You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : શ્રીલંકામાં મુસ્લિમોને જબરજસ્તી અગ્નિદાહ આપવાનો આરોપ
- લેેખક, સરોજ પથિરાના
- પદ, બીબીસી સંવાદદાતા, સિંહલા સર્વિસ
- વાંચવાનો સમય: 5 મિનિટ
શ્રીલંકાના મુસ્લિમ સમુદાયે વહીવટીતંત્ર પર કોરોના વાઇરસની મહામારીની આડમાં તેમની સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે.
તેમનું કહેવું છે કે વહીવટીતંત્ર કોવિડ-19થી મૃત્યુ પામતા દરદીના મૃતદેહને જબરજસ્તી અગ્નિદાહ આપી રહ્યું છે. જ્યારે ઇસ્લામમાં આ વર્જિત છે. ઇસ્લામમાં મૃતકની દફનવિધિ કરવામાં આવે છે.
4 મેએ 44 વર્ષીય ફાતિમા રિનોઝાને કોરોના વાઇરસના સંક્રમણની શંકા હેઠળ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતાં.
ફાતિમા ત્રણ બાળકોનાં માતા છે અને શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રહે છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને વહીવટીતંત્રને શંકા પણ હતી કે તેમને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોઈ શકે છે.
ફાતિમાના પતિ મોહમ્મદ શફીક કહે છે કે જે દિવસે ફાતિમાને હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યાં ત્યારે વહીવટીતંત્રે તેમના પરિવારને એક પ્રકારે કબજામાં લઈ લીધા હતા.
તેઓ કહે છે, "પોલીસ અધિકારી અને સૈન્ય અધિકારીઓ અમારા ઘરે પહોંચી ગયા. તેમણે અમને અમારા ઘરની બહાર કાઢ્યા અને આખા ઘરમાં તમામ જગ્યાએ કીટાણુનાશકનો છંટકાવ કર્યો."
"અમે પહેલાં ઘણા ડરેલા હતા પરંતુ તેમણે પણ અમને કાંઈ જણાવ્યું નહીં. અમારા પરિવારની ત્રણ મહિનાની બાળકીનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો. તેઓ અમને કૂતરાની જેમ બહાર કાઢીને ક્વોરૅન્ટીન સેન્ટર લઈ ગયા."
ફાતિમાના પરિવારને આખી રાત ક્વોરૅન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યો અને તેમને બીજા દિવસે છોડી મૂકવામાં આવ્યા. તેમને કહેવામાં આવ્યું કે તેઓ બે અઠવાડિયાં સુધી આઇસોલેશનમાં રહે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ પરિવારને ત્યાં સુધીમાં હૉસ્પિટલમાંથી સમાચાર મળી ગયા હતા કે ફાતિમાનું મૃત્યુ થઈ ગયું છે.
દસ્તાવેજ પર જબરજસ્તી સહી કરાવવામાં આવી
ફાતિમાના જુવાન દીકરાને હૉસ્પિટલ આવવા માટે કહેવામાં આવ્યું જેથી તેઓ પોતાની માતાની ઓળખ કરી શકે.
તેમને કહેવામાં આવ્યું કે ફાતિમાનું મૃત્યુ કોરોના વાઇરસના કારણે થયું છે, આથી તેમનો મૃતદેહ પરિવારને પરત આપી નહીં શકાય.
ફાતિમાના દીકરા કહે છે કે વહીવટીતંત્રે તેમની સાથે બળજબરીથી દસ્તાવેજો પર સહી કરાવી, જેમાં લખવામાં આવ્યું છે કે ફાતિમાના મૃતદેહને દફનાવવામાં આવશે નહીં, પરંતુ તેમને અગ્નિદાહ આપવામાં આવશે.
તેઓ કહે છે કે ઇસ્લામના કાયદા પ્રમાણે મૃતકને દફનાવી દેવામાં આવે છે, જ્યારે તેનો અગ્નિદાહ કરવો તેના શરીર માટે યોગ્ય માનવામાં આવતું નથી.
મોહમ્મદ શફીકનો આરોપ છે કે હૉસ્પિટલમાં જે કાંઈ થયું છે તેમના અંગેની સંપૂર્ણ જાણકારી તેમના પરિવારને આપવામાં આવી નથી.
તેઓ કહે છે, "મારા દીકરાને કહેવામાં આવ્યું હતું કે ફાતિમાના શરીરના કેટલાક ભાગને વધારે ટેસ્ટિંગ માટે અલગ કરવામાં આવશે. જો ફાતિમા કોરોના પૉઝિટિવ હતી તો તેમને તેના શરીરના બીજા ભાગ કેમ જોઈએ છે?"
હવે ફાતિમાનો પરિવાર શ્રીલંકાના એ તમામ પરિવારોમાંથી એક છે જે સરકાર પર કોરોના મહામારીની આડમાં તેમની સાથે ભેદભાવ કરવાનો આરોપ મૂકે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગાઇડલાઇન
આ પરિવારોનું કહેવું છે કે વહીવટીતંત્ર તેમની પર કોરોના વાઇરસથી મૃત્યુ પામેલાનો અગ્નિદાહ કરવા દબાણ કરી રહ્યું છે. જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપેલી ગાઇડલાઇન પ્રમાણે કોરોના પૉઝિટિવ દરદીના મડદાને દફનાવી પણ શકાય છે.
તેમનો આરોપ છે કે બહુસંખ્યક સિંહલા વસતી દ્વારા તેમની તપાસ કરાવવાની અને પછી તેમને ડરાવવાની નવી પૅટર્ન બની ગઈ છે.
એપ્રિલ 2019માં ઇસ્લામી ઉગ્રવાદીઓ સાથે જોડાયેલાં કેટલાંક સ્થાનિક સમૂહોએ કોલંબોની જાણીતી હૉટલો અને ચર્ચોમાં આત્મઘાતી હુમલાઓ કર્યા હતા. આ હુમલાઓમાં 250થી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં અનેક વિદેશી સામેલ હતા.
આ હુમલાની જવાબદારી કથિત રીતે ઇસ્લામી ઉગ્રવાદી જૂથ ઇસ્લામિક સ્ટેટે લીધી હતી જે શ્રીલંકા માટે ચોંકાવનારી વાત હતી. અનેક મુસ્લિમોને લાગે છે કે આ આત્મઘાતી હુમલાઓ પછી તેમને દુશ્મનની જેમ જોવામાં આવી રહ્યા છે.
શું શબને દફનાવવામાં જોખમ આવી શકે છે?
માર્ચ 31એ શ્રીલંકામાં કોરોના વાઇરસના કારણે પહેલી મુસ્લિમ વ્યક્તિનું મૃત્યુ થયું. આ પછી અનેક મીડિયા અહેવાલો બીમારીના ફેલાવવા માટે જાહેરમાં મુસ્લિમને જવાબદાર માનવામાં આવ્યા હતા.
જોકે અધિકૃત રીતે હાલ સુધી દેશમાં કોરોના વાઇરસના કારણે કુલ 11 લોકોનાં મૃત્યુ થયાં છે અને તમામ મૃતકોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે.
શ્રીલંકાની સરકારમાં ચીફ એપિડેમિયોલૉજિસ્ટ ડૉક્ટર સુગતા સમરવીરા કહે છે કે કોરોના મહામારીને લઈને સરકારની એ નીતિ છે કે જો કોઈ વ્યક્તિ કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામે કે પછી મૃત્યુ પામનાર વ્યક્તિ કોરોના વાઇરસ સંક્રમિત હોવાની શંકા હોય તો તે આવા કેસમાં મૃતકના મૃતદેહને સળગાવી દેવામાં આવે છે. આવું એટલે થાય છે કે દફનાવાથી ગ્રાઉન્ડવોટર દૂષિત થવાનો ભય રહે છે.
ડૉક્ટર સમરવીરા કહે છે કે "સમાજની ભલાઈ માટે જ" સ્વાસ્થ્ય મંત્રાલયમાં ક્લિનિકલ ઍક્સ્પર્ટ્સે આ નીતિ અપનાવી છે.
પરંતુ મુસ્લિમ ઍક્ટિવિસ્ટ્સ, સમુદાય સાથે જોડાયેલા નેતાઓ અને રાજનેતાઓએ સરકારને પોતાના આ નિર્ણય પર ફેરવિચારણા માટે કહ્યું છે.
"શબને સળગાવતો એકમાત્ર દેશ"
પૂર્વ મંત્રી અને આગામી સામાન્ય ચૂંટણીના ઉમેદવાર અલી જાહિર મૌલાનાએ અદાલતમાં એક અરજી ફાઇલ કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના 182 સભ્ય દેશોમાં શ્રીલંકા એકમાત્ર એવો દેશ છે જ્યાં કોવિડ-19થી મરનાર લોકોને અગ્નિદાહ આપવામાં આવે છે.
મૌલાનાએ બીબીસીને કહ્યું કે "જો આ વાતના કોઈ પુરાવા હોય અથવા પછી કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ હોય છે કે કોવિડ-19ના મૃતકને દફનાવવાથી સાર્વજનિક સ્વાસ્થ્યને નુકશાન પહોંચે છે" તો દેશનો મુસ્લિમ સમુદાય સરકારના નિર્ણયનો જરૂર સ્વીકાર કરશે.
શ્રીલંકા મુસ્લિમ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા આ નિવેદન સાથે સહમત થાય છે અને કહે છે કે આ સ્પષ્ટ છે કે અગ્નિદાહના પક્ષમાં સરકાર પાસે ન તો પુરાવા છે અને નથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલાં કારણ. સરકારે "રાજકીય એજન્ડા" હેઠળ વંશના આધારે દેશને વહેંચવાનો નિર્ણય કર્યો છે.
વિવિધ દેશમાં વિવિધ નિયમ
જે દિવસે ફાતિમાનું મૃત્યુ થયું એ દિવસે કોલંબોમાં 64 વર્ષના અબ્દુલ હમીદ મોહમ્મદ રફાએદીનનું મૃત્યુ તેમની બહેનના ઘરે થયું.
ચાર બાળકોના પિતા રફાએદ્દીન મજૂરીકામ કરે છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
તેમના નાના દીકરા નૌશાદ રફાએદીન કહે છે કે તે જ દિવસે તેમના પડોશમાં એક બીજી વ્યક્તિનું મૃત્યુ થયું હતું જે બહુસંખ્યક સિંહલા ધર્મના હતા.
નૌશાદ કહે છે કે આ સમયે દેશમાં કોરોના વાઇરસના કારણે લૉકડાઉન લાગેલું હતું અને અવરજવર પર પ્રતિબંધ હતો. સ્થાનિક પોલીસે તેમના પરિવારને કહ્યું કે તે પોતાના પિતા અને પડોશીનો મૃતદેહ લેવા હૉસ્પિટલ પહોંચે.
હૉસ્પિટલના મડદાઘરમાં કોવિડ-19નો ભય દર્શાવતા ડૉક્ટરોએ તેમના પિતાના મૃતદેહને સ્પર્શવાની પરવાનગી ન આપી. જોકે હાલ સુધી એ સ્પષ્ટ ન હતું કે તેમના પિતાનું મૃત્યુ કોરોના વાઇરસના કારણે થયું છે.
સમાજમાં ભેદભાવનો ભય
નૌશાદને વાંચતા આવડતું નથી. તેમને કહેવામાં આવ્યું છે કે તેમને કેટલાક દસ્તાવેજો પર સહી કરવાની છે, જેથી વહીવટીતંત્ર તેમની પરવાનગીથી તેમના પિતાને અગ્નિદાહ આપી શકે.
નૌશાદ કહે છે કે તેમને એ ખ્યાલ ન હતો કે જો તેઓ આવું કરવાની ના પાડશે તો તેમની સાથે શું થશે, પરંતુ તેમને ભય હતો કે તેમણે સહી કરવાની ના પાડી તો તેમના પરિવારને ભેદભાવની સમસ્યા સહન કરવી પડી શકે છે. જોકે તેઓ કહે છે કે તેમના પડોશી સાથે અલગ વ્યવહાર કરવામાં આવ્યો હતો.
તેઓ કહે છે, "પડોશીને તેમના પરિવારના સભ્યના મૃતદેહની સાથે જવા દેવામાં આવ્યા અને તેમને દફનાવવાની પરવાનગી આપવામાં આવી."
તેઓ કહે છે કે તેના પડોશીના પરિવારના સભ્યોને મૃતકોના છેલ્લાં દર્શન કરવાની પણ પરવાનગી મળી. જ્યારે તેમના પિતાના અગ્નિદાહ સમયે અને તેમના કેટલાક પરિવારના સભ્યો હાજર રહી શક્યા હતા.
આ બધાની વચ્ચે ફાતિમાના મૃત્યુ હવે છ અઠવાડિયાં થઈ ગયાં છે અને શફીક તેમની યાદોની સાથે જીવવાનું શીખી રહ્યા છે.
કોરોના વાઇરસના ટેસ્ટિંગની બાબતો પર ધ્યાન રાખતા ડૉક્ટરે કહ્યું કે ફાતિમાનો કોરોના વાઇરસનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો નહોતો, જ્યારે હૉસ્પિટલને શંકા હતી કે તેઓ પૉઝિટિવ છે. આ જાણકારી મળ્યા બાદ ફાતિમાનો પરિવાર હવે વધારે કન્ફ્યૂઝ છે.
શફીક કહે છે, "અમે મુસલમાન મૃત્યુ પામતા લોકોનો અગ્નિસંસ્કાર નથી કરતા. જો તેમને ખબર નથી કે ફાતિમાને કોરોના વાઇરસ નથી તો પછી તેમણે અગ્નિદાહ કેમ કર્યો?"
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો