You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મમતા બેનરજીની પોલીસે CRPFના જવાનો સાથે મારપીટ કરી? - ફૅક્ટ ચેક
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
- વાંચવાનો સમય: 2 મિનિટ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે કે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પશ્ચિમ બંગાળની પોલીસે મતદાન દરમિયાન ડ્યૂટી પર તહેનાત કેન્દ્રીય સુરક્ષાકર્મીઓ સાથે મારપીટ કરી.
આ વીડિયોના કૅપ્શનમાં લખવામાં આવ્યું છે : "મમતા બેગમની પોલીસે કેન્દ્રીય જવાનોને પણ ન છોડ્યા. આ વીડિયોને શૅર કરો અને ચૂંટણીપંચ પાસે મોકલો."
દોઢ મિનિટના આ વીડિયોને હજારો વખત જોવામાં આવ્યો અને શૅર કરવામાં આવ્યો છે.
આ વીડિયોને વધુ એક દાવા સાથે શૅર કરવામાં આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં રોહિંગ્યા શરણાર્થિઓએ કેન્દ્રીય સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો.
પરંતુ બીબીસીની તપાસમાં જાણવા મળ્યું કે આ દાવા ભ્રામક છે. આ વીડિયોમાં એક રોષે ભરાયેલી ભીડને સરકારી વાહન પર હુમલો કરતી જોઈ શકાય છે.
બ્લૂ રંગના શર્ટ પહેરેલા લોકોને એક ક્ષતિગ્રસ્ત વાહનમાં બેસેલા જોઈ શકાય છે.
વીડિયોમાં દેખાઈ રહેલી પોલીસ ઉગ્ર ભીડને નિયંત્રિત કરતી જોવા મળે છે, વાહનો પર હુમલો કરતી નહીં જેવો સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીડિયોની સત્યતા
આ વીડિયોની રિવર્સ ઇમેજ સર્ચ કરવા પર એક સ્થાનિક ન્યૂઝ ચેનલ ન્યૂઝ બૃતાંતની રિપોર્ટ જાણવા મળે છે.
12 એપ્રિલ 2019ના રોજ પ્રકાશિત થયેલા આ રિપોર્ટ પ્રમાણે આ વીડિયો નેશનલ હાઈવે નંબર 31 પર એક દુર્ઘટના પછીનો છે, જ્યારે જલપાઈગુડીની રાજગંજ ચોકી ક્ષેત્રમાં બે સ્થાનિક લોકોનાં મૃત્યુ થયા હતા.
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે રાજગંજ પોલીસ થોડીવાર પછી પહોંચી હતી જેના કારણે હિંસક થયેલા લોકોએ પોલીસ વાહન પર હુમલો કરી દીધો અને સ્વયંસેવક ઘાયલ થઈ ગયા.
જણાવવામાં આવ્યું કે પોલીસે ઘરોમાં છૂપાવવું પડ્યું કેમ કે તેમની સંખ્યા ખૂબ ઓછી હતી. ભીડ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસની વધારાની ટૂકડીને પણ મોકલવી પડી હતી.
બીબીસી ફૅક્ટ ચેક ટીમે જલપાઈગુડીના પોલીસ અધિક્ષક અમિતાભ મૈતી સાથે વાત કરી જેમણે જણાવ્યું, "એક ટ્રક અને બાઇકની દુર્ઘટનામાં બે લોકોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે અમે ત્યાં તપાસ માટે પહોંચ્યાં, તો રોષે ભરાયેલી ભીડે વાહનની તોડફોડ કરી હતી અને પોલીસકર્મીઓ તેમજ સ્વયંસેવકો પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે ભીડ પર નિયંત્રણ મેળવવા પ્રયાસ કર્યો હતો."
તેમણે આગળ કહ્યું હતું, "આ દાવો એકદમ ખોટો છે કે મમતા બેનરજીના પોલીસકર્મીઓ કે રોહિંગ્યા શરણાર્થીઓએ કેન્દ્રીય સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો