ભારતના શૅર બજારમાં જબરદસ્ત ઘટાડો, કેટલા અંક પડ્યું- ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 4 મિનિટ

ભારતના શૅર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારના સેંસેક્સ 3.26 ટકા એટલે કે 2496 અંક પડીને 74,207 પર બંધ થયું. નિફ્ટી 3.26 ટકા એટલે કે 775 અંક તૂટીને 23,002 પર બંધ થયું.

લગભગ સવા ત્રણ વાગ્યે સેંસેક્સ 3.29 ટકા એટલે કે 2,527 અંક પડી ગયું હતું, જેનાથી 74,153 પર ટ્રેડિંગ થયું. નિફ્ટી 3.32 ટકા એટલે 790 અંક પડીને 22,984 પર જતું રહ્યું હતું. જોકે બજાર બંધ થતા થોડો સુધારો થયો હતો.

બજારમાં ઘટાડાનું મોટું કારણ ક્રૂડ ઑઇલના ભાવમાં આવેલા ઉછાળો માનવામાં આવી રહ્યું છે. ઈરાનના ઑઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સાઉથ પાર્સ ગૅસ ફિલ્ડ) પર હુમલા બાદ ક્રૂડ ઑઇલના ભાવ વધ્યા છે.

આનાથી 18 માર્ચના દિવસે અમેરિકન બજાર પણ ઘટાડા સાથે બંધ થયા. પરિણામસ્વરૂપ, ભારત સહિત એશિયન બજારો પર 19 માર્ચના આનો પ્રભાવ જોવા મળ્યો હતો.

બજાjમાં આજે ઊપર જનારા શૅરોની સંખ્યા માત્ર 921 હતી, 2,923 શૅરોના ભાવમાં ઘટાડો થયો. જ્યારે 122 શૅરોના ભાવ જેમના તેમ રહ્યા.

ઑઇલ અને ગૅસના ભાવ વધ્યા, મધ્ય-પૂર્વમાં ઊર્જા મથકો પર હુમલાની અસર

મધ્ય-પૂર્વમાં ઊર્જા મથકો પર હુમલા બાદ ઑઇલ અને ગૅસના ભાવ વધી ગયા છે. એશિયામાં પ્રારંભિક વેપારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ચાર ટકા વધીને 112 ડૉલર પ્રતિ બૅરલ થઈ ગયા છે. અમેરિકામાં ટ્રેડ થનાર ઑઇલના ભાવ પણ ત્રણ ટકા વધી ગયા છે.

બીબીસીના ઇન્ટરનૅશનલ બિઝનેસ સંવાદદાતા થિયો લેગેટ અનુસાર ગુરુવાર સવારે બ્રિટનમાં ગૅસના ભાવમાં 25 ટકાથી વધારેનો ઉછાળો આવ્યો છે.

બીબીસીનાં બિઝનેસ રિપોર્ટર કેટી હોપ અનુસાર, અહીં ઑઇલના ભાવ લગભગ પાંચ ટકાથી વધુ પર ટ્રેડ કરી રહ્યા છે.

ઑઇલ અને ગૅસના ભાવમાં વધારા પહેલાં મિડલ ઈસ્ટમાં એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નવા હુમલા થયા છે જેમાં કતારના મુખ્ય ગૅસ ભંડાર પણ સામેલ છે.

આને સાથે જ દુનિયાના સૌથી મોટા નૅચરલ ગૅસ ફિલ્ડ્સમાંથી એક ઈરાનની સાઉથ પાર્સ ફૅસિલિટી પર હુમલા થયા છે.

ઈરાને વળતો હુમલો કરીને કતારમાં એક મોટા લિક્વિફાઇડ નૅચરલ ગૅસ ઍક્સપોર્ટ કેન્દ્રને નિશાન બનાવ્યું છે, જેનાથી "ઘણું નુકસાન" થયું અને વૈશ્વિક એનર્જી સપ્લાયને લઈને ચિંતા વધી ગઈ છે.

જોકે ઑઇલના ભાવ હજુ પણ યુદ્ર પહેલાંથી ઘણા ઊપર છે પણ આ સંઘર્ષની શરૂઆતમાં પહોંચેલા ઉચ્ચતમ સ્તર કરતાં નીચા છે, જ્યારે ક્રૂડ ઑઇલનો ભાવ લગભગ 120 ડૉલર પ્રતિ બૅરલ સુધી પહોંચી ગયો છે.

ગુરુવારના પ્રારંભિક વેપારમાં એશિયાના શૅર માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો.

તુલસી ગબાર્ડે પાકિસ્તાનના મિસાઇલ કાર્યક્રમને અમેરિકા માટે ખતરો ગણાવ્યો

અમેરિકાના ગુપ્તચર વિભાગનાં વડા તુલસી ગબાર્ડે કહ્યું છે કે ગુપ્તચર માહિતી પ્રમાણે રશિયા, ચીન, ઉત્તર કોરિયા, ઈરાન અને પાકિસ્તાન અનેક પ્રકારની નવી, ઍડવાન્સ્ડ અથવા પરંપરાગત મિસાઇલ ડિલિવરી સિસ્ટમ પર રિસર્ચ અને ડેવલપમેન્ટ કરી રહ્યા છે.

ગબાર્ડે કહ્યું કે "આ મિસાઇલોમાં ન્યુક્લિયર અને પરંપરાગત પેલૉડ લગાવેલા હોય છે, જે આપણા દેશને પોતાની રેન્જમાં લઈ શકે છે. જાસૂસી તંત્રનું આકલન છે કે આનાથી અમેરિકા માટે સામૂહિક રીતે ખતરો વધશે અને 2035 સુધીમાં આવી મિસાઇલોની સંખ્યા હાલમાં અનુમાનિત ત્રણ હજારથી વધીને 16 હજાર કરતા વધુ થઈ જશે."

તુલસી ગબાર્ડે અમેરિકન સેનેટની સિલેક્ટ ઇન્ટેલિજન્સ કમિટીની સુનાવણી વખતે આ નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું કે "પાકિસ્તાનના લાંબા અંતરની બૅલિસ્ટિક મિસાઇલ ડેવલપમેન્ટમાં સંભવિત રીતે એવી આઈસીબીએમ સામેલ હોઈ શકે છે, જેની મારક ક્ષમતા આપણા દેશ (અમેરિકા) સુધી પણ હોઈ શકે છે."

તેમણે કહ્યું કે, "ઈરાને અગાઉ પણ સ્પેસ લૉન્ચ અને બીજી એવી ટેકનિકનું પ્રદર્શન કર્યું છે, જેનો ઉપયોગ કરીને તે 2035 પહેલાં એક સક્ષમ આઈસીબીએમ બનાવવાનું શરૂ કરી શકે છે."

હવાઈયાત્રા માટે સરકારના નવા નિર્દેશમાં કેવી સૂચનાઓ છે?

ભારત સરકારે વિમાન પ્રવાસીઓની સુવિધા અને તેમના અધિકારોને લગતા નવા નિર્દેશ જારી કર્યા છે. આ નિર્દેશ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ડીજીસીએ મારફત આપ્યા છે. એ પ્રમાણે...

(1) તમામ ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60 ટકા સીટો કોઈ પણ ચાર્જ વગર આપવામાં આવશે. એટલે કે ગ્રાહકો પાસેથી સીટના વધારાના રૂપિયા લેવામાં નહીં આવે.

(2) એક જ પીએનઆર પર પ્રવાસ કરનારા પ્રવાસીઓને એક સાથે બેસાડવામાં આવશે. શક્ય હોય ત્યાં સુધી આસપાસની સીટ અપાશે.

(3) ફ્લાઇટમાં સ્પોર્ટ્સનો સામાન અને સંગીતના સામાનને લઈ જવાની સુવિધા પારદર્શક અને પ્રવાસીઓ માટે અનુકુળ હોય.

(4) પ્રવાસીઓના અધિકારોને લગતા નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવે. ખાસ કરીને ઉડાનમાં વિલંબ, રદ થાય અથવા બૉર્ડિંગની મનાઈ કરવામાં આવે એવી સ્થિતિમાં.

(5) ઍરલાઇનની વેબસાઈટ, મોબાઈલ એપ્સ, બૂકિંગ પ્લેટફૉર્મ્સ અને ઍરપૉર્ટના કાઉન્ટર પર પ્રવાસીઓના અધિકારની માહિતી લખેલી હોવી જોઈએ.

(6) પ્રવાસીઓને મળતી સુવિધા અને અધિકારની માહિતી પ્રાદેશિક ભાષામાં સ્પષ્ટ રીતે આપવાની રહેશે.

મધ્ય પ્રદેશના ઇંદોરમાં કાર ચાર્જિંગ વખતે વિસ્ફોટ, સાતનાં મોત

મધ્ય પ્રદેશના ઇંદોરમાં બુધવારે કાર ચાર્જિંગ વખતે એક વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી જેના કારણે સાત લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજા પણ થઈ છે.

ઇંદોરના બંગાળી ચોક પાસે એક કૉલોનીમાં સવારે લગભગ ચાર વાગ્યો વિસ્ફોટ થયો હતો જ્યારે મોટા ભાગના લોકો પોતાના ઘરમાં ઊંઘતા હતાં.

શહેરના પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહ મુજબ "ઇંદોરના પુગલિયા પરિવારના ઘરની બહાર એક ઇલેક્ટ્રિક કાર રાતે ચાર્જિંગ પર લગાવવામાં આવી હતી. શરૂઆતની તપાસ પ્રમાણે લગભગ ચાર વાગ્યે ચાર્જિંગ પૉઇન્ટમાં શૉર્ટ સર્કિટ થયું જેનાથી કાર સળગી ગઈ. થોડી વારમાં આખા ઘરમાં આગ ફેલાઈ ગઈ જ્યાં મોટી સંખ્યામાં ગૅસ સિલિન્ડર રાખેલા હતા.'

કહેવાય છે કે તે વખતે ઘરમાં 15 ગૅસ સિલિન્ડર હાજર હતા. આગના કારણે તેમાં વિસ્ફોટ શરૂ થઈ ગયો. તેનાથી આખો વિસ્તાર હલબલી ગયો. મકાનનો એક ભાગ તૂટી પડ્યો અને લોકોને બહાર નીકળવાનો સમય પણ ન મળ્યો.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)