You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે અમિત શાહે સ્વીકાર્યું કે દેશમાં ડિટેન્શન સેન્ટર છે
નાગરિકતા સંશોધન કાયદો, NPR અને NRC મામલે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની મુલાકાતમાં વાતચીત કરી હતી.
તેમણે કહ્યું હતું, "નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર(NPR) અને નાગરિકતા સંશોધન કાયદા(NRC)ને એકબીજા સાથે કોઈ લેવાદેવા નથી. હું સ્પષ્ટપણે કહું છું."
વિરોધપ્રદર્શનોમાં દેશભરમાં NRC લાગુ કરવાનો મુદ્દો છે.
આ મામલે શાહે કહ્યું, "આ અંગે હાલમાં ચર્ચા કરવાની જરૂર જ નથી, કેમ કે આ અંગે અત્યારે કોઈ ચર્ચા નથી."
"પીએમ મોદી સાચા હતા, આ અંગે કૅબિનેટમાં કે સંસદમાં કોઈ ચર્ચા થઈ રહી નથી."
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે હવે જ્યારે લોકો નાગરિકતા સંશોધન કાયદા વિશે સમજવા લાગ્યા છે અને વિરોધ શમી રહ્યો છે ત્યારે હવે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર વિશે રાજકારણ શરૂ થઈ રહ્યું છે.
તેમણે કહ્યું, "મુસ્લિમોને વિપક્ષ ડરાવી રહ્યો છે. સંસદમાં મેં કહ્યું કે સીએએ વિશે સ્પષ્ટ કહ્યું કે નાગરિકતા આપવાનું બિલ છે નાગરિકતા લેવાનું નથી."
"એનપીઆર કૉંગ્રેસના બનાવેલા કાયદા હેઠળ જ થઈ રહી છે, અમે એ જ કાર્યવાહી આગળ વધારી રહ્યા છીએ. એનપીઆર અથવા જનગણનાને એનઆરસી સાથે કોઈ લેવાદેવા નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડિટેન્શન સેન્ટર સતત ચાલતી પ્રક્રિયા
અમિત શાહે કહ્યું કે ડિટેન્શન સેન્ટર સતત ચાલતી પ્રક્રિયા છે.
અમિત શાહે કહ્યું, "કોઈ પણ નાગરિક, જેની પાસે વિઝા કે પરવાનગી ન હોય તેમને પકડીને ડિટેન્શન સેન્ટરમાં મૂકવામાં આવે છે અને પછી ડિપોર્ટ કરવામાં આવે છે."
"ડિટેન્શન સેન્ટરને એનઆરસી કે સીએએ સાથે કોઈ લેવાદેવા નથી. આસામની એનઆરસીમાં જે લોકો નાગરિકતાના પુરાવા આપી શક્યા નથી તેમને ફૉરન ટ્રિબ્યૂનલમાં જવા માટે છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે."
"ડિટેન્શન સેન્ટર ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ માટે બનાવવામાં આવ્યા હતા. તેમને જેલમાં ન રાખી શકાય એટલે એ સેન્ટરમાં રાખવામાં આવે."
"ડિટેન્શન સેન્ટર દેશના કાયદા હેઠળ એક સતત ચાલતી પ્રક્રિયા છે. ડિટેન્શન સેન્ટરની વ્યવસ્થા ભાજપના રાજમાં શરૂ નથી થઈ. એ તો અનેક વર્ષોથી ચાલી રહી છે. આ વ્યવસ્થા અમારી સરકાર આવી એ પહેલાંથી ચાલી આવી છે."
અમિત શાહે એવું પણ કહ્યું કે કદાચ આસામમાં એક ડિટેન્શન સેન્ટર ચાલી રહ્યું છે પણ હું કન્ફર્મ નથી.
અમિત શાહ શું-શું બોલ્યા?
- એક ઍપ બનાવવામાં આવી છે, જેમાં લોકો માહિતી આપશે તે પ્રમાણે રજિસ્ટર બનાવવામાં આવશે. કોઈ પણ પ્રકારના દસ્તાવેજો આપવાના નથી. આ માહિતીના આધારે દેશમાં આગામી દસ વર્ષ માટે વિકાસની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.
- અફવા ફેલાવવામાં આવી રહી છે કે એનપીઆરની માહિતી એનઆરસીમાં વાપરવામાં આવશે. અફવાને કારણે આટલો વિવાદ થયો છે. સીએએનો વિવાદ ખતમ થઈ રહ્યો છે ત્યારે એનપીઆરને લઈને નવો વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે.
- રાજકારણ માટે શું આ ડેટાનો ઉપયોગ કરવામાં આવશે, એ સવાલ પર અમિત શાહનું કહેવું હતું કે એનઆરસીમાં નાગરિકતા માટે પ્રૂફ માગવામાં આવે પરંતુ એનપીઆર માટે કોઈ દસ્તાવેજ આપવાના નહીં રહે.
- પાર્ટીના ચૂંટણીઢંઢેરામાં એનઆરસી લાવવાની વાત કહેવામાં આવી છે પરંતુ હજુ સરકારમાં કે કૅબિનેટમાં દેશભરમાં એનઆરસી વિશે કોઈ ચર્ચા કરવામાં નથી આવી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો