You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખામેનેઈ અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં માર્યા ગયા, ઈરાને આપી ચેતવણી, ટ્રમ્પે શું કહ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થઈ ગયું છે.
ઈરાનના સરકારી ટીવીએ પુષ્ટિ કરી છે કે આયતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું છે.
સરકારી પ્રેઝન્ટરે રડતાં ખામેનેઈના મોતની ઘોષણા કરી અને જણાવ્યું કે દેશમાં 40 દિવસનો શોક પાળવામાં આવશે.
શનિવારે અમેરિકા અને ઇઝરાયલે ઈરાનનાં શહેરો પર હુમલા કર્યા હતા અને રવિવારે સવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ખામેનેઈના મોતને લઈને દાવો કર્યો હતો.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું, "ઇતિહાસના સૌથી ખરાબ લોકોમાંથી એક ખામેનેઈ હવે માર્યા ગયા છે."
અમેરિકામાં બીબીસીના ન્યૂઝ પાર્ટનર સીબીએસે સૂત્રોના હવાલેથી સમાચાર આપ્યા ચે કે હુમલામાં લગભગ 40 ઈરાની અધિકારીઓ માર્યા ગયા છે.
ઇઝરાયલે કહ્યું છે કે તેણે ઘણા વરિષ્ઠ અધિકારીઓને મારી નાખ્યા છે. જેમાં ઇસ્લામિક રિવૉલ્યૂશન ગાર્ડ કૉરના પ્રમુખ પણ સામેલ છે.
રિવૉલ્યુશનરી ગાર્ડ કૉરની ચેતવણી, ટ્રમ્પનો વળતો પ્રહાર
સરકારી ટીવી ચૅનલો પર પ્રેઝન્ટર્સ દ્વારા વાંચવામાં આવેલાં નિવેદનોથી ખબર પડી રહી છે કે ઈરાની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલનું કહેવું છે કે આયતુલ્લાહ અલી ખામેનેઈનું શનિવારે મોડી રાત્રે તેમની ઑફિસમાં મૃત્યુ થયું છે. ત્યારે તેઓ "પોતાના કામકાજમાં વ્યક્ત હતા."
બીબીસી વૅરિફાઈએ સેટેલાઇટ તસવીરોનો ઉપયોગ કરીને પુષ્ટિ કરી છે કે તહેરાનમાં ખામેનેઈની ઑફિસ લીડરશિપ હાઉસ કમ્પાઉન્ડના ઘણા ભાગોને નુકસાન પહોંચ્યું છે.
ઈરાનની ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કોર (આઈઆરજીસી) સાથે જોડાયેલી તસનીમ ન્યૂઝ એજન્સીએ કહ્યું છે કે ખામેનેઈનું તેમની ઑફિસમાં મોત થવું એ વાતની પુષ્ટિ છે કે તેમની ક્યાંક છુપાવાની ખબર 'દુશ્મનોનું મનોવૈજ્ઞાનિક યુદ્ધ'નો ભાગ હતી.
હવે ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉરનું નિવેદન બહાર આવ્યું છે. જેમાં તેણે ચેતવણી આપી છે કે તેઓ અમેરિકાનાં સ્થાનો અને ઇઝરાયલ પર હુમલો ચાલુ રાખશે.
આ નિવેદનમાં કહેવાયું છે કે "ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાનની આર્મ્ડ ફોર્સના ઇતિહાસનો સૌથી ખતરનાક હુમલો કેટલીક ક્ષણોમાં કબજા ધરાવતા વિસ્તાર અને અમેરિકાનાં આતંકવાદી સંસ્થાનો પર શરૂ થશે."
આઈઆરજીસીની ચેતવણી બાદ ટ્રમ્પે શું કહ્યું?
આઈઆરજીસીએ અમેરિકા અને ઇઝરાયલને આપેલી ચેતવણી બાદ ટ્રમ્પે તેનો જવાબ આપ્યો. ટ્રમ્પે કહ્યું કે જો આમ થયું તો અમેરિકા પલટવાર કરશે.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "ઈરાને હમણા કહ્યું છે કે તેઓ આજે જોરદાર હુમલો કરશે. એટલો જોરદાર કે પહેલા ક્યારેય ન કર્યો હોય. પરંતુ સારું રહેશે કે તેઓ આમ ન કરે. કારણકે જો તેઓ આમ કરશે, તો અમે તેમના પર એવો હુમલો કરીશું કે તે પહેલાં ક્યારેય નહીં જોયો હોય."
ટ્રમ્પે વધુમાં શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પ્લૅટફૉર્મ પર લખ્યું, "ખામેનેઈ, જે ઇતિહાસના સૌથી ખરાબ લોકો પૈકી એક હતા, હવે માર્યા ગયા છે. આ માત્ર ઈરાનના લોકો માટે જ ન્યાય નથી, પરંતુ તે મહાન અમેરિકાના અને દુનિયાના લોકો માટે પણ ન્યાય છે, જેમણે ખામેનેઈ તથા તેમની ખૂની લોકોને મારી નાખ્યા અને ઘાયલ કરી નાખ્યા."
"તેઓ આપણી ગુપ્તચર અને અત્યાધુનિક ટ્રૅકિંગ પ્રણાલીઓથી ન બચી શક્યા, અને ઇઝરાયલ સાથે મળીને કરવામાં આવેલા અભિયાનમાં, ન તો તેઓ કે પછી ન તેમની સાથે માર્યા ગયેલા નેતા કંઈક કરી શક્યા."
"આ ઈરાનના લોકો માટે પોતાના દેશમાં પરત આવવાની સૌથી મોટી તક છે. અમે સાંભળ્યું છે કે તેમના ઘણા આઈઆરજીસી, સૈન્ય અધિકારીઓ તથા સુરક્ષા તથા પોલીસદળ હવે લડવા નથી માગતા. તેઓ અમારી પાસે સુરક્ષા માગે છે. જેવું કે કાલે રાત્રે મેં કહ્યું હતું- હજુ તેઓ સુરક્ષા મેળવી શકે છે, પરંતુ બાદમાં તેમને માત્ર મોત જ મળશે."
"આશા છે કે આઈઆરજીસી તથા પોલીસ શાંતિપૂર્વક ઈરાનના દેશભક્તો સાથે મળી જશે અને એક સંગઠનની માફક દેશને તે મહાનતા તરફ પરત લઈ જશે, જે માટે તેઓ લાયક છે. આ પ્રક્રિયા જલદી જ શરૂ થવી જોઈએ. કારણકે માત્ર ખામેનેઈનું મોત જ નહીં પરંતુ દેશ એક જ દિવસમાં ઘણો બર્બાદ થઈ ચૂક્યો છે, એટલે સુધી કે લગભગ સમાપ્ત થઈ ચૂક્યો છે."
"જોકે, ભારે અને સટીક બૉમ્બમારો, સપ્તાહ સુધી કે પછી જેટલો જરૂર હોય ત્યાં સુધી, ચાલુ રહેશે. જેથી અમે આખા મધ્યપૂર્વમાં વાસ્તવમાં દુનિયામાં શાંતિ માટે પોતાનું લક્ષ્ય હાંસલ કરી શકીએ."
ત્યાં ખામેનેઈના મોત સાથે જોડાયેલા દાવા બાદ ઈરાનના કરાજ શહેરમાં કથિત રીતે ઉત્સવ મનાવાતો જોવા મળ્યો.
એક સોશિયલ મીડિયા વીડિયો, જેને ઍક્સ પર શૅર કરવામાં આવ્યો હતો. તેને બીબીસી પર્શિયને સત્યાપિત પણ કર્યો છે.
આ વીડિયોમાં કેટલાક ઈરાનીઓને કરાજમાં ઈરાનના સુપ્રીમ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના મોતના સમાચાર બાદ જશ્ન મનાવતા જોવા મળ્યા. જોકે આ બધુ ડોનાલ્ડ ટ્રમ્પના સોશિયલ મીડિયા પર પોસ્ટ થવા પહેલાં થયું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન