રથયાત્રા : એ આફતાબ હુસૈન જે જગન્નાથજીના ભક્ત છે પણ કદી મંદિર નથી ગયા

    • લેેખક, સુબ્રત કુમાર પતિ
    • પદ, ભુવનેશ્વરથી બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 3 મિનિટ

આજે પુરીની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા યોજાઈ. જોકે, 18 જૂને કોરોના વાઇરસના સંક્રમણને લીધે સુપ્રીમ કોર્ટે એના પર પ્રતિબંધ લાદ્યો હતો. આજે સુપ્રીમ કોર્ટની શરતો સાથે રથયાત્રા યોજાઈ એમાં એક મુસ્લિમનું નામ ચર્ચામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટને રથયાત્રાની પરવાનગી આપવા માટે અને નિર્ણયની ફેરવિચારણા માટે આમ તો અનેક લોકોએ અરજી કરી પરંતુ સૌથી વધારે ચર્ચા જગન્નાથના મુસલમાન ભક્ત આફતાબ હુસૈનની થઈ રહી છે.

આફતાબ હુસૈને સુપ્રીમ કોર્ટમાં બે પિટિશન દાખલ કરી હતી અને સર્વોચ્ચ અદાલતને સદીઓ જૂની પરંપરા બંધ ન કરવા માટે વિનંતી કરી હતી.

કોઈ વિરોધ નહીં

આફતાબ હુસૈન 19 વર્ષના છે અને નયાગઢની ઑટોનોમસ કૉલેજમાં ઇકોનૉમિક્સમાં ગ્રેજ્યુએશન કરે છે.

એમના મા રશીદા બેગમ, પિતા ઇમદાદ હુસૈન અને નાના ભાઈ અનમોલ સાતે તેઓ ઇટામાટી નામના ગામમાં રહે છે.

આફતાબ હુસૈનના નાના મુલતાન ખાન રામાયણ અને અન્ય હિંદુ ધર્મગ્રંથોના જાણકાર હતા અને તેની ચર્ચા કરતા હતા. એમણે એમના નાનાએ એક મંદિરની પ્રતિષ્ઠા પણ કરાવી હતી.

આફતાબના ઘરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાની પૂજા પણ થાય છે. આફતાબ જગન્નાથ સંસ્કૃતિ સાથે સંબંધિત અનેક પુસ્તકોનો અભ્યાસ કરી ચૂક્યા છે.

આફતાબે બીબીસી ગુજરાતીને કહ્યું કે હિંદુ દેવતાઓની પૂજાને લઈને એમને કે એમના પરિવારને મુસ્લિમ સમુદાય તરફથી કદી કોઈ વિરોધ નથી વેઠવો પડ્યો.

રથયાત્રાના આયોજનથી ખુશ

એમણે બીબીસી ગુજરાતને કહ્યું કે જાતિ અને ધર્મ પહેલાં હું એક ઉડિયા છું. જગન્નાથ ઓડિશાના ગણદેવતા છે અને ઓડિશાની ઓળખ છે. રથયાત્રા બંધ રહેવાના સમાચારથી મને દુખ થયું હતું. મને લાગ્યું કે સુપ્રીમ કોર્ટને ફેરવિચારણા માટે કહેવું જોઈએ. સુપ્રીમ કોર્ટે રથયાત્રાની પરવાનગી આપી ત્યારે હું કેવો ખુશ થયો એ હું શબ્દોમાં નહીં વર્ણવી શકું.

જગન્નાથ રથયાત્રાની સતત માગણી કરનાર દેવ પ્રસાદ પરિજાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે આફતાબને હું બીજા સાલબેગ માનું છું.

સાલબેગ એક પ્રસિદ્ધ ઉડિયા કવિ છે જેઓ ભગવાન જગન્નાથને સમર્પિત અનેક ભજનોની રચના અને ગાયકી માટે જાણીતા છે.

સાલબેગ એક મુસ્લિમ પરિવારમાંથી આવતા હતા અને ભગવાન જગન્નાથ પ્રત્યે એમની ભક્તિ એટલી પ્રચલિત છે કે એમના ઓડિશામાં જગન્નાથના સૌથી મોટા અનુયાયી માનવામાં આવે છે. એમના મૃત્યુ પછી એમના શબને મંદિરની પાસે દફનાવવામાં આવ્યું હતું અને તેને સાલબેગ સમાધિ પીઠ તરીકે ઓળખવામાં આવે છે.

આફતાબ કહે છે કે હું કદી કોઈ મંદિરમાં નથી ગયો કેમ કે મને તેની અનુમતિ નથી પરંતુ હું મારા ઘરે જગન્નાથજીની પૂજા કરું છું.

આફતાબ આઠ વર્ષથી એમના વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરે છે અને બે વાર પુરીની રથયાત્રામાં પણ ગયેલા છે.

જોકે, આ વખતે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તેઓ ઘરમાં જ ટીવી પર રથયાત્રા જોઈ રહ્યા છે.

બાકીના મુસલમાનો જગન્નાથજી પ્રત્યેની તમારી આ શ્રદ્ધા વિશે શું વિચારતા હશે એવું પૂછવા પર આફતાબ કહે છે કે ઇસ્લામ ઇશ્વરને એક માને છે અને હિંદુ ધર્મના જગતગુરૂ શંકરાચાર્ય પણ કહે છે કે બ્રહ્મ એક છે. આટલી સમજ રાખનાર કોઈ ભલા વિરોધ શું કામ કરે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો