You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ભારતમાં 24 કલાકમાં નવા 69,878 કેસ, 945 મૃત્યુ
દેશમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસ સંક્રમણના નવા 69,878 કેસ નોંધાયા છે અને 945 સંક્રમિતોનાં મૃત્યુ થયાં છે.
સમાચાર એજન્સી એએનઆઈએ આપેલા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં આ સાથે અત્યાર સુધીના નોંધાયેલા સંક્રમિતોની સંખ્યા 29 લાખ 75 હજાર 702 થઈ છે.
સ્વાસ્થ્યમંત્રાલયના આંકડા જણાવે છે કે દેશમાં હાલ છ લાખ 97 હજાર 330 ઍક્ટિવ કેસ છે.
અત્યાર સુધી સ્વસ્થ થયેલા સંક્રમિતોની કુલ સંખ્યા હવે 22 લાખ 22 હજાર 578 છે. દેશમાં આ સાથે મહામારીનો અત્યાર સુધીનો કુલ મરણાંક 55,794 થયો છે.
બે વર્ષથી ઓછા સમયમાં વિશ્વ કોરોનામાંથી બહાર આવી જશે : WHO
વિશ્વ આરોગ્ય સંસ્થાએ આશા વ્યક્ત કરી છે કે બે વર્ષથી ઓછા સમયમાં વિશ્વ કોરોના વાઇરસના સંક્રમણથી ફેલાયેલી મહામારીમાંથી બહાર આવી જશે.
વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ડૉ. ટેડ્રોસ ઍધેનમ ગેબ્રિયેસસના અનુસાર 1918ના સ્પેનિશ ફ્લૂની સરખામણીમાં કોરોના વાઇરસથી ફેલાયેલી મહામારી પર જલદી અંકુશ મેળવી શકાય છે.
એમણે કહ્યું કે વૈશ્વિકરણ અને સમગ્ર દુનિયાનો એકબીજા સાથે સંપર્ક હોવાને કારણે કોવિડ-19 સંક્રમણ વિશ્વભરમાં ઝડપથી ફેલાયું છે.
જોકે તેમણે એમ પણ સ્વીકાર્યું કે વધુ સારી તકનીક હોવાને કારણે આ મહામારી પર સ્પેનિશ ફ્લૂની સરખામણીએ વધુ જલદી કાબૂ મેળવી લેવાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્પેનિશ ફ્લૂના વાવરથી ફેબ્રુઆરી 1918થી એપ્રિલ 1920 એટલે કે બે વર્ષથી વધુના સમયગાળામાં વિશ્વભરમાં લગભગ બે કરોડ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
વિશ્વનો મૃતકાંક આઠ લાખની નજીક
વિશ્વભરમાં કોરોના વાઇરસના સંક્રમણથી મરનારાઓની સંખ્યા આઠ લાખની નજીક પહોંચી ગઈ છે.
જૉહ્ન હૉપકિન્સ યુનિવર્સિટીના ડૅશબોર્ડ પ્રમાણે શનિવારે સવારે દુનિયાભરમાં કોરોના વાઇરસથી મરનારાઓની સંખ્યા સાત લાખ 97 હજારથી વધારે થઈ ચૂકી છે.
જ્યારે દુનિયાભરમાં બે કરોડ 28 લાખ કરતાં વધારે લોકો કોરોના વાઇરસના સંક્રમણન ઝપેટમાં આવ્યા છે.
સૌથી વધારે પ્રભાવિત દેશ અમેરિકા છે. અહીં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 56 લાખ કરતાં વધારે છે, જ્યારે એક લાખ 75 હજાર લોકો અહીં મોતને ભેટ્યા છે.
બ્રાઝિલમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 35 લાખ 32 હજારથી વધારે છે. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં એક લાખ 13 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.
ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ 29 લાખનો આંકડો વટાવી ચૂક્યું છે, જ્યારે કોરોના વાઇરસના સંક્રમણથી મરનારાઓની સંખ્યા 55 હજારને પાર છે.
કોરોના વાઇરસના સંક્રમણથી થયેલાં મોતના મામલામાં મેક્સિકો ત્રીજા ક્રમે છે, અહીં અત્યાર સુધીમાં 59 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.
જોકે એવું પણ મનાય છે કે મેક્સિકોમાં કોરોનાના વાસ્તવિક આંકડા હજી સામે આવ્યા નથી.
શનિવાર, 22 ઑગસ્ટ, 2020
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.
ગુજરાતમાં 24 કલાકમાં 1204 નવા કેસ
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 1204 નવા કેસ નોંધાયા છે, જ્યારે 14 દરદીઓનાં મૃત્યુ થયાં છે.
રાજ્યમાં સુરતમાં 251 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 179 કેસ, વડોદરામાં 120 નવા કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે કુલ 2869 દરદીઓનાં મૃત્યુ થયાં છે. જ્યારે કેસની કુલ સંખ્યા 84466એ પહોંચી છે. આજે રાજ્યમાં 1324 દરદીઓ સાજા થયા છે.
ભારતમાં 24 કલાકમાં 983 દરદીઓનાં મૃત્યુ
કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબકલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં ગત 24 કલાક દરમિયાન કોરોના વાઇરસના 68,898 કેસ નોંધાયા છે. જ્યારે 983 દરદીઓનાં મૃત્યુ થયાં છે.
આ સાથે જ દેશમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 29,05,824 થઈ ગઈ, જેમાંથી 6,92,028 દરદીઓ હજુ પણ બીમારી સામે ઝૂઝી રહ્યા છે.
આ દરમિયાન 21,58,947 દરદીઓ સાજા પણ થઈ ગયા છે. જ્યારે દેશમાં કુલ મૃતાંક 54,849 થઈ ગયો છે.
તો દેશમાં અત્યાર સુધી ત્રણ કરોડ 34 લાખથી વધુ કોરોના ટેસ્ટ થયા હોવાનું પણ આઈસીએમઆરે જણાવ્યું છે.
અમેરિકામાં કોરોના વાઇરસનું સંક્રમણ હવે ઘટી રહ્યું છે?
અમેરિકામાં કોરોના વાઇરસના ચેપના નવા કેસમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, આ ઘટાડા પાછળનાં કારણો અંગે એકમત નથી બની રહ્યો.
જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકામાં ગત એક સપ્તાહમાં 47,300 નવા કેસ સામે આવ્યા છે. 22 જુલાઈના સપ્તાહે સરેરાશ ચેપગ્રસ્ત કેસની સંખ્યા 67,317 હતી. જ્યારે જુલાઈ 17ના દિવસે અમેરિકામાં 75 હજારથી વધુ વિક્રમજનક કેસ નોંધાયા હતા.
અમેરિકામાં કોરોના વાઇરસનાં પરીક્ષણો જેમની આગેવાની હેઠળ કરાઈ રહ્યાં છે એ વ્હાઇટ હાઉસના ફિઝિશિયન બ્રૅટ ગિરોયરે કહ્યું છે કે હવે અમેરિકામાં સંક્રમણ યોગ્ય દિશમાં આગળ વધી રહ્યું છે.
તેમના મતે અમેરિકામાં ચેપગ્રસ્ત કેસની સંખ્યામાં નોંધાયેલા ઘડાટા પાછળ ફેસ-કવરનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગની જોગવાઈઓનું પાલન છે.
જોકે, કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે અમેરિકામાં સંક્રમણના મામલામાં ઘટાડો એવા માટે જોવા મળી રહ્યો છે કે પરીક્ષણો ઘટાડી દેવાયાં છે.
'ઍટલાન્ટિક કોવિડ ટ્રૅકિંગ પ્રોજેક્ટ' અનુસાર અમેરિકાના દક્ષિણ ભાગમાં સંક્રમણના કેસો વધ્યા છે. જોકે, પરીક્ષણો અચાનક જ ઘટાડી દેવાયાં છે.
શુક્રવાર, 21 ઑગસ્ટ, 2020
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.
ગુજરાતમાં કોરોના વાઇરસના 1175 નવા કેસ નોંધાયા, 16 લોકોનાં મૃત્યુ
ગુજરાતમાં આજે કોરોના વાઇરસના 1175 નવા કેસ નોંધાયા છે, જ્યારે 16 લોકોનાં મૃત્યુ થયા છે.
ગુજરાતમાં સૌથી વધારે કેસ સુરત જિલ્લામાં 237 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 172 અને વડોદરામાં 118 નવા કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 83262એ પહોંચી છે. જ્યારે મૃતકાંક 2855એ પહોંચ્યો છે.
ગુજરાતમાં સૌથી વધારે દરદીઓનાં મૃત્યુ સુરતમાં (7 દરદી) થયાં છે. અમદાવાદમાં 4 દરદીઓનાં મૃત્યુ થયાં છે.
કેન્દ્રીય જળશક્તિમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ
કેન્દ્રીય જળશક્તિમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.
સમાચાર એજન્સી એએનઆઈની માહિતી પ્રમાણે તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે તબિયતમાં અસ્વસ્થતા લાગતા તેમણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો જે પૉઝિટિવ આવ્યો છે.
ડૉકટરોની સલાહ પર તેઓ હૉસ્પિટલમાં દાખલ થઈ ગયા છે.
ટ્વીટમાં તેમણે વિનંતી કરી કે "ગત દિવસોમાં મારા સંપર્કમાં આવેલા લોકો આઇસોલેટ થઈ પોતાની તપાસ કરાવે."
આ દરમ્યાન ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમણના રૅકૉર્ડ 69,652 કેસ નોંધાયા.
આ સાથે દેશમાં અત્યાર સુધીના સંક્રમિતોની કુલ સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ છે.
પાછલા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમિત 977 દર્દીઓએ જીવ ગુમાવ્યા.
એએનઆઈ અનુસાર આ સાથે દેશમાં મહામારીનો કુલ મૃત્યુઆંક 53,866 થઈ ગયો છે
વિશ્વભરમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા બે કરોડ 22 લાખથી વધી ગઈ છે. જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના ડૅશબોર્ડ અનુસાર અત્યાર સુધી સાત લાખ 84 હજાર લોકોનાં મૃત્યુ આ વાઇરસને લીધે થયાં છે.
અમેરિકામાં સંક્રમણના કેસ 55 લાખથી વધુ, અત્યાર સુધી એક લાખ 72 હજારથી વધુ મૃત્યુ થયાં
બ્રાઝિલ બીજા નંબરે, 43 લાખથી વધુ કેસ, લગભગ એક લાખ 10 હજાર મૃત્યુ
ભારતમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા 28 લાખને પાર, મૃતકોની સંખ્યા 53 હજારને પાર
કોરોના સંક્રમણથી થયેલાં મૃત્યુના મામલે મૅક્સિકો વિશ્વમાં ત્રીજા નંબરે, અત્યાર સુધી અહીં લગભગ 85 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે.
ગુરુવાર, 20 ઑગસ્ટ, 2020
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.
ગુજરાતમાં એક દિવસમાં 63 હજાર કોરોના ટેસ્ટ, 1145 નવા કેસ
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 63 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે 1145 નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના વાઇરસના કારણે 17 લોકોનાં મૃત્યુ થયાં છે.
ગુજરાતમાં આજે સૌથી વધારે મૃત્યુ સુરતમાં 7 લોકોનાં, અમદાવાદમાં 4 લોકોનાં અને રાજકોટમાં ત્રણ લોકોનાં મૃ્ત્યુ થયાં છે.
રાજ્યમાં કુલ કેસની સંખ્યા 82087એ પહોંચી છે, જ્યારે કુલ મૃતકાંક 2839એ પહોંચ્યો છે.
ગુજરાતમાં આજે સૌથી વધારે કેસ 238 સુરતમાં, અમદાવાદમાં 163 અને વડોદરામાં 115 કેસ નોંધાયા છે.
ભારતની કોરોનાની રસી અંગે મહત્ત્વની જાહેરાત, 'ત્રીજા તબક્કાની ટ્રાયલ થશે શરૂ'
કોરોના વાઇરસના સંક્ર્મણને નાથવા માટે ભારતમાં તૈયાર કરાઈ રહેલી રસી મામલે ભારતીય નીતિઆયોગ દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર નીતિઆયોગના સભ્ય વી. કે. પૉલે મંગળવારે આ અંગે કહ્યું, "વૅક્સિનનો મુદ્દો મહત્ત્વનો છે, દેશના વડા પ્રધાને સ્વતંત્રતાદિવસના સંબોધનમાં પણ આ અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે ત્રણ વૅક્સિન ભારતમાં વિકસિત થઈ રહી છે."
"આ ત્રણ વૅક્સિન પૈકીની એક વૅક્સિન આજકાલમાં ત્રીજા તબક્કામાં પહોંચશે અને અન્ય બે વૅક્સિન પહેલા તથા બીજા તબક્કામાં છે."
તેમણે વૅક્સિન વિકસિત કરવાની કામગીરી વિશે વાત કરતાં કહ્યું, "વૅક્સિન વિકસિત કરવાની પ્રક્રિયાને અમે રિવ્યૂ કરી રહ્યા છીએ અને અત્યાર સુધી કામ યોગ્ય દિશામાં થઈ રહ્યું છે."
"વૅક્સિન મેળવવાની નજીક પહોંચી જઈએ પછી એને લોકો સુધી કઈ રીતે પહોંચાડવી એ માટેનો કાર્યક્રમ અમે તૈયાર કરીશું."
બુધવાર, 19 ઑગસ્ટ, 2020
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.
ગુજરાતમાં કેસની સંખ્યા 80 હજારને પાર
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા 80 હજારને પાર પહોંચી છે, 2822 દરદીઓનાં મૃત્યુ થયાં છે.
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 1131 નવા કેસ નોંધાયા છે.
જ્યારે 20 દરદીઓનાં મૃત્યુ થયાં છે.
સુરતમાં મંગળવારે 252 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 165 અને વડોદરામાં 89 કેસ નોંધાયા છે.
સુરતમાં મંગળવારે સાત દરદીઓનાં મૃત્યુ થયાં છે. અમદાવાદમાં 4, અમરેલી ભાવનગર અને કચ્છમાં બે-બે દરદીઓનાં મૃત્યુ થયાં છે.
ગૃહમંત્રી અમિત શાહને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા
ગૃહમંત્રી અમિત શાહને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે દાખલ કરવામાં આવ્યા છે.
સમાચાર એજન્સી એએનઆઈએ AIIMSના મીડિયા ઍન્ડ પ્રોટોકૉલ ડિવિઝનના ચૅરપર્સન ડૉ. આરતી વિજના પત્રને ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
AIIMS દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેઓ હૉસ્પિટલથી કામ કરી રહ્યા છે અને તેમને 3-4 દિવસથી કળતર અને થાકની ફરિયાદ હતી.
ઉલ્લેખનીય છે કે અમિત શાહનો કોરોના વાઇરસના સંક્રમણનો રિપોર્ટ થોડા દિવસો અગાઉ પૉઝિટિવ આવ્યો હતો અને તેઓ સારવાર લઈ રહ્યા હતા.
એજન્સી પ્રમાણે 14મી ઑગસ્ટે તેમનો રિપોર્ટ સારવાર બાદ નૅગેટિવ આવતાં તેમને ડિસ્ચાર્જ કરાયા હતા.
રસી માટે ત્રીજા તબક્કાની ટ્રાયલ રશિયામાં જલદી જ શરૂ થશે
ગત સપ્તાહે કોરોના વાઇરસના સંક્રમણની રસીને અનુમતિ આપનાર રશિયાએ તેમની વૅક્સિન સ્પુતનિક-5નો એક વીડિયો જાહેર કર્યો છે.
રશિયાનો દાવો છે કે આ વૅક્સિન કોરોના વાઇરસના સંક્રમણને ખતમ કરી શકવા માટે સક્ષમ છે.
જોકે વૈજ્ઞાનિકોએ રશિયાના દાવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમૅન્ટ ફંડ તરફથી જાહેર કરાયેલા 38 સેકંડના વીડિયોમાં દેખાડ્યું છે કે વૅક્સિન સ્પુતનિક-5 કઈ રીતે કોરોના વાઇરસને ખતમ કરે છે.
સ્પુતનિક ન્યૂઝ પ્રમાણે આ વૅક્સિનના ઉત્પાદનનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે.
ગયા અઠવાડિયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને દાવો કર્યો હતો કે રશિયાના સંરક્ષણમંત્રાલય અને ગામેલયા ઇન્સ્ટિટ્યૂટની આ રસી ઘણી પ્રભાવશાળી છે અને કોવિડ-19 મહામારી સામે શરીરમાં ઍન્ટિ-બૉડીઝ વિકસિત કરી શકે છે.
રશિયાની તાસ ન્યૂઝ એજન્સી પ્રમાણે વૅક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ આગામી સાતથી દસ દિવસોમાં શરૂ થઈ શકે છે.
રશિયાના મોસ્કોમાં થનારી ટ્રાયલમાં હજારો લોકો ભાગ લેવાના છે.
મંગળવાર, 18 ઑગસ્ટ, 2020
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.
ગુજરાતમાં 1033 નવા કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1033 નવા કેસ નોંધાયા છે અને 15 દરદીઓના મૃત્યુ થયાં છે.
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસની કુલ સંખ્યા 80 હજારની નજીક પહોંચી છે. રાજ્યમાં કુલ કેસ 79,811 છે જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા 14,435 છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2802 લોકોનાં મૃત્યુ થયાં છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધારે કેસ સુરત જિલ્લામાં નોંધાયા છે. જેમાં 243 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 158 અને વડોદરામાં 109 કેસ નોંધાયા છે.
ભારતમાં કોરોનાનો મૃત્યુદર 1.93 થયો
ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે કોરોના વાઇરસના સંક્રમણના કારણે થયેલાં મૃત્યુનો દર હવે 2.0થી ઘટ્યો છે.
મંત્રાલયનું કહેવું છે કે ભારતમાં કોરોનાનો મૃત્યુદર સતત ઘટી રહ્યો છે અને હવે તે 1.93 સુધી આવી ગયો છે.
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે અમેરિકામાં 23 દિવસોમાં મોતનો આંક 50 હજારને વટાવી ચૂક્યો છે.
જ્યારે બ્રાઝિલમાં આ આંક 95 દિવસમાં અને મેક્સિકોમાં 141 દિવસમાં પાર થયો છે.
એની તુલનામાં ભારતમાં 156 દિવસો બાદ પણ સ્થિતિ આ આંકડાની નજીક પહોંચી છે.
સોમવાર, 17 ઑગસ્ટ, 2020
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.
ગુજરાત અપડેટ : કુલ કેસ 78 હજાર કરતાં વધુ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના વધુ 1120 કેસ નોંધાય છે.
તેમજ કોરોના વાઇરસને કારણે વધુ 20 દર્દીઓનાં મૃત્યુ થયાં છે અને 959 લોકો સારવાર બાદ સાજાથી ઘરે ગયા છે.
ગુજરાતના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં સુરતમાં 232 કેસ, અમદાવાદમાં 164 અને વડોદરામાં 108 નવા કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2787 દર્દીઓનાં કોરોનાને કારણે મૃત્યુ થયાં છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોના કુલ કેસોની સંખ્યા 78,783 થઈ ગઈ છે.
61,496 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે અને હાલમાં 14,500 કેસ સક્રિય છે.
કોરોનાથી પૂર્વ ક્રિકેટર અને યુપી સરકારના મંત્રી ચેતન ચૌહાણનું નિધન
પૂર્વ ભારતીય ક્રિકેટર અને ઉત્તર પ્રદેશના હોમગાર્ડ મંત્રી ચેતન ચૌહાણનું નિધન થયું છે. તેમના નાના ભાઈ પુષ્પેન્દ્ર ચૌહાણે સમાચાર સંસ્થા પીટીઆઈ સમક્ષ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
72 વર્ષના ચૌહાણની સારવાર ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં ચાલી રહી હતી. તેઓ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા. ગત મહિને 19 જુલાઈએ તેમનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
ચેતન ચૌહાણ ઉત્તર પ્રદેશમાં સૈનિકકલ્યાણ, હોમગાર્ડ, પીઆરડી અને નાગરિક સુરક્ષા મંત્રાલયના મંત્રી હતા. કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેમને લખનૌની એસજીપીજીઆઈમાં દાખલ કરાવાયા હતા.
શુક્રવારે તેમને કિડની અને બ્લડ પ્રેશરની સમસ્યા શરૂ થઈ હતી અને સ્થિતિમાં કોઈ સુધારો ન જણાતાં તેમને ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ચેતન ચૌહાણ યુપીના અમરોહામાંથી બે વખત લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા હતા.
નોંધનયી છે કે કોરોનાથી યુપી સરકારના બીજા મંત્રીનું મૃત્યુ થયું છે. આ પહેલાં યુપી સરકારમાં કૅબિનેટ મંત્રી કમલા રાની વરુણનું મૃત્યુ થયું હતું.
વિશ્વમાં એક જ દિવસમાં કોરોના સંક્રમણના વિક્રમજનક કેસ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર ગત 24 કલાક દરમિયાન વિશ્વભરમાં કોરોના વાઇરસના સંક્રમણના 294,000થી વધુ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં સામે આવેલા આ અત્યાર સુધીના સૌથી વધુ મામલા છે.
જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના મતે, વિશ્વભરમાં અત્યાર સુધી 21 મિલિયનથી વધુ લોકોને વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે.
વાઇરસને પગલે 771,000થી વધુ લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે અને સૌથી વધુ મૃત્યુ અમેરિકામાં થયાં છે.
અમેરિકામાં અત્યાર સુધી 50 લાખ કરતાં વધુ લોકોને વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે અને 170,000 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
કોરોનાની રસી આવતા વર્ષ સુધીમાં મળી જશે - ઑસ્ટ્રેલિયા
ઑસ્ટ્રેલિયાના સ્વાસ્થ્યમંત્રી ગ્રેગ હંટે આશા વ્યક્ત કરી છે કે કોરોના વાઇરસની રસી આવતા વર્ષ સુધીમાં બની જશે.
હંટે કહ્યું કે સરકાર સમજૂતી કરવાની નજીક છે, જે અંતર્ગત ઑસ્ટ્રેલિયામાં જ વૅક્સિન બની શકશે. જોકે સમજૂતીનાં બંધનોને પગલે તેમણે કંપનીઓનાં નામ જણાવ્યાં નથી.
સ્કાય ન્યૂઝ સાથે વાત કરતાં હંટે કહ્યું, "વૅક્સિન અંગે અમે અનેક કંપનીઓ સાથે અંતિમ તબક્કાની વાતચીત કરી રહ્યા છીએ."
તેમણે કહ્યું, "જે સલાહ મને મળી છે એના આધારે વૅક્સિનને લઈને હું પહેલાં કરતાં વધારે હકારાત્મક છું. અમે વૅક્સિન બનાવવા તરફ વધી રહ્યા છીએ."
તેમણે કહ્યું છે કે વૅક્સિન બનાવવાની દિશામાં કામ આગળ વધ્યું છે.
તેમણે કહ્યું, "અમારી સલાહ છે કે 2021માં જ વૅક્સિન બની જશે. આ માત્ર ઑસ્ટ્રેલિયા માટે જ નહીં સમગ્ર દુનિયા માટે શાનદાર પરિણામો હશે."
રવિવાર, 16 ઑગસ્ટ, 2020
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.
રશિયાના સ્વાસ્થ્યમંત્રાલયે જણાવ્યું છે કે રશિયાએ નવી રસીનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. એક પ્રેસ-રિલીઝમાં મંત્રાલયે જણાવ્યું છે કે રસી મહિનાની આખર સુધી આવી જશે.
કેટલાય નિષ્ણાતોને ડર છે કે જલદી રસી બનાવી લેવાની લાયમાં રશિયા સુરક્ષાઓ સાથે સમાધાન કરી રહ્યું છે.
રશિયામાં કરાયેલા એક સ્વતંત્ર પૉલમાં સામે આવ્યું છે કે ત્યાંના અડધાથી વધુ સ્વાસ્થ્યકર્મીઓ રસી લેવા નથી માગતા. તેમને રસી પર ભરોસો નથી.
જોકે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કહી ચૂક્યા છે કે રસી તૈયાર કરવામાં તમામ જરૂરી વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેમનાં પુત્રીને પણ આ રસી આપવામાં આવી છે.
રશિયાએ આ રસીનું નામ 'સ્પુતનિક વી' રાખ્યું છે. રશિયાન ભાષામાં આ શબ્દનો અર્થ સેટેલાઇટ થાય છે. રશિયાએ જ વિશ્વનો પ્રથમ સેટેલાઇટ બનાવ્યો હતો.
દેશમાં 24 કલાકમાં કોરોના વાઇરસ સંક્રમણના 65 હજાર કેસ, 996નાં મૃત્યુ
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 65,002 કેસ નોંધાયા છે અને 996 લોકોનાં મૃત્યુ થયાં છે.
એજન્સી સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયને ટાંકતાં લખે છે કે આ સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા 25,26,193 થઈ છે અને ઍક્ટિવ કેસની સંખ્યા 6,68,220 છે.
અત્યાર સુધીમાં 18,08,937 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે 49,036 લોકોનાં મૃત્યુ થયાં છે.
શનિવાર, 15 ઑગસ્ટ, 2020
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.
ગુજરાતમાં આજે 1087 નવા કેસ, 15 લોકોનાં મૃત્યુ
ગુજરાતમાં આજે કોરોના વાઇરસના 1087 નવા કેસ નોંધાયા છે, જ્યારે 15 લોકોનાં મૃત્યુ થયાં છે. સૌથી વધારે મૃત્યુ સુરતમાં(5 મૃત્યુ) અને અમદાવાદમાં(4 મૃત્યુ) થયાં છે.
ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 76,569એ પહોંચી છે. જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા 14299 છે. હાલ સુધીમાં 2748 દરદીઓનાં મૃત્યુ થયાં છે.
રાજ્યમાં આજે સૌથી વધારે કેસ સુરતમાં 232 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 161 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 107 નવા કેસ નોધાયા છે.
ધોનીનો રિપોર્ટ નૅગેટિવ, આઈપીએલનો માર્ગ મોકળો
ચેન્નાઈ સુપર કિંગ્સના કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો કોરોના રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે. બુધવારે તેમનું પરીક્ષણ કરાયું હતું.
રાંચીની ગુરુ નાનક હૉસ્પિટલસ્થિત માઇક્રો પ્રૅક્ટિસ લૅબની ટીમે તેમના ફાર્મહાઉસે જઈને તેમનાં સૅમ્પલ લીધાં હતાં.
પ્રૉટોકૉલ અનુસાર આ તપાસ આરટી-પીસીઆર તકનીક થકી કરાઈ હતી.
રિપોર્ટ નૅગેટિવ આવતાં ધોનીનો આઈપીએલ રમવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
તેઓ 14 ઑગસ્ટે ચેન્નાઈ જાય એવી શક્યતા છે. ત્યાં પ્રૅક્ટિસ બાદ સીએસકીની ટીમ યુએઈ જશે.
નોંધનીય છે કે 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે શારજાહ, અબુ ધાબી અને દુબઈમાં આઈપીએલ રમાશે.
શુક્રવાર, 14 ઑગસ્ટ, 2020
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.
ગુજરાતમાં કોરોના વાઇરસના નવા 1092 કેસ, 18 દરદીઓનાં મૃત્યુ
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના 1046 કેસ નોંધાયા છે. જ્યારે 18 દરદીઓનાં મૃત્યુ થયાં છે.
ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 75 હજાર પાર પહોંચી છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 75482 છે. જ્યારે 2733 દરદીઓનાં મૃત્યુ થયાં છે.
અમદાવાદ અને સુરતમાં ચાર-ચાર દરદીઓનાં મૃત્યુ થયાં છે. રાજકોટમાં 3 દરદીઓનાં મૃત્યુ થયાં છે.
સુરતમાં આજે 251 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 166 અને વડોદરામાં 109 નવા કેસ નોંધાયા છે.
મોદી-યોગી સાથે રામમંદિરનું ભૂમિપૂજન કરનારા મહંત કોરોના પૉઝિટિવ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસની તબિયત ખરાબ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર, મહંત ગોપાલ દાસ કોરોના સંક્રમિત થયા છે અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે તેમની તબિયતની પૂછપરછ કરી છે.
ઉત્તર પ્રદેશના ચીફ મેડિકલ ઑફિસરે કહ્યું છે કે આ અંગે ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રીએ મથુરાના ડીએમ અને મેદાંતા હૉસ્પિટલના ડૉક્ટર ત્રેહાન સાથે વાત કરી છે અને તેમની પાસે મહંત ગોપાલ દાસને તમામ સંભવ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે તેની માગ કરી છે.
કહેવામાં આવી રહ્યું છે કે નૃત્ય ગોપાલદાસને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તે આ સમયે મથુરામાં છે.
કૃષ્ણ જન્માષ્ટમી પહેલાં મંગળવારે સાંજે તેઓ મથુરાના સીતા-રામ આશ્રમ પહોંચ્યા હતા.
ત્યાં હાજર પ્રેસની સાથે વાત કરતા તેમણે કહ્યું, "સરયુ નદીનું પવિત્ર પાણી લઈને મથુરા પહોંચ્યો છું અને મોક્ષપુરી મથુરા અને અયોધ્યાની પવિત્ર નદીઓ, યમુના અને સરયૂના પાણીની સાથે ગંગાજળના ઉપયોગથી શ્રીકૃષ્ણનો જન્મમહાભિષેક કરવામાં આવશે."
આ પહેલાં તેઓ અયોધ્યામાં રામમંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ, મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતની સાથે મંચ પર હાજર હતા.
રામનવમીના પર્વ પહેલાં મહંત ગોપાલદાસે દેશના શ્રદ્ધાળુઓ અને સંત ધર્માચાર્યોને અપીલ કરી હતી કે 'સમાજ જ્યારે સુરક્ષિત રહેશે, ત્યારે રાષ્ટ્ર અને તેનું સંચાલન કરનારી સંસ્થાઓ, મઠ-મંદિર, મેળા અને પરંપરાઓ જીવિત રહેશે, માટે કોરોના મહામારીના સમયમાં પોતે સુરક્ષિત રહો અને ભીડથી બચો.'
વિશ્વભરમાં સાત લાખથી વધુ લોકોનો જીવ ગયો
જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર, દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત કેસની સંખ્યા બે કરોડ ચાર લાખ 71 હજારથી વધુ થઈ ગઈ છે.
તેમજ કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા અંદાજે સાત લાખ 48 હજાર સુધી પહોંચી ગઈ છે.
અમેરિકામાં કોરોના વાઇરસથી સંક્રમણના કેસ લગભગ 51 લાખ 93 હજાર થવા જાય છે.
બાદમાં સંક્રમણની સૂચિમાં બ્રાઝિલ (31 લાખ કેસ), ભારત (23 લાખ કેસ) અને રશિયા (9 લાખ કેસ)નું નામ છે.
અમેરિકામાં કોવિડ-19ને કારણે મૃતકોની સંખ્યા લગભગ એક લાખ 66 હજાર થઈ ગઈ છે.
તો બ્રાઝિલ (એક લાખ ત્રણ હજાર), મેક્સિકો (અંદાજે 54 હજાર), યુકે (46 હજારથી વધુ) અને ભારત 46,091 દર્દીઓના મૃત્યુ સાથે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની સૂચિમાં ટૉપ-5માં પહોંચી ગયું છે.
બ્રિટને કહ્યું કે 11 વર્ષ બાદ તે સત્તાવાર રીતે આર્થિક મંદીનો શિકાર થયું છે.
ગુરુવાર, 13 ઑગસ્ટ, 2020
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.
ગુજરાતમાં પહેલીવાર 50 હજારથી વધારે કોરોના ટેસ્ટ, રાજકોટમાં સૌથી વધુ મૃત્યુ
ગુજરાતમાં પહેલી વાર કોરોના વાઇરસના ટેસ્ટનો આંક 50 હજારને પાર થયો છે તો આજે કોરોના વાઇરસના કારણે સૌથી વધુ મૃત્યુ રાજકોટમાં થયાં છે.
ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે છેલ્લાં 24 કલાકમાં 18 દરદીઓનાં મૃત્યુ થયાં છે. જેમાં સૌથી વધારે મૃત્યુ રાજકોટમાં થયાં છે. રાજકોટમાં છ દરદીઓનાં મૃત્યુ થયાં છે. જ્યારે અમદાવાદમાં 4 અને સુરતમાં 5 દરદીઓનાં મૃત્યુ થયાં છે.
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના 1152 નવા કેસ નોંધાયા છે, જ્યારે 18 દરદીઓનાં મૃત્યુ થયાં છે.
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસની કુલ સંખ્યા 74390એ પહોંચી છે. જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા 14282 છે.
ગુજરાતમાં આજે 50,124 ટેસ્ટ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં આજે કોરોના વાઇરસના 272 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 159 અને વડોદરામાં 120 કેસ નોંધાયા છે.
વિશ્વમાં કોરોના વાઇરસના ચેપથી સાત લાખ કરતાં વધુ મૃત્યુ
જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર વિશ્વ આખામાં કોરોના વાઇરસના ચેપના કુલ કેસોની સંખ્યા 20,209,647 થઈ ગઈ છે, જ્યારે ચેપગ્રસ્ત થયા બાદ વિશ્વમાં કુલ 7,40,276 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ચેપગ્રસ્ત કેસોની સંખ્યા હજુ પણ અમેરિકામાં સૌથી વધુ છે. અમેરિકા બાદ બીજા નંબર પર બ્રાઝિલ અને ત્રીજા નંબર પર ભારતનો સમાવેશ થાય છે.
આ સિવાય ચોથા નંબર પર રશિયા અને પાંચમા નંબર પર દક્ષિણ આફ્રિકા છે.
નોંધનીય છે કે રશિયાએ વૅક્સિન શોધી લીધી હોવાનો દાવો કર્યો છે.
મંગળવાર, 11 ઑગસ્ટ, 2020
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.
નરેન્દ્ર મોદીની ટકોર અને ગુજરાતમાં એક જ દિવસમાં 41 હજાર ટેસ્ટ, 1100થી વધારે નવા કેસ
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના 41,647 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલી અખબારી યાદી પ્રમાણે આ ટેસ્ટ અત્યાર સુધીના એક દિવસના સર્વાધિક ટેસ્ટ છે.
ગુજરાતમાં કોરોના વાઇરસના 1118 નવા કેસ નોંધાયા છે. જ્યારે 23 લોકોનાં મૃત્યુ થયાં છે.
ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 73238એ પહોંચી છે. જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા 14125 છે.
રાજ્યમાં હાલ સુધીમાં 2697 દરદીઓનાં મૃત્યુ થયાં છે. આજે સુરતમાં 10 દરદીઓનાં મૃત્યુ થયાં છે. જ્યારે રાજકોટમાં 4 અને અમદાવાદમાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે.
સુરતમાં 236 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 150, વડોદરામાં 111 અને રાજકોટમાં 87 કેસ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યો સાથેની બેઠક બાદ વડા પ્રધાને ગુજરાત, બિહાર, તેલંગણા, ઉત્તર પ્રદેશમાં ટેસ્ટિંગ વધારવા પર ભાર મૂક્યો હતો.
ન્યૂઝીલૅન્ડમાં 100 દિવસ પછી ચાર નવા કોરોના કેસ, ઑકલૅન્ડમાં લૉકડાઉન
ન્યૂઝીલૅન્ડમાં 100થી વધારે દિવસ બાદ કોરોના વાઇરસના લોકલ સંક્રમણના 4 નવા કેસ સામે આવ્યા છે. આ કેસોનું કારણ લોકલ ટ્રાન્સમિશન કહેવામાં આવી રહ્યું છે.
નવા કેસોનો પગલે ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જૈસિંડા અર્દેન પત્રકારપરિષદ યોજી અને કહ્યું કે ચાર લોકો પૉઝિટિવ સામે આવ્યા છે. આ ચાર લોકો એક જ ઘરમાં રહેતા હતા અને સંક્રમણના સ્રોતની ભાળ મેળવી શકાઈ નથી.
વડાં પ્રધાને જ્યાંથી નવા 4 કેસો સામે આવ્યા છે તે ઑકલૅન્ડમાં જ્યાં સુધી પૂરી તપાસ ન થઈ જાય ત્યાં સુધી લેવલ-3નું લૉકડાઉન લાગુ કર્યું છે. મતલબ, જાહેર સ્થળો બંધ રહેશે અને લોકોએ ઘરેથી જ કામ કરવું પડશે.
ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ વધારવાની જરૂરિયાત - નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાઇરસની સ્થિતિને લઈને રાજ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠકને લઈને વડા પ્રધાન કાર્યાલયે કહ્યું કે જે રાજ્યોમાં પૉઝિટિવ સંક્રમણ વધારે છે અને ટેસ્ટિંગ ઓછું ત્યાં તેને વધારવાની જરૂરિયાત સામે આવી છે.
વડા પ્રધાન કાર્યાલયે સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી કહ્યું કે ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તેલંગણામાં ટેસ્ટિંગ વધારાવની જરૂરિયાત સામે આવી રહી છે.
વડા પ્રધાન કાર્યાલયે એમ પણ કહ્યું કે જમીની સ્તરની માહિતીના યોગ્ય નીરિક્ષણથી સફળતાનો રસ્તો બની રહ્યો છે.
એમણે હૉસ્પિટલોમાં વ્યવસ્થાઓ બહેતર થઈ હોવાનું અને સર્વેલન્સ વધારે સટીક થયું હોવાની વાત પણ કરી.
એમણે કહ્યું કે, હોમ ક્વોરૅન્ટીનની વ્યવસ્થા સારી રીતે લાગુ કરવામાં આવી છે. જો આપણે 72 કલાકમાં જ કેસને ટ્રેસ કરી લઈએ તો સંક્રમણ ધીમું પડે છે એમ જોવા મળ્યું છે.
વડા પ્રધાનના કાર્યાલયે કહ્યું કે ઍક્ટિવ કેસોની સંખ્યા ઘટી રહી છે અને રિકવરી દર વધ્યો છે. આનો અર્થ એ છે કે આપણા પ્રયાસો કારગર સાબિત થઈ રહ્યા છે. લોકોમાં ડર પણ ઓછો થયો છે.
શાયર રાહત ઇંદૌરી કોરોના વાઇરસથી સંક્રમિત થયા
જાણીતા શાયર ડૉ. રાહત ઇંદૌરી કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.
આ અંગે તેમણે ટ્વીટ કરીને માહિતી આપી હતી.
તેમણે ટ્વીટ કરતાં લખ્યું, "કોવિડના શરૂઆતી લક્ષણ દેખાતાં ગઈકાલ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો, રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે."
"ઑરબિંદો હૉસ્પિટલમાં દાખલ છું. દુઆ કરો કે જલદીથી જલદી બીમારીને હરાવ દઉં."
"હજી એક ઇલ્તિજા છે, મને કે ઘરના લોકોને ફોન ન કરશો, મારી તબિયત અંગે તમને ટ્વિટન અને ફેસબુક પર માહિતી મળતી રહેશે."
WHOએ કહ્યું 'કોરોના મહામારી સામે જીતની આશા હજી બાકી'
દુનિયામાં કોરોનાથી થનારાં મૃત્યુનો આંકડો સાડા સાત લાખને પાર ગયો છે અને ચેપગ્રસ્તોનો આંકડો લગભગ બે કરોડની પાસે પહોંચી ગયો છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠનને હજી કોરોના મહામારી સામે જીતની આશ છે.
વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું કે આખી દુનિયાને પ્રભાવિત કરનાર આ મહામારીથી લડવા માટે લેવાયેલાં પગલાંમાં ક્યારેય વિલંબ નથી થયો.
વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એડહનૉમ ગિબ્રયેસૉસે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે આ અઠવાડિયે દુનિયામાં સંક્રમણનો કુલ આંકડો બે કરોડ અને મરનાર લોકોની કુલ સંખ્યા સાડા સાત લાખને પાર પહોંચી ગઈ છે.
તેમણે કહ્યું, "આ આંકડા પાછળ એક મોટું દર્દ અને મુશ્કેલી છુપાયેલી છે. આ મહામારીને કારણે થનાર દરેક મૃત્યુનું મહત્ત્વ છે. મને ખબર છે કે તમારામાંથી ઘણા લોકો દુખમાં છે અને દુનિયા માટે આ ઘણો મુશ્કેલ સમય છે, પરંતુ હું સ્પષ્ટ કરવા માગું છું કે આશાનું કિરણ હજી બાકી છે. આ મહામારીને ખતમ કરવામાં હજી પણ મોડું નથી થયું."
દુનિયામાં સંક્રમિતોની સંખ્યા બે કરોડને પાર
જૉહ્ન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા બે કરોડ કરતાં વધી ગઈ છે.
વિશ્વમાં સંક્રમણના કુલ કેસની સંખ્યા 2,00,04,254 છે.
વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર અત્યાર સુધીમાં સાત લાખ ત્રીસ હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.
અમેરિકામાં રવિવારે સંક્રમણના કુલ આંક 50 લાખને પાર પહોંચ્યો હતો. અમેરિકા કોરોના વાઇરસથી સૌથી વધારે પ્રભાવિત દેશ છે અને અહીં સૌથી વધારે મૃત્યુ નોંધાયાં છે.
મંગળવાર, 11 ઑગસ્ટ, 2020
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.
ગુજરાતમાં કેસનો આંકડો 72 હજારને પાર
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના 1056 કેસ નોંધાતા સંક્રમિતોની સંખ્યા 72 હજારને પાર પહોંચી છે. રાજ્યમાં કોરોના વાઇરસના દરદીઓની કુલ સંખ્યા 72120 છે.
રાજ્યમાં 2674 દરદીઓ હાલ સુધીમાં મૃત્યુ પામ્યા છે. જ્યારે આજે 20 દરદીઓનાં મૃત્યુ થયાં છે. સૌથી વધારે દરદીઓ સુરતમાં (8 દરદી) મૃત્યુ પામ્યા છે. જ્યારે અમદાવાદમાં 4 દરદી મૃત્યુ પામ્યા છે.
સુરતમાં છેલ્લા 24 કલાકમાં 236 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 144 કેસ નોંધાયા છે. વડોદરામાં 108 કેસ જ્યારે રાજકોટમાં 96 કેસ નોંધાયા છે.
રાજ્યમાં 1138 દરદી છેલ્લાં 24 કલાકમાં સાજા થયા છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી કોરોના વાઇરસથી સંક્રમિત
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.
તેમનો કોવિડ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે, આ અંગેની માહિતી તેમણે ટ્વીટ કરીને આપી હતી.
પ્રણવ મુખરજીએ ટ્વીટમાં લખ્યું, "હું હૉસ્પિટલમાં હતો, આજે એ દરમિયાન મારો કોવિડ19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે."
"છેલ્લા એક અઠવાડિયા દરમિયાન મારા સંપર્કમાં આવનારા તમામ લોકોને આઇસોલેટ થવા તથા ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું."
બ્રાઝિલમાં એક લાખથી વધુ સંક્રમિતો મોતને ભેટ્યા
બ્રાઝિલમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના સંક્રમણથી એક લાખ કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.
કોરોના વાઇરસના કારણે થયેલાં મૃત્યુની સંખ્યાની દૃષ્ટિએ વિશ્વભરમાં બ્રાઝિલ બીજા ક્રમે છે, જ્યારે મૃત્યુઆંક સૌથી વધારે અમેરિકામાં નોંધાયો છે.
ત્રણ મહિનામાં બ્રાઝિલમાં 50 હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં પણ છેલ્લા પચાસ દિવસમાં વધુ 50 હજાર લોકો મોતને ભેટ્યા છે.
બ્રાઝિલમાં કોરોના વાઇરસના સંક્રમણના 30 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે.
આમ છતાં બ્રાઝિલમાં રેસ્ટોરાં, દુકાનો ફરી ખોલી દેવાયાં છે.
રાષ્ટ્રપતિ ઝેયર બોલસોનારોએ શરૂઆતથી જ કોરોના વાઇરસના સંક્રમણના જોખમને ઓછું આંક્યું છે. તેઓ કોરોનાને એક 'મામૂલી ફ્લૂ' ગણાવતાં રહ્યા છે.
તેઓ પોતે જ કોરોના વાઇરસથી સંક્રમિત થઈને ઠીક થઈ ચૂક્યા છે.
સોમવાર, 10 ઑગસ્ટ, 2020
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.
ગુજરાત : કુલ કેસોની સંખ્યા 70 હજારને પાર
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાઇરસના નવા 1027 કેસો નોંધાયા છે. જ્યારે વધુ 25 દરદીનાં મૃત્યુ થયાં છે.
આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગને ટાંકીને સમાચાર સંસ્થા પીટીઆઈ જણાવે છે કે આ સાથે જ રાજ્યમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 71,064 થઈ ગઈ છે, જ્યારે કુલ મૃતાંક 2,654 થઈ ગયો છે.
પીટીઆઈ એવું પણ જણાવે છે કે આ જ સમયગાળા દરમિયાન અમદાવાદમાં વધુ 153 કેસો નોંધાયા છે અને શહેરમાં ચેપગ્રસ્તોનો કુલઆંક 27,898 થઈ ગયો છે. જ્યારે અત્યાર સુધી અમદાવાદમાં 1,633 દરદીનાં મૃત્યુ થયાં છે.
ન્યૂઝીલૅન્ડને કોરોનાથી મુક્ત થયાના 100 દિવસ
રવિવારે ન્યૂઝીલૅન્ડ કોરોનાથી મુક્ત થયું એના 100 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન દેશમાં એક પણ કોરોના પૉઝિટિવ કેસ નોંધાયો નથી.
ન્યૂઝીલૅન્ડની વસતી માત્ર 50 લાખ જ છે અને અહીં કેટલાય લોકો માટે જનજીવન સામાન્ય થઈ ચૂક્યું છે.
લોકો અહીં ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં બેસીને રગ્બીની મૅચ જોઈ રહ્યા છે. કોઈ પણ જાતના ભય વગર રેસ્ટોરાં જઈ રહ્યા છે.
જોકે, કેટલાક લોકો એ વાતને લઈને પણ ચિંતિત છે કે દેશ આત્મસંતુષ્ટ હોવાને લીધે ભવિષ્યની કોઈ આંશકાને લઈને પૂરતો તૈયાર નથી.
માર્ચના અંતે ન્યૂઝીલૅન્ડમાં લૉકડાઉન લાગુ કરાયું હતું. એ વખતે દેશમાં કોરોના વાઇરસના 100 કેસો હતા. આકરાં પગલાં લેવાયાં હોવાથી દેશમાં કોરોના વાઇરસનો ચેપ ફેલાતો અટકાવી શકાયો.
ગત ત્રણ મહિનામાં અમુક લોકો જ પૉઝિટિવ મળ્યા અને એ પણ એવા લોકો જે બીજા કોઈ દેશમાંથી પરત ફર્યા હતા.
પરત ફરતાની સાથે જ આવા લોકોને ક્વોરૅન્ટીન કરી દેવાયા અને સંક્રમણનો ફેલાવો અટકાવી દેવાયો.
અહીં અત્યાર સુધી કોરોના વાઇરસના કુલ 1500 કેસો નોંધાયા છે અને માત્ર 22 દરદીઓનાં જ મૃત્યુ થયાં છે.
યુનિવર્સિટી ઑફ ઍટાગોમાં મહામારીવિશેષજ્ઞ પ્રોફેસર માઇકલ બૅકરે કહે છે કે આ વિજ્ઞાન અને કુશળ નેતૃત્વની કમાલ છે. જો તમે એવા દેશો પર નજર કરો કે જ્યાં સ્થિતિ સારી છે તો ત્યાં તમને આ બન્ને ખૂબી જોવા મળશે.
આ સિદ્ધિ બદલ દેશનાં વડાં પ્રધાન જૅસિન્ડા અર્ડનની નેતૃત્વક્ષમતાની ચોતરફ પ્રશંસા થઈ રહી છે.
USમાં કોરોના વાઇરસના સંક્રમણના 50 લાખ કેસ, એક લાખ 62 હજારનાં મૃત્યુ
જૉહ્ન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ વધીને અંદાજે 50 લાખ થઈ ગયા છે.
અમેરિકા દુનિયાનો સૌથી ખરાબ રીતે પ્રભાવિત દેશ છે.
અમેરિકામાં સંક્રમણથી અંદાજે એક લાખ 62 હજાર લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
અમેરિકા પછી બ્રાઝિલ બીજો સૌથી પ્રભાવિત દેશ છે. જ્યાં સંક્રમણના કેસ 29 લાખ 62 હજારથી વધારે છે. બ્રાઝિલમાં મૃત્યુઆંક અંદાજે એક લાખ થઈ ગયો છે.
ભારત ત્રીજો સૌથી વધારે પ્રભાવિત દેશ છે.
ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા 21 લાખને પાર પહોંચી છે, જેમાંથી 14 લાખ 20 હજારથી વધારે લોકો આ બીમારીને માત આપીને ફરી સ્વસ્થ થયા છે.
અત્યાર સુધીમાં કુલ 43 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે.
રવિવાર, 9 ઑગસ્ટ, 2020
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.
ચેપગ્રસ્તોનો કુલ આંક 70 હજાર નજીક
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાઇરસના 1,101 નવા કેસો નોંધાયા, જ્યારે વધુ 23 દરદીઓના મૃત્યુ થયાં.
આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગને ટાંકીને સમાચાર સંસ્થા પીટીઆઈ જણાવે છે કે આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 69,986 થઈ ગઈ છે, જ્યારે કુલ મૃતાંક 2,629 થઈ ગયો છે.
ભારતમાં અત્યાર સુધી 196 તબીબોનો જીવ ગયો
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઈએમએ) અનુસાર દેશમાં અત્યાર સુધી કોવિડ-19ને લીધે 196 તબીબો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. આઈએમએ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે ધ્યાન આપવા અપીલ કરાઈ છે.
આઈએમએએ વડા પ્રધાન મોદીના નામે પત્ર લખ્યો છે, જમાં તેણે કોવિડ સંકટ દરમિયાન તબીબોની સુરક્ષાને લઈને વધી રહેલી ચિંતાઓ પર વડા પ્રધાનનું ધ્યાન દોર્યું છે.
પત્રમાં લખવામાં આવ્યું છે, "કોવિડને લીધે તબીબોને ચેપ લગાવાના અને જીવ ગુમાવવાના મામલાઓ વધી રહ્યા છે. આમાંથી કેટલાય જનરલ પ્રૅક્ટિશનરો છે. વસતીનો મોટો ભાગ તાવ અને સંબંધિત લક્ષણો માટે તેમની સલાહ લે છે. તેઓ ફર્સ્ટ પૉઇન્ટ ઑફ કૉન્ટેક્ટ હોય છે. અત્યાર સુધી અમે અમારા 196 તબીબો ગુમાવી ચૂક્યા છીએ. આઈએમએ દેશભરના એ 3.5 લાખ તબીબોનું પ્રતિનિધિત્વ કરે છે, જે સસ્તી સેવાઓ આપી રહ્યા છે. "
પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે તબીબો અને તેમના પરિવારજનો માટે જ હૉસ્પિટલોમાં પથારી નથી મળી રહી. કેટલાય મામલામાં દવાની અછત પણ જણાઈ છે.
આઈએમએ દ્વારા જણાવાયું છે કે 'કોવિડથી થઈ રહેલાં તબીબોનાં મૃત્યુ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે.'
અભિષેક બચ્ચન કોરોનામુક્ત
બોલીવૂડ અભિનેતા અભિષેક બચ્ચનનો શનિવારે કરેલો કોરોનાનો ટેસ્ટ-રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે. તેઓએ જાતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.
તેઓએ પોતાના ટ્વીટમાં નાણાવટી હૉસ્પિટલના ડૉક્ટરો અને નર્સોનો આભાર પણ માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે અભિષેકના પિતા અમિતાભ બચ્ચન પણ કોરોનાથી સંક્રમિત થયા બાદ આ હૉસ્પિટલમાં દાખલ હતા. થોડા દિવસો પહેલાં જ તેઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
બચ્ચન પરિવારમાં અમિતાભ-અભિષેક સિવાય એશ્વર્યા રાય બચ્ચન અને તેમનાં પુત્રી આરાધ્યા બચ્ચન પણ કોરોનાથી સંક્રમિત થયાં બાદ સાજાં થઈ ગયાં છે.
પાંચ ભારતીય હૉકી ખેલાડી કોરોના પૉઝિટિવ
કોરોનાથી સંક્રમિત થયેલા પાંચ ભારતીય હૉકી ખેલાડીઓમાં કૅપ્ટન મનપ્રીત સિંહ પણ સામેલ છે.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર સંક્રમિત થયેલા પાંચ ખેલાડીઓ છે- મનપ્રીત સિંહ, સુરેન્દ્ર કુમાર, જસકરન સિંહ, વરુણ કુમાર અને કૃષ્ણ બી. પાઠક.
સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ કહ્યું કે સંક્રમિત ખેલાડીઓની સંખ્યા વધી શકે છે.
સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા જણાવ્યું કે મનપ્રીત સિંહ અને સુરેન્દ્ર કુમારમાં કોરોનાનાં લક્ષણો દેખાયાં બાદ અનેક ખેલાડીઓનું ફરી વાર પરીક્ષણ કરાયું છે.
એસએઆઈના નિવેદન અનુસાર, "ક્વૉરેન્ટીનમાં રહેતા ખેલાડી કૅમ્પમાં પહેલેથી હાજર ખેલાડીઓના સંપર્કમાં આવ્યા નથી. કેટલાક પરીક્ષણની રાહ જોઈ રહ્યા છીએ."
આગળ વધુમાં કહેવાયું કે બની શકે કે આ ખેલાડીઓને ઘરથી બેંગલુરુ આવતી વખતે કોરોનાનો ચેપ લાગ્યો હોય.
કોરોના વાઇરસથી USમાં એક લાખ 60 હજાર કરતાં વધુનાં મૃત્યુ
જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે એક લાખ 60 હજાર કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં છે અને સંક્રમિતોની સંખ્યા 49 લાખથી વધારે છે.
બીજી તરફ અમેરિકન અર્થતંત્ર અંગે સતત ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે.
જુલાઈના આંકડા પ્રમાણે અમેરિકા આ મહિનામાં માત્ર 18 લાખ નવી રોજગારીની તકો સર્જી શક્યું છે, જ્યારે જૂન મહિનામાં 48 લાખ લોકોની છટણી કરાઈ હતી.
એનો અર્થ એ થયો કે આ એક મહિનામાં જરૂરિયાતની તુલનામાં 30 લાખ નોકરીઓ ઓછી સર્જાઈ છે.
શનિવાર, 8 ઑગસ્ટ, 2020
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.
7 ઑગસ્ટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરો :
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો