You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ચીન તણાવની વચ્ચે અરુણાચલ પ્રદેશનાં ગામડાંમાં કેવી સ્થિતિ છે?
- લેેખક, શકીલ અખ્તર
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 5 મિનિટ
અરુણાચલ પ્રદેશ એ પૂર્વોત્તર ભારતનું છેવાડાનું રાજ્ય છે, જેની લગભગ એક હજાર કિલોમીટરની સરહદ ચીન સાથે જોડાયેલી છે. અહીંના મોટાભાગના વિસ્તાર પર ચીન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે અને તેને 'દક્ષિણ તિબેટ' તરીકે ઓળખાવે છે.
સુંદર પહાડો, નદીઓ અને જંગલોથી સમૃદ્ધ અરુણાચલ પ્રદેશ સરહદ પર વિવાદ છત્તાં એકંદરે શાંત રાજ્ય રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીંની સ્થિતિમાં પરિવર્તન આવ્યું છે અને સરહદી વિસ્તારોમાં તણાવ વધ્યો છે.
ગત વર્ષે લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે અથડામણની વચ્ચે 17 લાખની વસતિવાળા અરુણાચલમાં પણ તણાવ પ્રવર્તમાન છે, છતાં ત્યાંથી બહુ થોડી વાત કે માહિતી મળવા પામે છે.
ઇનરલાઇન પરમિટની જરૂર
અરુણાચલ પ્રદેશ ભારતનું રાજ્ય હોવા છતાં ત્યાં સીધો પ્રવેશ નથી કરી શકાતો. ત્યાં જતાં પહેલાં ઇનર લાઇન પરમિટ લેવી પડે છે. આ વિશેષ મંજૂરીપત્ર રાજ્યની બહારથી આવતા (બિનભારતીયો અને ભારતીયો સહિત) લોકોએ લેવું પડે છે.
ઇનરલાઇન પરમિટ લઈને અમે અરુણાચલ પ્રદેશની મુલાકાતે નીકળ્યા. અહીં વસતિ ઓછી છે એટલે ગામડાં પણ નાનકડાં અને છૂટાછવાયા વસેલા છે.
ચીનની સરહદ નજીકના ગામડા સુધી પહોંચવા માટે દુર્ગમ રસ્તા પરથી પસાર થવું પડે, અમે આવા જ એક ગામ તરફ વધી રહ્યા હતા.
રસ્તામાં હૌલિયંગ નામનો વિસ્તાર આવે છે કે જે અન્જાવ જિલ્લાનું મુખ્ય મથક છે. ચીનની સરહદની નજીક આવેલા આ ગામડામાં ભારતીય સેનાની મોટી છાવણી છે.
મુસાફરીના બીજા વડાવમાં અમે ચીનની સરહદની વધુ નજીક આવેલા વાલંગ ગામ ખાતે પહોંચ્યા, ત્યાં અમારે રાતવાસો કરવાનો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીંથી કાહૂ તથા કિબતૂ ગામ સરહદની નજીક જ છે. આ સમગ્ર વિસ્તાર ભારતીય સેનાના તાબા હેઠળ આવે છે. અહીંનું વૉર મૅમોરિયલ વાલંગને વિશિષ્ટ બનાવે છે. વાસ્તવમાં 1962માં ચીને અહીંના મોટા વિસ્તાર ઉપર કબજો કરી લીધો હતો.
ભારતના હજારો સૈનિકોએ આ વિસ્તારની સુરક્ષા કરતા પ્રાણોની આહુતિ આપી હતી. તેમની સ્મૃતિમાં આ વૉર મૅમોરિયલની સ્થાપના કરવામાં આવી છે.
'છેવાડાનું ગામ'
વાલંગમાં રાતવાસો કર્યા બાદ બીજા દિવસે સવારે અમે અરુણાચલ પ્રદેશના છેવાડાના ગામ કાહૂ ખાતે પહોંચ્યા. આ ગામ એલએસી (લાઇન ઑફ ઍકચ્યૂઅલ કંટ્રોલ)ની ખૂબ જ નજીક છે તથા ત્યાંથી ચીનના અમુક ગામડાં પણ જોઈ શકાતા હતા.
ઊંચા-ઊંચા શિખરોની વચ્ચેથી એલએસી પસાર થાય છે. અહીં મોટી સંખ્યામાં સૈનિકોની તહેનાતગી ઊડીને આંખે વળગે છે. બીજી બાજુ, ચીનના ગામડામાં પણ પીપલ્સ લિબરેશન આર્મીની સૈન્ય છાવણીઓ પણ નજરે પડે છે.
હાલ કાહૂમાં ભારે પ્રમાણમાં નિષેધાત્મક આદેશો લાગુ છે, પરંતુ અગાઉ એવું ન હતું. માંડ 8-10 ખોરડા ધરાવતું આ ગામડું શાંતિપ્રિય છે. પરંતુ જ્યારથી લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો સામ-સામે ઊભા છે, ત્યારથી અહીં પણ હિલચાલ વધી ગઈ છે. નિયંત્રણો તથા સૈન્ય પ્રવૃત્તિઓ વધી ગયાં છે.
ગામના લોકોનું કહેવું છે કે ક્યારેક ચીનના સૈનિકો એલએસી પાર કરીને અહીં આવી જાય છે. ગામના કેટલાક લોકોએ અમને કૅમેરા ઉપર ઑન-રેકોર્ડ જણાવ્યું કે ચીનના સૈનિકો ભારતીય હદમાં પ્રવેશી જાય છે. છોચી મિયોર નામના મહિલાએ જણાવ્યું :
"સરહદ પારના ખેડૂતોને આગળ કરીને ચીનના સૈનિકો આ વિસ્તારમાં પ્રવેશી જાય છે અને આ જગ્યાને ઘેરી લે છે તથા જાનવરોના રહેવાની વ્યવસ્થા તૈયાર કરે છે અને પછી સૈનિકો દ્વારા તેનો ઉપયોગ થવા માંડે છે."
આ સિવાય પણ સ્થાનિકોની બીજી કેટલીક મુશ્કેલીઓ અને સમસ્યા છે.
કાહૂ ગામના સરપંચ ખેતી મિયોર સમસ્યાઓને ગણાવતા જણાવે છે, "ઘર કે ખેતરની સામે ચીનના સૈનિકો પોતાની ગાડીઓ પાર્ક કરી દે છે. જે ગામ દેખાય છે, તે વાસ્તવમાં ભારતનું છે."
આ સમગ્ર વિસ્તાર ભારતીય સેનાની દેખરેખ હેઠળ આવે છે. અહીં મોટાપાયે સૈન્ય હિલચાલ જોઈ શકાય છે.
જે અમુક લોકો અહીં રહે છે, તેઓ બદલાયેલી પરિસ્થિતિમાં વાતચીત કરવાનું ટાળી રહ્યા છે. વાતાવરણમાં પ્રવર્તમાન તણાવ અનુભવી શકાય છે.
ચીનના દાવાને પગલે ભારત દ્વારા કાહૂ ગામને પર્યટકસ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. અહીં પ્રવાસીઓના રહેણાંક માટે સ્ટે-હૉમ બનાવવામાં આવી રહ્યાં છે.
ખુદ સરકાર દ્વારા મોટી ટુરિસ્ટ લોજનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. લોજની પાસે સેના દ્વારા પુલનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને તેની આગળ નાગરિકો જઈ નથી શકતા.
ચીને હિલચાલ વધારી
ચીન દ્વારા એલએસીને પેલે પાર મોટાપાયે બૅરેક (સૈનિકો માટેની રહેણાંક વ્યવસ્થા) ટાવર તથા સૈન્ય ઠેકાણા બનાવ્યા છે. આ રિપોર્ટ માટે અમે અરુણાચલ પ્રદેશ જઈ રહ્યા હતા, તે પહેલાં એક ટીવી ચેનલે દાવો કર્યો હતો કે ચીને રાજ્યના વિસ્તારમાં ગામડાં તથા સૈન્ય છાવણીઓની સ્થાપના કરી છે.
તાજેતરમાં અમેરિકાના સંરક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે, ચીને ભારતની સરહદની અંદરની બાજુએ એક ગામડું ઊભું કર્યું છે. આ સિવાય અરુણાચલ પ્રદેશની સરહદ નજીક ચીનના સૈનિકોની હિલચાલ મોટાપાયે વધી કઈ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.
છેવાડાના ક્ષેત્ર મેચુકાના ભારતીય સાંસદ તપિર ગાવે પણ લાંબા સમયથી ચીનના સૈનિકોની હિલચાલ અંગે ચેતવણીનો સૂર ઉચ્ચારતા રહ્યા છે. ઇસ્ટ અરુણાચલ પ્રદેશ બેઠક પરથી સંસદસભ્ય તપિર ગાવના કહેવા પ્રમાણે :
"સુબાનસિરિમાં જ્યાં 100 મકાન બન્યા છે, તે મૅકમોહન લાઇન પ્રમાણે, ભારતની બાજુ બન્યા છે. 1962ના યુદ્ધ પછી ચીનના સૈનિકો આ વિસ્તાર પર કબજો વધારતા રહ્યાં છે. ચીનની સેનાએ એક કાયદો પસાર કર્યો છે, જે મુજબ જ્યાં તેમનું ગેરકાયદેસર દબાણ થયું છે, ત્યાંથી પીઠેહઠ નહીં કરે. એવા મતલબનો લૅન્ડ લૉ પસાર કર્યો છે."
ભારતે પણ હિલચાલ વધારી
સ્થાનિકોએ અમને જણાવ્યું કે ચીનની સેનાની હિલચાલ બાદ ભારતે પણ તવાંગ, અન્જાવ તથા મેચુકા જેવા વિસ્તારોમાં વધારાની સેના ખડકી છે અને ભારે હથિયાર પહોંચાડ્યા છે.
પાસી ઘાટ બેઠક પરથી ધારાસભ્ય નેનાંગ એરિંગના કહેવા પ્રમાણે, "બૉફોર્સ તોપ, હૉવિત્ઝર તોપ પહોંચાડી દેવામાં આવી છે. પહેલાં સંબંધ સારા હતા, પરંતુ જ્યારથી ડોકલામમાં ગડબડ થઈ છે, લદ્દાખમાં તકલીફ થઈ છે, ત્યારથી ચીનનું વલણ બદલાઈ ગયું છે. ધીમે-ધીમે તેઓ (ચીન) આક્રમક સ્વરૂપમાં આવી ગયું છે."
તેજૂથી કાહૂ તથા કિબેતૂ સુધીની યાત્રા દરમિયાન અમે જોયું કે દરેક સ્થળે રસ્તા પહોળા કરવામાં આવી રહ્યા છે.
ભારે પ્રમાણમાં સૈન્ય સરંજામ, ટ્રક મશીનરી તથા સૈનિકોની ઝડપી અવરજવર માટે પહાડોને તોડીને રસ્તા બનાવવામાં આવી રહ્યા છે.
અહીંના જૂના રસ્તાને વધુ મજબૂત તથા સુગમ બનાવવામાં આવી રહ્યા છે. આ સિવાય જૂના પુલના સ્થાને ડઝનબંધ નવા પુલ બનાવવામાં આવી રહ્યા છે.
સ્થાનિકો પણ આ વાતની પુષ્ટિ કરે છે, વાલંગમાં રહેતા લખિમ સોબેલાઈએ એક જૂના પુલની જગ્યાએ બની રહેલા નવા પુલને દેખાડતા કહ્યું, "આજની તારીખે હું જોઈ શકુ છું કે ભારત તરફથી નિર્માણકાર્ય ચાલી રહ્યું છે, આ પુલ જેવા અનેક નવા પુલનું નિર્માણ ચાલી રહ્યું છે."
કિબેતૂમાં અમને માહિતી મળી કે ભારતીય સેના દ્વારા ત્રણ મહિના દરમિયાન અહીંના પહાડોમાં મોટાપાયે મિસાઈલ એમ777, હૉવિત્ઝર તોપ તથા ઍન્ટિ-ઍરક્રાફ્ટ સિસ્ટમ તથા ગન્સ તહેનાત કરવામાં આવી છે. આના વિશે ઔપચારિક પુ,ઠિ નથી થઈ શકી, પરંતુ અન્જાવ, દેબાંગ વેલી, શિયોમી, અપર સુબાનસિરી તથા તવાંગ જિલ્લામાં હવાઈ પટ્ટીઓનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.
નવા હેલિકૉપ્ટર, ડ્રોન, મલ્ટી-બેરલ ગન તથા રૉકેટ લૉન્ચર પણ એલએસીની નજીક તહેનાત કરવામાં આવ્યા છે.
ચીને લાગુ કર્યો નવો સરહદ કાયદો
અત્રે એ યાદ અપાવીએ કે ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં ચીન દ્વારા નવો સરહદ કાયદો (ન્યૂ બૉર્ડર લૅન્ડ લૉ) પસાર કરવામાં આવ્યો હતો, જે પહેલી જાન્યુઆરીથી અમલી બન્યો છે.
જે મુજબ ચીનની જે સરહદી જમીન વિવાદાસ્પદ છે, તેને ચીનના અધિકારક્ષેરમાં ગણાવવામાં આવી છે. આ વિસ્તારોમાં 'નિર્માણ' કાર્યની ઉપર વધુ ધ્યાન આપવાનું જણાવવામાં આવ્યું છે.
આ સિવાય નવા કાયદા હેઠળ 'સરહદી વિસ્તારો'માં નિર્માણ, કાર્યસંચાલનમાં સુધાર અને નિર્માણ માટે જરૂરી આનુષંગિક ક્ષમતાનને પણ સામેલ કરવામાં આવ્યા છે.
આ કાયદો પસાર થયો તેના બે દિવસ પહેલાં અરુણાચલ પ્રદેશના 15 રહેણાંક વિસ્તાર, પહાડો તથા નદીઓને ચીની નામ આપીને ઐતિહાસિક રીતે તે ચીનના હોય તેવો દાવો કર્યો હતો.
ભારતે ચીનના આ પગલાંને વખોડી કાઢ્યું હતું અને તેનો અસ્વીકાર કરતા કહ્યું હતું કે નામ બદલાવાથી વાસ્તવિકતા નથી બદલાતી.
ચીનના આક્રમક વલણને કારણે ભારતની ચિંતાઓ વધી જવા પામી છે. અમે ભારતીય સેનાના રાષ્ટ્રીય પ્રવક્તાને ઈમેલ લખીને અરુણાચલ પ્રદેશમાં અસાધારણ સૈન્ય તૈયારીઓ અંગે પૂછ્યું હતું, પરંતુ આ સ્ટોરી ફાઇલ થાય છે, ત્યાર સુધી તેના વિશે કોઈ ઔપચારિક પ્રતિક્રિયા આપવામાં નથી આવી.
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે તાજેતરમાં કહ્યું હતું કે સરહદ ઉપર જે રીતે અસ્થિરતા પ્રવર્તમાન છે, તેને જોતા કોઈ પણ શક્યતાને નકારી ન શકાય. ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં ઑપરેશન ઍલર્ટ હાથ ધર્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો