You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આરુષી કેસ : 7 વાતો, જ્યાં સીબીઆઈની ભૂલ થઈ?
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
વર્ષ 2008ના આરુષી-હેમરાજ હત્યાકાંડમાં કોર્ટે તે કિશોરીના માતા-પિતા નૂપુર અને રાજેશ તલવારને દોષી ઠેરવ્યા હતા પરંતુ ઘણાં લોકો માટે આ હત્યા હજુ પણ એક કોયડા સમાન છે
16 મે, 2008ના રોજ દિલ્હી નજીકના નોઈડામાં એક ઘરમાં 14 વર્ષીય આરુષીનો મૃતદેહ મળ્યો હતો.
પછીના દિવસે તે ઘરના નોકર હેમરાજનો મૃતદેહ ઘરની છત પરથી મળ્યો હતો.
ઉત્તર પ્રદેશ પોલીસે શરૂઆતમાં આ કેસ ઉકેલી લીધો હોવાનો દાવો કર્યો અને રાજેશ તલવારના અન્ય નોકરોને શંકાસ્પદ માન્યા હતા.
તમને આ પણ વાંચવું ગમશે
બાદમાં પોલીસે કહ્યું હતું કે રાજેશ તલવારે આરુષી અને હેમરાજને કથિત શંકાસ્પદ અવસ્થામાં જોયા અને ગુસ્સામાં આવી બંનેની હત્યા કરી.
બાદમાં આ કેસ સીબીઆઈ પાસે પહોંચ્યો હતો.
16 નવેમ્બર, 2013ના રોજ સીબીઆઈની અદાલતે તલવાર દંપતીને દોષી ઠેરવ્યું. પરંતુ તલવાર દંપતી તમામ આરોપો નકારી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પત્રકાર અવિરૂક સેને 'આરૂષી' નામનું પુસ્તક લખ્યું છે. પુસ્તકમાં અવિરૂક સેને સીબીઆઈની તપાસ પ્રક્રિયા પર કેટલાક સવાલ ઉઠાવ્યા છે અને તલવાર દંપતીનો બચાવ કર્યો છે.
પુસ્તકમાં જણાવાવમાં આવેલી સીબીઆઈની સાત ભૂલ નીચે મુજબ છે.
1. "અવશેષો સાથેચેડાં થયા હતા"
પુસ્તકમાં જણાવાયું છે કે સીબીઆઈએ ઘટનાસ્થળ પરથી જે અવશેષો એકત્ર કરી ફોરેન્સિક લેબમાં મોકલ્યા તેમાં કથિત રીતે ચેડાં કરવામાં આવ્યા છે.
અદાલતની મંજૂરી વિના કેટલાંક પુરાવાને બંધ કવરમાંથી બહાર કાઢવામાં આવ્યા અને તેની તસવીરો ખેંચવામાં આવી.
પુસ્તકનો દાવો છે કે ઘટનાસ્થળની તસવીરો સાથે છેડછાડ કરવામાં આવી છે.
સેન કહે છે કે હૈદરાબાદના 'સેન્ટર ફૉર ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એન્ડ ડાયાગ્નોસ્ટિક લેબ'ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તલવાર દંપતીના ઘરથી થોડે દૂર આવેલી કૃષ્ણાની પથારી પર હેમરાજનું લોહી જોવા મળ્યું હતું.
પરંતુ તપાસ અધિકારીઓએ આ બાબત ધ્યાનમાં નહોતી લીધી.
2. "ઘરમાં બહારની વ્યક્તિ પ્રવેશી હતી?"
અવિરૂકના કહેવા પ્રમાણે જો રિપોર્ટને ધ્યાનથી વાંચવામાં આવ્યો હોત તો તલવાર દંપતીના એ નિવેદનને સમર્થન મળે છે કે ઘરમાં કોઈ બહારની વ્યક્તિ પ્રવેશી હતી.
અવિરૂક કહે છે કે સીબીઆઈના એક અધિકારી ધનકરે વર્ષ 2008માં લેબને પત્ર લખી કહ્યું હતું કે હેમરાજનું ઓશિકું અને ચાદર, જેના પર લોહી હતું તે આરુષીના રૂમમાંથી મળ્યા હતા.
તો આ વાતથી વિરૂદ્ધ સીબીઆઈએ સુપ્રીમ કોર્ટ, અલાહાબાદ હાઈકોર્ટ અને તેમના ક્લોઝર રિપોર્ટમાં પણ એ કહ્યું કે આ સામાન હેમરાજના રૂમમાંથી મળ્યો.
પરંતુ સીબીઆઈની કોર્ટમાં આપવામાં આવેલા નિવેદનને અવગણી સીબીઆઈ અધિકારી ધનકરની ખોટી ચીઠ્ઠી પર ભરોસો કરવામાં આવ્યો હતો.
અવિરૂક કહે છે કે સીબીઆઈ અધિકારીની ચીઠ્ઠીથી એ વાતને સમર્થન મળે છે કે હેમરાજ તેમની પથારી, ઓશિકાં અને સાથે આરુષીના રૂમમાં ઉપસ્થિત હતો અને આરૂષીએ તેને પોતાના રૂમમાં આવવા દીધો હતો.
તેના કારણે તલવાર દંપતીની એ દલીલને ધક્કો મળ્યો કે આરુષીની હત્યામાં બહારની કોઈ વ્યક્તિનો હાથ હતો અને ઑનર કિલિંગની દલીલને મજબૂતી મળી.
3. "બે ગોલ્ફ સ્ટિક રજૂ કરવામાં આવી"
પુસ્તકની વિગતો અનુસાર સીબીઆઈનું કહેવું હતું કે રાજેશ તલવારે આરુષીની હત્યા એક ગૉલ્ફ સ્ટિકથી કરી હતી.
જેને બાદમાં કથિત રીતે બરોબર રીતે સાફ કરવામાં આવી હતી પરંતુ અદાલતની સુનાવણી દરમિયાન બીજી ગૉલ્ફ સ્ટિક રજૂ કરવામાં આવી હતી.
અવિરૂક સવાલ ઉઠાવે છે કે પ્રોસિક્યુશન કેસ દરમિયાન બે ગૉલ્ફ સ્ટિક કેવી રીતે રજૂ કરી શકે છે?
સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે આરુષીનું ગળું ઑપરેશનમાં અથવા ડેન્ટિસ્ટ દ્વારા ઉપયોગમાં લેવતા ચપ્પુ દ્વારા કાપવામાં આવ્યું હતું.
પરંતુ સીબીઆઈએ ક્યારેય તલવાર દંપતીને ત્યાંથી આ પ્રકારનું ચપ્પુ જપ્ત નથી કર્યું અને ફોરેન્સિક લેબમાં પણ આવું ચપ્પુ નથી મોકલવામાં આવ્યું.
ઉપરાંત એ વાતની તપાસ પણ નથી કરવામાં આવી કે આ પ્રકારના ચપ્પુથી હત્યા થઈ શકે તેમ છે કે નહીં ?
સેનનું કહેવું છે કે, સીબીઆઈ કૉર્ટમાં તપાસ અધિકારીની વાતને પ્રાથમિકતા આપવામાં આવી જેને ફૉરેન્સિક તપાસ વિશે જાણ નહોતી.
4. "સરકારી ઈ-મેઈલ એેડ્રેસનો ઉપયોગ કેમ નહીં?"
પુસ્તક અનુસાર, સીબીઆઈએ તલવાર દંપતીના સંપર્ક માટે, તેમને ઑફિસ બોલાવવા માટે તેમજ જાણકારી મેળવવા માટે hemraj.jalvayuvhiar@gmail.com આઈડીનો ઉપયોગ કર્યો હતો.
સેન જણાવે છે આ ઈ-મેઈલ આઈડી પર સીબીઆઈના મોટા અધિકારીઓને પણ કૉપી કરવામાં આવતા હતા.
તેઓ સવાલ ઉઠાવે છે કે સીબીઆઈ અધિકારીઓએ સરકારી ઈ-મેઈલ એડ્રેસના ઉપયોગની જગ્યાએ હેમરાજના નામના ઈ-મેઈલનો ઉપયોગ કેમ કર્યો ?
5. "અન્ય એક નોકરનું નિવેદન સવાલો ઊભા કરે છે"
પુસ્તક અનુસાર તલવાર દંપતીના ઘરમાં કામ કરનારી ભારતી મંડલનું નિવેદન પણ ઘણા સવાલ ઊભા કરે છે.
દસ્તાવેજો પ્રમાણે, ભારતીએ અદાલતમાં કહ્યું કે, “તેને જે સમજાવવામાં આવ્યું હતું તે જ નિવેદન તે આપી રહી છે.”
અવિરૂક કહે છે કે મૂંઝવી દેનારા પ્રશ્નો વચ્ચે અદાલતમાં જ્યારે ભારતી મંડલને પૂછવામાં આવ્યું કે શું ભારતીએ તલવાર દંપતીના ઘરના બહારના દરવાજાને ખોલવાની કોશિશ કરી હતી?
ભારતી મંડલે કહ્યું હતું કે, હા તેણે દરવાજાને સ્પર્શ કર્યો હતો.
પુસ્તકમાં કહ્યા અનુસાર અદાલતમાં આ વાતનો અર્થ કાઢવામાં આવ્યો કે ભારતીએ દરવાજાને બહારથી ખોલવાની કોશિશ કરી હતી કારણ કે દરવાજો અંદરથી બંધ હતો.
જો દરવાજો અંદરથી બંધ હતો તો બહારથી કોઈ આવ્યું નથી અને ઘરમાં તલવાર દંપતી સિવાય કોઈ નહોતું,
અવિરૂક સાથેની વાતચીતમાં મંડલે કહ્યું, 'મેં તે દિવસે તે જ કર્યું જે હું અન્ય ઘરોમાં કરું છું.'
ભારતીએ કહ્યું કે, તેમણે બેલ વગાડી અને દરવાજો ખુલવાની રાહ જોઈ હતી.
દરવાજાને હાથ પણ ન અડાડ્યો અને દરવાજો ખોલવાની કોશિશ પણ ન કરી કારણ કે તમે આવી રીતે કોઈના ઘરમાં ઘૂસી ન શકો.
6. "આરુષીના રૂમમાં પ્રવેશવા અન્ય કોઈ દરવાજો હતો?"
જો આરુષીએ દરવાજો નહોતો ખોલ્યો તો મુખ્ય દરવાજા સિવાય પણ અન્ય કોઈ દરવાજા દ્વારા તેના રૂમમાં પ્રવેશ થઈ શકતો હતો?
પુસ્તક પ્રમાણે આરુષીના રૂમમાં પ્રવેશવા માટે અન્ય એક રસ્તો હોવાની શક્યતા હતી, જેના પર તપાસ અધિકારીઓએ ધ્યાન દેવાની જરૂર હતી.
ઘરમાં આરુષીના રૂમ પહેલા એક ગેસ્ટ ટોઈલેટ આવતું હતું, જે આરૂષીના રૂમના ટોઈલેટ તરફ ખુલતું હતું.
બંને ટોઈલેટ વચ્ચે એક દરવાજો હતો જેને ગેસ્ટ ટોઈલેટની બાજુથી ખોલી શકાતો હતો.
7. "દંપતીના પક્ષને મજબૂત કરી શકનારા સાક્ષી રજૂ ન કરાયા"
પુસ્તક અનુસાર સીબીઆઈએ તે સાક્ષીઓને રજૂ નથી કર્યા જેમની જુબાની તલવાર દંપતીના પક્ષને મજબૂત કરી શકતી હતી.
સેનના કહેવા પ્રમાણે સીબીઆઈએ 141 સાક્ષીઓની યાદી બનાવી હતી પરંતુ માત્ર 39 સાક્ષીઓને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.
સેને તેમના પુસ્તકમાં તલવાર પરિવારના અંગત મિત્ર અને આંખોના ડૉક્ટર સુશીલ ચૌધરીનું ઉદાહરણ આપે છે.
આરુષી મામલામાં સાક્ષી એક પૂર્વ પોલીસકર્મી કે.કે. ગૌતમે કહ્યું હતું કે તેમને ડૉક્ટર સુશીલ ચૌધરીએ ફૉન કરી કહ્યું હતું કે, શું તેઓ આરુષીના પોસ્ટમૉર્ટમ રિપોર્ટના કામને ઝડપી બનાવવામાં મદદ કરી શકે છે?
કેકે ગૌતમનો દાવો હતો કે ડૉક્ટર ચૌધરીએ તેમને એ પણ કહ્યું હતું કે તેઓ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાંથી 'બળાત્કાર' શબ્દ હટાવી દે. સુશીલ ચૌધરી આ વાત નકારે છે.
સેનના કહેવા પ્રમાણે સીબીઆઈએ સુપ્રીમ કૉર્ટમાં કહ્યું કે તેમના માટે ડૉક્ટર ચૌધરીની સાક્ષી એટલા માટે મહત્વની છે કે જો તલવાર દંપતીને જામીન આપવામાં આવે તો તેઓ ડૉક્ટર ચૌધરીને પ્રભાવિત કરી શકે છે.
સુપ્રીમ કૉર્ટે સીબીઆઈને એક મહિનાનો સમય આપ્યો હતો પરંતુ સીબીઆઈએ સુશીલ ચૌધરીને નિવેદન માટે ન બોલાવ્યા.
પુસ્તક પ્રમાણે ડૉક્ટર ચૌધરીનું નિવેદન તલવાર દંપતી માટે મહત્વપૂર્ણ થઈ સાબિત થઈ શક્યું હોત.
'દરેક મુદ્દે દલીલ થઈ'
આરુષી કેસમાં સીબીઆઈના વકીલ આર.કે. સૈનીએ સીબીઆઈ પરના આરોપો બાબતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે તેમણે 'આરુષી' પુસ્તક નથી વાંચ્યુ, પરંતુ આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ દલીલ થઈ ચૂકી છે.
આર.કે.સૈની કહે છે, "આ પુસ્તમાં કોઈ નવી વાત નથી. અવિરૂક સેન તલવાર દંપતીના મીડિયા મેનેજર છે. તેઓ નિષ્પક્ષ લેખક નથી."
"સીબીઆઈએ જે રીતે કેસને સંભાળ્યો હતો, તેનું મૂલ્યાંકન કરવા માટે અદાલતો છે. આ લોકો (તલવાર દંપતી) 30-40 વાર ઉચ્ચ અદાલતોમાં ગયા છે."
"દરેક વાક્ય, દરેક પોઈન્ટ, કૉમા, ફુલ સ્ટૉપ માટે પણ તે લોકો હાઈકૉર્ટ અને સુપ્રીમ કૉર્ટમાં ગયા છે."
પુસ્તકમાં આર.કે. સૈની પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ આરુષી અને હેમરાજના સંબંધો વિશે અદાલતમાં બૂમ પાડી હતી કે લખો 'સંભોગ, સંભોગ'
આ મુદ્દે સૈની કહે છે કે અદાલતની કામગીરી કાયદા પ્રમાણે હોય છે, ઉશ્કેરવા પર નહીં.
અદાલતો બધી રીતે નજર રાખે છે. ઓશિકા મુદ્દે પણ તેઓ હાઈકૉર્ટ અને સુપ્રીમ કૉર્ટમાં ગયા હતા પરંતુ તેમને રાહત મળી ન હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો