You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દ્વારકા ડ્રગ્સ કેસ : BJPના મંત્રી કિરીટસિંહ રાણા પર નવાબ મલિકનો આરોપ, શું છે સમગ્ર મામલો?
કચ્છના મુંદ્રા ખાતેથી ડ્રગ્સનો ઐતિહાસિક જથ્થો પકડાયા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડિનાર પાસેથી ડ્રગ્સ પકડાયું, હવે આ મામલે રાજકીય આરોપો થઈ રહ્યા છે.
આર્યન ખાનના કેસ બાદ તેમનાં નિવેદનોના કારણે ચર્ચામાં આવેલા NCPના નેતા અને મંત્રી નવાબ મલિકે ગુજરાતમાંથી ઝડપાયેલા ડ્રગ્ઝ સંદર્ભે નિવેદન આપ્યું છે અને ગુજરાતની ભાજપની સરકાર પર નિશાન સાધ્યું છે.
માલિકે કહ્યું છે કે "કે. પી. ગોસ્વામી, સુનિલ પાટીલ આ લોકો અમદાવાદની ફાઇવ સ્ટાર હોટલોમાં રોકાતા હતા, ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણા એ લોકોની નજીક છે."
"આ તમામ લોકો ડ્રગની રમતના ખેલાડી છે, પ્રશ્ન એ છે કે ડ્રગનો ખેલ ગુજરાતથી તો ખેલાઈ નથી રહ્યો ને."
આ અંગે કિરીટસિંહ રાણાએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી છે કે, "હું કોઈને ઓળખતો નથી કે હું કોઈને ક્યાંક મળ્યો પણ નથી. જાહેર જીવનમાં છીએ, તો ક્યાંક કોઈની સાથે ફોટો પડાવ્યો હોય તો ખબર નથી."
જ્યારે ભાજપના વર્તમાન મંત્રી અને પૂર્વ પ્રદેશાધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ મલિકના નિવેદનને વખોડ્યું હતું અને કહ્યું હતું કે, "કિરીટસિંહ છેલ્લાં 35 વર્ષથી જનતાની સેવામાં છે."
વાઘાણીએ મલિકને ચેલેન્જ કરતાં કહ્યું કે, "તેઓ કિરીટસિંહના આવા કોઈ કનેક્શન હોય તો શોધીને બતાવે. ભ્રમણા ફેલાવવાનું એનસીપી અને કૉંગ્રેસનું હંમેશાંથી કામ રહેલું છે."
દ્વારકાનો ડ્રગ્ઝનો મામલો શું છે?
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સુનિલ જોશીએ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતાં કહ્યું કે વાડીનાર પાસે પકડાયેલ ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગૃજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકારપરિષદને સંબોધતાં કહ્યું કે, "છેલ્લા બે મહિનામાં વિવિધ પ્રકારના ડ્રગ્ઝના મામલે ગુજરાત પોલીસ દ્વારા 58 કેસ નોંધવામાં આવ્યા છે, 90 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે, સાથે જ માત્ર 55 દિવસમાં વિવિધ પ્રકારના ડ્રગ્ઝનો 5756 કિલો જેટલો જથ્થો પકડાયો છે."
આમાં દેવભૂમિ દ્વારકામાં ઝડપાયેલા ડ્રગ્સનો જથ્થો ઉમેરાયો નથી. સંઘવીના જણાવ્યા અનુસાર આ દમિયાન પકડાયેલા ડ્રગ્ઝની કિંમત રૂપિયા 245 કરોડ કરતાં પણ વધારે થાય છે.
તેમણે આ સંદર્ભે તેમની સરકારની અને ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી હતી.
રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્નમાં ઇન્ટરનેશનલ કે નેશનલ ગૅંગ સક્રિય છે કે કેમ? આ અંગેના પ્રશ્નના જવાબમાં એસ. પી. જોશીએ જણાવ્યું હતું કે હાલ પકડાયેલ ડ્રગ્સ, જેની બજારકિંમત અંદાજે 88 કરોડ રૂપિયા છે, તે ક્યાંથી આવ્યું અને તેની પાછળ કોનો હાથ છે તે હાલ ન કહી શકાય. આ મામલે સમગ્ર વિગતો તપાસમાં બહાર આવશે.
પોલીસ દ્વારા અપાયેલી માહિતી મુજબ 17 કિલોગ્રામ ડ્રગ્સ પકડાયું હોવાનું કહેવાઈ રહ્યું છે. જ્યારે સ્થાનિક મીડિયાના સંખ્યાબંધ અહેવાલોમાં 60 કિલોગ્રામ કરતાં વધુ ડ્રગ્સ ઝડપાયું હોવાનું કહેવાઈ રહ્યું છે.
નોંધનીય છે કે આ અગાઉ પણ ગુજરાતના કચ્છ જિલ્લાના મુંદ્રા પૉર્ટ ખાતેથી મસમોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. જેની નોંધ માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવાઈ હતી.
મુંદ્રા પૉર્ટ ખાતેથી ડિપાર્ટમેન્ટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડિઆરઆઈ)એ બે અલગ-અલગ કન્ટેઇનરમાંથી ત્રણ હજાર કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતું. જેની બજારકિંમત 15 હજાર કરોડ રૂપિયાની હતી.
સ્થાનિક અહેવાલો અનુસાર દેવભૂમિ દ્વારકા ખાતે પકડાયેલ ડ્રગ્સનો જથ્થો પકડવામાં સ્થાનિક પોલીસની જુદી જુદી શાખાઓએ જૉઇન્ટ ઑપરેશન હાથ ધર્યું હતું. જેમાં લૉકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપની ટુકડીઓ સામેલ હતી.
દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ?
જુદા જુદા સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર દેવભૂમિ દ્વારકા પોલીસે ખંભાળિયા હાઇવે પર આરાધના ધામ ખાતેથી આ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે.
અહેવાલો પ્રમાણે આ ડ્રગ્સ પણ દરિયાઈ માર્ગે ગુજરાતની ભૂમિ પર લાવવામાં આવેલ.
નોંધનીય છે કે મુંદ્રા ખાતેથી પકડાયેલ હજારો કિલો હેરોઇનના જથ્થાને પણ દરિયાઈ માર્ગે જ રાજ્યમાં લાવવામાં આવ્યો હતો.
મુંદ્રા ખાતેથી પકડાયેલ હેરોઇનવાળાં કન્ટેઇનરમાં અફઘાનિસ્તાનના ટૅલ્ક પથ્થર હોવાની જાહેરાત કરવામાં આવી હતી, જે ઈરાનના બંદર અબ્બાસ પૉર્ટથી ગુજરાતના મુંદ્રા પૉર્ટ ખાતે મોકલાયું હતું.
આ પહેલાં પણ એક અન્ય કાર્યવાહીમાં ભારતીય કૉસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા દરિયાઈસીમાં સંયુક્ત ઑપરેશન હાથ ધરી 250 કરોડ રૂપિયાની બજારકિંમતનું હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું હતું.
છેલ્લાં કેટલાંક વર્ષોથી અલગ-અલગ મૉડસ ઑપરેન્ડી મારફત દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સને ઘુસાડવામાં આવે છે, જે જમીનમાર્ગે ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં પહોંચાડવામાં આવે છે; એટલું જ નહીં, તે પશ્ચિમી દેશો સુધી પણ પહોંચાડવામાં આવે છે.
નોંધનીય છે કે 21 સપ્ટેમ્બર, 2021ના રોજ મુંદ્રા ખાતેથી પકડાયેલ હેરોઇનના મામલા બાદ પૉર્ટના સંચાલક અદાણી પૉર્ટ ઍન્ડ સેઝ દ્વારા ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવતા કન્ટેઇનર અને કાર્ગો હૅન્ડલિંગ પર પ્રતિબંધ લાદી દીધો હતો.
નોંધનીય છે કે અગાઉ સોના-ચાંદી, ઘડિયાળો કે ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની દાણચોરી માટે પંકાયેલો ગુજરાતનો દરિયાકિનારો વર્ષ 1993ના બૉમ્બે-બ્લાસ્ટ સમયે ચર્ચામાં આવ્યો હતો. એ વખતે પોરબંદર ખાતે આરડીએક્સ અને હથિયાર ઉતારવામાં આવ્યાં હતાં.
ગુજરાત ટ્રાન્ઝિટ રૂટ
અગાઉ ગુજરાતના સલાયા, ઓખા, અને માંડવી જેવા સૌરાષ્ટ્રનાં બંદરો ઉપર સોનું, ઘડિયાળો કે ઇલેક્ટ્રૉનિક સામાન દાણચોરીથી લાવવામાં આવતો હતો. જેને 'ઢો' તરીકે ઓળખાતા નાના દેશી જહાજમાં લાવવામાં આવતો હતો.
વર્ષ 1993માં પોરબંદરના ગોસાબારા બંદર ખાતે આરડીએક્સ તથા હથિયારોની ખેપ ઊતરી હતી, જેનો ઉપયોગ તત્કાલીન બૉમ્બેમાં વિસ્ફોટો કરવા માટે થયો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતનો ઉપયોગ ટ્રાન્ઝિટ રૂટ તરીકે કરવામાં આવે છે.
અગાઉ કચ્છ, પંજાબ અને રાજસ્થાનની સરહદો ઉપર સુરંગ કે પાઇપવાટે નશાકારક પદાર્થો દેશમાં ઘુસાડવામાં આવતા હતા.
તાજેતરનાં વર્ષોમાં ગુજરાતના દરિયાકિનારાના માર્ગે ભારતમાં મોટાપાયે નશાકારક પદાર્થો ઘુસાડવાના પ્રયાસ સામે આવ્યા છે.
2018માં દરિયાઈ માર્ગે 500 કિલોગ્રામ હેરોઇન ભારતમાં ઠાલવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જેના તાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા સાથે પણ જોડાયેલા હતા.
આ ડ્રગ્સની ખેપને કારમાર્ગે કચ્છમાંથી ઊંઝા મોકલવામાં આવી હતી, જ્યાંથી જીરું ભરેલી ટ્રકમાં લાકડાંની આડમાં છુપાવીને ડ્રગ્સને પંજાબ મોકલવામાં આવ્યું હતું.
મૂળ કચ્છના નાના જહાજે મધદરિયે કથિત રીતે પાકિસ્તાની જહાજ પાસેથી ડ્રગ્સની ડિલિવરી લીધી હતી અને તેને ભારતમાં ઘુસાડ્યું હતું.
એપ્રિલ-2021માં પણ વધુ એક ખેપ પકડાઈ હતી અને તેને પણ પંજાબ મોકલવાની હતી. અંતે આ કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને સોંપી દેવામાં આવ્યો હતો.
ગુજરાત 1600 કિલોમીટર જેટલો દરિયાકિનારો ધરાવે છે, જે દેશમાં સૌથી લાંબો છે. લગભગ 30 હજાર કરતાં વધુ બોટ તથા નાનાં જહાજો ગુજરાતમાં નોંધાયેલાં છે. આથી, ખુલ્લા દરિયામાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં તેમની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવી મુશ્કેલ બની રહે છે.
ડ્રગ્સ પકડવાના ઑપરેશન સાથે સંકળાયેલા એટીએસના એસીપી ભાવેશ રોજિયાના જણાવ્યા પ્રમાણે, "અફઘાનિસ્તાનમાં મોટા પાયે અફીણનું ઉત્પાદન થાય છે, જેમાંથી હેરોઇન બનાવીને તેને ભારતમાં ઘુસાડવા માટે પ્રયાસ થતા રહે છે."
"ગુજરાત અને પંજાબની સરહદ સીલ થઈ ગઈ છે. વધુમાં એલઓસી માર્ગે વેપાર પણ બંધ થઈ ગયો છે. એટલે ડ્રગ્સને ઘૂસાડવા માટે અન્ય માર્ગો પર નજર દોડાવવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારત અને પાકિસ્તાનની બોટો સાથે જ માછીમારી કરતી હોય છે, એટલે તેમની ઉપર નજર રાખવી મુશ્કેલ બની રહે છે."
"ડ્રગ્સને ભારતમાં લાવવામાં સફળતા મળે તો તેને અલગ-અલગ સ્થળોએ મોકલી દેવામાં આવે છે અને પછી તેને એક-બે કિલોગ્રામના નાના-નાના જથ્થામાં ખાડી કે પશ્ચિમી દેશોમાં મોકલવામાં આવે છે, એવું અગાઉની તપાસમાં બહાર આવ્યું છે."
સુરક્ષા એજન્સીઓ, નૅવી, કૉસ્ટગાર્ડ વગેરે મળીને માછીમારી સમુદાયમાં બાતમીદારોના નેટવર્ક, દરિયામાં સામાન્ય રીતે વપરાશમાં લેવામાં આવતી રેડિયો ફ્રિક્વન્સી પર નજર રાખે છે અને કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓની બાતમીના આધારે, ભારત તરફ આવતો જથ્થો આંતરવાના પ્રયાસો કરે છે.
અફઘાનિસ્તાન, તાલિબાન અને ડ્રગ્સ
ગુજરાતમાં તાજેતરના સમયમાં જે કોઈ ડ્રગ્સની રિકવરી થઈ છે, તેનાં મૂળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે ઈરાન સાથે હોવાનો દાવો સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યો છે.
ડીઆરઆઈનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તપાસમાં અફઘાન નાગરિકોનાં નામ પણ બહાર આવી રહ્યાં છે અને તેમના વિશે પણ તપાસ હાથ ધવામાં આવી હતી.
સુરક્ષા એજન્સી સાથે સંકળાયેલા લોકો અફઘાનિસ્તાનમાં સત્તાપરિવર્તનને કારણે ડ્રગ્સની હેરફેરમાં વધારો થયો છે કે કેમ તેને નજીકથી જોઈ રહ્યા છે.
તાલિબાન માટે અફીણના ખેડૂતો પાસેથી ખંડણી તથા હેરફેર કરનારાઓ પાસેથી રકમની વસૂલાત આવકનો મુખ્ય સ્રોત છે.
યુનાઇટેડ નેશન્સ ઑફિસ ઓન ડ્રગ્સ ઍન્ડ ક્રાઇમના રિપૉર્ટ પ્રમાણે, વિશ્વમાં અફીણના કુલ ઉત્પાદનમાંથી 80 ટકા ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે. જેમાં શુદ્ધિકરણ દ્વારા હેરોઇન સહિતના આદત પડી જાય તેવા નશાકારક પદાર્થ બનાવી શકાય છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા, જો કોઈ વ્યક્તિ પાસેથી પાંચ ગ્રામ સુધીનું હેરોઇન પકડાય તો તેને 'ઓછો જથ્થો' માનવામાં આવે છે.
જ્યારે અઢીસો ગ્રામ કે તેથી વધુના જથ્થાને મોટો જથ્થો માની તેમાં વેપારનું તત્ત્વ હોવાનું માનવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો