દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ ભારતીય ટીમ માટે સેમિફાઇનલમાં પહોંચવા હવે કેટલી મૅચ જીતવી જરૂરી, શું છે સમગ્ર ગણિત?

    • લેેખક, પ્રવીણ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 5 મિનિટ

નવેમ્બર 2022, આ એ દિવસ હતો જ્યારે રવિવાર પહેલાં ટી-20 વર્લ્ડકપમાં ભારતની હાર થઈ હતી.

ત્યાર બાદ ટીમ ઇન્ડિયા ટી 20 વર્લ્ડકપમાં સતત 12 મૅચોમાં જીતી હતી. આ દરમ્યાન ટીમ ઇન્ડિયાએ 2024માં 17 વર્ષ સુધી રાહ જોયા બાદ ટી 20 વર્લ્ડકપનો ખિતાબ ફરી જીત્યો હતો.

પરંતુ 22 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન એટલું ખરાબ રહ્યું કે ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં રનોના સંદર્ભમાં તેની અત્યાર સુધીની સૌથી મોટી હાર થઈ હતી.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુપર-8માં ત્રીજી મૅચમાં દક્ષિણ આફ્રિકાએ ભારત સામે જીત માટે 20 ઓવરમાં 188 રનોનું લક્ષ્ય રાખ્યું હતું.

પણ હોમ ગ્રાઉન્ડ પર લગભગ 90 હજાર દર્શકો સામે ટીમ ઇન્ડિયા 18.5 ઓવર્સમાં 111 રન બનાવીને ઑલ આઉટ થઈ ગઈ અને તેનો 76 રનથી પરાજય થયો.

કૅપ્ટન સૂર્યકુમાર યાદવે મૅચ બાદ સ્વીકાર કર્યું કે તેમની ટીમ તો બૅટિંગ કરતાં પાવર પ્લેમાં જ મૅચમાંથી બહાર થઈ ગઈ હતી.

આની પહેલાં ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ ક્યારેય 50 રનથી વધારે અંતરથી હારી નહોતી.

ભારતીય ટીમે ભલે ગ્રૂપ સ્ટેજની ચારેય મૅચ જીતી પણ હવે આ હારે ટીમ ઇન્ડિયાની નવી કમીઓને ઉજાગર કરી દીધી છે.

સાથે જ સ્પષ્ટ છે કે ફેવરેટ ગણાતી હોવા છતાં ટુર્નામેન્ટમાં તેના માટે આગળની સફર સરળ નથી.

ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બૅટ્સમૅનનું સતત ફ્લૉપ થવું

18, 6, 0, 0, 31, 8, 25, 1, 0 અને 0. છેલ્લી 10 મૅચોમાં આ સ્કોર છે જેની પર ટીમ ઇન્ડિયાની પહેલી વિકેટ પડી ગઈ હતી.

તેનો અર્થ છે કે ઓપનિંગમાં અભિષેક શર્મા, ઈશાન કિશન અને સંજુ સૅમસન જેવા વિકલ્પ હોવા છતાં ભારતીય ટીમ છેલ્લી 10 મૅચોમાં એક પણ 50 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નથી જોઈ શકી.

આવી હાલત એવે વખતે છે જ્યારે વર્લ્ડકપ પહેલાં ઇશાન કિશનની વાપસી પછી ટી20 ઇન્ટરનૅશનલમાં ત્રણ સદી ફટકારી ચૂકેલા સંજુ સૅમસનને પ્લેઇંગ 11માં જગ્યા ન મળવાની ચર્ચા હતી.

ભારતીય ક્રિકેટનું ભવિષ્ય મનાતા શુભમન ગિલ તો ટીમના 15 ખેલાડીઓમાં પણ સ્થાન નહોતા મળવી શક્યા.

પણ સુપર-8 સુધી ભારતીય ઓપનર્સ અંગે સવાલ ઊઠવા લાગ્યા છે. કારણ કે બીજા ઓપનર અભિષેક શર્મા ત્રણ મૅચોમાં ઝીરો-ઝીરો પર આઉટ થયા પછી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કોઈક રીતે ખાતું ખોલવામાં સફળ તો થયા પણ 15 રન પર જ આઉટ થઈ ગયા.

ઓપનિંગ ઉપરાંત આ વર્લ્ડકપ દરમ્યાન ભારતના ત્રીજા ક્રમની પણ સ્થિતિ કંઈ ખાસ સારી નથી.

ગ્રૂપ સ્ટેજ દરમ્યાન જ્યારે તિલક વર્માએ ચાર મૅચોમાં માત્ર 120ના સ્ટ્રાઇક રેટથી 106 રન જ બનાવ્યા તો ટીમમાં તેમની ઉપસ્થિતિ પર સવાલ ઊઠવા લાગ્યા.

શનિવારની મૅચના એક દિવસ અગાઉ સૂર્યકુમાર યાદવને પ્રેસ કૉન્ફરન્સ દરમ્યાન તિલક વર્માના ફૉર્મ પર સવાલ પણ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં સૂર્યકુમાર યાદવે કહ્યું કે તિલક વર્માની ક્ષમતા પર આખરે શંકા કેવી રીતે કરી શકાય.

પણ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ તિલક વર્મા બે બૉલ પર એક રન બનાવીને જ પેવેલિયન પાછા ફર્યા અને ઇનિંગ્સની શરૂઆતના સાત બૉલમાં બે વિકેટ પડવાને કારણે જ ટીમ ઇન્ડિયા વાપસી ન કરી શકી.

આમ તો ટીમ ઇન્ડિયાની બૅટિંગનો ફ્લૉપ શો તો ટુર્નામેન્ટની શરૂઆતમાં અમેરિકા સામેની પહેલી મૅચમાં જ જોવા મળ્યો હતો, જ્યારે ભારતે 77 રન પર જ 6 વિકેટ ગુમાવી હતી. પણ એ મૅચમાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવ 49 રન પર 84 રન બનાવીને નૉટઆઉટ રહ્યા હતા અને ભારતીય ટીમને 29 રનથી જિતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

પણ આ ઇનિંગ પછી કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પણ રન બનાવવામાં સંઘર્ષ કરી રહ્યા હતા.

આ ટુર્નામેન્ટમાં તેમણે પાંચ મૅચોમાં 180 રન બનાવ્યા છે. પણ આ દરમ્યાન તેમનો સ્ટ્રાઇક રેટ 127નો જ રહ્યો છે.

આ ટી20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં તેમના સમગ્ર 162ના સ્ટ્રાઇક રેટ કરતા ઘણો ઓછો છે.

જે રીતે તેઓ બેટિંગ કરી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે ટૉપ ઑર્ડરની નિષ્ફળતા કેવી રીતે ભારતની બૅટિંગ લાઇનઅપ પર દબાણ નાખી રહી છે.

સ્પિન વિરુદ્ધ સતત સંઘર્ષ કરતા ભારતીય બૅટ્સમૅનની આ નબળાઈ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વધુ ખૂલીને સામે આવી જ્યારે 15મી ઓવરમાં કેશવ મહારાજે ત્રણ બૅટ્સમૅનને આઉટ કર્યા હતા.

ભારતના પૂર્વ ફાસ્ટ બૉલર ઇરફાન પઠાણે પણ માન્યું છે કે વર્લ્ડકપ દરમ્યાન ભારતીય બૅટ્સમૅન સંઘર્ષ કરી રહ્યા છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ લખી કે, "ભારતનું પ્રદર્શન અત્યંત હતાશાજનક રહ્યું. ભારતીય બૅટ્સમૅનનો સંઘર્ષ દક્ષિણ આફ્રિકાના બૉલરો સામે ઍક્સપોઝ થઈ ગયો."

"ભારતીય બેટિંગ લાઇન-અપ વર્લ્ડકપ દરમ્યાન પોતાની લય નહીં શોધી શકી."

કૅપ્ટનના નિર્ણય પર પણ સવાલ

જસપ્રીત બુમરાહને બે ઓવરમાં બે વિકેટ લીધા બાદ પણ આગલી 13 ઓવર સુધી ફરી બૉલિંગ ન કરાવાઈ.

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આ હાર પછી કૅપ્ટન સૂર્યકુમાર યાદવના નિર્ણય પર પણ સવાલ ઊઠી રહ્યા છે.

સૌથી મોટો સવાલ છે કે આખરે વાઇસ કૅપ્ટન હોવા છતાં અક્ષર પટેલને બહાર કેમ બેસાડવામાં આવ્યા.

આ ઉપરાંત સૌથી વધુ ચર્ચા ભારતના ટૉપ 6માંથી પાંચ ખેલાડીઓના લૅફ્ટ હૅન્ડર હોવાની પણ થઈ રહી છે. મૅચ દરમ્યાન કૉમેન્ટરી પૅનલના સભ્યોએ આને ટીમ ઇન્ડિયાની ખરાબ રણનીતિ ગણાવી હતી.

ઍક્સપર્ટ્સનું માનવું છે કે ભારતીય ટીમના આ નિર્ણયને કારણે વિરોધી ટીમના બૅટ્સમૅનને તેની વિરુદ્ધ રણનીતિ બનાવવાનો સારો વિકલ્પ મળી ગયો અને તેમને પોતાની બૉલિંગમાં બહુ ફેરફાર ન કરવા પડ્યા.

સવાલ એ પણ છે કે જ્યારે જસપ્રીત બુમરાહએ પોતાની શરૂઆતની બે ઓવરમાં બે વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાને બૅકફુટ પર ધકેલી દીધી હતી તો તેમને ફરી બૉલિંગ માટે આટલી રાહ કેમ જોવી પડી.

મૅચ પછી કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે, "અમે 21 રન પર તેમના ત્રણ બૅટ્સમૅનોને પવેલિયન મોકલીને સારી શરૂઆત કરી હતી. પણ 7થી 15મી ઓવર વચ્ચે તેમણે સારી બૅટિંગ કરી."

સેમિફાઇનલ સુધી પહોંચવું કેટલું મુશ્કેલ?

ટીમ ઇન્ડિયા પર હવે સુપર-8ની બીજી બે મૅચ જીતવાનું દબાણ તો હશે જ પણ ભારતીય ટીમે હવે વધુ રનથી પણ મૅચો જીતવી પડશે.

એટલું જ નહીં, નવાં સંભવિત સમીકરણોમાં ભારતને સમિફાઇનલમાં પહોંચવા માટે બીજી ટીમો પર પણ નિર્ભર રહેવું પડી શકે છે.

ભારતને પોતાની આગલી બે મૅચો વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબવે વિરુદ્ધ રમવાની છે. એવામાં જો ભારત પોતાની બે મૅચો જીતી જાય અને દક્ષિણ આફ્રિકા પણ પોતાની બે મૅચ જીતી લે તો ટીમ ઇન્ડિયાના ચાર અંક થશે અને દક્ષિણ આફ્રિકાના છ અંક થશે, જેની સાથી ટીમ ઇન્ડિયા સેમિફાઇનલ માટે સરળતાથી ક્વૉલિફાય કરી લેશે.

જો ભારત વધુ એક મૅચ હારે તો તેની પર વર્લ્ડકપમાંથી સંપૂર્ણ રીતે બહાર થવાનો ડર છે.

જો ભારત પોતાની બંને મૅચ જીતે અને દક્ષિણ આફ્રિકા એક મૅચ હારે તો એવી સ્થિતિમાં બંને ટીમોના 4-4 અંક થશે.

ઉપરાંત દક્ષિણ આફ્રિકા જે ટીમ સામે હારશે, ભારતની સંભાવનાઓ યથાવત્ રહે તે માટે જરૂરી છે કે તે ટીમ પોતાની આગલી મૅચ હારી જાય.

દાખલા તરીકે જો વેસ્ટ ઇન્ડિઝ દક્ષિણ આફ્રિકાને હરાવી દે, એ પરિસ્થિતિમાં ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડિઝનો મુકાબલો મહત્ત્વપૂર્ણ બની જશે.

ભારતે ત્યારે આશા રાખવી પડશે કે ઝિમ્બાબવે વેસ્ટ ઇન્ડિઝને હરાવી દે. એવામાં વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબવેના બે-બે અંક રહી જશે, એવી સ્થિતિમાં ભારત અને દક્ષિણ આફ્રિકા 4-4 અંક સાથે ક્વૉલિફાય કરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન