કરનાલમાં મહાપંચાયત માટે ભેગા થયા ખેડૂતો, સરકારે શાંતિ માટે અપીલ કરી, ચેતવણી પણ આપી

વાંચવાનો સમય: 5 મિનિટ

આંદોલનકારી ખેડૂતોના ગઠબંધન 'સંયુક્ત કિસાન મોરચા'એ મંગળવારે કરનાલમાં મહાપંચાયત બોલાવી અને પછી લઘુ સચિવાલયનો ઘેરાવ કર્યો છે.

બીબીસી સંવાદદાતા કમલ સૈની મુજબ ખેડૂતોએ પોલીસ બૅરિકેડ તોડીને લધુ સચિવાલયનો ઘેરાવ કરી લીધો છે.

સુરક્ષાબળોએ પ્રદર્શનકારીઓ પર વૉટર કૅનનનો ઉપયોગ કર્યો પરંતુ તેઓ આગળ વધતા ગયા.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે હરિયાણા સરકાર વૉટર કૅનનથી ખેડૂતોને દબાવી નહીં શકે.

આ દરમિયાન પથ્થરબાજીના પણ સમાચાર આવ્યા હતા.

હરિયાણાની ખાપ પંચાયતે પણ ખેડૂતોને ટેકો આપ્યો છે.

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ રાકેશ ટિકૈતે કહ્યું છે કે "અમે ગેટ પર કબજો કરી લીધો છે અને અમે થોડો આરામ કરવા માગીએ છીએ, વાતચીતનો સમય જતો રહ્યો છે અને હવે વાતચીત પછી થઈ શકે છે."

ખેડૂતોની મહાપંચાયતમાં સ્વરાજપક્ષના યોગેન્દ્ર યાદવ, ખેડૂતનેતા રાકેશ ટિકૈત અને ગુરનામસિંહ ચઢૂની સહિતના નેતાઓ કરનાલ પહોંચ્યા છે.

પોલીસે ખેડૂતોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અપીલ કરી છે તથા ચાંપતો સુરક્ષાબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આ આંદોલનને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે, તો ભાજપે તેમના ટ્વીટ ઉપર જ સવાલ ઊભા કર્યા છે.

કરનાલની સ્થિતિ

કરનાલના ઉપાયુક્ત નિશાંત કુમાર યાદવે કહ્યું કે આંદોલનકારીઓ દ્વારા મંગળવારે સચિવાલયનો ઘેરાવ કરવાના કાર્યક્રમને જોતાં જિલ્લા પ્રશાસને વ્યાપક વ્યવસ્થા કરી છે જેથી કોઈ પણ જાનમાલનું નુકસાન ન થાય.

તેમણે કહ્યું કે જિલ્લામાં આંદોલનકારીઓને કારણે કોઈ પણ જાનમાલના નુકસાનથી બચવા માટે ભારે પોલીસબળને તહેનાત કરાયું છે. આંદોલનકારીઓને સંતુષ્ટ કરવાના બધા પ્રયત્નો કરાયા.

આંદોલનકારી ખેડૂત નેતાઓને વાતચીત માટે લઘુ સચિવાલય બોલાવાયા હતા. આ કમિટીમાં 15 નેતાઓએ ભાગ લીધો. ત્રણ કલાક ચાલેલી બેઠક નિષ્ફળ થઈ પછી ખેડૂત નેતાઓએ લઘુ સચિવાલયના ઘેરાવનો નિર્ણય લીધો.

પહેલાં યોગેન્દ્ર યાદવે દાવો કર્યો હતો કે તેમને અટકાયતમાં લેવામાં આવ્યા, બાદમાં કહ્યું હતું કે બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હોવાથી તેઓ પગપાળા જ આંદોલનમાં સામેલ થવા માટે આગળ વધી રહ્યા હતા.

બીબીસી સંવાદદાતા કમલ સૈની જણાવ્યું હતું કે ખેડૂતોની યોજના મિનિ સચિવાલયને ઘેરવાની છે. સ્થાનિક તંત્રે મોટી સંખ્યામાં સુરક્ષાબળ તથા રૅપિડ ઍકશન ફૉર્સની ટુકડીઓને તહેનાત કરી હતી.

પ્રદર્શનકારીઓ ઉપર નિયંત્રણ મેળવવા માટે વૉટર કૅનન તહેનાત કરવામાં આવ્યા હતા, ભીડ ઉપર નજર રાખવા માટે ડ્રૉનની પણ મદદ લેવામાં આવી રહી હતી અને અલગ-અલગ સ્થળોએ બૅરિકેડિંગ કરવામાં આવ્યું હતું.

ખેડૂતનેતા ગુરનામસિંહએ કહ્યું કે જરૂર પડી તો બૅરિકેડ તોડી નાખવામાં આવશે. સાથે જ કહ્યું છે કે તેમનું આંદોલન શાંતિપૂર્ણ હશે અને તેઓ કોઈપણ પ્રકારની હિંસામાં સામેલ નહીં થાય.

વાટાઘાટ પડી ભાંગી

કરનાલમાં પોલીસ અધીક્ષક ગંગારામ પુનિયાએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે કરનાલમાં અનાજમંડી અને આસપાસના ક્ષેત્રમાં પોલીસની 40 કંપનીઓ તહેનાત છે.

તેમણે કહ્યું, "અમે વાતચીત કરીશું અને શાંતિ જળવાઈ રહે તે અમારું લક્ષ્ય છે."

વળી બીજી તરફ હરિયાણાના ગૃહમંત્રી અનિલ વીજે પણ ખેડૂતોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.

તેમણે કહ્યું, "જો ખેડૂતો શાંતિથી પ્રદર્શન કરે છે તો કોઈ વાંધો નથી. તેમને અપીલ કરું છું કે હરિયાણામાં આંદોલનની જરૂર નથી કેમ કે ત્રણ કાયદા લાગુ નથી થયા."

28મી ઑગસ્ટે કરનાલમાં એક ટોલ પ્લાઝા પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર હરિયાણા પોલીસે લાઠીચાર્જ કરતાં 10 લોકોને ઈજા પહોંચી હતી, જ્યારે એકનું મૃત્યુ થયું હતું.

ખેડૂતોની માગ છે કે 'માથા ફોડી નાખો'નો આદેશ આપનારા આઈએએસ અધિકારી આયુષ સિંહાને કમ સે કમ સસ્પેન્ડ કરવામાં આવે. જેને માનવાનો તંત્ર દ્વારા ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. સિંહા મુદ્દે મહાપંચાયતમાં ચર્ચા થવાની છે.

મહાપંચાયતમાં રાકેશ ટિકૈત, બલબીરસિંહ રાજેવાલ, ગુરનામસિંહ ચઢૂની, જોગિન્દરસિંહ ઉગરાહા, ડૉ. દર્શનપાલ સહિતના ખેડૂતનેતા પહોંચી રહ્યા છે.

બીબીસીના સહયોગી પત્રકાર સતસિંહના જણાવ્યા પ્રમાણે, ઉપરોક્ત નેતા સહિત 11 ખેડૂતનેતા સાથે તંત્રની અઢી કલાક સુધી બેઠક થઈ હતી, જે નિષ્ફળ રહી હતી.

કાયદોવ્યવસ્થા અને કંકાસ

પોલીસને બાતમી મળી હતી કે મહાપંચાયતમાં કેટલાક લોકો લોખંડના સરિયા તથા લાકડીઓ લઈને પહોંચ્યા હતા, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

પોલીસ તથા સરકાર દ્વારા લોકોને શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ સંજોગોમાં સુલેહશાંતિનો ભંગ થવા દેવામાં નહીં આવે.

ખેડૂતનેતા ગુરનામસિંહે દાવો કર્યો હતો કે કોઈ ખેડૂત હિંસક પ્રદર્શન દરમિયાન હિંસા નહીં આચરે અને જો કોઈની પાસે હથિયાર હોય તો તે ખેડૂત નથી. તે શાંતિપૂર્ણ પ્રદર્શનને બદનામ કરવાનું 'કાવતરું' હોય શકે છે. જ્યાં સુધી માગોનો સ્વીકાર ન થાય, ત્યાર સુધી આંદોલન કરવાની પણ તેમણે વાત કહી હતી.

મંગળવારે કરનાલમાં ખેડૂત મહાપંચાયતમાં હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ રહ્યા હતા, ત્યારે કરનાલ અને આસપાસના ચાર જિલ્લામાં સરકાર દ્વારા ઇન્ટરનેટ બંધ કરી દેવાયું હતું.

ગૃહવિભાગ તરફથી જારી આદેશ અનુસાર આ જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સોમવારે બપોરે 12.30 વાગ્યાથી મંગળવાર મધરાત સુધી બંધ રહેશે.

જિલ્લાના તંત્ર દ્વારા કલમ 144 પણ લાદી દેવાઈ છે અને સંખ્યાબંધ પોલીસકર્મીઓ ગોઠવી દેવાયા છે.

જિલ્લામાં શાંતિ અને વ્યવસ્થા ન ખોરવાય તે માટે જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'મોબાઇલ ઇન્ટરનેટ, એસએમએસ અને ડૉન્ગલથી ચાલતા ઇન્ટરનેટની સેવા બંધ રહેશે.'

રાહુલે સમર્થન જાહેર કર્યું

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને હરિયાણામાં આંદોલન કરી રહેલા ખેડૂતોને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.

રાહુલે લખ્યું, "જ્યાં હર-હર અન્નદાતા, ઘર-ઘર અન્નદાતા ત્યારે કોને-કોને અટકાવશો ?"

આ પહેલાં ભારતીય જનતા પાર્ટીએ મુઝફ્ફરનગરમાં ખેડૂતોની મહાસભા સંદર્ભે રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરવામાં આવેલી એક તસવીર ઉપર સવાલ ઊભા કર્યા હતા અને તેમની ટીકા કરી હતી.

ભાજપનું કહેવું હતું કે રાહુલ ગાંધી દ્વારા જે તસવીર ટ્વીટ કરવામાં આવી હતી, તે મુઝફ્ફરનગરની નહોતી. તો કૉંગ્રેસનું કહેવું હતું કે રાહુલ ગાંધી દ્વારા એવો દાવો પણ કરવામાં નહોતો આવ્યો.

'મરી જઈશું પણ આંદોલન નહીં છોડીએ'

આ અગાઉ ખેડૂતનેતા રાકેશ ટિકૈતે મુઝફ્ફરનગર ખાતે યોજાયેલી ખેડૂત મહાપંચાયતમાં કહ્યું કે ખેડૂતો પોતાની માગો પૂરી ન થાય, ત્યાં સુધી દિલ્હીની બૉર્ડરો પરથી નહીં હઠે.

રાકેશ ટિકૈતે મુઝફ્ફરનગરમાં આયોજિત ખેડૂત મહાપંચાયતમાં કહ્યું કે, "ખેડૂતો પોતાનો વિજય ન થાય, ત્યાં સુધી પાછળ નહીં હઠે."

ખેડૂત મહાપંચાયત ત્રણ કૃષિકાયદાના વિરોધમાં યોજાઈ હતી. કાયદા પાછા ખેંચવાની માગને લઈને ખેડૂતો નવ મહિના કરતાં વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે.

રાકેશ ટિકૈતે કહ્યું, "અમે પ્રણ લઈએ છીએ કે અમે આંદોલનનું સ્થળ નહીં છોડીએ, ભલે ત્યાં અમારી કબરો કેમ ન ખોદાઈ જાય. જરૂર પડ્યે અમે પ્રાણ ત્યજી દઈશું, પરંતુ અમારી જીત ન થાય ત્યાં સુધી અમે આંદોલનસ્થળ નહીં છોડીએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો