તમારી અટક ખરેખર ક્યાંથી આવી અને અટકનો ઉપયોગ ઓળખ તરીકે કેવી રીતે થવા લાગ્યો?

    • લેેખક, શારદા મિયાપુરમ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 4 મિનિટ

પરમાર, રાણા, ચુડાસમા, પારેખ, શાહ, વૈદ્ય, સોલંકી, ઠક્કર, સિદ્દીકી, પટેલ, વગેરે કેટલીક એવી અટકો છે, એક ગુજરાતી તરીકે તમારી આસપાસ આ અટકોનાં નામથી તમે પરિચિત હશો જ.

તમારું નામ શું છે? આ પ્રશ્નના જવાબમાં કેટલીક વાર સામેવાળી વ્યક્તિ પોતાની અટક જણાવે છે.

ઇતિહાસકારો કહે છે કે, ભારતમાં અટક એ જે-તે વ્યક્તિના ઇતિહાસ, ક્ષેત્ર અને કુળનો આધિકારિક સિક્કો છે.

પરંતુ આપણે અટકોનો ઉપયોગ ક્યારથી કરતા થઈ ગયા? વ્યક્તિના નામમાં તેને જોડવાની શરૂઆત ક્યારથી થઈ? આ અહેવાલમાં આપણે આ સવાલનાં ઐતિહાસિક અને વ્યવસ્થાતંત્ર સંબંધી કારણો તપાસીશું.

'પ્રાચીન સમયમાં કુળ જ ખરી ઓળખ હતું'

ઇતિહાસકાર એસ કૃષ્ણ રેડ્ડી કહે છે કે હિંદુ ધર્મગ્રંથો અનુસાર પ્રાચીન સમયમાં લોકો તેમના ગોત્ર કે પ્રવરથી જ ઓળખાતા.

તેઓ કહે છે કે મધ્યકાળ દરમિયાન, દિલ્હી સલ્તનત અને મુઘલો જેવા રાજવંશો વહીવટી સરળતા માટે લોકોને તેમના વ્યવસાયથી ઓળખાવતા.

કૃષ્ણ રેડ્ડી કહે છે કે, "પહેલાં, સાધુઓ અને રાજાઓની અટક નહોતી રહેતી. જોકે, કોઈ એક જ વ્યક્તિનાં એક કરતાં વધુ નામ હોતાં. તેમને તેમણે કરેલાં મહાન કાર્યો, ખાસ ગુણો અને વંશનું સૂચન કરતાં નામથી બોલાવાતા. આપણે એકબીજાને હજુ આવી રીતે બોલાવીએ છીએ. બાદના સમયમાં, વ્યક્તિનાં કામ કે વ્યવસાયને આધારે મજૂમદાર, કુમારી, પટેલ અને દેશમુખ જેવી અટકો આવી ગઈ."

આપણને આપણી અટક કેવી રીતે મળી?

'હિસ્ટ્રી ઑફ રેડ્ડી કિંગડમ્સ' પુસ્તકના લેખક એમ. મલ્લમપલ્લી સોમશેખર શર્મા નોંધે છે કે, "પારિવારિક નામ હોવા છતાં, અભિલેખો ગોત્ર, વેદ કે પિતાનાં નામ સાથે જ લખાતાં. પરંતુ ખાસ કરીને 14મી સદી સુધી, અભિલેખોમાં 'પારિવારિક નામ' સામેલ કરવાની પ્રથા પડી ગઈ. એ સમયના બ્રાહ્મણો માટે તેમના વસવાટનાં ગામોનું નામ જ તેમનું પારિવારિક નામ બની જતું."

ઇતિહાસકાર કૃષ્ણ રેડ્ડી સમાજાવતા કહે છે કે સમય પસાર થવાની સાથે, લોકોના રહેઠાણનાં સ્થળોની સાથોસાથ, વ્યવસાય, ખિતાબ અને હોદ્દા જેવાં પરિબળો જે-તે વ્યક્તિની ઓળખ બની ગયાં, અને બાદમાં એ જ અટક પણ બની ગયાં. તેઓ કહે છે કે અમુક વિસ્તારોમાં, પિતાના નામને પણ અટક ગણવામાં આવે છે.

તો પછી આધિકારિક ઓળખપત્રોમાં અટકનો ઉપયોગ કરવાનું કેવી રીતે શરૂ થયું.

હૈદરાબાદસ્થિત ઇતિહાસકાર પરાવસ્તુ લોકેશ્વર માને છે કે અટક આપણી સંસ્કૃતિનો ભાગ હતી, પરંતુ બ્રિટિશરોએ તેને કાયદાકીય અને વહીવટી ઓળખમાં તબદીલ કરી દીધી.

અટકને કેવી રીતે આધિકારિક ઓળખ મળી?

નોંધણી ઑફિસો, બૅન્કો અને અન્ય સરકારી દસ્તાવેજોમાં, શૈક્ષણિક દસ્તાવેજોમાં, પ્રથમ નામ અને અટક માટે જગ્યા હોય છે. ઘણી જગ્યાએ બંને જરૂરી હોય છે.

જો તમે અટક બદલવા માગતા હો તો તમારે આધિકારિકપણે અરજી કરવાની રહેશે. એ બાદ સરકારે એક ગૅઝેટ નોટિફિકેશન જાહેર કરવાનું રહેશે.

1871ની પ્રથમ વસ્તીગણતરીમાં જોવા મળે છે કે કેવી રીતે બ્રિટિશરોએ આજે આપણે જે ઉપયોગમાં લઈએ છીએ એ 'સરનેમ' સિસ્ટમનો મજબૂત પાયો નાખ્યો.

1871-72માં પ્રથમ વસ્તીગણતરી દેશના લોકોની ઉંમર, જ્ઞાતિ, ધર્મ, વ્યવસાય અને શિક્ષણસંબંધી આંકડા મેળવવાની પ્રક્રિયાના ભાગરૂપે કરાઈ હતી.

મેમોરેન્ડમ ઓન ધ સેન્સસ ઑફ બ્રિટિશ ઇન્ડિયા 1871-72 રિપોર્ટ પ્રમાણે ગણતરી કરનારને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એક જ ગામમાં એક જ્ઞાતિ અને નામ અંગે મૂંઝવણને ટાળવાનું સૂચન કરાયું હતું.

રિપોર્ટમાં જણાવાયું છે કે, "ફૉર્મમાં વ્યક્તિને ઓળખવાની અન્ય માહિતી સહિત નામની એક કૉલમ હોવી જોઈએ.વસ્તીગણતરીના ફૉર્મેટ મુજબ, માહિતી મેળવનારને સૂચન અપાયાં હતાં કે નામ લખતી વખતે માત્ર નામ જ નહીં, પરંતુ જે-તે વ્યક્તિનાં ચોક્કસ ટાઇટલનો પણ ઉલ્લેખ કરવો, જેથી તેમને અન્યોથી અલગ પાડી શકાય."

ઇતિહાસકાર રામોજુ હરાગોપાલ કહે છે, "બ્રિટિશરોએ અટકો ઘડી નહોતી. અટકો તો પ્રાચીન કાળથી ચાલતી આવે છે. પરંતુ, તેમણે આપણાં ચાલુ નામોને વસ્તીગણતરી અને રેવેન્યૂ દસ્તાવેજો મારફતે કાયદાકીય અને આધિકારિક સ્ટેટસ આપી દીધું. એ સમયે તેમણે રજિસ્ટ્રીમાં અટકના ખાનામાં જે નામ લખ્યું એ આજેય આપણા આધાર અને પાસપોર્ટ પર છે."

અન્ય એક ઇતિહાસકાર પરાવસ્તુ લોકેસ્વરે પણ આવો જ અભિપ્રાય રજૂ કર્યો.

તેમણે કહ્યું, "બ્રિટિશરોના આ કામ સાથે, પહેલાં માત્ર બોલાતી આ અટકો રેકૉર્ડમાં સ્થાન પામી અને કાયમી નામ બની ગઈ."

કૃષ્ણ રેડ્ડી કહે છે કે, "મદ્રાસ પ્રેસિડન્સી (આંધ્ર ક્ષેત્ર)માં જમીનના દસ્તાવેજ નોંધવા માટે, પિતાના નામની સાથે અટક હોવી પણ ફરજિયાત હતી. આપણે આધિકારિક રજિસ્ટરોમાં હજુ આ પ્રૅક્ટિસ જોઈ શકીએ છીએ."

શરૂઆતની કહાણી શું છે?

પશ્ચિમી દેશોમાં અટક છેલ્લે લખાય છે. એટલે કે વ્યક્તિના નામ બાદ અટક લખાય છે.

પંરતુ ભારતમાં ગુજરાત સહિતનાં કેટલાંક સ્થળોએ હજુ પણ અટક પહેલાં આવે છે. કેટલાક ભાગોમાં અટકનો પ્રથમ અક્ષર નામની આગળ મૂકવાનું ચલણ થયું છે. પરંતુ શું બધાં રાજ્યોમાં અટક હોય જ છે?

કૃષ્ણ રેડ્ડી કહે છે કે, "તામિલ લોકોમાં સામાન્યપણે અટક નથી હોતી. તેઓ પોતાના નામની બાજુમાં ગામનું નામ લખે છે. કેરળમાં વ્યક્તિના નામની આગળ માતાનું નામ મૂકવાની પ્રથા હતી."

ટેલ્લા સત્યવતી નામના લેખક તેમના પુસ્તક તેલુગુ ફૅમિલી નેમ્સમાં લખે છે કે ઉત્તર ભારતની લગભગ તમામ અટકો વ્યવસાય સાથે સંબંધિત છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન