રિયાઝ નાઇકૂ : કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીન ટોચના કમાન્ડરનું ઍન્કાઉન્ટરમાં મૃત્યુ

    • લેેખક, રિયાઝ મસરૂર
    • પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગરથી
  • વાંચવાનો સમય: 2 મિનિટ

ભારત પ્રશાસિત કાશ્મીરમાં સુરક્ષાદળો સાથેના એક ઍન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનની ટોચના ચરમપંથી રિયાઝ નાઇકૂનું મોત થયું છે.

આ અથડામણમાં નાઇકૂની સાથે અન્ય એક ચરમપંથીનું પણ મોત થયું છે. જોકે, પોલીસે હજી માર્યા ગયેલા ચરમપંથીનું નામ આપ્યું નથી.

રિયાઝ નાઇકૂના મોતને પગલે કાશ્મીર ખીણ વિસ્તારમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા પ્રતિબંધિત કરી દેવામાં આવી છે એવું સમાચાર સંસ્થા એએનઆઈ જમ્મુ-કાશ્મીર પોલીસને ટાંકીને જણાવે છે.

અવંતીપુરા ગામના રહેવાસીઓનું કહેવું છે કે સેના, પેરામિલિટરી ફોર્સ અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં નાઇકૂ બેગ પોરા ગામમાં ઘેરાઈ ગયો હતો.

પોલીસના પ્રવક્તા મનોજ કુમારે કહ્યું છે કે, ઍન્કાઉન્ટરમાં એક ચરમપંથીનું મોત થયું છે.

આ ઑપરેશન કાશ્મીરમાં કુપવાડા જિલ્લામાં થયેલા બે ચરમપંથી હુમલામાં 8 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા તે પછી હાથ ધરાયું હતું.

ઉલ્લેખનીય છે કે આ 8 સુરક્ષાકર્મીઓમાં એક કર્નલ અને એક મેજર રૅન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે.

40 વર્ષીય રિયાઝ નાઇકૂ સ્થાનિક હિઝબુલ મુજાહિદ્દીન ચરમપંથી સંગઠનનો છેલ્લો હયાત નેતા ગણવામાં આવે છે.

2016માં બુરહાન વાનીનું ઍન્કાઉન્ટરમાં મૃત્યુ થયું તે પછી હિઝબુલની કમાન નાઇકૂએ સંભાળી હતી.

નાઇકૂની ઉપર 12 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

કાશ્મીરમાં આ વર્ષે માર્ચ પછીથી ચરમપંથી હુમલામાં ઉછાળો આવ્યો છે. પોલીસના સૂત્રો મુજબ ચરમપંથીઓ વિરુદ્ધ ઑપરેશન શિયાળાના દિવસોમાં બંધ હતા.

નામ જાહેર ન કરવાની શરત પર તેમણે કહ્યું, "જાન્યુઆરીથી અત્યાર સુધી 76 ચરમપંથી સુરક્ષાદળોની કાર્યવાહીમાં માર્યા ગયા છે. પરંતુ અમે પણ 20 જવાન ગુમાવ્યા છે જેમાં વરિષ્ઠ અધિકારી પણ સામેલ છે."

પોલીસ મુજબ રમઝાન પહેલા દસ દિવસમાં 14 ચરમપંથી, તેમના બે સહયોગી, આઠ જવાન અને એક શારીરીક રૂપે અક્ષમ બાળકનું મૃત્યુ થયું હતું.

માર્ચના અંતમાં શરુ થયેલા લૉકડાઉન દરમિયાન નિયંત્રણ રેખા પર ભારત અને પાકિસ્તાની સેના વચ્ચે તણાવ વધી ગયો છે. કાશ્મીરમાં સેનાએ ચરમપંથી વિરુદ્ધ કાર્યવાહી વધારી છે.

સૂત્રો પ્રમાણે, "આ વર્ષે 76 ચરમપંથી જેમને મારવામાં આવ્યા છે તેમાંથી 34 ચરમપંથી લૉકડાઉન દરમિયાન માર્યા ગયા છે."

આ દરમિયાન સુરક્ષાદળોએ ઠાર મારવામાં આવેલા ચરમપંથીઓને બાબતે સ્થાનિક લોકોની પ્રતિક્રિયાને લઈને પણ નવી નીતિ બનાવી છે. એ નીતિ પ્રમાણે ઠાર માર્યા ગયેલા ચરમપંથીઓની ઓળખ જાહેર કરવામાં નહીં આવે અને તેમના મૃતદેહો પણ પરિવારજનોને નહીં સોંપવામાં આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો