You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુકુલ રૉયની ઘરવાપસીની ભાજપના રાજકીય પ્રભાવ પર કેવી અસર થશે?
- લેેખક, પ્રભાકર મણિ તિવારી
- પદ, કોલકાતાથી, બીબીસી હિંદી માટે
- વાંચવાનો સમય: 6 મિનિટ
શક્યતાઓ પર વિરામ મૂકતાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રૉય પોતાના પુત્ર શુભ્રાંશુ સાથે અંતે શુક્રવારે તૃણમૂલ કૉંગ્રેસ (TMC)માં પાછા ફર્યા હતા.
TMCના સાંસદ સૌગત રોયે ગુરુવારે કરેલી ટિપ્પણી બાદ એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી હતી કે કદાચ મુકુલ રૉય સાથે પાર્ટીનું નેતૃત્વ નરમ વલણ અપનાવશે. ત્યારબાદ 24 કલાકની અંદર જ આખરે મુકુલ રૉય TMCમાં ફરી જોડાઈ ગયા.
મુકુલ રૉય, TMC પ્રમુખ અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી સાથે અણબનાવ બાદ નવેમ્બર, 2017માં જ ભાજપમાં સામેલ થયા હતા.
મમતા બેનરજીએ TMC મુખ્યાલયમાં મુકુલ સાથે લગભગ એક કલાકની બેઠક બાદ પત્રકારપરિષદમાં તેમની વાપસીનું ઔપચારિક એલાન કર્યું.
આ દરમિયાન મમતાએ કહ્યું કે, "મુકુલ આ પરિવારના સભ્ય છે. અમારી વચ્ચે કોઈ મતભેદ નહોતા. મુકુલે ચૂંટણીઅભિયાન દરમિયાન ક્યારેય TMC વિરુદ્ધ કોઈ વાત નહોતી કહી."
વિશ્વાસઘાત કરનારને પાછા નહીં લઈએ : મમતા બેનરજી
TMC પ્રમુખે શુભેંદુ અધિકારીનું નામ લીધા વગર જ ચૂંટણી પહેલાં વિશ્વાસઘાત કરીને ભાજપમાં સામેલ થનારા લોકોને ક્યારે પાર્ટી પાછા નહીં સ્વીકારે એવું કહ્યું હતું.
મમતાનું કહેવું હતું કે CBI અને EDની બીક બતાવીને ભાજપ મુકુલ રૉયને સાથે લઈ ગયો. તેમનું કહેવું હતું કે, "ઓલ્ડ ઇઝ ઑલવેઝ ગોલ્ડ".
આ દરમિયાન મુકુલે કહ્યું, "ઘણા સમય બાદ ઓળખીતી જગ્યા પર આવીને જૂના લોકો સાથે મળીને સારું લાગી રહ્યું છે. ભાજપની અહીં જે સ્થિતિ છે, તે જોતાં કોઈ પણ નેતા તેમની સાથે નહીં રહે. હું ત્યાં ન રહી શક્યો એટલે ઘરે પાછો ફરી આવ્યો." તેમણે મમતાની ઘણી સરાહના પણ કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યમાં કોરોના મહામારીની પરિસ્થિતિ સુધર્યા બાદ કોલકાતા નિગર નિગમ સહિત 100 કરતાં વધુ નગર નિગમની ચૂંટણીઓ યોજાવાની છે. આ તક પર મુકુલની વાપસી TMC માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેમને સંગઠનની ધરી ગણવામાં આવે છે.
પ્રદેશના ખૂણે-ખૂણે TMC સંગઠનને મજબૂત કરવામાં તેમની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ રહી છે. આ જ કારણે મુકુલને 'બંગાળના રાજકારણના ચાણક્ય' પણ કહેવાય છે.
TMCમાં મુકુલ માટેની જગ્યા હજુ પણ ખાલી હતી. મમતા બેનરજીએ મુકુલના ભાજપમાં સામેલ થયા બાદ તે ખાલી જગ્યાને ભરવા માટે શુભેંદુ અધિકારીને આગળ જરૂર વધાર્યા. પરંતુ તેઓ તે ભરવામાં નિષ્ફળ રહ્યા અને ચૂંટણી યોજાવાના ચાર મહિના પહેલાં ભાજપમાં જતા રહ્યા.
ચૂંટણી દરમિયાન મમતા બેનરજી સામે આંગળી નથી ચીંધી
TMCના નેતા જણાવે છે કે, "મુકુલના વલણે પણ તેમની વાપસીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેઓ ભાજપમાં સામેલ થનારા ગણતરીના નેતાઓ પૈકી એક હતા, જેમણે સમગ્ર ચૂંટણીઅભિયાન દરમિયાન ક્યારેય મમતા બેનરજી સામે આંગળી નહોતી ચીંધી."
મુકુલ રૉયની વાપસીએ ભાજપને પશ્ચિમ બંગાળમાં ભારે ફટકો આપ્યો છે અને મુકુલની વાપસી TMC માટે ઘણી મહત્ત્વપૂર્ણ છે. તેઓ TMC છોડીને ભાજપમાં જનારા પ્રથમ નેતા હતા.
તેમના બાદ અર્જુન સિંહ, સબ્યસાચી દત્ત, શોભન ચેટરજી, શુભેંદુ અધિકારી અને રાજીવ બેનરજી જેવા ઘણા નેતાઓ ભાજપમાં સામેલ થયા હતા. આવી પરિસ્થિતિમાં એવી આશંકાઓ પણ થવા લાગી કે શું મુકુલ સાથે જ ફરીથી આ મામલાની પુનરાવૃત્તિ થશે?
TMCના પ્રદેશ મહાસચિવ કુણાલ ઘોષે તો ત્યાં સુધી દાવો કર્યો છે કે ભાજપના દસ ધારાસભ્યો અને ત્રણ સાંસદો પાર્ટીના સંપર્કમાં છે. પૂર્વ સિંચાઈમંત્રી રાજીવ બેનરજી પણ ભાજપની નીતિઓની ટીકા કરી ચૂક્યા છે.
પોતાનાં સંસાધનો સાથે સંપૂર્ણ તાકાતથી વિધાનસભાની ચૂંટણીમાં ઊતરનાર ભાજપના કેન્દ્રીય નેતાઓએ એવી કલ્પના પણ નહીં કરી હોય કે પશ્ચિમ બંગાળમાં ઇતિહાસ આટલી જલદી રિપીટ થશે.. ચૂંટણી પહેલાં જ્યાં સત્તારૂઢ TMCમાંથી ભાજપમાં સામેલ થવા માટે લાઇન લાગી હતી. તેની સામે હવે ઊલટું વલણ જોવા મળી રહ્યું છે.
PM મોદીનો ફોન પણ રોકવામાં રહ્યો નિષ્ફળ
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રૉયની કથિત નારાજગી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી તેમને ફોન કરાયો હોવાની વાત સામે આવ્યા બાદ બંગાળના રાજકારણમાં આશંકાઓની ચર્ચા ચરમસીમાએ પહોંચી ગઈ.
આ આશંકા ત્યારે પ્રબળ બની જ્યારે મમતા બેનરજીના ભત્રીજા અને TMCના સાંસદ અભિષેક બેનરજી મુકુલ રૉયનાં કોરોનાથી સંક્રમિત પત્નીની ખબર પૂછવા માટે હૉસ્પિટલ પહોંચ્યા હતા. મુકુલ અને તેમનાં પત્ની બંને કોરોનાથી સંક્રમિત થયાં હતાં.
મુકુલ તો આ માંદગીમાંથી બેઠા થઈ ગયા. પરંતુ તેમનાં પત્ની પાછલા એક માસથી જ કોલકાતાની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ છે હાલ તેમની હાલત નાજુક છે. પરંતુ પ્રદેશ કે કેન્દ્રના કોઈ ભાજપના નેતા તેમની ખબર પૂછવા માટે નહોતા ગયા. આ વાતથી મુકુલ ઘણા નારાજ હતા એવું કહેવાઈ રહ્યું હતું. તેમણે પોતાના નિકટના લોકો સાથે આ અંગે વાત પણ કરી હતી.
અભિષેક બેનરજીના અચાનક હૉસ્પિટલ પહોંચવાના અને મુકુલના દીકરા શુભ્રાંશુ રૉય સાથે મુલાકાત બાદ ભાજપમાં સક્રિયતા દેખાઈ. પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે એ જ દિવસે એલાન કરીને હૉસ્પિટલ પહોંચ્યા અને બીજા દિવસે વડા પ્રધાન અને ગૃહમંત્રીએ પણ મુકુલને ફોન કરીને તેમનાં પત્નીના હાલચાલ પૂછ્યા હતા.
શુભાંશુએ ત્યારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "પાર્ટીના નેતાઓનું હૉસ્પિટલ આવવું કે ફોન કરવો એ તો સામાન્ય બાબત છે. પરંતુ વિપક્ષમાં હોવા છતાં અભિષેકે અહીં આવીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ બાળપણથી મારાં માતાને ઓળખે છે અને સામાન્યપણે તેમને કાકી મા કે કાકી કહે છે."
શું આપ TMCમાં પાછા ફરવાનું વિચારી રહ્યા છો? આ પ્રશ્નનો ઉત્તર આપતાં શુભ્રાંશુએ કહ્યું હતું, "પહેલાં મા સ્વસ્થ થઈ જાય. ત્યારબાદ આ તમામ મુદ્દે વિચાર કરવામાં આવશે. રાજકારણો તો ચાલતું જ રહેશે."
'ભાજપમાં મુકુલ રૉયની આશા ખતમ નથી થઈ'
ભાજપના એક નેતા નામ ન છાપવાની શરતે જણાવે છે કે, "પાર્ટીના પ્રદેશ નેતૃત્વથી મુકુલ રૉયની નારાજગી છૂપી નહોતી. તેમને પાર્ટીમાં ક્યારેય એ સન્માન ન મળ્યું, જેમના તેઓ હકદાર હતા. વિપક્ષના નેતા તરીકે પણ તેમનું નામ સામે આવ્યું. પરંતુ તેમના સ્થાને શુભેંદુ અધિકારીને આ પદ પર બેસાડી દેવામાં આવ્યા."
મુકુલ રૉયના પુત્ર શુભ્રાંશુએ પણ સતત વિરોધનું વલણ જાળવી રાખ્યું હતું. પહેલાં તેમણે પોતાના એક ટ્વીટમાં પાર્ટને TMCની ટીકા કર્યા સિવાય આત્મમંથનની સલાહ આપી હતી અને ત્યારબાદ પત્રકારો સાથેની એક વાતચીતમાં મમતા બેનરજી અને અભિષેકની સરાહના પણ કરી હતી.
રાજકીય વિશ્વલેષકોનું કહેવું છે કે મુકુલ રૉય જે આશાઓ સાથે ભાજપમાં સામેલ થયા હતા તે પૂરી ન થઈ. પ્રદેશ નેતૃત્વે તેમને ખાસ મહત્ત્વ ન આપ્યું. આ જ કારણે તેમણે ચૂંટણી બાદ રાજકારણથી પોતાની જાતને દૂર કરી લીધી હતી.
ધારાસભ્ય તરીકે શપથ લીધા બાદ તેઓ સાર્વજનિકપણે કોઈ કાર્યક્રમમાં નથી જોવા મળ્યા. તેમણે વિધાનસભાની ચૂંટણી ઘણી અનિચ્છા સાથે લડી હતી. તેઓ તો જીતી ગયા. પરંતુ તેમના પુત્ર બીજપુર બેઠક પરથી હારી ગયા.
ગત શનિવારે TMની કાર્યકારી સમિતિની બેઠકમાં પાર્ટી બદલનારાઓની વાપસીના મુદ્દે કોઈ ચર્ચા નહોતી થઈ.
TMCના એક મોટા નેતાએ નામ ન છાપવાની શરતે બીબીસીને જણાવ્યું કે, "મુકુલની વાપસીમાં મમતાના ભત્રીજા અભિષેક બેનરજીની મહત્ત્વની ભૂમિકા રહી છે તેમણે હૉસ્પિટલમાં મુકુલનાં પત્નીની ખબર પૂછવાના બહાને શુભ્રાંશુ સાથે વાત શરૂ કરવાનો રસ્તો ખોલી દીધો. બાદમાં મમતાએ પણ તેના માટે સ્વીકૃતિ આપી દીધી."
પ્રદેશ ભાજપની બેઠકમાં મુકુલ રૉય અને તેમના પુત્રનાં આડાંઅવળાં નિવદેનોના સંદર્ભમાં પાર્ટીનું અનુશાસન ભંગ કરવાના આરોપો લાગ્યા અને આ મુદ્દે ચર્ચા પણ થઈ.
પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ અને મુકુલ રૉય વચ્ચે પહેલાંથી નહોતી બનતી. બેઠકમાંથી મળતી ખબરોએ મુકુલની નારાજગીના અગ્નિમાં ઘી હોમવાનું કામ કર્યું.
હાલમાં ભાજપના નેતા સાયંતન ચક્રવર્તીએ ભાજપને હાથી અને શુભ્રાંશુને કીડી ગણાવતાં કહ્યું હતું કે હાથીની પીઠ પરથી એક કીડી ઊતરી પણ જાય તો તેના સ્વાસ્થ્ય પર કોઈ અસર નથી પડતી. આવી ટિપ્પણીઓએ મુકુલની નારાજગી વધારી દીધી.
મુકુલ રૉયની વાપસીની બંગાળ પર કેવી અસર થશે?
આમ તો મુકુલની ઘરવાપસીની આશંકાઓ ચૂંટણીનાં પરિણામો બાદ જ તેજ થઈ ગઈ હતી. પરંતુ ત્યારે મુકુલે એક ટ્વીટ મારફતે સ્પષ્ટતા કરવી પડી કે તેઓ ભાજપમાં જ છે.
ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પણ તેમના ટ્વીટને રીટ્વીટ કરીને મુકુલની સરાહના કરી હતી. પરંતુ શુભ્રાંશુ તરફથી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સતત વધતા જઈ રહેલા મતભેદો પર નારાજગી વ્યક્ત કરાયા બાદ આ આશંકાઓ વધુ પ્રબળ બની હતી.
મુકુલ રૉય ભાજપથી અલગ થયા તેની બંગાળના રાજકારણના પરિદૃશ્ય પર શી અને કેવી અસર થશે?
આ પ્રશ્નનો ઉત્તર આપતાં રાજકીય વિશ્લેષક પ્રોફેસર સમીરન પાલ કહે છે કે, "મુકુલ રૉયની સાંગઠનિક દક્ષતા કોઈનાથી છુપાયેલી નથી. તેમના કારણે ભાજપને ખાસ કરીને વર્ષ 2018ની પંચાયત અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ઘણો ફાયદો થયો છે."
તેઓ કહે છે કે, "મુકુલની વાપસીતી ભાજપમાં સામેલ થનારા અને્ય લોકો અધીરા બનશે સાથે જ શહેરી નગરનિગમની ચૂંટણીઓ બાદ આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ માટે મોટી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. જોકે એ કહેવું અતિશયોક્તિ કહેવાશે કે મુકુલના પાછા ફરવાથી ભાજપના વિખેરાવાની શરૂઆત થશે."
અન્ય એક પ્રશ્ન પર પ્રોફેસર પાલ કહે છે કે, "મુકુલ TMCમાં પાછા ફરવાના કારણે હવે પાર્ટીના મતુઆ મતોના વહેંચાઈ જવાની પ્રક્રિયા પર અંકુશ લગાવી શકશે. આ મતબૅંકમાં હાલ ભાજપને અમુક હદ સુધી સફળતા મળી છે."
બંગાળમાં મતુઆ વોટબૅંક ઓછામાં ઓછી 70 વિધાનસભાની સીટો પર નિર્ણાયક સ્થિતિમાં છે. હવે મુકુલના પાછા ફરવાના કારણે જે લોકો ભાજપતરફી મતદાન કરી રહ્યા હતા તેઓ પાછા TMC તરફ આકર્ષાઈ શકે છે.
ઉત્તર 24 પરગણા જિલ્લામાં મુકુલની મજબૂત પકડ છે. ત્યાં જ મતુઆ સમુદાયના લોકોની જનસંખ્યા વધુ છે. તેઓ પાછલી ચૂંટણીમાં નદિયા જિલ્લાના કૃષ્ણા નગર ઉત્તર બેઠક પરથી જ જિત્યા હતા. ત્યાં પણ મતુઆ લોકોની વસતી નિર્ણાયક છે.
આ અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું, "કોઈ પણ ગમે તે પાર્ટીમાં જોડાવા માટે સ્વતંત્ર છે. તેમના આવવાથી કોઈ ખાસ ફાયદો થયો નહોતો. હવે જોઈએ જવાથી શું નુકસાન થાય છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો