છે.
જાન્યુઆરી-2024માં નવા નિયમ અમલમાં આવ્યા જેના કારણે સંશોધનક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થીઓ સિવાયના વિદ્યાર્થી તેમના પરિવારજનોને આશ્રિત વિઝા પર યુકે આમંત્રિત નથી કરી શકતા. જેથી આ ઘટાડો જોવા મળ્યો છે.
આ સિવાય વાર્ષિક ક્વૉટાના આધારે દર વર્ષે હંગામી વિઝા આપવામાં આવે છે. જેમાં ફળ ચૂંટનારા કે પૉલ્ટ્રી ક્ષેત્રે કામ કરનારા શ્રમિકોનો સમાવેશ થાય છે.
વર્ષ 2025 માટે 45 હજાર શ્રમિકનો ક્વૉટા નક્કી કરવામાં આવ્યો છે, જેમાં 43 હજાર શ્રમિક હૉટ્રીકલ્ચર ક્ષેત્રે તથા બે હજાર પૉલ્ટ્રી સેક્ટર માટે છે.
ગત વર્ષ 34 હજાર 700 વિઝા આપવામાં આવ્યા હતા.
આ ક્ષેત્રે કામ કરવા માટે મોટા ભાગે કિર્ગિસ્તાન, તાજાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કઝાકસ્તાન જેવા મધ્ય-એશિયાના લોકો આવે છે. તેમની સરેરાશ ટકાવારી 75 ટકા જેટલી હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન