વાયુ વાવાઝોડું : 2.75 લાખ લોકોનું સ્થળાંતર, સેના, નેવી, વાયુસેના ખડેપગે

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • વાંચવાનો સમય: 3 મિનિટ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ વાવાઝોડાએ થોડી દિશા બદલી છે અને હવે તે ગુજરાતના દરિયાકાંઠાને સ્પર્શીને જશે.

જોકે, હવામાન વિભાગનું કહેવું છે કે વાવાઝોડાનો ખતરો હજી ટળ્યો નથી એટલે સાવચેતી રાખવી જરૂરી છે.

અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેણે છેલ્લા છ કલાકમાં દિશા બદલી છે.

વાયુના ખતરાને જોતા બુધવારે રાજ્ય સરકાર અને તંત્રએ મોટા સ્થળાંતરની શરૂઆત કરી હતી. ગુજરાતના દરિયાકિનારાનાં ગામડાંઓમાં રહેતાં લોકોને સૌપ્રથમ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના કહેવા પ્રમાણે 2,75,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

સરકારના તમામ વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, મંત્રીઓ અને સિનિયર સેક્રેટરીઓને વિવિધ કંટ્રોલરૂમમાં મોકલી દેવામાં આવ્યા છે.

'વાયુ વાવાઝોડું નબળું પડ્યુ નથી'

બુધવારે વાવાઝોડા અંગે માહિતી આપતા રૂપાણીએ કહ્યું હતું કે વાવાઝોડું નબળું પડ્યું નથી અને ગુરુવારની સવારથી જ તેની અસર દેખાવાની શરૂ થઈ જાશે.

રૂપાણીએ કહ્યું હતું કે વાવાઝોડાએ તેની દિશા બદલી નથી અને અને તીવ્રતા પણ ઘટી નથી. માત્ર ફરક એટલો પડ્યો છે કે પહેલાં વાવાઝોડું મહુવા અને વેરાવળ વચ્ચેથી ત્રાટકવાનું હતું હવે તે દ્વારકા અને વેરાવળ વચ્ચે ત્રાટકશે.

બુધવારે ગુજરાતના કુલ 57 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો.

500 ગામડાંઓને ખાલી કરવામાં આવ્યાં

અધિક મહાસચિવ પંકજ કુમારે માહિતી આપતા કહ્યું હતું કે દરિયાકાંઠાનાં કુલ 500 ગામડાંઓને ખાલી કરાવવામાં આવ્યાં છે.

રાજ્યમાં કુલ 36 NDRFની ટીમોને ઉતારવામાં આવી છે, જ્યારે 11 ટીમનોને સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે.

પંકજ કુમારના જણાવ્યા પ્રમાણે, "NDRF ઉપરાંત SDRFની 9 ટીમો, SRPની 14 કંપનીઓ અને 300 મરિન કમાન્ડોને પણ તહેનાત કરવામાં આવ્યા છે."

"9 હેલિકૉપ્ટરને મહત્ત્વની જગ્યા પર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. જ્યારે 10,000 પ્રવાસીઓને પણ સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે."

આ સિવાય ગુજરાતમાં વાવાઝોડામાં મદદરૂપ થવા માટે કોસ્ટગાર્ડ, નેવી, આર્મી અને વાયુસેનાના યુનિટ્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે.

શું કરવું અને શું ન કરવું?

વાવાઝોડામાં વીજળી ખોરવાઈ જવી, વાહનવ્યવહારને અસર થવી મકાનો તથા વૃક્ષોને નુકસાન થતું હોય છે.

સામાન્ય રીતે વાવાઝોડાની પેટર્ન એકસરખી નથી હોતી. તે ગમે ત્યારે પોતાની દિશા બદલે છે.

હવામાન વિભાગ દ્વારા વાવાઝોડું ત્રાટકવાના 48 કલાક પહેલાં ચેતવણી આપવામાં આવે છે.

આ માહિતીની પગલે કોઈ સુરક્ષિત સ્થળે ખસી જવું જોઈએ. લોકોએ તેમની સાથે ટોર્ચ, થોડું ખાવાનું, બેટરી જેવી જરૂર વસ્તુઓ રાખવી જોઈએ.

આ સાથે જ તમારા બ્લડ ગ્રૂપની માહિતી પણ રાખવી જોઈએ. સૌથી મહત્ત્વની બાબત એ છે કે લોકોએ ગભરાયા વિના શાંતિથી કામ લેવું જોઈએ.

વાવાઝોડા દરમિયાન દરિયાકાંઠાના વિસ્તાર કે જર્જરિત મકાનોમાં ન રહેવું જોઈએ. તથા વીજ લાઇનોથી દૂર રહેવું જોઈએ.

ગુજરાતના અધિકારીઓ ઓડિશાની સરકારના સંપર્કમાં હતા

ઓડિશામાં તાજેતરમાં જ ફોની વાવાઝોડું આવ્યું હતું, જેમાં ઓડિશાની સરકારે બિરદાવવા લાયક કામગીરી કરી હતી.

ઓડિશામાં લેવામાં આવેલાં આગોતરાં પગલાંને કારણે અહીં જાનિહાનિને મોટા પાયે ઘટાડી શકાઈ હતી અને નુકસાનને ઓછું કરવામાં પણ સફળતા મળી હતી.

ગુજરાત સરકારના ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ પ્લાન સાથે સંકળાયેલા અધિકારીઓ આવનારા વાયુ વાવાઝોડા પહેલાં કેવાં તકેદારીનાં પગલાં લઈ શકાય તે માટે ઓડિશા સરકારના સંપર્કમાં છે.

આ અધિકારીઓ ઓડિશા સરકાર પાસેથી ફોની વાવાઝોડા વખતે અપનાવવામાં આવેલી ડિઝાસ્ટર મૅનેજમૅન્ટની ટેકનિકને શીખવા માટે સંપર્કમાં છે.

ઓડિશામાં આવેલા અતિ તીવ્ર ચક્રવાત ફોનીમાં 60 લોકોનાં મોત થયાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો