'યૂપી ભાજપના નેતાએ કહ્યું 'બે ગુજરાતી ઠગ જનતાને મૂર્ખ બનાવે છે', ભાજપે હાંકી કાઢયા

વાંચવાનો સમય: 1 મિનિટ

સોમવારે ઉત્તર પ્રદેશ ભાજપે તેના વરિષ્ઠ નેતા આઈ.પી. સિંહને પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.

સિંહે ટ્વિટર ઉપર લખ્યું હતું કે 'બે ગુજરાતી ઠગ જનતાને મૂર્ખ બનાવે છે.'

એનડીટીવીના રિપોર્ટ અનુસાર, સિંહે ગત શુક્રવારથી કેટલાક ટ્વીટ્સ કર્યાં હતાં, જેને પાર્ટીએ 'પક્ષવિરોધી' ઠેરવ્યા હતા.

ગુજરાતી ઠગ

શનિવારે સિંહે લખ્યું, "હું સિદ્ધાંતવાદી ક્ષત્રિય કુળનો છું. બે ગુજરાતી ઠગ હિન્દી હૃદયસ્થળ, હિંદીભાષીઓ ઉપર કબજો કરીને પાંચ વર્ષથી મૂર્ખ બનાવે છે અને આપણે મૌન છીએ."

"આપણું ઉત્તર પ્રદેશ ગુજરાતથી છ ગણું મોટું છે અને અર્થતંત્ર પાંચ લાખ કરોડનું છે. ગુજરાતનું અર્થતંત્ર એક લાખ 15 હજાર કરોડનું છે."

સિંહે તેમના ટ્વીટ્સમાં કોઈનું નામ લીધું ન હતું, જોકે તેમનો ઇશારો મૂળતઃ ગુજરાતી નરેન્દ્ર મોદી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહ ગુજરાત તરફ હોય તેમ માનવામાં આવે છે.

અન્ય એક ટ્વીટમાં સિંહે લખ્યું, "આપણે 'પ્રધાન મંત્રી' ચૂંટ્યા છે કે 'પ્રચાર મંત્રી'? દેશના વડા પ્રધાન ટીશર્ટ અને ચાના કપ વેચે તે જોઈને સારું લાગે?'

સિંહે પોતાના ટ્વિટર ઉપર તેમના નામની આગળથી 'ચોકીદાર' હટાવીને 'ઉસૂલદાર' (સિદ્ધાંતવાદી) કરી નાખ્યું હતું.

સિંહે અન્ય એક ટ્વીટમાં પૂર્વાંચલની આઝમગઢ બેઠક ઉપરથી ઉમેદવારી કરવા બદલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પ્રશંસા કરી હતી અને જરૂર પડ્યે ખુદનું ઘર તેમના પ્રચાર કાર્યાલય તરીકે વાપરવા દેવાની તૈયારી દાખવી હતી.

પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમણે, ''યૂપી ભાજપના પ્રદેશાધ્યક્ષના નિર્દેશ ઉપર તેમને પક્ષમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.'

સિંહનું કહેવું છે કે તેમને મીડિયા મારફત જ હકાલપટ્ટી અંગે જાણ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે આઈ.પી.સિંહ કલ્યાણ સિંહની સરકારમાં મંત્રી હતા.

આ વિશે વધુ વાંચો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો