You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ચીન સીમાવિવાદ : મનમોહન સિંહે નરેન્દ્ર મોદીને શી સલાહ આપી?
પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે ભારત-ચીન સરહદ પર સર્જાયેલા તણાવના મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાવધાન કરતાં કહ્યું છે કે ભ્રામક પ્રચાર અને ખોટના આડંબરથી સત્યને છૂપાવી શકાય નહીં.
સિંહે ગલવાન ખીણમાં ભારત-ચીનનાં સૈન્ય વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ અંગે નિવેદન આપતાં લખ્યું, "અમે સરકારને સાવચેત કરીશું કે ભ્રામક પ્રચાર ક્યારેય કૂટનીતિ અને મજબૂત નેતૃત્વનો વિકલ્પ ન બની શકે. ખોટના આડંબરથી સચ્ચાઈને દવાબી શકાય નહી."
પૂર્વ વડા પ્રધાને એવું પણ કહ્યું કે વર્તમાન સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અને ભરાયેલાં પગલાં નક્કી કરશે કે ભવિષ્ય તેનું આકલન કઈ રીતે કરશે.
સિંહે મોદીને સલાહ આપતાં કહ્યું, "વડા પ્રધાને પોતાના શબ્દો અને જાહેરાતો થકી દેશની સુરક્ષા અને સામરિક તેમજ ભૂભાગીય હિતો પર પડનારા પ્રભાવ પ્રત્યે હંમેશાં અત્યંત સાવધાન રહેવું જોઈએ."
ડૉ. સિંહે પોતાના નિવેદમાં 15-16 જૂને માર્યા ગયેલા 20 ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે આ સૈનિકોએ અંતિમ સમય સુધી માતૃભૂમિનું રક્ષણ કર્યું. એમનું બલિદાન વ્યર્થ ન જવું જોઈએ.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ડૉ. સિંહના આ નિવેદનને જાહેર કરતાં ટ્વીટ કર્યું. તેમણે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો કે વર્તમાન વડા પ્રધાન પૂર્વ વડા પ્રધાનના સૂચન પર ધ્યાન આપશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો