સુપર અલ-નીનો શું છે જેના કારણે આ વર્ષે ગરમી રેકૉર્ડ તોડી શકે છે?

વાંચવાનો સમય: 4 મિનિટ

તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટમાં આગાહી કરવામાં આવી છે કે દુનિયામાં સુપર અલ-નીનોનો ખતરો છે.

સુપર અલ-નીનોના આ ખતરાની અસર ભારતને પણ પડી શકે છે.

યુરોપિયન સેન્ટર ફૉર મીડિયમ-રેન્જ વેધર ફૉરકાસ્ટ (ECMWF) નું અનુમાન છે કે અલ-નીનોની પરિસ્થિતિઓ મે, 2026 સુધીમાં સર્જાઈ શકે છે અને ઑગસ્ટ સુધીમાં તે વધુ મજબૂત થઈ શકે છે.

તેના કારણે વૈશ્વિકસ્તરે હવામાનમાં ફેરફારો થઈ શકે છે.

ભારતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને વૈશ્વિકસ્તરે પણ અલ-નીનોને કારણે તાપમાનમાં મોટો વધારો નોંધાઈ શકે છે.

વેધર ફૉરકાસ્ટના રિપોર્ટમાં શું આગાહી કરવામાં આવી?

ઇસીએમડબલ્યૂએફના 50 સભ્યોના સમૂહે જાહેર કરેલી આગાહી અનુસાર, આવનારા સમયમાં હળવા અલ-નીનોની સંભાવના 98 ટકા છે.

જ્યારે આ રિપોર્ટમાં મજબૂત અલ-નીનોની પરિસ્થિતિ સર્જાવાની સંભાવના 80 ટકા, તથા સુપર અલ-નીનોની પરિસ્થિતિ સર્જાય તેવી સંભાવના 22 ટકા છે એવું કહેવાયું છે.

આ અનુમાનો દર્શાવે છે કે, વૈશ્વિકસ્તરે ક્રિટિકલ નીનો 3.4 ગણાતા ક્ષેત્રમાં જ પ્રશાંત મહાસાગર વધુ ગરમ થઈ રહ્યો છે. આ ક્ષેત્રમાં જે પરિસ્થિતિ હોય છે તે વૈશ્વિક પરિસ્થિતિઓનું તારણ કાઢવામાં મુખ્ય ફૅક્ટર ગણવામાં આવે છે.

સામાન્ય રીતે અલ-નીનોમાં પવનો નબળાં પડી જાય છે, જેના કારણે ગરમ પાણી મધ્ય અને પૂર્વ પ્રશાંત મહાસાગર તરફ ફેલાય છે. તેના કારણે વૈશ્વિક વાતાવરણમાં વિક્ષેપ સર્જાય છે.

સુપર અલ-નીનો સર્જાય તો વાતાવરણમાં વધુ ભયાનક વિક્ષેપ થઈ શકે છે.

અલ-નીનોની સામાન્ય પરિસ્થિતિમાં વૈશ્વિક તાપમાનમાં 0.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થતો હોય છે જ્યારે સુપર અલ-નીનોની પરિસ્થિતિમાં 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધી જતું હોય છે.

ક્લાઇમેટ સાઇન્ટિસ્ટ ઝેક હોઝફાધરે લખ્યું હતું કે, "અલ-નીનોનું આગમન થવા જઈ રહ્યું છે. તેના કારણે વૈશ્વિક તાપમાન ઊંચે જવાનું છે. જોકે, તે વિશ્વના સૌથી ગરમ વર્ષ 2024ના તાપમાનને વટાવી જશે કે નહીં એ સવાલ છે. અનુમાનો એવું કહી રહ્યાં છે કે 2027 સૌથી ગરમ વર્ષ બનવા જઈ રહ્યું છે."

અલ-નીનો શું છે?

અમેરિકન જિયો સાયન્સ અનુસાર અલ-નીનો અને લા-નીના શબ્દનો સંદર્ભ પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનમાં સમય-સમય થનારા ફેરફાર સાથે છે. જેની અસર આખી દુનિયાની મોસમ પર પડે છે.

સરળ રીતે સમજીએ તો અલ-નીનોને કારણે તાપમાનમાં વધારો થાય છે અને લા-નીનાને કારણે તાપમાનમાં ઘટાડો થાય છે.

અલ-નીનોની આ ઘટના ભારતથી હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં થાય છે. દક્ષિણ અમેરિકાના દેશ પેરુના દરિયાકિનારે દરિયાની સપાટી પર ગરમ પાણી આવવાનું શરૂ થાય એટલે અલ-નીનોની સ્થિતિ પેદા થાય છે.

સમુદ્રના તાપમાન અને વાયુમંડલની પરિસ્થિતિમાં થનારા ફેરફારથી સર્જાતી આ ઘટનાને અલ-નીનો કહે છે. આ ફેરફારને કારણે સમુદ્રના તાપમાનમાં સામાન્ય કરતાં ઘણો વધારો થાય છે. 4થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. જેના કારણે દુનિયાભરના હવામાન પર તેની અસર જોવા મળે છે. ખાસ કરીને ભારત, વિયેતનામ અને ઑસ્ટ્રેલિયામાં સહિતના દેશોના ચોમાસામાં ફેરફાર આવે છે.

ભારતમાં ચોમાસા પર પણ અસર પડી શકે

અલ-નીનો જળવાયુમાં થનારાં પરિવર્તનનો એક હિસ્સો છે અને તે મોસમ પર ખૂબ ઊંડો પ્રભાવ પાડે છે. ભારતના ચોમાસા પર તેની અવળી અસર થાય છે.

અલ-નીનોની સીધી અસર ભારતના દક્ષિણ-પશ્ચિમના ચોમાસા પર થાય છે, જેમાં દરિયાનું ગરમ પાણી પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાંથી હઠીને પૂર્વ પૅસિફિક મહાસાગરમાં જતું રહે છે. જેના કારણે ભારતમાં ચોમાસામાં થનારા વરસાદમાં ઘટ પડે છે. એટલે કે જૂનથી સપ્ટેમ્બર સુધીનો સરેરાશ વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની શક્યતા હોય છે.

આવી સ્થિતિમાં સુપર અલ-નીનોને કારણે સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે આંકડા દર્શાવે છે કે જ્યારે અલ-નીનોની સ્થિતિ હોય છે ત્યારે ભારતમાં દુકાળ પડવાની 60 ટકા જેટલી સંભાવના હોય છે. જ્યારે 30 ટકા ઓછો વરસાદ તથા 10 ટકા સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે.

સરળ રીતે સમજીએ તો અલ-નીનોની સ્થિતિમાં ભારતના ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ઓછો થવાની શક્યતા રહેલી હોય છે. જો ઉનાળામાં જ અલ-નીનોની સ્થિતિ શરૂ થઈ જાય તો ભારતમાં ઓછો વરસાદ થવાની સંભાવના વધી જાય છે.

જોકે, અલ-નીનોને કારણે જ ભારતમાં વરસાદ ઓછો થઈ જશે તેવું નથી, તેના માટે બીજાં પરિબળો પણ કામ કરે છે. અલ-નીનો બને છતાં ભારતમાં ચોમાસું સામાન્ય રહી શકે છે. ઇન્ડિયન ઑશન ડાયપૉલની સ્થિતિ જો અનુકૂળ હોય તો તે અલ-નીનોની સ્થિતિને ખાળી શકે છે.

1997માં મજબૂત અલ-નીનોની સ્થિતિ હતી પરંતુ ભારતમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થયો હતો. જોકે, આવી ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન