ભારત નેપાળની સરકાર ઉથલાવવા માગે છે - નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલી - Top News

વાંચવાનો સમય: 3 મિનિટ

નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલીએ રવિવારે એક કાર્યક્રમમાં બોલતા આરોપ લગાવ્યો કે તેમના વિરોધીઓને ભારત દ્વારા તેમની સરકારને ઉથલાવવા માટે સાધવામાં આવી રહ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ ઓલીએ આરોપ લગાવ્યો કે કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારોને તેના નકશામાં શામેલ કરવા માટે સંવિધાનમાં બદલાવ કરવાના નેપાળના નિર્ણય સામે દિલ્હીમાં બેઠકો આયોજિત કરાઈ રહી છે.

મહત્વનું છે કે નેપાળમાં સત્તાધારી નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીના બે અગ્રણી નેતાઓ વડા પ્રધાન કે પી શર્મા ઓલી અને પુષ્પ કમલ દહલ વચ્ચેના મતભેદો વધી ગયા છે જે વચ્ચે નેપાળના વડા પ્રધાને ભારત પર આ આરોપ લગાવ્યો છે.

કાર્યક્રમમાં બોલતા ઓલીએ કહ્યું કે દિલ્હીના મીડિયા પર નજર કરો. જુઓ કે દિલ્હીમાં કેવી બેઠકો કરવામાં આવી રહી છે. ઓલી તેમની સરકારને ઉથલાવવાના પ્લોટ તરફ ઇશારો કરી રહ્યા હતા.

વડા પ્રધાનના પદ પર હંમેશા માટે રહેવાનો તેમનો કોઈ ઇરાદો નથી એમ કહેતા ઓલીએ કહ્યું કે, હાલ તેમનો પદ પરથી દૂર થવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી.

મહત્વનું છે કે નેપાળે હાલમાં જ સંવિધાનમાં બદલાવ કરતો એક કાયદો પસાર કર્યો છે જે હેઠળ ભારત સાથેના કેટલાક વિસ્તારોને નેપાળમાં દર્શાવતો નવો નકશો તૈયાર કરવાની મંજૂરી મળે છે. આને કારણે ભારત અને નેપાળ વચ્ચે ચાલી આવેલો સીમાવિવાદ વધુ વકર્યો છે.

નેપાળમાં સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીમાં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથેના તાલમેલને લઈને બે ફાંટા પડી ગયા છે.

LAC પર હજુ પણ ભારત અને ચીનના સૈનિકો આમને-સામને

લદ્દાખમાં લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) ઉપર ભારત અને ચીનની સેના હજુ પણ મહત્વના પોઇન્ટ્સ પર એકબીજાની સામસામે છે એવું ધ હિંદુનો અહેવાલ જણાવે છે.

15 જૂને ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ કૉર્પ્સ કમાન્ડ કક્ષાની બેઠક થયાના એક અઠવાડિયા બાદ પણ હજુ lAC પર મહત્વના 'ફ્રિક્શન પોઇન્ટ્સ' પર ભારત અને ચીનની સેના સામસામે છે. આ અથડામણમાં 20 ભારતીય જવાનો માર્યા ગયા હતા.

22 જૂનની કૉર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક બાદ પણ ચીને LAC પાસે આવેલી કેટલીક વિવાદિત જગ્યાઓ પર બાંધી દીધેલા અથવા કામચલાઉ બાંધેલા માળખાઓને ન તો ખાલી કર્યા છે ન તો એને દૂર કર્યા છે.

જોકે, અધિકારીઓ જણાવી રહ્યા છે કે બેઠક બાદ ચીનના સૈનિકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જરૂર થયો છે.

આ વર્ષના એપ્રિલ-મેથી LAC પર તણાવ છે. અખબાર લખે છે કે આખા લદ્દાખમાં ચીનના વિસ્તારથી ભારત માટે ચિંતાજનક સ્થિતિ બનેલી હતી, જેમાં ચીને પેગોંગ ત્સો (લેક) પાસે ફિંગર 4થી 8 વચ્ચેનો મોટો વિસ્તાર કબ્જે કરી લીધો હતો.

શનિવારે LAC પરની સ્થિતિ વિશે ચર્ચા કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની અધ્યક્ષતામાં ચાઇના સ્ટડી ગ્રુપ(CSG)ની બેઠક મળી હતી. જો કે બેઠકની વિગતો હજુ બહાર આવી નથી.

કોરોના સંક્રમિત દરદીના મૃત્યુ મામલે અમદાવાદની હૉસ્પિટલને 77 લાખનો દંડ

અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની રાજસ્થાન હૉસ્પિટલને એક કોરોના સંક્રમિત દરદીના મૃત્યુ મામલે 77 લાખ રૂપિયાનો દંડ કર્યો છે અને પોલીસ ફરિયાદ નોંધાવી છે એવું એનડીટીવીનો એક અહેવાલ કહે છે.

આ દંડ એક કોરોના સંક્રમિત વ્યક્તિનું બેદરકારીને કારણે મૃત્યુ થવાના કેસમાં કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આ કિસ્સાને ઘણો દુખદ ગણાવી જવાબદારો સામે કડક પગલા લેવાની સૂચના આપી એ બાદ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ કાર્યવાહી કરવામાં આવી.

અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારી ભાવિન સોલંકીના જણાવ્યા પ્રમાણે રાજસ્થાન હૉસ્પિટલમાં 18 જૂનના રોજ એક 73 વર્ષીય કોરોના સંક્રમિત દરદીને જ્યારે અન્ય જગ્યાએથી અહીં ખસેડાઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

આ કેસમાં હૉસ્પિટલને રવિવારે કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. ભાવિન સોલંકી કહે છે કે "હૉસ્પિટલને 25 લાખનો દંડ તથા આઠ બોર્ડ મેમ્બર અને 18 ટ્રસ્ટીઓ દરેકને 2-2 લાખનો દંડ મળીને કુલ 77 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. આ નાણાનો ઉપયોગ કોવિડ-19ના દરદીઓની સારવાર માટે કરવામાં આવશે."

પોલીસે આ કેસમાં બેદરકારીથી મરણ અને ગુનાહિત કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો