ઈરાને અમેરિકાનાં સૈન્ય ઠેકાણાં અને ઇઝરાયલ પર કરેલા હુમલા પછી કેવાં દૃશ્યો સર્જાયાં, જુઓ તસવીરો

વાંચવાનો સમય: 5 મિનિટ

ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા પછી ભારે અસ્થિરતા પેદા થઈ છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઈ માર્યા ગયા છે જેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

ઈરાનના સરકારી ટીવી ચૅનલના પ્રેઝન્ટરે રડતા રડતા આ સમાચાર આપીને કહ્યું કે ઈરાનમાં 40 દિવસનો શોક પાળવામાં આવશે.

ઈરાન અને અમેરિકા વચ્ચે અણુકાર્યક્રમ અંગે ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન એવું શું થયું કે અચાનક જ અમેરિકા અને ઇઝરાયલે તેના પર હુમલો કરી દીધો. વળતા પ્રહારમાં ઈરાને પણ ખાડીના દેશોમાં અમેરિકાનાં ઠેકાણાં અને ઇઝરાયલ પર મિસાઇલથી હુમલો કર્યો હતો.

આ દરમિયાન રાજધાની તહેરાનમાં અનેક ઇમારતોને નિશાન બનાવવામાં આવી છે. ઈરાને પણ ઇઝરાયલ અને બીજા કેટલાક દેશોના શહેરો પર મિસાઇલ હુમલા કર્યા છે જેમાં દુબઈ પણ સામેલ છે.

મધ્ય પૂર્વમાં અત્યારે કેવી સ્થિતિ છે તે આ તસવીરો પરથી જાણી શકાય છે.

ઈરાની સરકારી ટીવી પ્રેઝન્ટરે જણાવ્યું કે ખામેનેઈનું તેમની ઑફિસમાં મૃત્યુ થયું છે, જ્યારે તેઓ "પોતાના કામકાજમાં વ્યસ્ત હતા."

હવે ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉરના એક નિવેદનમાં જણાવાયું છે કે તેઓ અમેરિકન લશ્કરી મથકો અને ઇઝરાયલ પર હુમલા કરશે.

દરમિયાન ઈરાનની રાજધાની તહેરાન અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છે. લોકો પોતાનાં વાહનો લઈને ઉત્તર દિશા તરફ પલાયન કરી રહ્યા છે.

ખામેનેઈના મોતના અહેવાલ પછી કેટલીક જગ્યાએ તેની ઉજવણી થઈ રહી છે જ્યારે અમુક વિસ્તારમાં લોકો શોક મનાવી રહ્યા છે.

દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે "ઈરાન જો અમેરિકાના સાથી દેશો પર હુમલો કરશે તો તેની સામે અત્યાર સુધીમાં ક્યારેય જોવા મળ્યું હોય તેવા બળનો ઉપયોગ કરવામાં આવશે."

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર આ પ્રકારની ચેતવણી આપતી પોસ્ટ મૂકી છે.

અમેરિકા અને ઇઝરાયલના સૈન્ય હુમલામાં ઈરાનના ટોચના કમાન્ડરોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.

સત્તાવાર આઈઆરએનએ ન્યૂઝ એજન્સીએ જાહેરાત કરી છે કે ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડના કમાન્ડર-ઇન-ચીફ મોહમ્મદ પાકપોર અને ઈરાન ડિફેન્સ કાઉન્સિલના સેક્રેટરી અલી શામખાની પણ હુમલામાં માર્યા ગયા છે.

ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉરના નિવેદનમાં જણાવાયું છે કે, "ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાનની આર્મ્ડ ફોર્સના ઇતિહાસનો સૌથી ખતરનાક હુમલો કેટલીક ક્ષણોમાં કબજા ધરાવતા વિસ્તાર અને અમેરિકાનાં આતંકવાદી સંસ્થાનો પર શરૂ થશે."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર લખ્યું છે કે, "આ ઈરાનના લોકો માટે પોતાના દેશમાં પરત આવવાની સૌથી મોટી તક છે. અમે સાંભળ્યું છે કે તેમના ઘણા આઈઆરજીસી, સૈન્ય અધિકારીઓ તથા સુરક્ષા તથા પોલીસદળ હવે લડવા નથી માગતા. તેઓ અમારી પાસે સુરક્ષા માગે છે. જેવું કે કાલે રાત્રે મેં કહ્યું હતું- હજુ તેઓ સુરક્ષા મેળવી શકે છે, પરંતુ બાદમાં તેમને માત્ર મોત જ મળશે."

ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર સાથે સંકળાયેલી ફાર્સ ન્યૂઝ એજન્સીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે અમેરિકાના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલી ખામેનેઈનાં પુત્રી, જમાઈ અને દોહિત્રીનાં મોત નીપજ્યાં છે.

ફાર્સે એમ પણ જણાવ્યું કે "કહેવામાં આવે છે કે આ હુમલામાં ખામેનેઈનાં એક પુત્રવધૂનું પણ મોત થયું છે."

ઈરાને જાહેરાત કરી છે કે તેના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના મોતના પગલે હવે રાષ્ટ્રપતિ અને બીજા બે લોકો દેશનો વહીવટ સંભાળશે.

નાગરિક અધિકાર જૂથોના કહેવા પ્રમાણે ઈરાનમાં 130થી વધારે લોકો માર્યા ગયા છે.

ઈરાનના અંતિમ શાહના નિર્વાસિત પુત્ર રઝા પહલવીએ ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલી ખામેનેઈના મોતના દાવાને આવકાર્યો છે.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "હજારો ઈરાનવાસીઓને મારનાર ખામેનેઈ હવે ઇતિહાસનો હિસ્સો બની ગયા છે."

પહલવીએ કહ્યું કે "તેમના મોતની સાથે ઇસ્લામિક રિપબ્લિકનો પ્રભાવ ખતમ થઈ ગયો છે."

ખામેનેઈના મૃત્યુના સમાચાર બાદ તેહરાનમાં લોકો શોક વ્યક્ત કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. કેટલાકના હાથમાં ખામેનેઈની તસવીરો હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન