You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પ્રાણીઓને ફટાકડા ખવડાવી મારી નાખવા એ ભારતની સંસ્કૃતિ નથી' - સોશિયલ
કેરળમાં એક ગર્ભવતી હાથણી માનવીય ક્રૂરતાની શિકાર બની ગઈ. એક વ્યક્તિએ હાથણીને ફટાકડાથી ભરેલું અનનાસ ખાવા આપ્યું, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ અને પછી તેનું મોત થયું.
આ ઘટનાની હવે સમગ્ર દેશમાં નિંદા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ ઘટના મામલે લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે.
ભાજપનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ આ ઘટના મામલે નારાજગી વ્યક્ત કરી છે. આ ઘટના મામલે તેમણે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું છે.
મેનકા ગાંધીએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં કહ્યું, ‘આ ઘટના બાદ વન સચિવને હઠાવી દેવા જોઈએ. વન્યજીવ સંરક્ષણ માટે નિયુક્ત મંત્રીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ. રાહુલ ગાંધી એ ક્ષેત્રના સાંસદ છે, તેમણે કોઈ કાર્યવાહી શા માટે ન કરી?’
મેનકા ગાંધીએ ઉમેર્યું, “મલપ્પુરમ આ પ્રકારની ઘટનાઓ માટે પ્રસિદ્ધ છે. આ ભારતનો સૌથી હિંસક જિલ્લો છે. અહીં દરરોજ કોઈને કોઈ ઘટના ઘટે છે. અહીંના લોકોથી રાજ્ય સરકાર પણ ડરે છે.”
“કેરળમાં દર વર્ષે 600 જેટલા હાથી મરે છે, એટલે કે દર ત્રીજા દિવસે એક હાથી મરે છે. અહીં રસ્તાઓ પર ઝેર ફેંકવામાં આવે છે, જેથી એક સમયે 300-400 પક્ષીઓ અને કૂતરાના મોત થઈ જાય.”
આ તરફ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે ટ્વીટ કરીને કહ્યું છે કે સરકાર તરફથી ઘટના અંગે નોંધ લેવામાં આવી છે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે કહ્યું કે આ ભારતની સંસ્કૃતિ નથી કે પ્રાણીઓને ફટાકડા ખવડાવી તેમને મારી નાખવામાં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટના પર દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન તાતાએ પણ ટ્વીટ કરીને ઘટનાની નિંદા કરી અને હાથણી સાથે થયેલી હેવાનિયતને હત્યા ગણાવી તેની માટે ન્યાયની માગ કરી.
તેમણે ટ્વીટ કરીને લખ્યું, “આ જાણીને હું દુઃખી અને સ્તબ્ધ છું કે કેટલાક લોકોએ ફટાકડા ભરેલું અનનાસ એક ગર્ભવતી હાથણીને ખવડાવીને તેનો જીવ લઈ લીધો. નિર્દોષ પ્રાણીઓ પ્રત્યે આ પ્રકારનું આપરાધિક વલણ એવું જ છે, જેવું કોઈ વ્યક્તિની ઇરાદાપૂર્વક હત્યા માટેનું વલણ હોય. અહીં ન્યાયની જરૂર છે.”
રતન તાતા સિવાય ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ પણ ઘટનાની નિંદા કરી અને લખ્યું કે આપણે પ્રાણીઓની પ્રેમથી કાળજી લેવી જોઈએ અને આ પ્રકારની ક્રૂર ઘટનાઓ પર રોક લગાવવી જોઈએ.
આ તરફ બોલીવૂડમાં પણ આ ઘટના મામલે રોષ છે અને અપરાધીઓને કડક સજા આપવાની માગ કરવામાં આવી રહી છે.
દેશની જનતા પણ સોશિયલ મીડિયા પર ઇલસ્ટ્રેશન અને સ્કેચનો ઉપયોગ કરીને પોતાનો દુઃખ વ્યક્ત કરી રહી છે.
અનેક લોકો આમાં કડક પગલાં ભરવા અને જવાબદારોને સજા કરવાની માગ કરી રહ્યાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો