દિલીપ કુમારનું નિધન : જુહૂના કબ્રસ્તાનમાં રાજકીય સન્માન સાથે દફનવિધિ કરાઈ

વાંચવાનો સમય: 2 મિનિટ

પ્રખ્યાત ફિલ્મ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષે નિધન થયું છે. બીબીસી હિંદીને હિંદુજા હૉસ્પિટલે નિધનની પુષ્ટિ પણ કરી છે.

તેઓ કેટલાક દિવસોથી અસ્વસ્થ હતા અને ઘણી વાર તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. દિલીપી કુમારની દફનવિધિ સાંજે પાંચ વાગે મુંબઈમાં જુહૂ કબ્રસ્તાનમાં થઈ.

હિંદુજા હૉસ્પિટલના તબીબ જલાલ પાલકરે દિલીપ કુમારના નિધની પુષ્ટિ કરતા બીબીસીના સહયોગી પત્રકાર સુપ્રિયા સોગલેને કહ્યું કે તેમણે બુધવારની સવારે સાડા સાત વાગ્યે અંતિમશ્વાસ લીધા.

ડૉક્ટર જલીલે કહ્યું, લાંબા આયુષ્ય બાદ બીમારીઓને કારણે એમનું નિધન થયું.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ દિલીપ કુમારના ઘરની મુલાકાત લીધી અને પરિવારજનોને સાંત્વન પાઠવી. એમણે રાજકીય સન્માન સાથે દિલીપ કુમારની દફનવિધિ કરવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે દિલીપ કુમાર ભારતના બીજા ક્રમાંકના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણથી સન્માનિત છે.

દિલીપ કુમારના ટ્વિટર હૅન્ડલ પર સવારે 8 વાગ્યે તેમના નિધનની જાણકારી ટ્વિટ કરવામાં આવી. આ ટ્વિટ તેમના પારિવારિક મિત્ર ફૈસલ ફારુક તરફથી કરવામાં આવ્યું છે.

તેમાં લખ્યું છે, "દુખ સાથે એ જાહેર કરીએ છીએ કે આપણા સૌના મનપસંદ દિલીપ સાહેબ હવે નથી રહ્યા. આપણે ખુદા પાસેથી આવ્યા છીએ, અને તેમની પાસે જ પરત જવાનું છે - ફૈસલ ફારુકી"

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલીપ કુમારના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.

તેમણે ટ્વિટ કરીને લખ્યું, "દિલીપ કુમાર સિનેમાના દિગ્ગજ તરીકે યાદ રહેશે. તેઓ અત્યંત પ્રતિભાશાળી હતા અને દરેક પેઢીની વ્યક્તિ તેમની ચાહક રહી છે. તેમનું નિધન આપણા સાંસ્કૃતિક વિશ્વ માટે ખાલીપો સર્જે છે.તેમના પરિવાર, મિત્રો અને ચાહકોને સાંત્વના પાઠવું છું. તેમની આત્માને શાંતિ મળે."

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે ટ્વિટ કરી લખ્યું, "(દિલીપ કુમારના) પરિવાર, મિત્રો, ચાહકોને સાંત્વના પાઠવું છું. ભારતીય સિનેમા જગતમાં તેમનું યોગદાન હંમેશાં યાદગાર રહેશે."

બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે લખ્યું, "વિશ્વમાં અન્ય માટે હીરો એટલે બીજા કોઈ. પણ એક અભિનેતા તરીકે અમારા માટે અમારા હીરો એટલે દિલીપ કુમાર. તેઓ પોતાની સાથે સિનેમાનો એક આખો ય દૌર લઈ ગયા છે. તેમના પરિવારને સાંત્વના પાઠવું છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો