You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીએ ઍરસ્ટ્રાઇક અંગે કહ્યું, "જો જવાનો પાસે રફાલ વિમાન હોત..."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જામનગરમાં વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યું. જે દરમિયાન તેમણે નામ લીધા વગર કૉંગ્રેસ અને યુપીએની સરકાર પર પ્રહારો કર્યા.
પાકિસ્તાન પર ભારતીય વાયુસેનાએ કરેલા હવાઈ હુમલાનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું, "આતંકવાદના રોગચાળાની દવા જ્યાં થતી હોય ત્યાં કરવી જોઈએ. આતંકવાદના મૂળ પાડોશમાં રહેલાં છે."
રફાલ વિમાનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "હવાઈ હુમલો કરતી વખતે જો અમારા સૈનિકોના હાથમાં રફાલ વિમાન હોત તો અમારો એક પણ માણસ જાત નહીં અને એમનો એક પણ બચત નહીં."
સૈન્યએ બતાવેલી શક્તિ પર ગર્વ કરવા અંગે પણ તેમણે જામનગરમાં વાત કરી.
જામનગરમાં મોદીએ જે.જે. હૉસ્પિટલ, સૌની યાજના, સમરસ હૉસ્ટેલનું લોકાર્પણ કર્યું.
લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન મંચ પર મુખ્ય મંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિત ભાજપના અન્ય નેતાઓ હાજર હતા.
બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રધાન ઉમિયાધામનું ભૂમિપૂજન, અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-1નું લોકાર્પણ, નવનિર્મિત સિવિલ હૉસ્પિટલનું લોકાર્પણ જેવા કાર્યક્રમોમાં ભાગ લેશે તો સાથે જ આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે.
નરેન્દ્ર મોદીનાં ભાષણના મહત્ત્વના મુદ્દા
- આપણા ગુજરાતમાં છાશવારે કોમી હુલ્લડો થતાં હતાં એ બંધ થયાં. સૌ શાંતિથી જીવવા લાગ્યા અને સૌનો વિકાસ થયો.
- દેશનું સૈન્ય જે કહે તે સાચું માનવું જોઈએ.
- સૈન્ય જે તાકાત બતાવી રહ્યું છે એ જોતાં લોકોને ગર્વ થવો જોઈએ.
- આજે જો આપણી પાસે રફાલ હોત તો પરિણામ જૂદું હોત.
- સરદાર સરોવર ડૅમના નિર્માણમાં જે મોડું થયું એ માટે એ વખતની તમામ સરકારો જવાબદાર છે. 40 વર્ષ પહેલાં જો ડૅમ બની ગયો હોત તો ગુજરાતને આટલા પૈસા ના ખર્ચવા પડ્યા હોત.
- અમે કુંભનો મેળો સ્વચ્છ કરી બતાવ્યો.
- જૂની સરકારે વર્ષ 2008-09માં 6 લાખ કરોડ રૂપિયાના દેવામાંથી 52 હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કરીને સૌને મૂરખ બનાવ્યા. અમે એવી યોજના લાવ્યા છીએ કે દર વર્ષે 75 હજાર કરોડ રૂપિયા મળી જશે.
- કિસાન ક્રૅડિટ કાર્ડ પશુપાલકોને મળશે અને એ જ લાભ માછીમારને આપ્યો.
- વર્ષ 2022માં દરેક વ્યક્તિને પોતાનું ઘર મળે એ સપનું.
- ભૂતકાળની સરકારે 25 લાખ મકાનો બાંધ્યાં હતાં. જ્યારે અમે એક કરોડને 30 લાખ મકાનો બાંધ્યાં.
- મોદી સરકાર ફરીથી આવવાની છે અને 2022માં સૌને ઘર આપવાનું મારૂં સપનું છે.
- શક્તિ કે સામર્થ્ય વગર કોઈ દેશ ના ચાલી શકે.
- વિપક્ષનો મંત્ર - આવો ભેગા મળીને મોદીને ખતમ કરો. દેશનો મંત્ર - આવો ભેગા મળીને આતંકવાદ ખતમ કરો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર