You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્નેઇલ ફિવર : એ ઘાતક બીમારી, જે શરીરમાં 'અદૃશ્ય' થઈ જાય અને વર્ષો સુધી ખબર ન પડે
- લેેખક, કેટ બોવી
- પદ, ગ્લોબલ હેલ્થ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- વાંચવાનો સમય: 5 મિનિટ
આ પેરાસાઇટ્સ ત્વચામાંથી પ્રવેશીને રક્તમાં છૂપાઈ જાય છે. તે પછી તેનાં ઈંડાં લિવર, ફેફસાં અને જનનાંગોમાં રહી જાય છે અને વર્ષો સુધી શોધી શકાતાં નથી.
વિજ્ઞાનીઓ ચેતવણી આપી રહ્યા છે કે, અવગણવામાં આવલો પેરેસિટિક રોગ ગણાતો સ્નેઇલ ફિવર નિયંત્રણમાં લેવાનું મુશ્કેલ બની જાય, તે રીતે વધી શકે છે.
આ ચોક્કસ પ્રકારના પરજીવીઓનું વહન કરતાં સ્નેઇલ (ગોકળગાય) આફ્રિકામાં થાય છે. દર વર્ષે 25 કરોડ લોકોને આ રોગની સારવાર આપવી પડે છે. આમાંથી મોટાભાગના લોકો આફ્રિકામાં રહે છે.
પરંતુ, આ પેરાસાઇટ ચીન, વેનેઝુએલા અને ઇન્ડોનેશિયા સહિતના 78 દેશો સુધી વૈશ્વિક સ્તરે પ્રસરી ગયો છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યૂએચઓ) જણાવે છે કે, પેરાસાઇટમાં થયેલા પરિવર્તન વિશે સંશોધનમાં ખુલાસો કરવામાં આવ્યો, તે પછી આ એક "વૈશ્વિક ચિંતાનો વિષય" બન્યો છે. તેનો અર્થ એ કે, આ રોગ નવા પ્રદેશોમાં ફેલાઈ શકે છે.
આ ચેતવણી તેવા સમયે આવી છે જ્યારે વિશ્વ આરોગ્ય સંગઠન "વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ" મનાવી રહ્યું છે.
તેનો આશય કુપોષિત પ્રદેશોમાં રહેતા એક અબજ કરતાં વધુ લોકોને પ્રભાવિત કરતા વાઇરસ, બૅક્ટેરિયા, પરજીવીઓ અને રોગકારક ફૂગને કારણે થતી બીમારીઓ પર પ્રકાશ પાડવાનો છે.
સ્નેઇલ ફિવર શું છે?
ગોકળગાયના લારવા ધરાવતા પાણીના સંપર્કમાં આવનારા માનવી કે પ્રાણીને સ્નેઇલ ફિવર થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લારવા ત્વચાને પચાવનારા ઉત્સેચકો (ઍન્ઝાઇમ્સ) છોડે છે અને પછી શરીરમાં પ્રવેશ કરે છે.
તે પુખ્ત કીડા સ્વરૂપે વિકસીને રક્તવાહિનીમાં આશ્રય લે છે, તે પછી માદા કીડા ઈંડાં મૂકે છે.
આ ઈંડાં કેટલીક વખત મળ-મૂત્ર વાટે શરીરમાંથી બહાર નીકળી જાય છે, પણ તે પેશીઓમાં ફસાવાની પણ શક્યતા રહે છે.
આ ઈંડાં સામેની શરીરની રોગપ્રતિકારક પ્રતિક્રિયા આસપાસની સ્વસ્થ પેશીઓને નષ્ટ કરી દે છે, જેનાથી અંગોને નુકસાન પહોંચી શકે છે.
ઈંડાં પેડુનાં અંગોમાં કે તેમની આસપાસ પણ ફસાઈ શકે છે - આ સ્થિતિ યુરોજેનિટલ સ્કિસ્ટોસોમિયાસિસ તરીકે ઓળખાય છે. આ બીમારી પેટનો દુખાવો, કૅન્સર અને અતિ ગંભીર કિસ્સામાં મોત નોતરી શકે છે.
ઍન્ટી-પેરાસિટિક દવાઓથી સ્નેઇલ ફિવર મટી શકે છે.
નાનાં બાળકો અથવા તો ખેતીકામ અને મત્સ્યપાલન સાથે સંકળાયેલા શ્રમિકો જેવાં જોખમ ધરાવતાં જૂથો દર વર્ષે આ દવા મેળવે, એવી ભલામણ ડબલ્યૂએચઓ કરે છે.
પરંતુ, માલાવી લિવરપૂલ વેલકમ ક્લિનિકલ રિસર્ચ પ્રોગ્રામનાં ઍસોસિએટ ડિરેક્ટર જેનેલિસા મુસાયા જણાવે છે કે, હાલની સારવાર વ્યવસ્થામાં પેરાસાઇટનાં નવાં સ્વરૂપો ચૂકી જવાય, તેવી શક્યતા છે.
સ્નેઇલ ફિવર બહુ મોટું જોખમ ઊભું કરી શકે છે
તો, સ્થાનિક સ્તરે આ બીમારી શા માટે સતત ફેલાઈ રહી છે?
માનવીમાંનાં પેરાસાઇટ્સ અને પ્રાણીઓનાં પેરાસાઇટ્સનાં વર્ઝન્સ વચ્ચે પ્રજનન થઈ રહ્યું છે - જેના કારણે નવાં "હાઇબ્રિડ" વર્ઝન્સ ઊભરી રહ્યાં હોવાનું સંશોધનમાં જાણવા મળ્યું હતું.
આ હાઇબ્રિડ વર્ઝન્સ માનવી અને પ્રાણી, બંનેને સંક્રમિત કરી શકે છે, જેના કારણે પ્રસારને નિયંત્રિત કરવો વધુ મુશ્કેલ બની રહે છે.
વિજ્ઞાનીઓ અગાઉથી જાણતા હતા કે, પેરાસાઇટનાં પ્રાણી અને માનવીનાં વિવિધ વર્ઝન્સ એકમેક સાથે પ્રજનન કરી રહ્યાં છે, પણ આ હાઇબ્રિડ ઈંડાં સફળતાપૂર્વક ફૂટશે અને તેમણે જ્યાં આશ્રય લીધો હોય, તે શરીરની બહાર નીકળીને પણ ટકી રહેશે, તેની તેમને ખાતરી નહોતી.
આવું થઈ રહ્યું છે, તે સાબિત કરવા માટે તેમણે પસંદગીના માલાવી સમુદાયોના લોકો અને પ્રાણીઓનાં સેમ્પલ્સ લીધાં.
તેમને માલૂમ પડ્યું કે, તેમણે પરીક્ષણ કરેલા પૈકીનાં સાત ટકા પેરાસાઇટ્સ મ્યુટન્ટ હાઇબ્રિડ્ઝ હતાં, જે પ્રમાણ તેમની અપેક્ષા કરતાં વધુ હતું.
તેનો અર્થ એ કે, મ્યુટન્ટ પેરાસાઇટ્સ સફળતાપૂર્વક વધી રહ્યાં છે અને તેમનો પ્રસાર થશે.
મુસાયાએ બીબીસીને જણાવ્યું હતું કે, "જો સંક્રમણની પ્રકૃતિ આગળ વધતા રહેવાની હોય, તો પ્રમાણ ઘણું વધારે છે."
તેમની ટીમે માત્ર ચોક્કસ વિસ્તારોમાં જ પરીક્ષણ કર્યું હોવાથી તથા પરીક્ષણોમાં આ સંક્રમણ હંમેશાં પારખી ન શકાતું હોવાથી આ તો હજુ "આવનારા જોખમનું ટોપકું માત્ર" છે.
ભવિષ્યમાં આ વર્ઝન્સ પેરાસાઇટનાં મૂળ વર્ઝન્સ કરતાં આગળ નીકળી શકે છે, એવી ચેતવણી મુસાયા ઉચ્ચારે છે.
તેઓ કહે છે કે, ચિકિત્સકો હજુ જાણતા નથી કે, હાઇબ્રિડ ધરાવનારાં દર્દીઓની સારવાર કેવી રીતે કરવી, તે જોતાં આ મોટી સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
"અમે નીતિ ઘડનારાઓને જણાવી રહ્યા છીએ, 'ધ્યાન આપો... મોટું સંકટ આવી પડે, તે પહેલાં કંઈક કરવું પડશે.'"
પરીક્ષણોમાં જનનાંગના કેસો ચૂકી જવાયા
અભ્યાસમાં એ પણ માલૂમ પડ્યું હતું કે, હાઇબ્રિડ્ઝ માનવ જનનાંગોને સંક્રમિત કરી રહ્યાં છે, પરંતુ હાઇબ્રિડ સ્નેઇલ ફિવરના કેસનું નિદાન કરવું મુશ્કેલ છે, કારણ કે, માઇક્રોસ્કોપમાં તેમનાં ઈંડાં પરંપરાગત પેરાસાઇટનાં ઈંડાં જેવાં નથી દેખાતાં.
આરોગ્ય તકેદારી કાર્યકરો પણ આ લક્ષણોને સેક્સ્યુઅલી ટ્રાન્સ્મિટેડ ઇન્ફેક્શન માની લેવાની ભૂલ કરી શકે છે.
જો યુરોજેનિટલ સ્કિસ્ટોસોમિયાસિસની સારવાર કરવામાં ન આવે, તો જનનાંગમાં જખમ, વંધ્યત્વ જેવી તકલીફ સર્જાઈ શકે છે અને એચઆઈવીનું જોખમ વધી જાય છે.
મહિલાઓ માટે તેનાં તબીબી, સામાજિક તથા પ્રજોત્પાદન સંબંધિત નકારાત્મક પરિણામો આવી શકે છે.
મુસાયાએ જણાવ્યું હતું કે, "જરા વિચારી જુઓ કે, કોઈ મહિલા ગર્ભવતી થવા અસક્ષમ હોય... આપણા સમાજમાં બાળક હોવું ઘણું જરૂરી છે."
"માતા ન બની શકતી મહિલાને લોકો ટોણા મારતા હોય છે. આથી, આ ખરાબ બીમારી છે."
સ્નેઇલ ફિવર સામે કેમ પ્રગતિ આટલી ધીમી છે
હાઇબ્રિડ પેરાસાઇટ્સ બીમારીને નવા પ્રદેશોમાં સ્વયં પ્રસ્થાપિત થવામાં મદદ કરી શકતા હોવાનું વિજ્ઞાનીઓને જાણવા મળ્યું હતું.
ક્લાઇમેટ ચેન્જ, પ્રવાસીઓ તથા સ્થળાંતર - આ તમામ પરિબળો સ્નેઇલ ફિવરનો પ્રસાર કરવામાં નિમિત્ત બની શકે છે અને હાઇબ્રિડ્ઝને કારણે તેને અંકુશમાં લેવાનું મુશ્કેલ બને છે.
હાઇબ્રિડનો પ્રસાર દક્ષિણ યુરોપના કેટલાક ભાગોમાં નોંધાઈ ચૂક્યો છે.
"આ વૈશ્વિક ચિંતાનો વષય છે," એમ ડબલ્યૂએચઓના સ્કિસ્ટોસોમિયાસિસ નિયંત્રણ કાર્યક્રમની આગેવાની લઈ રહેલા ડૉક્ટર અમાદોઉ ગાર્બા જીર્મેએ જણાવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થા એ બાબતે ચિંતિત છે કે, તેનાથી રોગની નાબૂદીના લક્ષ્યાંકો પ્રભાવિત થઈ શકે છે.
તેઓ જણાવે છે, "એવા દેશો પણ છે, જ્યાં માનવીમાં સંક્રમણ નથી, પણ પેરાસાઇટ પ્રાણીઓમાં મોજૂદ છે અને તે માનવીમાં પ્રસરવાનું જોખમ રહેલું છે."
આ નવા સંકટને ધ્યાનમાં રાખીને ડબલ્યૂએચઓ તેનો અભિગમ બદલી રહ્યું છે.
આ વર્ષે તે પ્રાણીઓમાં આ બીમારીના નિયંત્રણને લઈને નવી માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરશે અને તેણે દેશોને હાઇબ્રિડ્ઝ વિશેની ચેતવણી ધરાવતી આંતરરાષ્ટ્રીય એલર્ટ્સ અગાઉથી જ મોકલી દીધી છે.
વ્યાપક સ્તરના ઍન્ટી-પેરાસિટિક દવાઓના કાર્યક્રમને પગલે 2006 અને 2024ની વચ્ચેના ગાળામાં સ્નેઇલ ફિવરના કેસોમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
પરંતુ, પ્રગતિ સાધવા માટે સાતત્યપૂર્ણ ભંડોળ મળતું રહેવું જરૂરી છે - ડબલ્યૂએચઓના જણાવ્યા અનુસાર, 2018 અને 2023ની વચ્ચે ઉપેક્ષિત રહેલી ઉષ્ણકટિબંધીય બીમારીઓ નિવારવા માટે મળતી સહાયમાં થયેલો 41 ટકાનો ઘટાડો ચિંતાજનક છે.
આ બીમારીને પ્રારંભિક તબક્કે જ અટકાવી શકાશે, એ આશા મુસાયાએ છોડી નથી.
આપણે સંક્રમણને નાબૂદ કરી શકીએ છીએ, પણ આ કોઈ એક વ્યક્તિનું કાર્ય નથી... અમારી વાત કરીએ તો, અમે સક્રિય છીએ.
અમે કહી રહ્યા છીએ, 'આ સમસ્યા છે, ચાલો અત્યારે જ તેનો સામનો કરીએ'."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન