CAA-NRC : રામપુરમાં હિંસા ભડકી, કાનપુરમાં તણાવપૂર્ણ સ્થિતિ

વાંચવાનો સમય: 8 મિનિટ

નાગરિકતા સંશોધન કાયદા અને સૂચિત એનઆરસીને લઈને વિરોધપ્રદર્શનો શુક્રવારે ઉત્તર પ્રદેશનાં અનેક શહેરોમાં ફેલાયાં હતા જેમાં અત્યાર સુધી નવ લોકોનાં મૃત્યુ થયાં છે.

ઉત્તર પ્રદેશના પોલીસ ચીફ ઓ. પી. સિંહના જણાવ્યા અનુસાર રાજ્યમાં નવ લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે, આ પૈકી કેટલાં લોકો પોલીસ ફાયરિંગમાં માર્યા ગયા છે તે આંકડો હજી સ્પષ્ટ નથી.

શુક્રવારે ઉત્તર પ્રદેશમાં અનેક શહેરોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે અને કલમ 144 લાગુ કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે પથ્થરબાજીની ઘટના બની હતી.

દિલ્હીની તીસ હઝારી કોર્ટે ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદની જામીન અરજી રદ કરી છે. તેમને 14 દવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે.

આઝાદે જામા મસ્જિદથી જંતર-મંતર સુધી રેલી કાઢવા માટેની પરવાનગી માગી હતી. તેમની આજે ધરપકડ કરવામાં આવી હતી. જેના અનુસંધાને તેમણે તીઝ હજારી કોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી.

કાનપુરમાં હિંસક ઝડપ ચાલુ

બીબીસીના સહયોગી પત્રકાર સમીરાત્મજ મિશ્રના કહેવા મુજબ શુક્રવારે થયેલી હિંસા પછી આજે સ્થિતિ ફરીથી વણસી હતી. કાનપુરના સૌથી વ્યસ્ત વિસ્તાર પરેડ ચાર રસ્તા પર બપોરે સાડા ત્રણ વાગ્યે હિંસા શરૂ થઈ હતી. રાત સુધી પ્રદર્શનકારીઓ અને પોલીસની વચ્ચે ઘર્ષણ ચાલુ રહ્યું હતું. પોલીસ પણ રોકાઈ-રોકાઈને ફાયરિંગ કરી રહી હતો.

પ્રદર્શનકારીઓ તરફથી પણ સતત પથ્થરમારો થઈ રહ્યો હતો. આખા વિસ્તારને સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યો છે.

ફાયરિંગમાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. જેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પ્રદર્શનકારીઓએ આજે પણ પોલીસના કેટલાંક વાહનોને આગ લગાવી હતી.

સીએએ વિરોધ : કર્ણાટક અને કેરળ વચ્ચે સંઘર્ષ

બેંગ્લુરુથી બીબીસીના સહયોગી ઇમરાન કુરૈશીએ કહ્યું કે મેંગ્લુરુમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થઈ રહેલી હિંસાથી કેરળ અને કર્ણાટક રાજ્ય વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે.

મેંગ્લુરુમાં ભણનાર કેરળના વિદ્યાર્થીઓને ઘરે લાવવા માટે કેરળ સરકારે ત્યાં કેટલીક બસો મોકલી છે. મેંગ્લુરુમાં ગત દિવસોમાં હિંસામાં બે લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ પછી ત્યાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો, જેમાં શનિવારે સાંજે ત્રણ થી છ વાગ્યા સુધી છૂટ આપવામાં આવી હતી.

કેરળના મુખ્ય મંત્રીની ઑફિસના એક અધિકારીએ બીબીસીને કહ્યું કે મહેસૂલમંત્રી ઈ. ચંદ્રશેખરણએ બાળકોની આગેવાની કરી.

શુક્રવારે મેંગ્લુરુ પોલીસે કેરળના નવ પત્રકારોની ધરપકડ કરી ત્યારબાદ તેને પરત રાજ્યમાં મોકલવામાં આવ્યા હતા. પત્રકારોને હૉસ્પિટલમાંથી રિપોર્ટિંગ નહોતું કરવા દેવાયું. હૉસ્પિટલમાં પોલીસ ફાયરિંગમાં મૃત્યુ પામેલા લોકોનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું.

આ પછી કેરળના મુખ્ય મંત્રી પી. વિજયને કર્ણાટકના મુખ્ય મંત્રીને પત્ર લખીને કેરળના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું હતું. આ પછી તેમણે આજે રાજ્યના વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે પરત લાવવા માટે બસ મોકલી.

હિંસા પાછળ કૉંગ્રેસ જવાબદાર - ભાજપનો આક્ષેપ

નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી વિરુદ્ધ થઈ રહેલાં પ્રદર્શનોમાં હિંસા અંગે ભાજપે કૉંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

ભાજપના જનરલ સેક્રેટરી ભુપેન્દ્ર યાદવે પત્રકારપરિષદમાં કહ્યું, "આંદોલનમાં થયેલી હિંસા માટે કૉંગ્રેસની જવાબદારી છે."

"કૉંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષો દ્વારા અફવા અને ભ્રમની રાજનીતિ કરાઈ રહી છે."

યાદવે કહ્યું, કૉંગ્રેસના સાથી પક્ષ આરજેડી દ્વારા આગચંપી કરવામાં આવી, શું કૉંગ્રેસ તેનું સમર્થન કરે છે?

પત્રકારપરિષદમાં તેમણે કહ્યું, "એનઆરસી મામલે જે ભ્રમ ફેલાવવામાં આવ્યો છે એ દૂર કરવામાં આવશે અને આ માટે ભાજપ અભિયાન ચલાવશે."

"આગામી દસ દિવસ સુધી ભાજપ અભિયાન ચલાવશે અને 250થી વધારે સ્થળોએ પત્રકારપરિષદ યોજશે."

તેમણે એવું પણ જણાવ્યું કે "ભાજપ ત્રણ કરોડથી વધારે લોકોનો સંપર્ક કરીને સીએએના સમર્થમાં જનમત એકઠો કરશે."

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં પણ વિરોધપ્રદર્શનો થયા હતા અને વિરોધ કરનારા લોકો પર લાઠીચાર્જ થયો હતો.

આ ઉપરાંત ફિરોઝાબાદ, ભદોઈ, ગોરખપુર, અને સંભલમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

ઉત્તર પ્રદેશમાં કાનપુર, સુલતાનપુર, ઉન્નાવ, હાથરસ, મુઝફ્ફરનગરમાં પણ હિંસા થઈ હોવાના અહેવાલો હતા.

બુલંદશહરમાં એક પોલીસની ગાડીને આગ લગાવી દેવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશ પછી આજે 21 ડિસેમ્બરે બિહાર બંધનું એલાન આપવામાં આવ્યું છે.

દિલ્હીમાં જામા મસ્જિદથી ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદની અટકાયત

રાજધાની દિલ્હી સહિત દેશમાં અનેક સ્થળોએ નાગરિકતા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આશરે 24 કલાકની કશ્મકશ પછી ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદની દિલ્હીના જામા મસ્જિદથી અટકાયત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે બપોરની નમાઝ પછી જામા મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં લોકો નાગરિકતા કાયદાનો અને સૂચિત દેશવ્યાપી એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે.

શુક્રવારે ચંદ્રશેખરે પોતે જામા મસ્જિદથી આંદોલનમાં ભાગ લેશે એવી જાહેરાત કરી હતી.

પોલીસે ચંદ્રશેખરને અટકાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ પોલીસને થાપ આપી જામા મસ્જિદ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.

એ પછી પોલીસે શુક્રવારે એમની અટકાયતની કોશિશ કરી હતી, પરંતુ તેઓ પોલીસને હાથ લાગ્યા નહોતી અને તેમના સમર્થકોએ પોલીસને અટકાવી દીધી હતી.

આશરે 24 કલાકની કશ્મકશ પછી ચંદ્રશેખરે પોતે પોલીસને શરણે આવી ગયા છે. 24 શનિવારે વહેલી સવારે 3 વાગે તેમણે પોલીસ સામે સરન્ડર કર્યું હતું.

સરન્ડર કરતા અગાઉ તેમણે કહ્યું કે, તમામ લોકોને મુક્ત કરી દેવામાં આવે તો હું સરન્ડર કરવા તૈયાર છું. સાથીઓ સંઘર્ષ કરતા રહેજો અને બંધારણની રક્ષા માટે એકજૂથ રહેજો.

એમણે પોલીસ શાંતિપૂર્ણ પ્રદર્શનને ઉશ્કેરી રહી હોવાનો પણ આરોપ મૂકયો છે.

ગુજરાતમાં 7 પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓને નાગરિકત્વ

દેશભરમાં નાગરિકતા કાયદા અને એનઆરસીને લઈને વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં 7 પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓને નાગરિકતા એનાયત કરવામાં આવી છે.

સમાચાર સંસ્થા એનએનઆઈ મુજબ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કચ્છમાં 7 હિંદુ રૅફ્યૂજીઓને નાગરિકત્વનો દસ્તાવેજ એનાયત કર્યો છે.

પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?

આ દરમિયાન દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર ચાલી રહેલા વિરોધપ્રદર્શનમાં ભાગ લેવા કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પણ પહોંચ્યાં છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું, "સિટીશનશિપનો કાયદો અને એનઆરસી ગરીબોની વિરુદ્ધમાં છે. ગરીબો પર તેની માઠી અસર પડશે. રોજનું કમાઈને ખાનારાં મજૂરો શું કરશે? પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ."

સોનિયા ગાંધીએ શું કહ્યું?

દેશભરમાં વિરોધપ્રદર્શન અને હિંસા વચ્ચે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મીડિયાને કહ્યું કે કૉંગ્રેસ લોકોના અધિકારોની પડખે છે.

CAA મામલે સોનિયા ગાંધીએ કહ્યું કે "લોકતંત્રમાં લોકોને સરકારની નીતિઓ વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવવાનો અને પોતાની ચિંતા વ્યક્ત કરવાનો અધિકાર છે. ભાજપ સરકારે જનતાના અવાજની અવગણના કરી છે અને તેને બળપૂર્વક દબાવી દેવાનો પ્રયાસ કર્યો છે."

નવી દિલ્હીમાં ઉગ્ર વિરોધપ્રદર્શન

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં દિલ્હીના દરિયાગંજમાં ગાડી સળગાવાઈ છે. ભારે પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

નવી દિલ્હીમાં કર્નોટ પૅલેસ, ઇન્ડિયા ગેટ, દરિયાગંજ અને જામા મસ્જિદમાં હજી પણ વિરોધપ્રદર્શન ચાલી રહ્યાં છે.

દિલ્હીમાં અનેક મેટ્રો સ્ટેશનો બંધ કરવામાં આવ્યાં છે.

શુક્રવારે બપોરે જામા મસ્જિદ ખાતે શરૂ થયેલું વિરોધપ્રદર્શન હજી પણ ચાલી રહ્યું છે.

પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરમિયાનગીરી કરી નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી પરત ખેંચી લેવા જોઈએ. આ હાર કે જીતનો નહીં પરંતુ દેશહિતનો સવાલ છે.

વડોદરામાં હિંસા

દેશભરમાં નાગરિકતા કાયદા અને એનઆરસીને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં વડોદરામાં હિંસાની ઘટના બની છે.

હાથીખાના વિસ્તારમાં મસ્જિદમાંથી નમાઝ પઢી બહાર આવી રહેલા લોકોની પોલીસ ફોટોગ્રાફી કરી રહી હતી તે વખતે વિવાદ થયો હતો અને પથ્થરમારો થયો હતો.

વડોદરાના જોઇન્ટ કમિશનર ઑફ પોલીસ કેસરીસિંહે બીબીસી ગુજરાતીને કહ્યું કે 30 રાઉન્ડ ટિયરગૅસ, 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પોલીસની ઝોન 5ની બે ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે અને 1 એસીપી અને 1 પીએસઆઈને ઈજા થઈ છે.

આ મામલે પોલીસે 3 લોકોની અટકાયત કરી છે. આ ઉપરાંત રાજકોટ અને સુરતમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને 4થી વધારે લોકોને ભેગા થવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ ગુજરાત સરકારે એડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (ADGP) (ઇન્ટેલિજન્સ)ને જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જો રાજ્યમાં અસ્થિરતાનો માહોલ જોવા મળે તો 20થી 22 ડિસેમ્બર સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ રાખવાનો આદેશ આપવા સત્તા આપી છે.

નવી દિલ્હીમાં નાગરિક સંશોધન કાયદાના વિરુદ્ધમાં દિલ્હીમાં બીજા દિવસે પણ વિરોધપ્રદર્શનો યોજાયાં.

નવી દિલ્હીમાં જામા મસ્જિદ પર વિરોધપ્રદર્શન

વિરોધપ્રદર્શન દરમિયાન ભીમ આર્મીએ જામા મસ્જિદથી જંતર-મંતર સુધીની માર્ચનું આહ્વાન આપ્યું છે. ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ જામા મસ્જિદ પર હાજર છે. જોકે, પોલીસે આ માર્ચને મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો છે.

જેને પગલે હાલમાં જામા મસ્જિદની બહાર વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. પોલીસ ડ્રોનની મદદથી પરિસ્થિતિ પર નજર રાખવા પ્રયાસ કરી રહી છે.

પોલીસ પરવાનગી ન હોવા છતાં ચંદ્રશેખર આઝાદે વિશાળ માર્ચ કરી છે.

દિલ્હી પોલીસને થાપ આપીને તેઓ ગેટ નંબર એક સુધી પહોંચી ગયા હતા અને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

બીજા દિવસના વિરોધપ્રદર્શન અને ભીમ આર્મીના આહ્વાનને પગલે કોઈ અણછાજતી ઘટના ન ઘટે એ માટે પૂર્વોત્તર દિલ્હીની 12 પોલીસચોકી પર કલમ 144 લાદી દેવામાં આવી છે. તો લાલ કિલ્લા, જામા મસ્જિદ, ચાવડી બજાર, જામિયા મિલિયા ઇસ્લામિયા અને જસોલા વિહાર મેટ્રોસ્ટેશનને બંધ કરી દેવાયાં છે.

ગુજરાતમાં હિંસા

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર, આ ઘર્ષણમાં 30 લોકોને ઈજા પહોંચી છે, જેમાં 12 પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. જે પોલીસકર્મીઓ આ ઘટનામાં ઘાયલ થયા છે, તેમાં ડીસીપી અને એસીપી અને એક પોલીસ ઇન્સ્પેક્ટર રૅન્કના અધિકારી પણ સામેલ છે.

પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેના ઘર્ષણના વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્રદર્શનકારીઓ પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે અને બાદમાં પોલીસને લાઠીચાર્જ કરવાની અશ્રૃગ્રૅસ છોડવાની ફરજ પડે છે.

અખાબરના જણાવ્યા અનુસાર પોલીસ દ્વારા 30 પ્રદર્શનકારીઓની અટકાયત કરાતા ઉશ્કેરાયેલાં ટોળાંએ પોલીસવાહનો ઘેરી લીધાં હતાં અને એ બાદ ઘર્ષણની શરૂઆત થઈ હતી.

શાહઆલમના સ્થાનિક શકીલ કુરેશીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું:

'દિવસ દરમિયાન અમે શાંતિથી વિરોધ કરતા હતા. લગભગ 5.30-6 વાગે અમે લોકો દરગાહમાં ભેગા થયા હતા.'

'અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. પોલીસે અમને આગળ વધવા ન દીધા. અમારા આગેવાનને પોલીસ પકડીને લઈ ગઈ. પોલીસે અમારા પર લાઠી ચાર્જ કર્યો.'

'લાઠીચાર્જ થયો અને અનેક લોકો ઘાયલ થયા. આ ધર્મને નામે નથી, આ કાયદાની વાત છે. અહીં પહેલાંથી શાંતિપૂર્ણ વિરોધની માહિતી હતી.'

'અમે એક જગ્યા નક્કી કરી હતી, જ્યારે અમે ભેગા થયા ત્યારે અમારા નેતા સની બાબાને પકડી લેવામાં આવ્યા. અમે તેનો વિરોધ કર્યો અને પછી પોલીસે લાઠીચાર્જ કર્યો.'

સરકાર શું કહે છે?

આ ઘટના બાદ લોકોને પોતાના બચાવમાં ઘર્ષણમાં ઊતરવું પડ્યું હોવાનું કુરેશી જણાવે છે.

આ ઘટનાને પગલે શાહઆલમથી ચંડોળા તરફ જનારી એએમટીએસ બસોના રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પત્રકારોને જણાવ્યું:

"દોષિતોની ઓળખ કરવામાં આવશે અને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે."

"શાહઆલમ વિસ્તારમાં થયેલા પથ્થરમારા સિવાય શહેરમાં કોઈ અણછાજતી ઘટના ઘટી નથી. અમે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે."

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું, "ગુજરાત પોતાની શાંતિ માટે જાણિતું છે."

"નાગરિકોને શાંતિ જાળવી રાખવા અને અસામાજિક તત્ત્વોની ઉશ્કેરણીમાં ન આવવા માટે અપીલ કરે છે."

"નાગરિક સંશોધન કાયદો એ રાષ્ટ્રના હિતમાં છે અને ગુજરાતના નાગરિકોને ડરવાની જરૂર નથી."

દેશમાં વિરોધ, ત્રણનાં મૃત્યુ

નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ દેશના વિવિધ વિસ્તારોમાં પણ કરાયો. ગુરુવારે અલગઅલગ રાજ્યોમાં અલગઅલગ જગ્યાએ આ કાયદા વિરુદ્ધ પ્રદર્શનો યોજવામાં આવ્યાં.

આ વિરોધપ્રદર્શનો દરમિયાન અત્યાર સુધી ત્રણ લોકાના માર્યા જવાના સમાચાર છે, જ્યારે કેટલાય લોકોની અટકાયત કરાઈ છે. આ દરમિયાન વિરોધપ્રદર્શનોનું પ્રમાણ વધતાં તંત્ર દ્વારા રાજધાની દિલ્હી સહિત ઉત્તર પ્રદેશના કેટલાય વિસ્તારોમાં કલમ 144 લાદી દેવાઈ.

દેશના કેટલાય વિસ્તારોમાં ઇન્ટરનેટની સેવા પણ બંધ કરી દેવી પડી. સાથે જ દિલ્હીના કેટલાંક મેટ્રોસ્ટેશનોને પણ બંધ કરી દેવાયાં.

નાગરિક સંશોધન કાયદા અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવનારા ગેરકાયદે બિનમુસ્લિમ પ્રવાસીઓને ભારતનું નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.

આ કાયદાના ટીકાકારાનું કહેવું છે કે આનાથી ભારતની બિનસાંપ્રદાયિક છબિ પ્રભાવિત થશે. તેમનું માનવું છે કે ધર્મને નાગરિકત્વનો આધાર બનાવી શકાય નહીં.

જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે આ તમામ ચિંતાઓ પાયાવિહોણી છે અને વિપક્ષ આ કાયદાને લઈને ભ્રમ ફેલાવવાનું કામ કરી રહ્યો છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર કર્ણાટકના મેંગલુરુમાં વિરોધપ્રદર્શન દરમિયાન પોલીસે કરેલા ગોળીબારમાં બે લોકોનાં મૃત્યુ થયાં.

જાણવા મળી રહ્યું છે કે મેંગલુરુમાં કેટલાક લોકો પોલીસચોકીને આગ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેના જવાબમાં પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો.

પોલીસકમિશનર પી. એસ. હર્ષાએ પત્રકારોને જણાવ્યું કે શહેરમાં કર્ફ્યુ લાદી દેવાયો છે અને હાલમાં મૃતકોનાં પોસ્ટમૉર્ટમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

બેંગલુરુમાં અમારા સહયોગી પત્રકાર ઇમરાન કુરેશીએ જણાવ્યું કે તંત્રે મેંગલુરુમાં 48 કલાક સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી.

અન્ય એક વ્યક્તિનું મૃત્યુ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં થયું.

અહીં પ્રદર્શનકારીઓ અ પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું. બપોર દરમિયાન પ્રદર્શનકારીઓએ અહીં કેટલીય બસોને આગ પણ લગાડી દીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો