હાથરસ 'ગૅંગરેપ' : યોગી આદિત્યનાથે બનાવી એસઆઈટી, પરિવારજનોમાં રોષ

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 5 મિનિટ

હાથરસ 'ગૅંગરેપ' કેસમાં યોગી આદિત્યનાથે ત્રણ સભ્યોની એસઆઈટીનું ગઠન કર્યું છે અને દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તેમને બાંયધરી આપી છે.

હાથરસ ગૅંગરેપ કેસમાં પીડિતાનો પરિવાર આઝાદ સમાજ પાર્ટીના નેતા ચંદ્રશેખરની સાથે સફદરજંગ હૉસ્પિટલ પરિસરમાં જ ધરણાં પણ બેસી ગયા હતા.

પીડિતાના પરિવારજનોએ કહ્યું હતું કે પીડિતાનો મૃતદેહ તેમની પાસે નથી. પોલીસે ચંદ્રશેખરની ધરપકડ કરી હતી અને પીડિતાના પરિવારને હાથરસ લઈ જવામાં આવ્યો હતો.

ઉત્તર પ્રદેશના હાથરસમાં કથિત રીતે ગૅંગરેપનો શિકાર બનેલી 20 વર્ષીય યુવતીનું ગઈકાલે રાત્રે દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

પીડિતાનાં ભાઈએ બીબીસીને મૃત્યુ થયાની જાણકારી આપી હતી. જ્યારે હાથરસ પોલીસનું કહેવું છે કે આ કેસમાં તમામ ચાર આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલ મોકલી દેવામાં આવ્યા છે.

પીડિતાને સોમવારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની મેડિકલ કૉલેજમાંથી સફદરજંગ હૉસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં. તેઓ ગત બે અઠવાડિયાથી મૃત્યુ સામે લડી રહ્યાં હતાં.

મૃતકનાં પરિવારનો આરોપ છે કે તેમની સાથે 14 સપ્ટેમ્બરે પોતાની માતા અને ભાઈ સાથે ઘાસ કાપવા ગયાં હતાં ત્યારે ગૅંગરેપ કરવામાં આવ્યો.

પીડિતાનાં ભાઈએ કહ્યું, “મારી બહેન, મા અને મોટો ભાઈ ઘાસ કાપવા ગયાં હતાં. ભાઈ એક ઘાસનો પૂડો લઈને ઘરે આવી ગયો હતો. મા આગળ ઘાસ કાપી રહી હતી ત્યારે, તે પાછળ હતી. ત્યાંથી તેને ખેંચીને ગૅંગરેપ કરવામાં આવ્યો. તે મારી માતાને બેહોશ હાલતમાં મળી હતી.”

પરિવારના કહેવા પ્રમાણે, પીડિત યુવતી બેહોશની હાલતમાં પહેલાં સ્થાનિક સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ જવામાં આવી હતી, ત્યાંથી તેને અલીગઢ મેડિકલ કૉલેજમાં રીફર કરવામાં આવી હતી.

મેડિકલ કૉલેજમાં તેઓ 13 દિવસ સુધી વૅન્ટિલેટર પર રહ્યાં. તેને સોમવારે જ સફરજંગ હૉસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં, જ્યાં ત્રણ દિવસમાં તેઓ મૃત્યુ પામ્યાં.

પીડિતાનાં ભાઈએ કહ્યું, “તેની જીભ કાપી નાખવામાં આવી હતી, કરોડરજ્જુ તૂટી ગઈ હતી, શરીરનો એકે ભાગ કામ કરતો ન હતો. તે બોલી નહોતી શકતી. કોઈક રીતે ઇશારો કરી રહી હતી.”

ગૅંગરેપનો આરોપ ગામના ચાર તથાકથિત ઉચ્ચજ્ઞાતિના લોકો પર છે. પોલીસે તેમની ધરપકડ કરી છે.

હાથરસના એસપી વિક્રાંત વીરે બીબીસીને કહ્યું, “ચારેય આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. અમે અદાલત સામે ફાસ્ટટ્રેક સુનવણીની માગ કરીએ છીએ. પીડિતાનાં પરિવારને ગામમાં સુરક્ષા આપવામાં આવી છે.”

પોલીસ પર લાપરવાહીનો આરોપ

પીડિતાનાં ભાઈએ કહ્યું કે શરૂઆતમાં પોલીસે કેસને ગંભીરતાથી લીધો નહીં. ઘટનાના દસ દિવસ પછી આરોપીઓની ધરપકડ કરી.

તેમણે કહ્યું, ગૅંગરેપની કલમ ત્યારે લગાવવામાં આવી, જ્યારે મારી બહેને સર્કલ ઑફિસરને નિવેદન આપ્યું અને પોતાની સાથે થયેલી હિંસાને તેણે ઇશારામાં કહી.

શરૂઆતમાં પોલીસે માત્ર હત્યાના પ્રયત્નનો કેસ નોંધ્યો હતો અને એક જ આરોપીનું જ નામ રાખ્યું હતું.

પરિવારનું કહેવું છે કે પીડિતા બેહોશ હતી અને તેમને ખ્યાલ જ ન હતો કે તેમની સાથે શું થયું છે.

પીડિતાનાં ભાઈએ કહ્યું, “મારી માતા અને ભાઈ ગભરાયેલી સ્થિતિમાં પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. તેમણે તે સમયે જે સમજમાં આવ્યું, તે લખાવી દીધું. પરંતુ પોલીસે 10 દિવસ સુધી કોઈ કાર્યવાહી કરી નહીં.”

પોલીસ પર લાપરવાહીના આરોપ પર એસપી કહે છે, “પરિવારે જે લખાવી દીધું તેના આધારે શરૂમાં કેસ નોંધાયો. પછી તપાસ દરમિયાન છોકરીનું નિવેદન લેવામાં આવ્યુ, જેથી ગૅંગરેપની વાત સામે આવી અને તે કલમ લગાવવામાં આવી.”

શું મેડિકલ રિપોર્ટમાં ગૅંગરેપની પુષ્ટિ થઈ છે, આ સવાલ પર એસપી કહે છે કે આ માહિતી હાલ જણાવી શકાશે નહીં.

દલિત સંગઠનોનું વિરોધપ્રદર્શન

આઝાદ સમાજ પાર્ટીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદ શનિવારે અલીગઢમાં પીડિતાને મળવા પહોંચ્યા હતા. ત્યાં તેમણે પીડિતાને સારી સારવાર ન મળવા અને તપાસમાં લાપરવાહીના મુદ્દાને ઉઠાવ્યો હતો.

ભીમ આર્મીના કાર્યકર્તાઓએ પણ ઘટના પછી અનેક શહેરોમાં પ્રદર્શન કર્યા છે. પાર્ટીના એક કાર્યકર્તાએ કહ્યું, “દલિત છોકરીને નિશાન બનાવવામાં આવી છે, એટલા માટે તમામ ચુપ છે. એક દલિત છોકરીની સાથે ગૅંગરેપ અને પછી તેના મૃત્યુથી કોઈને કાંઈ ફરક પડતો નથી.”

ત્યાં બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ પણ આ ઘટનાને લઈને ઉત્તર પ્રદેશ સરકાર પર ગંભીર સવાલ ઉભા કર્યાં છે. માયાવતીએ એક ટ્વીટમાં કહ્યું છે, “યુપીના જિલ્લા હાથરસમાં એક દલિત છોકરીને પહેલા ખરાબ રીતે મારવામાં આવી, પછી તેની સાથે ગૅંગરેપ કરવામાં આવ્યો, જે ખૂબ જ શરમજનક અને ખૂબ જ નિંદનીય છે, જ્યારે અન્ય સમાજની બહેન-દીકરીઓ પણ હવે અહીં પ્રદેશમાં સુરક્ષિત નથી. સરકાર આની પર જરૂર ધ્યાન આપે, બીએસપીની આ માગ છે.”

પીડિતાના મૃત્યુ પછી માયાવતીએ કેસને ફાસ્ટ ટ્રેક અદાલતમાં ચલાવવાનો અને ચારેય આરોપીઓને ફાંસી આપવાની માગ કરી છે.

એક ટ્વીટમાં તેમણે કહ્યું કે યુપીના હાથરસમાં ગૅંગરેપ પછી દલિત પીડિતાનાં આજે થયેલા મૃત્યુનાં સમાચાર ખૂબ જ દુ:ખદ. સરકાર પીડિત પરિવારને દરેક પ્રકારની મદદ કરે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આરોપીઓને જલદી સજા સંભળાવે, તે બીએસપીની માગ છે.”

પરિવારમાં ભયનો માહોલ

ગૅંગરેપ પીડિતાનાં ભાઈએ કહ્યું, “ઘટના પછી આરોપીઓના પરિવારે અંજામ ભોગવવાની ધમકી આપી હતી. પોલીસને જાણ કરતા તેમણે પીએસસી તહેનાત કરી છે.”

તેમણે કહ્યું, “અમને ખૂબ જ ડર લાગે છે. તેઓ ખૂબ જ તાકાતવર છે. અમારે ગામમાંથી હિજરત પણ કરી શકવી પડે.”

શું સરકાર દ્વારા તેમને કોઈ મદદ કરવામાં આવી છે? તે સવાલ પર તે કહે છે, “હાલ તો કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી નથી. સંસદસભ્યએ લખનઉ જઈને મુખ્ય મંત્રીને મળવા માટે કહ્યું હતું, અમે પોતાની બહેનની સારવાર કરાવતા કે મુખ્ય મંત્રીને જઈને મળતા?”

રોકાઈ નથી રહ્યા બળાત્કારના કેસ

મહિલા અધિકાર કાર્યકર્તા યોગિતા ભયાના આ કેસને લઈને છેલ્લા કેટલાંય દિવસથી સતત ટ્વીટ કરી રહ્યાં છે.

તેમણે કહ્યું, “સરકારના તમામ દાવાઓ છતાં આવી ઘટનાઓ રોકાઈ રહી નથી કારણ કે ક્યાંકને ક્યાંક વહીવટી તંત્ર અને સરકાર મહિલાઓની સુરક્ષાને લઈને ગંભીર નથી.”

તે કહે છે, “આ કેસમાં પીડિતાને ગંભીર શારીરિક ઈજાઓ પહોંચી હતી. તેને મૃત્યુ પામેલી માનીને છોડી મૂકવામાં આવી હતી પરંતુ પોલીસે શરૂઆતમાં ગંભીરતાથી કાર્યવાહી ન કરી. પહેલા ધરપકડ કરવામાં દસ દિવસ લગાવ્યા. કેસને દબાવવાનો પ્રયત્ન કર્યો છે, જેનાથી ખ્યાલ આવે છે કે પોલીસે આવી ઘટનાને રોકવા માટે ગંભીર નથી. ”

તે કહે છે, “એકબાજુ અમને મહિલાઓને દેવી કહે છે અને બીજી બાજુ આ પ્રકારની ઘટનાઓ થાય છે. આ મહિનામાં જ ઉત્તર પ્રદેશમાં અનેક ગંભીર ઘટનાઓ થઈ છે. બારાબંકીમાં 13 વર્ષની દલિત છોકરીની રેપ પછી હત્યા કરી નાખવામાં આવી હતી. હાપુડમાં છ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યા પછી તેની આંખો ફોડી નાખવામાં આવી હતી. રહી-રહીને આ પ્રકારની ઘટનાઓ થવા લાગી છે પરંતુ પોલીસ-વહીવટીતંત્ર કોઈ ગંભીર પગલાં લઈ રહ્યાં નથી.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો