T20 world cupમાં ભારતને સેમિફાઇનલમાં પહોંચાડનાર ખેલાડીને કેમ પડતો મુકાયો હતો?

વાંચવાનો સમય: 3 મિનિટ

ભારત ટી20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી ગયું છે અને હવે ઇંગ્લૅન્ડ સામે મુકાબલો થવાનો છે.

ગયા રવિવારે ભારતે વેસ્ટઇન્ડીઝને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું જે મૅચને જિતાડવામાં સંજુ સેમસનની મહત્ત્વની ભૂમિકા હતી.

મહત્ત્વની વાત એ છે કે ટી20 વર્લ્ડકપની પહેલાની મૅચો માટે ટીમમાં સંજુ સેમસનનો સમાવેશ પણ નહોતો કરાયો.

હવે ભારતીય ટીમના કૉચ ગૌતમ ગંભીરે ખુલાસો કર્યો છે કે સંજુ સેમસનને ટી20 વર્લ્ડકપની પહેલાંની મૅચોમાં કેમ નહોતા રમાડવામાં આવ્યા.

જોકે અભિષેક શર્મા, ઇશાન કિશન અને પછી રિંકુ સિંહની ગેરહાજરીમાં સંજુ સેમસનને મોકો મળ્યો અને તેમણે આ અવસર વડફ્યો નહીં.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સુપર-8ની મૅચમાં સંજુ સેમસનના શાનદાર પ્રદર્શનને કારણે તેઓ ચર્ચામાં આવી ગયા છે. આની પહેલાં તેમણે ઝિમ્બાબ્વે સામેની મૅચમાં 15 બૉલ 24 રન કર્યા હતા અને તેમના માટે આ મહત્ત્વપૂર્ણ શરૂઆત હતી.

નોંધનીય છે કે ઝિમ્બાબ્વે સામેની મૅચ પહેલાં દક્ષિણ આફ્રિકા સામે ભારતની ખરાબ હારને કારણે ઘણી ટીકા થઈ હતી. સાથે ટીમ ઇન્ડિયા સેમિફાઇનલ સુધી પહોંચે તેને લઈને ચિંતાઓ પણ વધી ગઈ હતી.

પરંતુ ઝિમ્બાબ્વે સામેની મૅચમાં તેમની વાપસી અને પછી વેસ્ટ ઇન્ડીઝની સામેની મૅચ સંજુ સેમસને એકલે હાથે જિતાડ્યા બાદ સવાલ થઈ રહ્યા હતા કે તેમને ટીમમાં પહેલાં કેમ નહોતા લેવાયા.

ગૌતમ ગંભીરે સંજુ સેમસન વિશે શું કહ્યું?

મૂળ કેરળના ખેલાડી સંજુ સેમસનને તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ભારતની જીતના હીરો ગણાવાઈ રહ્યા છે.

વેસ્ટ ઇન્ડીઝ સામે સંજુએ નૉટઆઉટ 97 રન બનાવ્યા ન હોત તો 196 રનનો ટાર્ગેટ પૂરો કરવો લગભગ અશક્ય હતો.

સંજુએ ભારે પ્રેશર વચ્ચે 97 રન બનાવીને પોતાની ઉપયોગિતા સાબિત કરી છે.

જોકે વર્લ્ડકપની ટીમમાં તેમને ન લેવાયા એ અંગે કૉચ ગૌતમ ગંભીરે કહ્યું છે કે સંજુ સેમસન એક પ્રતિભાશાળી ખેલાડી છે એ વાતમાં કોઈ શંકા નથી. પરંતુ થોડા સમય અગાઉ સંજુનો દેખાવ બહુ નબળો હોવાથી તેમને વર્લ્ડકપની ટીમમાં લેવાયા નહોતા.

ખાસ કરીને ન્યૂઝીલૅન્ડ સામેની શ્રેણીમાં સંજુ સેમસને નબળો દેખાવ કર્યો હતો. તેથી ટી20 વર્લ્ડકપ અગાઉ સંજુને બ્રેક આપવાનો ટીમના મેનેજમેન્ટે નિર્ણય લીધો હતો.

ગૌતમ ગંભીરે મૅચ પછી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ન્યૂઝીલૅન્ડ સામે સંજુ સેમસન માટે સિરીઝ બહુ ટફ રહી હતી. તેથી ક્યારેક તેમને બ્રેક આપવો જરૂરી છે કારણ કે ખેલાડીને પ્રેશરની સ્થિતિમાંથી બહાર લાવવા માટે બ્રેક આપવો પડે છે.

સંજુ સેમસનને એશિયા કપમાં નીચલા ક્રમે મોકલવામાં આવ્યા હતા જેના કારણે તેમની બૅટિંગને અસર થઈ હતી. ન્યૂઝીલૅન્ડ સામેની આખી સિરીઝમાં તેમણે નબળો દેખાવ કર્યો અને પાંચ દાવમાં 10, 6, 0, 24, 6 રન બનાવ્યા હતા. તેના કારણે ટી20 વર્લ્ડકપમાં તેમના સિલેક્શન પર અસર થઈ હતી.

સંજુ સેમસનનું વર્લ્ડકપની મૅચમાં પ્રદર્શન કેવું રહ્યું?

યુએસએ અને ભારત વચ્ચેની મૅચમાં સંજુ સેમસન ઓપનિંગમાં ઊતર્યા ન હતા.

પરંતુ નામીબિયા સામે તેમણે ટીમમાં આવવું પડ્યું કારણ કે અભિષેક શર્માની તબિયત ખરાબ હતી.

ત્યાર પછી ફરી સેમસનને ડ્રૉપ કરાયા હતા. છેલ્લે રિંકુ સિંહના પિતાનું નિધન થવાથી ટીમના મૅનેજમેન્ટે સંજુને ઓપનિંગમાં ફરીથી લેવાનો નિર્ણય લીધો.

પીટીઆઈ સાથે વાતચીતમાં કૉચ ગૌતમ ગંભીરે જણાવ્યું કે, "અમે જાણતા હતા કે વર્લ્ડકપની ગેમમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે સેમસનને લાવી શકીશું."

તેમણે કહ્યું કે, "ટીમના દરેક ખેલાડી સાથે મારે વાતચીત થતી હોય છે. સંજુમાં કેવી ટેલેન્ટ છે તે અમે જાણીએ છીએ. તેમણે ટી20માં ત્રણ સદી ફટકારી છે."

વેસ્ટ ઇન્ડીઝ સામે સંજુએ શાનદાર ફટકાબાજી કરી તેનાથી અગાઉ ઝિમ્બાબ્વે સામે પણ 15 બૉલમાં 24 રન બનાવ્યા હતા. તેના પરથી અંદાજ આવી ગયો કે તેઓ મહત્ત્વની મૅચમાં મોટી ઇનિંગ રમી શકે છે.

ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, "ઝિમ્બાબ્વે સામે શરૂઆતની ત્રણ ઓવરમાં અમને જોઈએ એવો સ્ટાર્ટ મળી ગયો હતો. અમે આશા રાખીએ છીએ કે સંજુ વધારે સાતત્યપૂર્વક રીતે આવો દેખાવ ચાલુ રાખશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન