પ્રેસ રિવ્યૂ : હાર્દિકની રેલી બાદ મોદી આજે સુરતમાં; શું કરશે?

દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે, પાટીદાર આંદોલન સમિતિ સુરત દ્વારા રવિવારે ક્નવીનર હાર્દિક પટેલનો રોડ-શો આયોજિત કરવામાં આવ્યો હતો. હાર્દિકનો કાફલો છ વિધાનસભા બેઠકોમાંથી પસાર થયો હતો.

આ રોડ-શોને ભારે સફળતા મળી હતી. બાદમાં આ રોડ-શો યોગી ચોક ખાતે જાહેરસભામાં ફેરવાઈ ગયો હતો.

ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે સુરત પહોંચ્યા હતા. એમનો સોમવારનો કોઈ કાર્યક્રમ પૂર્વ નિર્ધારિત નથી.

મોદી સુરતમાં ચાલી રહેલી મોરારિબાપુની કથામાં ભાગ લે તેવી શક્યતા છે. ત્યારે હાર્દિક અને મોદીના એક પછી એક કાર્યક્રમોથી ઉતેજના છવાઈ ગઈ છે.

તમને આ પણ વાંચવું ગમશે

આપના નેતા નહીં આવે ગુજરાત

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, આપના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ઉતરે તેવી શક્યતા નહિવત્ છે.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા, કુમાર વિશ્વાસ કે સંજયસિંહ પણ ચૂંટણી પ્રચાર અભિયાનમાં ભાગ નહીં લે.

અહેવાલ મુજબ, ચૂંટણીઓ પૂર્વે આપના દિગ્ગજ નેતાઓએ ગુજરાતની મુલાકાત લઈને આક્રમક વલણના અણસાર આપ્યા હતા, પરંતુ ગોવા, પંજાબ, દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ બાદ પાર્ટીએ દિલ્હીમાં શાસન પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે.

આપ (આમ આદમી પાર્ટી) 182માંથી કુલ 29 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

આર્ચબિશપ પર પ્રહાર

એનડીટીવીના અહેવાલ પ્રમાણે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના આર્ચબિશપના પત્રનો ફતવા તરીકે ઉલ્લેખ કર્યો હતો.

મોદીએ કહ્યું, 'એક ધાર્મિક વ્યક્તિ રાષ્ટ્રવાદી તત્વોને ઉખેડી નાખવા માટે 'ફતવો' કાઢે, તે જાણીને મને આઘાત લાગ્યો હતો. રાષ્ટ્રભક્તિ જ અમને વિશ્વના અલગઅલગ ભાગોમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે શક્તિ આપે છે.'

મોદીએ અલગઅલગ રાષ્ટ્રોમાં ખ્રિસ્તી તથા અન્ય ધર્મનાં લોકોને બચાવવા માટે એમની સરકારે કરેલા કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.

અહેવાલ મુજબ, આર્ચબિશપે તેમના પત્રમાં દેશને રાષ્ટ્રવાદી તત્વોથી બચાવવા પ્રાર્થના કરવા ખ્રિસ્તીઓને અપીલ કરી હતી. સાથે જ દેશના લઘુમતી સમાજમાં અસલામતીની ભાવના પ્રવર્તી રહી હોવાનું ઉમેર્યું હતું.

આ પત્ર માટે ચૂંટણી પંચે આર્ચબિશપને નોટિસ પણ કાઢી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો