You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મનીષ સિસોદિયાએ ગુજરાતની શાળાઓ પર સવાલ કર્યા તો દિલ્હી ભાજપે શો જવાબ આપ્યો?
સોમવારે દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે હતા. ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના મતવિસ્તાર હેઠળ આવેલી સરકારી શાળાઓની મુલાકાત લઈને તેની સ્થિતિ અંગે તેમણે સમીક્ષા કરી હતી.
સિસોદિયાએ મુલાકાત સમયે મીડિયા સાથે વાત કરીને ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ઉપર સવાલ ઉઠાવ્યા હતા.
આપ દ્વારા ટ્વિટર પર #GujaratKeSchoolDekho હેશટૅગ દ્વારા એક પછી એક ટ્વીટ કરવામાં આવ્યાં હતાં.
કદાચ વ્યૂહરચનાના ભાગરૂપે જ સિસોદિયાના આરોપો અંગે ગુજરાત ભાજપના સોશિયલ મીડિયા હૅન્ડલ તથા નેતાઓએ મહદંશે મૌન સેવ્યું હતું, પરંતુ 'દિલ્હી ભાજપ'ના સોશિયલ મીડિયા હૅન્ડલ તથા નેતાઓએ દિલ્હીની સ્કૂલોની સ્થિતિ અંગે પ્રહાર કર્યા હતા અને દિલ્હી મૉડલ ઉપર સવાલ ઉઠાવ્યા હતા.
આ પ્રહારનું નેતૃત્વ દિલ્હી ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સાહિબસિંહ વર્માના પુત્ર પરવેશ વર્માએ લીધું હતું.
ગુજરાતની શાળાઓની સ્થિતિ
દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ભાવનગર જિલ્લાની કેટલીક શાળાઓની મુલાકાત લઈને ત્યાંની સ્થિતિ અંગે જાતમાહિતી મેળવી હતી.
સિસોદિયાએ નળિયાવાળી શાળાઓ, નીચે બેસીને ભણતા વિદ્યાર્થીઓ, રંગ ઊતરી ગયો હોય તેવાં કાળાં પાટિયાં, પાણી ન આવતું હોય તેવા નળ, પંખા વગરના વર્ગખંડ, જર્જરિત છત તથા દીવાલો, ગંદાં અને અસ્વચ્છ શૌચાલયોની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
મીડિયા સાથે વાતચીતમાં સિસોદિયાએ કહ્યું, "ભાવનગર ગુજરાતના શિક્ષણમંત્રીનો મતવિસ્તાર છે એટલે આ વિસ્તારની મુલાકાત લઈ રહ્યો છું. ભાજપથી તંત્ર સચવાતું નથી. તેઓ દિલ્હી આવે અને ત્યાંની સરકારી શાળાઓ જુએ. સાથે મળીને ગુજરાતની સરકારી શાળાઓ ઠીક કરીએ અને જો તેઓ નહીં કરી શકે તો ગુજરાતની જનતા બધું બરાબર કરી દેશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિસોદિયાએ ગુજરાતનાં બાળકોને શાળાઓ માટે 'કેજરીવાલ મૉડલ'ની જરૂર હોવાનું જણાવ્યું હતું. સિસોદિયાની મુલાકાત સમયે ગુજરાત આપના નેતા ઇસુદાન ગઢવી તથા ગોપાલ ઇટાલિયા પણ તેમની સાથે હતા.
ગુજરાત આપ વિરુદ્ધ દિલ્હી બીજેપી
મનીષ સિસોદિયાના ટ્વીટના જવાબમાં દિલ્હી ભાજપના મહામંત્રી કુલજિતસિંહ ચહલે ટ્વીટમાં લખ્યું, "ગુજરાતની મુલાકાત પહેલાં તમારા વિધાનસભાક્ષેત્રનો વિકાસ લાઇવ. ભાંગેલા રસ્તા, ઝર્ઝરિત મહોલ્લા ક્લિનિક, શું મનીષજી આ જ છે તમારું હેલ્થ મૉડલ?"
સિસોદિયાની ગુજરાત મુલાકાત અંગે શિક્ષણમંત્રી જિતુ વાઘાણી, કેન્દ્રમાં ગુજરાતના મંત્રી, રાજ્ય સરકારના મંત્રી તથા ગુજરાત ભાજપે મહદંશે મૌન સેવ્યું હતું, પરંતુ દિલ્હી ભાજપે મોરચો સંભાળ્યો હતો.
પરવેશ વર્માએ દિલ્હીમાં ટિનશેડમાં ચાલતી શાળાઓની મુલાકાત લઈને દાવો કર્યો હતો કે તેને જોખમરૂપ જાહેર કરવામાં આવી હોવા છતાં ત્યાં શિક્ષણકાર્ય ચાલી રહ્યું છે.
વર્મા 2014થી પશ્ચિમ દિલ્હી બેઠક પરથી સંસદસભ્ય છે તથા 2013ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ધારાસભ્ય પણ બન્યા હતા. તેઓ ભાજપના નેતા તથા દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી સાહિબસિંહ વર્માના પુત્ર છે.
કુલજિતસિંહ ચહલે સિસોદિયાના મતવિસ્તાર પટપડગંજમાં એક જગ્યાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. એક ખુલ્લા મેદાન પર દિવાલ વગરની ઇમારત મહોલ્લા ક્લિનિક હોવાનું જણાવીને આસપાસ કચરાના ઢગલા દેખાડ્યા હતા.
દિલ્હી ભાજપે આરોપ મૂક્યો હતો કે કેજરીવાલ સરકારના 'મોહલ્લા ક્લિનિક' તથા 'વર્લ્ડ-ક્લાસ સ્કૂલ' માત્ર જાહેરાતોમાં જ અસ્તિત્વ ધરાવે છે.
ગત સપ્તાહે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ રાજકોટ ખાતે જાહેરકાર્યક્રમમાં બોલતી વેળાએ કહ્યું હતું કે, "છોકરાં અહીંયાં ભણ્યા, ધંધો અહીંયાં કર્યો, હવે બીજું સારું લાગે છે તો મારી તો વિનંતી છે, પત્રકારોની હાજરીમાં, જેને બીજું સારું લાગતું હોય એ છોકરાના (સ્કૂલ લિવિંગ) સર્ટિફિકેટ લઈને જે દેશ અને જે રાજ્ય સારું લાગતું હોય ત્યાં ભણાવવા જોઈએ."
ઉલ્લેખનીય છે કે દિલ્હીના ત્રણ અલગ-અલગ મ્યુનિસિપલ કૉર્પોરેશનને મર્જર કરી દેવામાં આવ્યાં છે. હવે ટૂંક સમયમાં ત્યાં ચૂંટણી યોજાશે, જે કેજરીવાલ સરકાર પર 'મીડ-ટર્મ મૅન્ડેટ' સમાન હશે, એટલે દિલ્હી ભાજપે કમર કસી છે.
સોમવારે જ ભાજપ દ્વારા નવી દિલ્હીના જંતરમંતર ખાતે દિલ્હી સરકારના આરોગ્યમંત્રી સત્યેન્દર જૈનની સામે દેખાવો યોજવામાં આવ્યા હતા અને માગ કરવામાં આવી હતી કે તેમને મંત્રીમંડળમાંથી હાંકી કાઢવામાં આવે. કેન્દ્રીય તપાસ એજન્સી ઍન્ફોર્સમૅન્ટ ડાયરેક્ટ્રેટ (ઈડી) દ્વારા જૈનની ઉપર હવાલાના આરોપ મૂકવામાં આવ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો