You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
India Vs WI: એ ત્રણ ભૂલો જે સેમિફાઇલનમાં ભારતને ભારે પડી શકે છે
રવિવારે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટી20 વર્લ્ડકપના સુપર-8 રાઉન્ડની છેલ્લી મૅચ રમાઈ હતી. જેમાં ભારતનો પાંચ વિકેટે વિજય થયો હતો.
ભારતે ટૉસ જીતીને પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એ પછી મહેમાન ટીમે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટના ભોગે 195 રન બનાવ્યા હતા.
જવાબમાં દાવ લેવા ઉતરેલી ભારતની ટીમે પાંચ વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. આ વિજય સાથે ભારતે સેમિફાઇનલમાં તેનું સ્થાન પાક્કું કરી લીધું છે, છતાં આ મૅચ દરમિયાન વધુ એક વખત ભારતીય ટીમની નબળાઈ સામે આવી હતી.
જો આ ભૂલોને સુધારવામાં નહીં આવે તો સેમિફાઇનલની મૅચમાં તે મોંઘી સાબિત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ચોથી માર્ચે ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી સેમિફાઇનલ મૅચ રમાશે.
જ્યારે બીજી સેમિફાઇનલમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટક્કર થશે. આ મૅચ પાંચમી માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે.
બંને મૅચની વિજેતા ટીમો તા. આઠમી માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થશે.
ત્રણ કૅચ ગુમાવ્યા
ક્રિકેટ માટે કહેવાય છે કે 'પકડો કૅચ, જીતો મૅચ.' આમ છતાં રવિવારની 'કરો યા મરો' જેવી મૅચમાં પણ ભારતના ખેલાડીઓની ફિલ્ડિંગમાં સુસ્તી જોવા મળી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્રીજી ઓવરમાં રૉસ્ટન ચેઝને રનઆઉટ કરવાની તક વરૂણ ચક્રવર્તીએ ગુમાવી હતી.
વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગની પાંચમી ઓવરમાં રૉસ્ટન ચેઝે બૉલને હવામાં ઉછાળ્યો હતો. આ બૉલ અભિષેક શર્મા પાસે પહોંચ્યો હતો. છતાં તેઓ આ પ્રમાણમાં સરળ એવો આ કૅચ લઈ નહોતા શક્યા.
રૉસ્ટને આ બંને જીવતદાનનો પૂરતો લાભ લીધો હતો અને 25 બૉલમાં 40 રનનો ફાળો આપ્યો હતો.
13મી ઓવરમાં અક્ષર પટેલે શરફેન રદરફૉર્ડને બૉલ ફેંક્યો હતો. જે તિલક વર્મા પાસે પહોંચ્યો હતો. તિલકે ફૂલ લૅન્થ ડાઇવ મારીને તેને લપકવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યા.
જોકે રદરફૉર્ડ (નવ બૉલ, 14 રન) આ જીવતદાનનો પૂરતો લાભ નહોતા લઈ શક્યા. તેઓ આક્રમક બની રહ્યા હતા, એવામાં જ હાર્દિક પંડ્યાએ ફેંકેલા બૉલ ઉપર સંજુ સૅમ્સનના હાથે કૅચ પકડાય ગયા હતા.
19મી ઓવરમાં અભિષેક શર્માએ પોવેલનો કૅચ છોડ્યો હતો.
નબળી બેટિંગ લાઇન-અપ
ઓપનર અભિષેક શર્મા ઉપર દાવ રમવો નિષ્ફળ રહ્યો હતો. ઝિમ્બાબ્વે સામેની મૅચમાં અડધી સદી ફટકારીને પોતાની હાજરી પુરાવનારા અભિષેક શર્મા રવિવારની મહત્ત્વપૂર્ણ મૅચમાં 11 બૉલમાં 10 રન બનાવ્યા હતા.
ફૉર્મમાં રહેલા ઇશાન કિશન પણ છ બૉલમાં 10 રન બનાવીને આઉટ થયા હતા. આ પ્રારંભિક આંચકાની અસર સંજુ સૅમ્સન અને સૂર્યકુમાર યાદવ ઉપર પણ જોવા મળી હતી.
10મી ઓવરમાં વેસ્ટ ઇન્ડીઝના ફિલ્ડર ગુડકેશ મોતીએ સૂર્યકુમાર યાદવનો કૅચ છોડ્યો હતો. જોકે, યાદવ તેનો લાભ પણ નહોતા લઈ શકયા.
કૅપ્ટન યાદવે 16 બૉલમાં 18 રન બનાવ્યા હતા. પ્રારંભિક વિકેટ ગુમાવ્યા બાદ ભારતની બેટિંગ ધીમી પડી ગઈ હતી. આ વાતનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે ભારતે પાવર-પ્લૅના અંતે બે વિકેટના ભોગે 53 રન બનાવ્યા હતા.
તિલક વર્માએ 27 રન બનાવીને (15 બૉલમાં) સ્કૉરબૉર્ડને ફરતું રાખવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, સંજુ સૅમસને એક છેડો જાળવી રાખ્યો હતો. તેમણે અણનમ 97 રન (50 બૉલમાં) બનાવ્યા હતા. તેમણે મૅચની ચાર બૉલ બાકી હતી ત્યારે સ્ટાઇલમાં ચોગ્ગો મારીને મૅચ સમાપ્ત કરી હતી.
સમગ્ર મૅચ દરમિયાન ભારતની જરૂરી રનરેટ 10 આસપાસ રહેવા પામી હતી.
પાંચ ઓવરમાં 70 રન
15 ઓવરના અંતે વેસ્ટ ઇન્ડીઝની ટીમનો સ્કોર ચાર વિકેટના ભોગે 125 રન હતો. એ પછી વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમૅનોએ બેટિંગની ગિયર બદલી હતી અને પછીની પાંચ ઓવરમાં તેમણે વધુ 70 રન ઉમેર્યા હતા.
ભારતના બૉલરો ફાવી નહોતા શક્યા અને એક પણ વિકેટ નહોતા ખેરવી શક્યા. અર્શદીપની 16મી ઓવરમાં વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમૅનોએ 24 રન લીધા હતા.
આ વાત ભારતના બલ્લેબાજો માટે મોંઘી સાબિત થઈ હતી અને મૅચ છેક છેલ્લી ઓવર સુધી ખેંચાઈ હતી.
17મી ઓવરમાં 14 અને 18મી ઓવરમાં 12 રન આપ્યા હતા. અર્શદીપસિંહે 19મી ઓવરમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે છ રન જ આપ્યા હતા.
જોકે, બુમરાહની છેલ્લી ઓવરમાં મહેમાન ટીમના બૅટ્સમૅન 14 રન લેવામાં સફળ રહ્યા હતા.
ભારત અને ઇંગ્લૅન્ડની ટક્કર કેમ?
સેમિફાઇનલમાં ભારતની ટક્કર ઇંગ્લૅન્ડ સાથે થશે કારણ કે ગ્રૂપ-2માં ઇંગ્લૅન્ડ પોતાની ત્રણેય મૅચ જીતીને ટૉપ પર છે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ બંને ટીમો દક્ષિણ આફ્રિકા સામે હારી હતી. આમ ભારત વિજેતા બન્યું, તેમ છતાં તેના કુલ પૉઇન્ટ ચાર હતા.
રવિવારે ઝિમ્બાબ્વેને હરાવીને દક્ષિણ આફ્રિકાએ સુપર-8 રાઉન્ડની બધી મૅચો જીતી હતી, એટલે પોતાના ગ્રૂપમાં તે પહેલા ક્રમે રહ્યું હતું.
ગ્રૂપ 1માં ટૉચ પર રહેનાર ટીમ ગ્રૂપ 2ની બીજા રૅન્કની ટીમ સામે સેમિફાઇનલ રમશે. તેથી ભારત-વેસ્ટઇન્ડીઝની મૅચનો એકેય બૉલ નખાયો એ પહેલાં ચોથી માર્ચે સાઉથ આફ્રિકાની ટક્કર ન્યૂઝિલૅન્ડ સાથે ટક્કર નક્કી થઈ ગઈ હતી.
આમ ભારત પાંચમી માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે બીજી સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડ સાથે ટકરાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન