પાકિસ્તાન વિમાનદુર્ઘટના : વિમાન ક્રૅશ થયું એ પહેલાં પાઇલટ શું બોલ્યા હતા?

વાંચવાનો સમય: 3 મિનિટ

પાકિસ્તાનની આર્થિક રાજધાની ગણાતાં કરાચી શહેરમાં એક પ્રવાસીવિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 97 લોકોનાં મોત થયાં છે.

સિંધ પ્રાંતના સ્વાસ્થયમંત્રીની કચેરીએ જણાવ્યું હતું કે આ વિમાનદુર્ઘટનામાં 97 લોકોનાં મૃત્યુ થયાં છે. બે લોકોનો બચાવ થયો છે.

19 મૃતદેહોની ઓળખ થઈ શકી છે, જ્યારે પાંચ મૃતદેહોની શોધ ઘટનાસ્થળે હજી ચાલી રહી છે.

આ વિમાનદુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં વિમાન કરાચી ઍરપૉર્ટ પર લૅન્ડિંગ પહેલાં રહેણાક વિસ્તારમાં ક્યાંક ક્રૅશ થઈ જતું દેખાઈ રહ્યું છે.

બીબીસી ઉર્દુના ઝીશાન હૈદરે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ટ્વીટ કર્યા છે.

જીશાન તેમના ટ્વીટમાં લખે છે કે ફૂટેજમાં દેખાય છે કે વિમાનના ઍન્જિનમાં આગ લાગેલી છે.

પીઆઈએના મુખ્યઅધિકારી ઍર વાઇસ માર્શલ અર્શદ મલિતે જણાવ્યું કે પાઇલટે ટ્રાફિક કંટ્રોલને કહ્યું હતું કે વિમાનમાં ટૅકનિકલ ખામી છે.

પાકિસ્તાનના દુનિયા ન્યૂઝનું કહેવું છે કે તેમની પાસે પાઇલટ અને ટ્રાફિક કંટ્રોલ વચ્ચે થયેલી વાતચીતનું રેકર્ડિંગ છે.

આ રેકર્ડિંગ મૉનિટરિંગ વેબસાઇટ liveatc.net પર પણ પોસ્ટ કરવામાં આવ્યું છે. આ કથિત રેકર્ડિંગમાં પાઇલટ કહે છે, "વિમાનનાં બે ઍન્જિન કામ નથી કરી રહ્યાં,... મે ડે મે ડે."

બીબીસી સંવાદદાતા રિયાઝ સુહૈલ કહે છે, "અધિકારીઓના કહેવા પ્રમાણે ક્રૅશની એક મિનિટ પહેલાં વિમાનનો ઍર ટ્રાફિક કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો."

"એ પછી ધુમાડો દેખાયો. એ પછી આ વિમાનના ક્રૅશ થવાના સમાચાર મળ્યા."

આ વિમાન પાકિસ્તાનની રાષ્ટ્રીય ઍરલાઇન કંપની પીઆઈએનું હતું, જે કરાચી ઍરપૉર્ટ પર લૅન્ડ થવાનું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર વિમાનમાં 99 લોકો સામેલ હતા. જેમાં 91 મુસાફરો અને ચાલકદળના આઠ લોકોનો સમાવેશ થાય છે.

આ ઘટના બાદ દુર્ઘટનાસ્થળે કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો છે.

પાકિસ્તાન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સનું આ વિમાન ઍરબસ A-320 PK8303 બપોર 1 વાગ્યે લાહોરથી રવાના થયું હતું.

કરાચી ઍરપૉર્ટ પર લૅન્ડિંગ થવાના પહેલાં જ વિમાન મૉડલ કૉલોની નામના વિસ્તાર પર તૂટી પડ્યું. આ વિસ્તાર ઍરપૉર્ટને અડીને જ આવેલો છે.

આ દુર્ઘટના બાદ રૅકર્ડ કરાયેલા વીડિયોમાં ગલીમાં ઊભેલી ગાડીઓ સળગતી જોઈ શકાય છે. ઘટનાસ્થળે હાજર બીબીસી ઉર્દૂના સંવાદદાતા રિયાઝ સુહૈલે જણાવ્યું છે કે હાલ વિમાનના કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનું કામ કરાઈ રહ્યું છે અને ઘાયલોને હૉસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું, "અધિકારીઓના જણાવ્યા અનુસાર દુર્ઘટનાની એક મિનિટ પહેલાં વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. એ બાદ ધુમાડો ઊડતો જોવા મળ્યો હતો. એ બાદ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર મળ્યા. વિમાનમાં સવાર લોકોના પરિજનો ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે."

દુર્ઘટનામાં બે વ્યક્તિ જીવીત બચી

પાકિસ્તાનના સિંધ પ્રાંતના માહિતી અને પ્રસારણમંત્રી હુસૈન શાહે જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા બે લોકોના બચી જવાની સંભાવના છે.

આમાંથી એક વ્યક્તિ બૅન્ક ઑફ પંજાબના અધ્યક્ષ ઝફર મસુદ છે, જેમને 'ગુલશન-એ-ઝૌહર હૉસ્પિટલ'માં દાખલ કરાયા છે.

સિંધના મુખ્ય મંત્રી મુરાદ અલી શાહે હૉસ્પિટલ જઈને ઝફર મસૂદ સાથે મુલાકાત લીધી છે.

લોકોએ શું જોયું?

આ દુર્ઘટનાને પોતાની નરી આંખે જોનારા ઉઝૈર ખાન જણાવે છે કે તેમણે એક ભારે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો. સાંભળતાં જ તેઓ ઘરની બહાર દોડ્યા.

તેઓ કહે છે, "ચાર ઘર સંપૂર્ણ પણ નષ્ટ થઈ ગયાં. ત્યાં ભારે આગ લાગી હતી અને ધુમાડો નીકળી રહ્યો હતો. તેઓ મારા પડોશમાં જ છે. હું તમને જણાવી શકું એમ નથી કે એ કેવાં ભયાનક દૃશ્યો હતાં. "

ઘટનાસ્થળ નજીક રહેતાં ડૉક્ટર કંવલ નાઝીમ જણાવેય છે કે તેઓ ઘરની બહાર આવ્યાં અને મસ્જિદ પાછળથી ઊઠી રહેલો કાળો ધુમાડો જોયો.

પાકિસ્તાનનો ત્રીજો સૌથી મોટો હવાઈ અકસ્માત

હવાઈ અકસ્માતના આંકડા એકઠા કરનારી સંસ્થા 'ઍરક્રાફ્ટ ક્રૅશ રૅકર્ડ ઑફિસ' અનુસાર, પાકિસ્તાનમાં અત્યાર સુધી 80થી વધુ વિમાનદુર્ઘટના ઘટી છે. જેમાં એક હજાર કરતાં વધુ લોકો માર્યા ગયા છે.

પાકિસ્તાનમાં સૌથી મોટો હવાઈ અકસ્માત 28 જુલાઈ, 2010ના રોજ થયો હતો.

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પાસે થયેલા આ અકસ્માતમાં 152 લોકો માર્યા ગયા હતા.

20 એપ્રિલ, 2012ના રોજ ઇસ્લામાબાદમાં જ વધુ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, જેમાં 127 લોકો માર્યા ગયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો