You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અરવિંદ કેજરીવાલની હાજરીમાં ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા
દિલ્હીના મુખ્ય મંત્રી અને આપના નેતા અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ પાર્ટીના નવા કાર્યાલયના ઉદઘાટન માટે અમદાવાદ આવ્યા છે.
તેમની આ મુલાકાત ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં જોવામાં આવી રહી છે.
આ દરમિયાન ગુજરાતના પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી પણ અરવિંદ કેજરીવાલને મળવા માટે સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.
બાદમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આ તકે પત્રકારપરિષદમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટી લોકોના વિકાસ માટે કામ કરી રહી છે. દિલ્હી અને ગુજરાતનું મૉડલ અલગ છે. ગુજરાતનું મૉડલ ગુજરાતના લોકો જાતે નક્કી કરશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં વેપારીઓ અને ખેડૂતો પરેશાન છે. અમે કોઈ પાર્ટી કે નેતાની વિરોધમાં નથી, અમે વિકાસ સાથે છીએ. ગુજરાતના લોકોએ નક્કી કરવાનું છે કે તેમણે રાજનીતિ બદલવી છે કે નહીં.
અગાઉ ગુજરાતના પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી પણ અરવિંદ કેજરીવાલને મળવા માટે સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.
અરવિંદ કેજરીવાલે કહ્યું, "હું ગુજરાતના જાણીતા પત્રકાર શ્રી ઈસુદાન ગઢવીજીનું આમ આદમી પાર્ટી પરિવારમાં સ્વાગત કરું છું. મને પૂરો વિશ્વાસ છે કે ઈસુદાનભાઈએ ગુજરાત માટે જે સપનું જોયું છે તે નિશ્ચિતરૂપે ગુજરાતની જનતા સાથે મળીને પૂરું કરશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે કહ્યું કે કોરોનાકાળમાં ગુજરાતના લોકોને અનાથ છોડી દીધા હતા, તેમનું કોઈએ ધ્યાન રાખ્યું નહોતું.
એમણે કહ્યું, ગુજરાતની રાજનીતિ ખરાબ છે, બંને પાર્ટીઓ મળેલી છે અને લોકોનું કોઈ સાંભળતું નથી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આગામી ચૂંટણીમાં જનતા અમારો ચહેરો રહેશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં થનારી આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ સીટો પર ચૂંટણી લડશે.
ઈસુદાન મળતા પહોંચ્યા ત્યારે તેમની બાજુમાં અરવિંદ કેજરીવાલ અને આપના ગુજરાતના પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ હાજર હતા.
ગુજરાતમાં આવતા પહેલાં અરવિંદ કેજરીવાલે 13 જૂને ગુજરાતી ભાષામાં ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે હવે બદલાશે ગુજરાત.
ગુજરાતમાં ફેબ્રુઆરીમાં મહાનગપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો જીતીને મોટો ઊલટફેર કર્યો હતો અને એ પછી ગુજરાતમાં ત્રીજા વિકલ્પની ચર્ચા શરૂ થઈ છે અને રાજકારણ ગરમાયું છે.
સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી મિશન 2022 હેઠળ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારી કરી રહી છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સારો દેખાવ બાદ આમ આદમી પાર્ટી રાજ્યમાં ત્રીજો વિકલ્પ બની શકે કે કેમ તે વિશે ચર્ચા છેડાઈ છે.
જોકે ગુજરાતના રાજકીય ઇતિહાસ પર નજર કરવામાં આવે તો અહીં ત્રીજો મોરચો સફળ થયો હોય એવું જણાતું નથી.
2022ની વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે પરતું રાજકીય વિશ્લેષકોના મતે પક્ષ પાસે સમય ઓછો છે અને સંગઠન પણ જોઈએ એટલું મજબૂત નથી.
ગુજરાતમાં અંદાજે 25 વર્ષથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને કૉંગ્રેસ પક્ષ હજુ સુધી સત્તાથી વિમુખ છે.
છેલ્લે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ ભાજપે સારી એવી બેઠકો જીતી હતી અને કૉંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો