You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gita Gopinath : ભારતની મંદીને દુનિયા માટે ખતરો ગણાવનારાં એ અર્થશાસ્ત્રી કોણ છે?
આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ એટલે કે આઈએમએફએ વર્ષ 2019 માટે ભારતના આર્થિક વિકાસદરનું અનુમાન ઘટાડીને 4.8 ટકા કરી નાખ્યું છે.
આઈએમએફ દ્વારા આ અનુમાન બિનબૅન્કિંગ નાણાકીય સંસ્થાઓના દબાણ સાથે ગ્રામ્ય ભારતની નબળી પડેલી આવકને ટાંકીને ઘટાડવામાં આવ્યું છે.
આઈએમએફે દાવોસમાં વિશ્વ આર્થિક મંચના વાર્ષિક શિખર સંમેલનના આરંભ પહેલાં વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ અંગે જાણકારી આપી છે.
આઈએમએફે એમ પણ કહ્યું કે 2020માં ભારતનો આર્થિક વિકાસદર 5.8 ટકા અને 2021માં 6.5 ટકા રહેશે.
અહેવાલ મુજબ સૌથી મોટી ચિંતા ક્રૅડિટ ગ્રોથમાં આવેલી કમીને ગણાવાઈ છે. મતલબ કે લોકો કરજ ઓછું લઈ રહ્યા છે અને તેનું કારણ આવકમાં થયેલો ઘટાડો હોઈ શકે છે.
આઈએમએફના પ્રમુખ અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે એનડીટીવીને આપેલી એક મુલાકાતમાં કહ્યું કે 2019માં દુનિયામાં અનેક હિસ્સાઓમાં સામાજિક અસંતોષ વધ્યો છે.
તેમણે ચીલી અને હૉંગકૉંગનું ઉદાહરણ આપ્યું.
ગીતા ગોપીનાથે ભારતમાં થઈ રહેલાં સરકારવિરોધી પ્રદર્શનોનો વર્તમાન અહેવાલમાં કોઈ ઉલ્લેખ નથી કર્યો, પરંતુ તેમણે એટલું તો કહ્યું જ કે આ પ્રકારનાં આંદોલનોની અસર અર્થવ્યવસ્થા પર પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતની મંદીની દુનિયા પર અસર અંગે એમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાનું વિશ્વમાં મોટું યોગદાન છે એટલે ભારતના જીડીપીમાં ઘટાડાની અસર આખી દુનિયા પર પડી રહી છે.
વિપક્ષનો સરકાર પર હુમલો
આઈએમએફના અહેવાલ પછી વિપક્ષે મોદી સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે.
કૉંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે ટ્વીટ કરીને કહ્યું કે, નોટબંધીની નિંદા કરનારાઓમાં આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ હતાં. મને લાગે છે કે સરકારના મંત્રીઓ ગીતા ગોપીનાથ અને આઈએમએફ પર હુમલો કરશે એ માટે હવે આપણે જાતને તૈયાર કરી લેવી જોઈએ.
એમણે એમ પણ કહ્યું કે 4.8 ટકાનો આંકડો પણ એક વિંડો ડ્રેસિંગ છે.
કોણ છે ગીતા ગોપીનાથ?
ભારતીય મૂળનાં ગીતા ગોપીનાથ આઈએમએફનાં મુખ્ય અર્થશાસ્ત્રી છે. તેઓ પ્રતિષ્ઠિત હાવર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂક્યાં છે. તેમણે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ અને માઇક્રોઇકૉનૉમિક્સમાં રિસર્ચ કર્યું છે.
આઈએમએફના મહત્ત્વના પદે પહોંચનારાં ગીતા ગોપીનાથ બીજા ભારતીય છે. અગાઉ રઘુરામ રાજન પણ આઈએમએફના પ્રમુખ અર્થશાસ્ત્રી રહી ચૂક્યા છે.
કેરળ સરકારે 2017માં ગીતા ગોપીનાથને રાજ્યના નાણાકીય સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતાં.
ગીતા ગોપીનાથનો જન્મ કેરળમાં થયો છે. જ્યારે પિનારાઈ વિજયને ગીતા ગોપીનાથની નિયુક્તિ કરી તો એનાથી પાર્ટીના કેટલાક લોકો નારાજ પણ થયા હતા.
ગીતા ગોપીનાથે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ ભારતમાં જ કર્યો. ગીતાએ 1992માં દિલ્હી યુનિવર્સિટીના લેડી શ્રીરામ કૉલેજથી અર્થશાસ્ત્રમાં ઑનર્સની ડિગ્રી મેળવી.
એ પછી એમણે દિલ્હી સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાંથી માસ્ટર્સનો અભ્યાસ કર્યો અને તે પછી તેઓ 1994માં વૉશિંગ્ટન યુનિવર્સિટી પહોંચ્યાં.
1996થી 2001 સુધી તેમણે પ્રિસ્ટન યુનિવર્સિટીમાં પી.એચડી.નો અભ્યાસ કર્યો.
ગીતા ગોપીનાથે વેપાર અને રોકાણ, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંકટ, મુદ્રાનીતિ, કરજ અને બજારની સમસ્યાઓ વગેરે જેવા આર્થિક મુદ્દાઓ પર 40 જેટલાં સંશોધનપત્ર લખ્યાં છે.
ગીતા ગોપીનાથ 2001થી 2005 સુધી શિકાગો યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતાં. 2005માં હાવર્ડ યુનિવર્સિટીમાં તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિયુક્ત થયાં અને 2010માં ત્યાં જ પ્રોફેસર બન્યાં.
2015માં તેઓ ઇન્ટરનેશનલ સ્ટડીઝ ઑફ ઇકૉનૉમિક્સના પ્રોફેસર બન્યાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો