IPL 2020: મહેન્દ્રસિંહ ધોનીમાં નથી રહી હવે એ મૅચ જીતવાની ધાર?

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 3 મિનિટ

મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં હારે એ જ મોટી વાત કહેવાય તેમાંય જો તે સળંગ ત્રણ મૅચ ગુમાવે અને પરાજયની હેટ્રિક નોંધાવે તો આ ટી20 ક્રિકેટ લીગ કોઈ અલગ જ ગ્રહમાં રમાય છે તેમ લાગે. પણ, આ વાસ્તવિકતા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ 2014 બાદ પહેલી વાર સળંગ ત્રણ મૅચ હાર્યું છે.

આઈપીએલમાં શુક્રવારે રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સાત રનથી પરાજય થયો હતો.

આમ તો પરાજયનું અંતર સૂચવે છે કે મૅચ રોમાંચક બની હશે પરંતુ ખરેખર એવું ન હતું.

સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં પાંચ વિકેટે 164 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરને અંતે પાંચ વિકેટે 157 રન નોંધાવ્યા હતા.

એક સમયે જે રીતે ધોની અને રવીન્દ્ર જાડેજા રમી રહ્યા હતા તે જોતાં એમ લાગતું હતું કે તેમનામાં મૅચ જીતવાની ઇચ્છાશક્તિ જ મરી પરવારી છે.

નબળો સ્ટ્રાઇક રેટ

ધોની અને જાડેજા રમતા હોય અને બંને ખેલાડીનો સ્ટ્રાઇક રેટ 100 કરતાં ઓછો હોય એટલે કે તેઓ રન કરતાં બૉલ વધારે રમતા હોય તેમ ભાગ્યે જ બને છે પરંતુ શુક્રવારે આમ બન્યું હતું.

આ તબક્કે હૈદરાબાદની ટીમ કમસે કમ 50 રનના માર્જિનથી જીતશે તેમ લાગતું હતું પરંતુ અંતે આ માર્જિન સાત રનનું રહ્યું.

અંતર ભલે ઓછું રહ્યું પરંતુ ડેવિડ વૉર્નરની ટીમ સમગ્ર મૅચ દરમિયાન આગળ જ રહી હતી. આ માટે રાશિદ ખાનની વેધક બૉલિંગ પણ જવાબદાર હતી.

અફઘાનિસ્તાનના આ સ્પિનરે ચાર ઓવરમાં માત્ર 12 જ રન આપ્યા હતા.

ધોનીએ છેલ્લી બે ત્રણ ઓવરમાં અને એ અગાઉ જાડેજાએ આક્રમકતા દાખવી હતી પરંતુ એ ક્ષણિક પ્રભાવથી પ્રિયમ ગર્ગ કે અભિષેક શર્માની શાનદાર રમતને નજરઅંદાજ કરી શકાય નહીં.

મૅચ જીતવા માટે 165 રનના ટારગેટ સામે રમતા ચેન્નાઈ માટે ફાફ ડુ પ્લેસિસે 19 બૉલમાં 22 રન ફટકારીને પ્રારંભ કરાવ્યો હતો પરંતુ શેન વોટસન માત્ર એક રન, ઈજામાંથી પરત ફરેલા અંબાતી રાયડુએ આઠ અને કેદાર જાધવે ત્રણ રન કર્યા હતા.

મહેન્દ્રસિંહ ધોની શ્રેષ્ઠ ફિનિશર તરીકે ખ્યાતિ ધરાવે છે પરંતુ તેમણે અત્યંત ધીમી રમત દાખવી હતી.

એવી જ રીતે રવીન્દ્ર જાડેજાએ પણ સાવ ધીમી રમતનું પ્રદર્શન કર્યુ હતું.

રાશિદ ખાનનો સ્પેલ પૂરો થયા બાદ આ બંનેએ થોડી ઝડપ વધારી હતી. જાડેજાએ 35 બૉલમાં બે સિક્સર સાથે 50 રન ફટકાર્યા હતા તો ધોનીએ છેલ્લી બે ઓવરમાં થોડી ધમાલ મચાવી હતી. તેઓ 36 બોલમાં 47 રન સાથે અણનમ રહ્યા હતા.

અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગમાં અંડર-19 વર્લ્ડ કપમાં રમેલી ભારતીય ટીમના સદસ્ય પ્રિયમ ગર્ગે શાનદાર બેટિંગ કરી હતી. તેમણે 26 બલમાં છ બાઉન્ડરી અને એક સિક્સર સાથે અણનમ 51 રન ફટકાર્યા હતા.

પ્રિમય ગર્ગ અને અભિષેક શર્માની શાનદાર બેટિંગ

અભિષેક શર્મા અને પ્રિયમ ગર્ગે માત્ર સાત ઓવરમાં 77 રનની ભાગીદારી નોંધાવીને હૈદરાબાદની ટીમને મજબૂત સ્કોર રજૂ કરવામાં યોગદાન આપ્યું હતું.

અભિષેક શર્માએ 24 બોલમાં 31 રન ફટકાર્યા હતા.

ટી20 ક્રિકેટમા પ્રિયમ ગર્ગની આ ત્રીજી અડધી સદી હતી. અગાઉ આ જ વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તર પ્રદેશ તરફથી રમતાં તેમણે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ઉપરા ઉપરી બે દિવસમાં બે અડધી સદી ફટકારી હતી. તેમણે ત્રિપૂરા સામે 48 બોલમાં 59 અને પોંડિચેરી સામે 30 બોલમાં 54 રન ફટકાર્યા હતા.

કૅપ્ટન ડેવિડ વૉર્નરે 28 રન ફટકાર્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેના જ મુકાબલાને ધ્યાનમાં લઈએ તો વૉર્નરે અગાઇ ચેન્નાઈ સામે સળંગ પાંચ મેચમાં 90, 53, 61, 50 અને 57 રનના સ્કોર કર્યો હતો. આમ આ વખતે તેઓ અડધી સદી ચૂકી ગયા હતા.

નિષ્ફળ રન ચેઝમાં ધોની

ચેન્નાઈ સુપર કિંગ્સના સુકાની અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીને વિશ્વના શ્રેષ્ઠ મૅચ ફિનિશર માનવામાં આવે છે પરંતુ હવે એમ લાગે છે કે ધોનીમાં એ ધાર રહી નથી.

તેઓ હવે અગાઉની માફક ટીમને સફળતા અપાવી શકતા નથી અને તેમની બેટિંગ પણ ધીમી પડી ગઈ છે

શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ધોની 47 રન ફટકારીને અણનમ રહ્યા હતો પરંતુ તેની ટીમને વિજય અપાવી શક્યા ન હતા.

આમ રન ચૅઝમાં અણનમ રહેવા છતાં તેની ટીમ હારી ગઈ હતી. આઈપીએલમાં આ એવો છઠ્ઠો પ્રસંગ હતો ધોની અણનમ રહ્યા હોય પરંતુ તેમની ટીમ જીતી શકી ન હોય અને રન ચૅઝ કરવામાં નિષ્ફળ રહી હોય.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો