You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કિસાન મુક્તિ માર્ચ : દિલ્હીમાં ખેડૂતોની પલટન, રાજધાનીમાં 'ધ્રુજારી'
કૃષિ સંબંધિત સમસ્યાઓને લઈને દેશભરના ખેડૂતો ગુરુવાર રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં એકઠા થયા બાદ શુક્રવારે સરકારના કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવા સંસદ સુધી માર્ચ કરી રહ્યા છે.
ખેડૂતોની માગ છે કે સંસદ ખાસ સત્ર બોલાવે અને ખેડૂતોનાં કરજ તેમજ પાકના પડતર ખર્ચ અંગેના બે 'પ્રાઇવૅટ મૅમ્બર્સ બિલ' પસાર કરવામાં આવે.
'લાઠી ગોલી ખાયેંગે, ફિર ભી આગે જાયેંગે', 'મોદી સરકાર હોશ મેં આઓ' જેવા સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરતા આ ખેડૂતો દેશઆખામાંથી દિલ્હી પહોંચ્યા છે.
ખેડૂત નેતાઓનું કહેવું છે કે દિલ્હીમાં એકઠા થયેલા ખેડૂતો આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી અહીં પહોંચ્યા છે.
'કિસાન મુક્તિ માર્ચ'નું આયોજન 'ઑલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ'એ કર્યું છે, જેમાં 200થી વધુ ખેડૂત સંગઠનો સામેલ છે.'
ગુજરાતી ખેડૂતની વ્યથા
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં રહેતા અને સજીવ ખેતી કરતા ખેડૂત અશોક કામઠ પણ 'કિસાન મુક્તિ માર્ચ'માં દિલ્હી પહોંચ્યા છે.
બીબીસી ગુજરાતીને તેમણે કહ્યું, "આ વર્ષે અમારા વિસ્તારોમાં પૂરતો વરસાદ પડ્યો નથી એટલા માટે જોઈએ તેવો પાક નથી લઈ શકાયો.''
તેમણે કહ્યું, ''ખેડૂતોને વીમાની રકમ મળવી જોઈએ, જેથી તે પોતાનું ગુજરાન ચલાવી શકે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના મતે સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવ પણ ખેડૂતોને મળતા નથી.
કામઠના મતે ભાવનગરમાં સજીવ ખેતીનું કોઈ બજાર નથી પરંતુ જો સરકાર આ અંગે કોઈ પગલાં ભરે તો ખેડૂતોને લાભ થઈ શકે.
ભાવનગરના કૂડા ગામમાંથી આવેલા રાજુભાઈ નામના ખેડૂતે પોતાની સમસ્યા બીબીસીને જણાવી.
રાજુભાઈએ કહ્યું, ''છેલ્લાં બે ત્રણ વર્ષથી પૂરતો વરસાદ નથી પડ્યો. ખેતરમાં પાણી નથી. પૂરતી નીપજ મળતી નથી.''તેમના મતે બધુ સમુ પાર ઊતરે તો ખેડૂતને બજારમાંથી પૂરતા ભાવ નથી મળતા.
રાજુભાઈએ પણ ટેકાના યોગ્ય ભાવ મળે એવી પોતાની માગ રજૂ કરી કરી.
કૃષિ-સંકટનો મોટો મુદ્દો
ખેડૂતોની મદદ માટે રામલીલા મેદાન પાસે કેટલાય યુવા ડૉક્ટરો પહોંચ્યા છે, જે જરૂરી સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડી રહ્યા છે.
આ તરફ કેટલાય સ્વયં સેવકો પણ પાણી અને ભોજન લઈને રામલીલા મેદાન પહોંચી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ લોકોને અપીલ કરાઈ રહી છે કે તેઓ ઘરમાંથી બહાર નીકળે અને ખેડૂતોનું સમર્થન કરે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મીડિયા સંયોજનક વિકાસ યોગીએ ખેડૂતોની માર્ચ સંબંધિત અપીલ સોશિયલ મીડિયા પર શૅર કરી છે.
આ અપીલમાં કહેવાયું છે કે ''અમે તમામ વસ્તુઓ મોંઘી ખરીદીએ છીએ અને સસ્તી વેચીએ છીએ. અમારો જીવ પણ સસ્તો છે. ગત વીસ વર્ષોમાં ત્રણ લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.''
ખેડૂતોએ અને ખેતમજૂરોને રાજધાનીમાં બેઠેલા શાસકોને જગાવવા માટે છેલ્લા કેટલાક મહિના દરમિયાન ત્રીજી વખત દિલ્હી સુધી લાંબા થવું પડ્યું છે.
ખેડૂતોની રાવ છે કે દર વર્ષે પડતર કિંમતો વધે છે પણ તેમને પાકની યોગ્ય કિંમત મળતી નથી.
ખેતીમાં વધી રહેલા ખર્ચા અને પાકની પડતર કિંમત કરતાં પણ મળતો ઓછો ભાવ ભારતના કૃષિ-સંકટનો મોટો મુદ્દો છે.
20 વર્ષમાં ત્રણ લાખથી વધુ ખેડૂતોની આત્મહત્યા
આ સ્થિતિ ખેડૂતને પહેલાં તો દેવાદાર બનાવે છે અને વર્ષોવર્ષ ચાલતી આવી જ પરિસ્થિતિ તેને આત્મહત્યા કરવા મજબૂર કરે છે.
સરકારી આંકડાઓ અનુસાર 1995થી 2015 વચ્ચે એટલે કે છેલ્લાં 20 વર્ષોમાં ત્રણ લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
ખેડૂત સંગઠનોનું કહેવું છે કે આ સંખ્યા 'તો માત્ર પોલીસના ચોપડે નોંધાયેલા કિસ્સાઓ' જ છે.
કેટલાય અંતરીયાળ વિસ્તારોમાં તો આત્મહત્યાના કિસ્સા નોંધાતા પણ નથી.
આમ છતાં કેટલાય રાજ્યોની સરકારોએ વર્ષ 2011થી પોતાના વિસ્તારોમાં 'શૂન્ય ખેડૂત આત્મહત્યા'નો દાવો કરવાનું પણ શરૂ કરી દીધું છે.
આ રાજ્યોમાં રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ અને છત્તિસગઢ સામેલ છે.
ખેડૂતોનું કહેવું છે કે જે બિલને પસાર કરવા માટે સરકારને ભલામણ કરાઈ રહી છે, તેને 20થી વધુ રાજકીય પક્ષોએ સમર્થન આપવાનું વચન આપ્યું છે.
'ખેડૂતોની કોઈને ચિંતા નથી'
જાણીતા પત્રકાર પી. સાઈનાથ કહે છે, ''વર્તમાન સરકારે 2014માં વચન આપ્યું હતું કે સ્વામીનાથન આયોગની ભલામણોને 12 મહિનામાં સ્વીકારી લેવાશે.''
''આયોગે ટેકાના ભાવ 50 ટકા આપવાની વાત કરી હતી.''
"12 મહિનની અંદર 2015માં આ જ સરકારે કૉર્ટ અને આરટીઆઈમાં જવાબ આપે છે કે અમે આવું ના કરી શકીએ. આવું કરવાથી માર્કેટ પ્રભાવિત થશે."
"ખેડૂતોની જિંદગી ખરાબ થઈ રહી છે, એની ચિંતા કોઈને નથી. 2016માં તો કૃષિ મંત્રી રાધામોહન એવું કહી દે છે કે આવું કોઈ વચન અપાયું જ નથી."
દેશના કેટલાય રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઓડિશાના ખેડૂતો આ પહેલાં પણ ટેકાના ભાવને મુદ્દે પ્રદર્શન કરી ચૂક્યા છે.
આ જ વર્ષ ઑક્ટોબર માસમાં કેન્દ્ર સરકારે રવી પાક(ઘઉં સહિતના છ રવી પાકો) પર ટેકાના ભાવ 21 ટકા સુધી વધારવાનું વચન આપ્યું હતું."
એ વખતે કૃષિ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું, "આ નિર્ણય ખેડૂતોની આવક બે ગણી કરવાના અમારા પ્રયાસોનો ભાગ છે."
સરકારનો દાવો છે કે આનાથી ખેડૂતોની આવકમાં 62,356 કરોડનો વધારો નોંધાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો